Thursday, 23 June 2016

કૃષિનવલ – ૮

ચાલો, ઔષધ વાવીએ 
– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથા: સિયા તથા અમનના પ્રયત્નોથી મથુર, કુરજી, જયરાજસિંહ, થોભણ, લલિત, મેના, મોહન, રાકેશ, મનજી, નાથો, પવો, ઉકો અને લવજી સૌ એક યા બીજી રીતે ‘ચાલો, ઔષધ વાવીએ.’ ઝુંબેશ સાથે જોડાયા. મીંઢી આવળ, ઇસબગુલ વગેરેના વાવેતર અને માવજત પર વાત ચાલતી હતી ત્યાં અમને આવીને જણાવ્યું કે કોઇ ટીખળીએ ખીલીઓ ઠોકી એની કારમાં પંચર પાડી દીધું હતું. હવે આગળ...
અષ્ટમ ચાસ
પોષ-મહાની ગુલાબી ઠંડીના ગુલાબ ફાગણના આગમન પછી ધીમે ધીમે મુરઝાવા લાગ્યા હતા. હજુ તો આ ગરમીની શરૂઆત છે. તણખા જેવી આ ગરમી ચૈત્ર વૈશાખ આવતાં સુધીમાં હોળીની ઝાળ જેવું દાવાનળ સ્વરૂપ અખત્યાર કરશે અને ધરતીને સૂરજના અંગારાથી ડામ દેશે. આવી ભયંકર ગરમી શરૂ થાય એ પહેલાં સિયા વધુમાં વધુ ગામલોકોને પોતાની વાત, પોતાનો નવો વિચાર પહોંચાડવા માગતી હતી. એટલે જ એણે ગામની સૌ મહિલાઓને એકત્ર કરી ચર્ચાસભા રાખી હતી.
હંસા, મેના, રેખાબા, પુષ્પા, રમીલા, મંજૂ, વનિતા, શોભના, ગંગામા, કાળીડોશી, ઝમકુડોશી, કંચનબેન, ચંપા, કુસુમ, વંદના, ચમેલી, અમીના, ફરઝાના, રુખસાના, કુલસુમ અને ઝેનબડોશી વગેરે સૌ ડૉ. સિયાએ આપણને બધાને શા માટે સૌને એકઠાં કર્યાં હશે એની ચર્ચા કરે છે. લીમડો, પીપળો અને આમલીના અડોઅડ આવેલા ઝાડવાઓના છાંયે બધાએ અડિંગો જમાવ્યો છે. થોડી ખિસકોલીઓ પેપાં ચાખે છે તો થોડી કાતરાની મજા લઈ રહી છે. પક્ષીઓને પાણી પીવા ટાંગેલા કૂંડાં પર બેઠેલા કબૂતરો મસ્તીએ ચડ્યા છે અને પાણી બહાર ઢોળી રહ્યાં છે. લીમડાના સુંદર ઝીણા ફૂલોને બેત્રણ નાની વયની સ્ત્રીઓ અપલક તાકી રહી છે.
સિયાએ આવીને સૌનું ધ્યાનભંગ કર્યું. તેણે કહ્યું, ‘બહેનો, ઉનાળાના દિવસો શરૂ થવાની તૈયારી છે અથવા કહો કે ઉનાળો આવી ગયો છે. તમારામાંથી અમુકની વાડીએ શાકભાજીઓ ફૂલીફાલી રહી છે. કોઇએ મગ પણ વાવ્યા હશે. કોઇએ વળી ઉનાળુ મગફળી વાવી હશે. એકંદરે સૌ ચોમાસા અને શિયાળા કરતાં વધુ નવરા રહેતાં હશો, ખરું ને?’
ગંગામા લાગલું જ બોલ્યાં, ‘અરે બેન ! અથાણાં-વસાણા કરવાનો ટેમ થ્યો છ આ તો. નવરાઇ તે વળી અમારે કેવી? આ ગુંદા, ગરમર, કાચી કેરી, કેરડાં, કરમદાં, લીંબુના અથાણાં કરશું ને હવે. કેમ બાયું?’ ઘણી સ્ત્રીઓએ એમાં સૂર પૂરાવ્યો. ‘અમારે તમારા જેવી નવરાઈ ક્યાં, બાઈ?’ કહી ઝમકુડોશીએ ટાપશી પૂરી.
