ચાલો, ઔષધ વાવીએ – ડૉ. નીરજ મહેતા
પૂર્વકથા : સિયાએ અમન આગળ સાચાં અને
અસરકારક ઔષધ બાબતે પોતાની મૂંઝવણ વ્યક્ત કર્યા પછી અમને ગામના યુવા સરપંચ મોહન
સાથે વાત કરી અને સૌ ગામલોકોની મીટિંગ ગોઠવવાનો પ્રસ્તાવ રાખ્યો. મોહને સૌને એકત્ર
થવા જણાવ્યું. અને કોમ્યુનિટી હોલ આખો ભરચક થઇ ગયો. ડોક્ટર દંપતિને જોઇ સૌ
કુતૂહલવશ ગણગણાટ કરવા લાગ્યા.
પંચમ ચાસ

હોલના સ્ટેજ પર થોડી ખુરશીઓ રાખેલી હતી. અમન,
સિયા અને સરપંચ મોહન આવીને ખુરશીમાં બેઠા. પરસ્પર થોડી મસલત કર્યા બાદ સરપંચ મોહને
વાત શરૂ કરી. ‘જય કિસાન. મારા વ્હાલા ગ્રામજનો, આજે આપણે અહીં શા માટે એકઠા થયાં
છીએ એની કોઇ પણ પ્રકારની ભુમિકા બાંધ્યા વગર હું માઇક સીધું આપણા ડોક્ટર બેનને
સોંપું છું. તેઓ જ આખી વાત કરશે. જય હિન્દ.’ સરપંચ પોતાની ખુરશી પર બેસી ગયા. લોકો
અંદરોઅંદર ચર્ચાઓ કરવા લાગ્યા. ફરી સરપંચે ઉભા થઈ સૌને શાંત કરી વાતનો દોર સિયાને
સોંપ્યો. સરપંચને ઉંડે ઉંડે બીક હતી કે ગામલોકો ડૉ. અમનની વાત કદાચ ન માને, પણ એક
વાતની ધરપત હતી કે ગ્રામ લોકો ડોક્ટર દીદીની વાત કોઈ’દિ નહી ટાળે.
****
અમન ગામના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
(સી.એચ.સી.)માં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતો. જ્યારે સિયાએ એક રૂમ ભાડે લઈ ત્યાં
પોતાનું ક્લિનિક કર્યું હતું. ગામમાં સિયાને જોઇતું મોટા આંગણવાળું ઘર ન મળતાં
એમણે થોડા સમયમાં ગામથી થોડે દૂર એક જગ્યાએ ફાર્મહાઉસ જેવું બનાવ્યુ હતું. થોડા
સમયમાં નાના આંગણાને ગાર્ડનમાં ફેરવી નાખનાર સિયા ડોક્ટર તરીકે પણ એટલી જ કાબેલ
હતી. આયુર્વેદ ઉપરાંત તે હોમિયોપથી, યુનાની, નેચરોપથી અને યોગ પણ જાણતી હતી.
ઇમરજન્સી મેડીસીનનો સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો હોઇ તે આ બધી ચિકિત્સા પદ્ધતિથી
માહિતગાર હતી. જરૂર પ્રમાણે દરેક દર્દીને જે તે પદ્ધતિ મુજબ દવા આપતી. તેનો મુખ્ય
ઝોક તો આયુર્વેદ તરફનો જ રહેતો પણ તે જડ આયુર્વેદ પ્રેક્ટિશનર જેવી પણ નહોતી.
ક્યારેક જરૂર લાગે તો ‘માફ કરજો, પણ આ રોગનો આયુર્વેદમાં કોઇ ઇલાજ નથી.’ તેમ
કહેવામાં તેણે કદી નાનપ નહોતી અનુભવી.
સિયાએ ગામની મોટાભાગની સ્ત્રીઓને અનેકવાર
સ્વાસ્થ્ય સેવાઓ આપી લાભાન્વિત કર્યાં હતાં. તેનાથી ગામની દરેક મહિલા તેને ડોક્ટર દીદી
તરીકે સંબોધતી. નાનીમોટી દરેક સ્ત્રીઓ એનો પડ્યો બોલ ઝીલતી. માત્ર સ્ત્રીઓમાં જ
નહીં પરંતુ પુરુષોમાં પણ એનું ખૂબ જ માન હતું. થોડા જ સમયમાં પોતાની કાર્યશૈલીથી
સિયાએ એટલી ખ્યાતિ મેળવી લીધી હતી કે ન પૂછો વાત. એની નિદાન પરની પકડ અને સાલસ
સ્વભાવે સૌ ગામલોકોના દિલ જીતી લીધાં હતાં.
