ચાલો, ઔષધ વાવીએ – ડૉ. નીરજ મહેતા
પૂર્વકથા : અમન છેલ્લા ઘણા અઠવાડિયાથી
નોટિસ કરી રહ્યો હતો કે સિયા પોતાનામાં ખોવાયેલી રહે છે. કંઈ ખબર નથી પડતી કે
નિયતિએ શું નિર્ધારિત કર્યું છે. એ પહેલેથી જાણતો હતો કે સિયા આ દુનિયા માટે નથી
બની.
ચતુર્થ ચાસ

અમને કહ્યું, ‘એ તો રોગીની તાસિર અને રોગની તાકાત
પર...’ સિયાએ એને અધવચ્ચે રોકી દીધો, ‘હું રોગ કે રોગી વિશે વાત નથી કરતી. હું વાત
કરૂ છું દવાઓ વિશે.’ થોડીવારની ચૂપકીદી પછી અમને કહ્યું, ‘તો તું શું એમ કહેવા
માંગે છે કે આપણને દવાના લીધે પરિણામ નથી મળતા? એ કેમ બને યાર. એનાથી જ તો દર્દી
સાજાં થાય છે.’ સિયાએ મક્કમ સ્વરે કહ્યું, ‘ના, દર્દી સાજા થાય છે સાચી દવાઓથી...
આ બધી દવાઓ જે આપણે આપીએ છીએ એ ખરેખર એટલી ભરોસાપાત્ર છે ખરી? અમુક કંપનીઓના
ચ્યવનપ્રાશનું ટર્નઓવર આખા દેશમાં થતા આમળાં કરતા પણ વધુ કિલો હોય છે. ચાલો માની
લઈએ કે બધાં આમળાં એ એક કંપનીએ ખરીદી લીધાં તો બાકીની કંપનીઓ શું નાખે છે? એ પણ
વિચારવું જ રહ્યું. આપણે ચ્યવનપ્રાશમાં જો સાચાં દેશી આમળાં જ વાપરીએ છીએ એટલે જ
તો પરિણામ મળે છે.’
અમનના વિચારોના વાદળાં સિયાની સમજના વાયુથી એ તરફ
ફંટાવા લાગ્યાં, ‘હા, એ તો છે. એટલે જ આપણે દર્દીઓને કોઈ વૈદ્યે તૈયાર કરેલો અથવા
આપણે બનાવેલો ચ્યવનપ્રાશ જ વાપરવાની ભલામણ કરીએ છીએ.’ સિયા બોલી, ‘એકદમ ખરું, પણ
બીજી દવાઓનું શું ? આમળાં તો આપણને સહેલાઈથી મળે છે એટલે જ તો આપણે ચ્યવનપ્રાશ કે
ત્રિફળા કે રસાયન ચૂર્ણ બનાવી શકીએ છીએ, પણ ઓછાં પ્રમાણમાં મળતાં બીજા
ઔષધદ્રવ્યોનું શું? આપણા જેવાં અનેક આયુર્વેદિક ડોક્ટર્સ એના માટે સપ્લાયર પર
ભરોસો રાખે છે. એ શું આપે એ તો એ જ જાણે ને. એનેય માંગને પહોંચી વળવા ભેળસેળ નહીં કરવી
પડતી હોય તેની શું ખાતરી?’
અમન બોલ્યો, ‘મને યાદ નથી કે કોઈપણ ડ્રગ માટે
આપણને આપણા સપ્લાયરે ના પાડી હોય. એનો મતલબ તો એ જ કે...’ સિયાએ એનું વાક્ય પૂરું
કરતાં કહ્યું, ‘...એણે ક્યારેક તો આપણને છેતર્યા જ હશે.’ સિયા જરા ગંભીર થઈને
બોલી, ‘આ બધાનાં કારણો એ જ છે જે ડૉ. રાવે આપણને કહ્યાં હતાં. આપણી પાસે પૂરતાં
ઔષધો છે જ નહીં, અમુક તેના મૂળ વાતાવરણમાં માંડ-માંડ અસ્તિત્વ ટકાવતા પડ્યા હોય
ત્યાં આવા સપ્લાયર્સ તેનું નિકંદન કાઢવા તત્પર હોય છે. આપણે એમને રોકી નહીં શકીએ.