સિયાએ કહ્યું, ‘આપણે સૌ ઔષધ વાવતાં તો થયાં. તો હવે એની સાથે સાથે ગૃહઉદ્યોગ પણ શરૂ થઈ શકે.’ કંચનબેન મૂંઝાઈને કહે, ‘દાક્તરાણીબેન, માંડીને કંઇક હમજાય એમ વાત કરો. આ ઉંમરે હવે ઉખાણા રમવાનું નઇ ફાવે.’
સિયાએ હસીને કહ્યું, ‘સાચી વાત. સીધી જ વાત કરું તો આપણે જે ઔષધો વાવીએ છીએ અથવા તો જે હાલ આપણે વાવ્યાં છે. અત્યારે એની પર ફૂલ બેસવાની ઋતુ છે. ફાગણ મહિનાની સાથે વસંત આવે. ચારેબાજુ ફૂલો ખીલે. અને એ ફૂલો આપણને અનેક રીતે કામ લાગે.’ ચંપાએ પૂછ્યું, ‘એ વળી કઇ રીતે?’ ત્યાં જ ભીખાઆતા એક માટલું હાથમાં લઇને આવ્યા. માટલાના કાંઠલા પર કાપડ વીંટીને એનું મોં બંધ કરેલું હતું. સિયા પાસે આવી ‘લે બેટા. હું તો હવે ખર્યું પાન. આ મારી મરણમૂડી તું સાચવ.’ એટલું કહીને જતા રહ્યાં.
સિયા હજુ કાંઇ બોલે એ પહેલાં ઝમકુડોશી બોલ્યા, ‘આ ભીખાભાઇ, વૈદ ભીખાલાલ કે’વાતા એક જમાનામાં. નગરશેઠનો એકનો એક દીકરો માંદો પડ્યો’તો. તે દિ ઇનો કેસ ભીખાલાલથી ફેલ થઇ ગ્યો તેદૂના એણે વૈદું પડતું મૂક્યું.’
સિયાએ માટલી સંભાળીને બાજુમાં મૂકી અને વાતનો દોર ફરી સાંધ્યો. ‘જુઓ, તમે બધાં ઉનાળામાં પાક અને અથાણાં-વસાણાં બનાવો છો, બરાબર? અને એ બધું ઘર પૂરતું. થોડું વધારે બનાવીએ તો..’ કાળીડોશી વચ્ચે જ બોલ્યા, ‘અરે બેન, આ હવે ખાનારાય ક્યાં ર્યા વધારે. આ મારો નાનકો શે’રમાં ભણે છ અને મોટોય શે’ર ફેકટરિયુંમાં કામે લાગ્યો છ. તી પછી ઈ ખાશે કુણ?’
સિયાએ સમજાવતાં કહ્યું, ‘થોડું વધારે બનાવીએ એ આપણા માટે નહીં. ધારો કે આપણે દર વરસે કિલો લીંબુનું અથાણું બનાવતાં હોઈએ અને પાંચ કિલો બનાવીએ તો બાકીનું, વધારાનું ચાર કિલો શહેરની માર્કેટમાં વેચાણ માટે મૂકી શકાય. બીજું આ ફૂલોની વાત કરું તો આ ગરમાળો, મહુડો, ગુલાબ અને ઈવન આવળ જેવાં ફૂલોનો ઔષધિય ઉપયોગ પણ થાય છે. અહીં એ બધાં ફૂલો ઢગલાબંધ ખીલીને કરમાઈ જાય છે અને અંતે ખરી જાય છે. એ કરતાં એનો પણ આપણે ઉપયોગ કરીએ.’ હવે ઝેનબડોશી મેદાનમાં આવ્યા, ‘યે બાત તો ઠીક કે હમ અથાણે બનાવેં ઔર બેચેં. ઠીક હૈ થોડે વધુ બનાવેંગે. પણ મેં કુ યે બેચેગા કોણ?’