પણ આપણે જે તે વનસ્પતિની પ્રજાતિ નષ્ટ થતાં તો અટકાવી શકીએ ને?’ અમન બોલ્યો, ‘પણ
કેવી રીતે સિયા? આપણો ગાર્ડન ગમે તેટલો મોટો કરીએ આપણે આપણા પેશન્ટ્સ પૂરતી એ
ખાધને પૂરી શકીએ. બધા માટે નહીં.’
સિયાએ કહ્યું, ‘એ જ હું કહેવા માંગું છું. ઝાઝા
હાથ રળિયામણા. આપણે બીજાનો સાથ લઈએ. આપણે જેમ કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન ડેવલપ
કરીએ છીએ તેમ દરેક આયુર્વેદિક ડોક્ટર કરે તો કેમ? અને મોટી ખાધને પહોંચી વળવા
ઔષધિય પાકોનું વાવેતર થાય. આપણા ખેડૂત મિત્રો આપણી મદદ કરે અને કમાય.’ અમને
કહ્યું, ‘પહેલાં તો દરેક આયુર્વેદિક ડોક્ટર્સને ઔષધિય પાકોની ખેતીની પૂરેપૂરી
જાણકારી નથી. તેઓ તો સપ્લાયર્સ કે ફાર્મસી પર જ આધાર રાખે છે. એમને આ બાબતે
સમજાવવા કરતાંય અઘરું છે આ ઔષધની ઓળખ આપવી. એ ભગીરથ કાર્ય કોણ કરશે ? અને ખેડૂતો
રોકડિયા પાકો વાવવાનું છોડીને આની ખેતી કેમ કરે? હું તને હતોત્સાહ કરવા નથી માગતો
પણ આ બધું વિચારવું જરૂરી છે.’ સિયાએ કહ્યું, ‘તું સાચો છે, આ અઘરું છે, પણ અશક્ય
નથી. આ બધું હું કરીશ. હું બધાને સમજાવીશ. હવે મને લાગે છે કે આ જ મારું કામ છે.’
અમન અત્યાર સુધી બધી મદદ માટે તૈયાર હતો પણ હવે આ
પ્રશ્ન વધુ વિકટ હતો. તેને ખ્યાલ જ હતો કે સરળ કામ કદી સિયાને પસંદ પડ્યા નથી. તે
હંમેશા નવા નવા સાહસ પસંદ કરતી આવી છે. પણ આ કામ ખૂબ મોટું હતું, મહાન હતું.
શક્યતાઓ પણ અતાગ હતી. જો ખરેખર આવું થાય તો હેલ્થકેરની અને ઔષધિય ખેતી બન્નેની
સિકલ જ બદલાઈ જાય. પણ સારા કામમાં સો વિઘ્ન આવે તે હંમેશા યાદ રાખવું જોઈએ એમ અમને
વિચાર્યું.
****
એમ.ડી. દરમ્યાન સિયાએ ‘હિમાલયન ઔષધની જાળવણી’
વિષય પસંદ કર્યો હતો. જામનગરમાં બેઠાં-બેઠાં હિમાલયન ઔષધોની જાળવણી એ ઘણાને તુક્કો
લાગ્યો હતો. યુનિવર્સિટીએ પણ વિષય બદલવા કહેલું. પણ સિયાએ એથિકલ કમિટિ સમક્ષ
પ્રસ્તાવ મૂક્યો કે જો આપણે હિમાલય જેવું વાતાવરણ જે તે ઔષધને આપી શકીએ તો આ શક્ય
બને જ. આપણે આવા નાના આઈડિયાને અમલમાં નથી મૂકતાં એટલે જ પાશ્ચાત્ય દેશોથી આપણે
વિજ્ઞાનમાં પાછળ છીએ. જો એક મોકો મને આપવામાં આવે તો હું એ સાબિત કરી શકું તેમ
છું. મોકો મળતા તેણે નાનાપાયે કોલ્ડ હાઉસ બનાવી એમાં હિમાલયન ઔષધિઓ જેવી કે કડુ,
બનફ્શા અને વછનાગ વગેરેને તેણે સફળતાપૂર્વક ઉગાડી બતાવી. એટલું જ નહીં પરંતુ આ
રીતે ઉગાડેલ ઔષધોને સફળતાપૂર્વક દર્દીઓ પર વાપરી પણ બતાવ્યાં. આ બધુ જોઈ
આયુર્વેદના માંધાતાઓ પણ સિયાની બુદ્ધિમત્તા પર વારી ગયેલા. આ પ્રેઝન્ટેશનનો દિવસ એ
સિયાની જીતનો દિવસ અને આયુર્વેદિક સંશોધનક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ હતો.