સિયાએ કહ્યું, ‘એનોય ઉપાય છે. તમે બધાં જ સૌ સાથે મળીને એક સહકારી મંડળી જેવું બનાવી શકો. અને પછી શહેરની સુપર માર્કેટ્સ, મોલ્સ અને લોકલ બજાર સાથે કોન્ટ્રાક્ટ કરી લેવાના એ બાબતે. આપણે એમના ઓર્ડર મુજબનો માલ બનાવી આપવાનો. થોડી કમાણીના નવા સોર્સ ઊભા થાય આપણી પાસે રહેલા રિસોર્સમાંથી જ.’ બધાં ચણભણ કરવા લાગ્યાં. વંદના બોલી, ‘પણ આ ફૂલનું શું કરવાનું ઇ તો કાં’ક ક્યો. શું કે’તા’તા ફૂલનું?’
સિયાએ વાતનો દોર ફરી પોતાના હાથમાં લીધો, ‘ઝેનબબેન, ફરઝાના, રુખસાના, કુલસુમ, તમે લોકો અથાણાં સિવાય બીજું શું બનાવો ઉનાળામાં?’ ફરઝાના કહે, ‘અમ્મી ગુલાબનું શરબત બનાવે, ગુલાબની પાંદડીનો ગુલકંદ બનાવે. અબ્બાજાનને ક્યારેક ચાનક ચડે તો કેટલાંય વાસણ બગાડે અને કાં’ક... હા, ગુલાબનો અર્ક બનાવે.’ બધાં હસી પડ્યાં. કુસુમે કહ્યું, ‘અમે રાજસ્થાન ગ્યા’તા તંઇ ચૈત્રી ગુલાબમાંથી બનતો ગુલકંદ જોયો ત્યાં. ચૈત્ર મઇનામાં ઊગતાં ગુલાબનો ગુલકંદ બનાવે ઈ લોક.’
સિયા આખી વાતને સાંધીને રેણ કરતી હોય એમ બોલી, ‘બસ, એ જ. આપણે ગુલકંદ બનાવીશું. ગુલાબનો તો બધાં બનાવે જ છે, આપણે આવળ, ગુલમ્હોર, મહુડો, શીમળો, ગરમાળાના ફૂલોનો પણ ગુલકંદ બનાવીશું. અને એ દવાના કામમાં આવે’ આખું ટોળું એકસાથે ‘હેં...’ કરી ગયું. સિયાએ હસીને કહ્યું, ‘આપણે એ ગુલકંદ ફાર્મસી કંપનીઓ અને આયુર્વેદિક દવાની દુકાનોમાં આપીને એમાંથી પણ કમાણી કરી શકીએ. કેમ લાગે છે આ વાત તમને?’ બધાંના ચહેરા તાજાં ગુલાબ જેવાં ખીલી ગયાં.
સિયાએ કહ્યું, ‘આયુર્વેદમાં પુષ્પવર્ગ કરીને બધા ફૂલોના ઔષધિય ગુણોનું વર્ણન છે. દવામાં વપરાય એ બધાં ફૂલોનો આપણે ગુલકંદ બનાવી શકીએ. એને વેચીશું પણ ખરા અને ઘરમાં રસોડામાં રાખીને બાળકો અને પરિવારને સ્વસ્થ પણ રાખી શકીશું. શું કહો છો? સૌ છો મારી સાથે?’ સૌએ એકસાથે ‘હા’ ભણી.
સિયાએ આત્મવિશ્વાસથી લીમડાના ઝીણા ફૂલો પર બેઠેલી મધમાખીનું અવલોકન કરતાં કહ્યું, ‘ઉનાળાના દિવસો શરૂ થાય છે ત્યારે શરીરમાં વધુ ને વધુ ઠંડક આપે એવા ઔષધોપચાર જરૂરી છે. ગુલાબના ફૂલની પાંદડી પણ શરીરને ખૂબ જ ઠંડક આપે છે. ગુલાબની પાંદડીમાંથી બનાવાતો ગુલકંદ તો જગપ્રસિદ્ધ છે. એમાં ગુલાબની પાંદડી ઉપરાંત ઘણા બધા દેશી ઔષધો ઉમેરવામાં આવે છે. ગરમ પ્રદેશોમાં પણ આ ગુલકંદ ખૂબ જ ઠંડક આપે છે એટલે ઘણા લોકો પણ એનું સેવન કરે છે. કેટલીક જગ્યાએ ગુલાબની પાંદડી બહુ મળતી ન હોવાથી એક ભાગ ગુલાબની પાંદડી અને ત્રણ ભાગ સાકર નાખી એ બનાવાય છે. ઘણા ધંધાદારી ધોરણે બનાવતા હોવાથી તેમાં કુત્રિમ સુગંધ પણ મેળવે છે. પણ આવું ગુલકંદ અસર કરે નહીં. આજે આપણા દેશમાં પ્રમાણભૂત ગુલકંદ બનાવવાની સંસ્થાઓ પણ છે. આવું ગુલકંદ બન્યા બાદ તેમાં એલચીના બીજ, ચાંદીના વરખ અથવા રૌપ્ય ભસ્મ, બંગ ભસ્મ. ગળોસત્વ વગેરે એક કિલો ગુલકંદ દીઠ અઢી અઢી ગ્રામ ઉમેરવામાં આવે છે. જેને પરવડે તે તેમાં મોતી પિષ્ટી એમાં ઉમેરે છે જેનાથી ઠંડક અનુભવાય છે. આવો ગુલકંદ સવારે અને રાત્રે એક એક ચમચી લેતાં હોજરીની બળતરા, સોજો, ચાંદું બધામાં રાહત આપે છે. એ મોઢા પરના ખીલ મટાડે છે. એ લેવાથી શાંત અને સ્વસ્થ ઉંઘ પણ આવે છે.’
‘હા... હો,  આ ગુલકંદના તો કેટલાય ફાયદા છે.’ ગંગામાને એક જુની વાત યાદ આવતા વચ્ચે જ બોલી પડ્યા. ‘એક જમાનામાં મારી નણંદને ગરમીનું દરદ થઈ ગ્યુ’તુ. તયેં આ હમણા આઈવા’તા ઈ વૈદ્ય ભીખાલાલે કાઈંક આ ગુલકંદની જ દવા દીધી’તી. તે’દિ ઈ કેતા કે, ગુલકંદ લેવાથી ખીલ, ખંજવાળ, કબજિયાત, ગરમી, અળાઇ, અનિદ્રા મટી શરીર અને મનને ટાઢક થાય છે.’ જરાક શરમાઈને ગંગામાએ કહ્યું, ‘અને કેતા’તા કે આ ગુલકંદ બે માણાના વેવારમાંયે સારું કામ આપે છે.’
સિયાએ કહ્યું, ‘હા ખરી વાત છે. કેટલીક બહેનોને સમાગમ વખતે યોનિમાં બહુ ઉષ્ણતા વર્તાય છે. ચળ આવે છે અને સંયોગ વખતે એ ઉષ્ણતાને લીધે શુક્ર જલ્દી સ્ત્રવી જાય છે. પતિ-પત્નીને ગુલકંદનો પ્રયોગ કરાવવાથી બંનેના મન શાંત અને સરળ બને છે અને ગર્ભધારણ થઇ શકે છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં ઉષ્ણતા, વાયુ આ બધામાં ગુલકંદ ઉપયોગી નીવડે છે. બહેનોને રતવા હોય, ગર્ભધારણ થાય અને ગર્ભસ્ત્રાવ થાય ત્યારે ખેરનું ઘી ઠંડક અને શીતળતા અર્પે છે. આ રીતે ઘણી પ્રકારના ફુલમાંથી ગુલકંદ બનાવી શકાય.’
સીયાની વાત પુરી થાય ત્યા સુધી માંડ માંડ રાહ જોઈને બેસી રહેલ રમીલાએ સ્ત્રીસહજ જીજ્ઞાશાથી કહ્યું. ‘બેન, તમે અમને બીજા ફૂલોની વાત કરો ઈ પેલા જોવો તો ખરા કે ઓલા ભીખાબાપા આ માટલામાં ભરીન શું ખજાનો દઈ ગ્યા’સે. આ મારો નાનકો કેતો’તો, કે ઈ ભીખાબાપા કેટલાય વખતથી આજુબાજુના ગામની સીમ અને વગડામાં ગાંડાની જેમ રખડીને કાંક ભેગું કરતા હોય સે.’ બધી સ્ત્રીઓએ રમીલાની વાતને ટેકો પુરાવ્યો. સિયાએ કુતૂહલવશ માટલી પરથી કપડું ખોલ્યું. જોયું તો તેમાં જૂદાં જૂદાં ઔષધોનાં બીજ હતાં. અને સાથે હતી એક ચબરખી. જેમાં લખ્યુ હતુ કે... (ક્રમશઃ)

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.


No comments:

Post a Comment