અમનના સંશોધનનો વિષય હતો ‘ઊગાડેલાં ઔષધ અને
નૈસર્ગિક રીતે ઊગેલ ઔષધ : ગુણની દૃષ્ટિએ.’ ખરેખર ઉગાડેલી જાત જંગલી અથવા જાતે
ઊગેલી જાત કરતાં ગુણમાં ઊણી ઊતરે છે કે કેમ એ એને જોવું હતું. તે માનતો હતો કે
૫૦૦૦ વર્ષ પહેલાં અને હવેના વાતાવરણમાં ખૂબ ફરક છે તેથી આયુર્વેદની વિવિધ
સંહિતાઓમાં આપેલ સિદ્ધાંતો ફરીથી તપાસવા જોઇએ. સંશોધનને અંતે તેણે સાબિત કર્યું કે
નૈસર્ગિક અવસ્થામાં ઉગેલી વનસ્પતિઓમાં, પ્રયત્નપૂર્વક ઉગાડવામાં આવેલી વનસ્પતિઓ
કરતાં ગુણ સહેજ વધુ હોય છે. પરંતુ તેણે એ પણ ધ્યાન દોર્યું કે ભલે ગુણમાં થોડો
તફાવત હોય પણ રોગ પરની અસરકારકતામાં બન્ને સારું પરિણામ આપે છે. જેથી આગળ જતાં
મોટાપાયે ઔષધિય ખેતીને પ્રોત્સાહન મળવું જોઇએ.
અમન અને સિયા બન્નેના રિસર્ચ એકબીજાના પૂરક હતા
અને સૌએ વખાણ્યા હતા. અને પછી એટલી નાની ઉંમરે સિયાએ અમન સાથે મળીને ‘હિમાલયન ઔષધ
તમારા બાગમાં’ પુસ્તક લખ્યું જે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં એકસાથે
પ્રકાશિત થયું. અનેક લોકોએ વખાણ્યું અને અમુક વાંકદેખાઓએ વખોડ્યું પણ ખરું. પણ
અંતે, સિયાએ ધાર્યું નિશાન તો તાક્યું જ.
****
‘અમન, આજે આપણને સામાન્ય લાગતી દરેક શોધ ક્યારેક
ક્રાંતિકારી શોધ ગણાતી હતી. આજે આપણને સહજ લાગતાં દરેક કાર્ય ક્યારેક સ્વપ્ન જ
ભાસતાં હતાં. આપણે હિમાલયમાં થતાં ઔષધો જામનગરમાં ઉછેર્યાં હતાં. તો શું આપણે થોડા
એવા સારા લોકો નહીં શોધી શકીએ જેને આપણી વાતમાં વિશ્વાસ બેસે?’ અમને કહ્યું,
‘ચોક્કસ બેસશે. હું આજે જ સરપંચને વાત કરું છું. બધા ગામલોકોને બોલાવે અને પછી
આપણે આપણી વાત એમની સામે મૂકીએ. કંઇક સરસ ગોઠવાઈ જશે એમ મને લાગે છે.’ સિયાએ ઊંડો
શ્વાસ ભરતાં કહ્યું, ‘હા, મને પણ એમ લાગી રહ્યું છે કે કંઈક સારું થવા જઈ રહ્યું
છે.’ સિયાએ અમનના ખભે માથું ટેકવી, આંખો બંધ કરી દીધી. પોતાના ધ્યેયમાં મક્કમ અને
નિશ્ચિંત આ દંપતિ ભાવિના ઉમદા ખયાલોમાં રાચતુ હતું અને અમનના પગની ઠેસથી ઝૂલો
ઝૂલતો રહ્યો.
****
પોણા છ ફૂટનો કસાયેલ જુવાન મોહન ગામનો સરપંચ હતો.
તે છેલ્લી બે ટર્મથી સતત ચૂંટણી જીતતો આવ્યો હતો. પહેલાંના ખાઇબદેલા આધેડ સરપંચ
ચંદુલાલને બમણા મતથી પછાડી તે સરપંચ બન્યો. લોકલાગણી અને મદદથી ગામનો સર્વાંગી
વિકાસ થયો. ગયા વર્ષે ગામને શ્રેષ્ઠ પંચાયતનો ખિતાબ પણ રાજ્ય સરકાર દ્વારા મળેલો.
મોહને આવતાંવેત ગામમાં સૌપ્રથમ તો પાકા રસ્તા, જાહેર શૌચસંકુલ બંધાવ્યા. ગામમાં
આર.ઓ. પ્લાન્ટ સ્થાપ્યો અને પીવાનું શુધ્ધ પાણી ૨૦ લીટર દીઠ માત્ર ૪ રૂપિયાના દરે
સૌને મળે તેવી વ્યવસ્થા કરી. ફોન કરો અથવા પંચાયતમાં લખાવો એટલે પાણી ઘેર પહોંચી
જાય. ગરીબીરેખા નીચે જીવતાં પરિવારોને તો ફ્રી સર્વિસ. કંઈક નવું કરવાની બધી
દરખાસ્તની મોહનની હા જ હોય.
ગામમાં મોહન અને અમન લગભગ સાથે કારકીર્દી શરૂ
કરનાર હતા. મોહન સરપંચ થયો એજ વર્ષે અમનની સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે
નિમણુંક થઈ. અમન ગામમાં સૌ પહેલાં મોહનને જ મળેલો. ઘણા સમયથી બંધ સરકારી
ક્વાર્ટરને મોહને થોડા માણસોને કામે લગાડી તાત્કાલિક રહેવાલાયક બનાવી આપ્યું હતું.
સિયા અને અમન બન્નેએ નક્કી કર્યું હતું કે માત્ર જનરલ પ્રેક્ટિસ કરી પૈસા નથી
કમાવા. બે પૈસા કમાવા માટે દર્દીને પોતાના અખતરાનું પ્રાણી ન બનાવાય એ એમની
માન્યતા નહીં પણ નિયમ હતો અને એટલે જ સાવ ટૂંકા ગાળામાં આ બન્ને ગામના ફેવરિટ
ડૉક્ટર તેમજ સરપંચના માનીતા બની ગયાં હતાં. અમન અને સરપંચના કુટુંબ વચ્ચે ખાસ્સો આવરોજાવરો
રહેતો.
પંચાયત ઓફિસમાં સરપંચ મોહન કોમ્પ્યુટર આગળ બેઠો
હતો. અમનને જોઈ એ તરત ઊભો થયો. ‘એ... આવો.. ડૉક્ટર. આમ ભૂલા પડવું હોં.. કો’ક દિ આ
બાજુયે. લે... હાર્યે મેડમ નથી આવ્યા ?’ હાથ મિલાવી અમન બોલ્યો, ‘મોહનભાઈ, હું અને
મેડમ નિરાંતે તમારે ઘરે આવશું. અત્યારે તો તમારી સાથે થોડી ખાસ વાત કરવી છે.’
મોહને કહ્યું, ‘જરૂર, જરૂર. બેસો.’ અમન ગામને મળેલા “શ્રેષ્ઠ ગ્રામ” એવોર્ડનું
મઢાવેલું સર્ટિફિકેટ જોતાં બોલ્યો, ‘મોહનભાઈ, આપણા ખેડૂતો સામાન્ય રીતે કપાસ,
મગફળી, એરંડા એવું બધું વાવે છે, ખરું?’ મોહનને જિજ્ઞાસા થઈ, ‘હા, એ તો સાચું.
એનું તમારે કેમ કામ પડ્યું?’ અમને કહ્યું, ‘અમે આપણા ખેડૂતો સાથે વાત કરવા ઈચ્છીએ
છીએ. અગાઉ આપણે ચકલી અને પક્ષી બચાવો ઝૂંબેશ કરેલી ત્યારે ગામલોકો અને
ખેડૂતમિત્રોનો અદભુત પ્રતિસાદ સાંપડેલો. દરેક ખેડૂતમિત્રોએ પોતાના વાડી-ખેતરમાં બે
લાઈન જાર વાવવા વચન આપેલું અને પાળેલું પણ ખરું.’ મોહને કહ્યું, ‘હા, તમે અને મેડમ
અહીં આવીને જે કામગીરી બજાવી છે એ પછી ગામલોકો તમારી વાત નો માને તો જ નવાઈ લાગત.
આપણે ફરી મિટીંગ કરીએ. શું પ્રસ્તાવ છે આ વખતે?’ અમને સ્મિત કરી મોહનને આખી વાત
કરી. વાત પૂરી થયે બન્નેના ચહેરા પર સંતોષની ઝલક હતી.
***

‘મેં પહેલાં જ કહ્યું કે પૂરી વાત સાંભળીને જ
નિર્ણય કરશો.’ સિયાએ વાત આગળ ચલાવી, ‘અમે જે દવાઓ આપીએ છીએ જેને તમે દેશી દવા કે
ઓસડ કહો છો અને અમે આયુર્વેદિક ઔષધ કહીએ છીએ. મોટેભાગે વનસ્પતિ કે ઝાડપાનમાંથી
મેળવવામાં આવતી આવી અસલી ઔષધિઓ હવે દુર્લભ થઈ રહી છે. આજે જ્યારે ફાર્મસી કંપનીઓનો
રાફડો ફાટ્યો છે ત્યારે ઔષધની વધુ કિંમત મેળવવાની લાલચે અનેક મૂર્ખ લોકો ઔષધને
મૂળસોતાં ઉખેડી લે છે. આ રીતે આડેધડ કપાતા જંગલોને કારણે સાચાં ઓસડિયાં મળતા નથી.
નકલી કે નબળી કક્ષાના ઓસડીયાંને કારણે મોડાં મળતા પરિણામો અને ઓછી અસરથી આયુર્વેદ
પર લોકોનો વિશ્વાસ ક્યાં સુધી ટકી રહેશે તે કહેવું મુશ્કેલ છે. સાચી દવાઓ મળે તો
કેટલાં જીવ આસાનીથી બચી શકે તેનાથી કોઈ અજાણ નથી જ. મારી અને સાહેબની સલાહ માનીને
તમારામાંથી ઘણા લોકોએ ઘરઆંગણાના તુલસી, દમવેલ, ખરખોડી, અરડૂસી, ચણોઠી, વરધારો,
ફુદીનો, આદું, હળદર, સમેરવો જેવાં હાથવગાં હથિયાર જેવાં ઓસડિયાંનો લાભ પણ લીધો છે.
ગામમાંથી આપણે રોગોનું પ્રમાણ ઘટાડ્યું તો છે જ પણ હજુ જોઇએ તે લેવલ સુધી આપણે નથી
પહોંચ્યા..’
સામે બેઠેલા તમામ ગ્રામજનો પર નજર ફેરવી ફરી
સિયાએ કહ્યું, ‘શું ખૂટે છે... ખબર છે ? માત્ર સાચી દવાઓ. હા, આ દવાઓ આપણે
મોટેપાયે વાવવી જોઈએ, જે આપણને સ્વસ્થ-સાજાં તો રાખે જ ઉપરાંત એમાંથી કમાણી પણ
કરાવે.’ ફરી ચણભણાટ, સિયાનો સ્વર, ‘હજી મારી વાત પૂરી નથી થઇ. અમે ઇચ્છીએ છીએ કે
આપણા ખેડૂત મિત્રો આયુર્વેદના ઔષધો મોટાપાયે વાવે. શતાવરી, મૂશળી, મીંઢીઆવળ,
બારમાસી, આસંધ, ઇસબગુલ, જેઠીમધ, લીંડીપીપર, કરિયાતું, ગુગળ જેવાં અનેક ઓસડિયાં તમે
વાવી શકો. ઘણામાં તો સરકાર સહાય પણ આપે છે તો અનેક ઔષધ એવા છે કે તેની માંગ ઉપજ
કરતાં પણ વધુ છે. ઓસડીયાની ખેતીના ફાયદા ઘણાં છે, તમારે માત્ર તૈયારી બતાવવાની છે.
તો આવો, આપણે બધા સાથે મળીને ચાલો, ઔષધ વાવીએ.’ (ક્રમશઃ)
શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???
મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.
No comments:
Post a Comment