સિયા અને અમન બન્નેએ નક્કી કર્યું હતું કે માત્ર
જનરલ પ્રેક્ટિસ કરી પૈસા નથી કમાવા પરંતુ જે આયુર્વેદ એ બન્ને ભણ્યા હતા એને મૂર્ત
રૂપે રોગો સામે જીતતું જોવું હતું. ના, એલોપથી કે બીજા કોઈ મેડિકલ સાયન્સ સાથે
સ્પર્ધાની આ વાત નહોતી જ. અને એને મગજમાં બરાબર રાખીને જ તેઓ ચાલતાં હતાં. ‘અન્ય
વિષય નિષ્ણાંત ડોક્ટરને રિફર કરવા જેવો કેસ આવે ત્યારે માત્ર બે પૈસા કમાવા માટે
જે તે દર્દી પર અલગ અલગ દવાના અખતરા કરી, તેને પ્રયોગશાળાનું પ્રાણી ન બનાવવું’ એ
એમની માન્યતા નહીં પણ નિયમ હતો. અને એટલે જ સાવ ટૂંકા ગાળામાં બન્ને ગામના ફેવરિટ
ડૉક્ટર બની ગયાં હતાં.
સિયાને ક્યારેક આ બધું સપના જેવું લાગતું હતું.
હજુ થોડા સમય પહેલાંની જ વાત છે કે બન્ને બી.એ.એમ.એસ.ની ફાઈનલ એક્ઝામ આપીને
ઈન્ટર્નશિપ કરતાં હતાં. અને ડિગ્રી મળતાં જ બન્નેએ ત્યાં જામનગરમાં જ ક્લિનિક
સ્ટાર્ટ કરી દીધું હતું. સાથે-સાથે બન્ને એમ.ડી. એન્ટ્રન્સની પણ તૈયારી કરતાં
હતાં. એક નાના ફ્લેટમાં બન્ને રહેતાં અને સવારે વાંચતા અને સાંજે ક્લિનિક. આમ કરતા
એક વર્ષમાં નાનકડી કાર લઈ શક્યા હતા અને એના હપ્તા અને ફ્લેટનું ભાડું બન્ને ભર્યા
પછી ભાગ્યે જ કંઈ બચતું જેમાં હરીફરી શકાય. પણ બન્ને ખૂબ ખુશ હતાં. એમ.ડી.નું
એડમિશન આ ક્લિનિક્સ પછી એમના જીવનનો બીજો પડાવ હતો.
સામાન્ય રીતે દરરોજ સવારે નાસ્તો કરીને અને બપોરે
જમ્યા બાદ બન્ને પોતાની નાનકડી કાર લઈને ક્લિનિક જવા નીકળી ગયા હોય. ક્યારેક અમન
કાર ચલાવે તો ક્યારેક સિયા. પણ રસ્તામાં કારની મ્યુઝિક સિસ્ટમ તો ચાલુ હોય જ. કોઈ
વખત રફીના અવાજમાં શમ્મી કપૂરના ગીતો મન ડોલાવતાં હોય, તો ક્યારેક આશા, કિશોર,
હરિહરન, સોનુ, શ્રેયા કે સુનિધિ મૂડ પ્રમાણે કર્ણેન્દ્રિયોને બહેલાવતાં હોય તો
ક્યારેક ગાયકોના નામ ભૂલાઈ જાય પછીયે યાદ રહે એવા સિયાની પસંદના જુના ગીતો દિલમાં
ઊતરી જતા હોય. ઘણી વખત સિયા અને અમન સાથે ગણગણે પણ ખરાં અને વાત પણ કરે. રસ્તો
એટલો ટૂંકો લાગે કે સિયાનું ક્લિનિક ક્યારે આવી જાય એ ખબર જ ન પડે. સંગાથ સમયને
ગતિ આપે છે અને વિરહ સમયને થંભાવી દે છે. એ વાત અમનને સિયાને તેના ક્લિનિક પર
છોડ્યા પછી સમજાતું. ઘરથી માત્ર ત્રણ-ચાર કિલોમીટરના અંતરે આવેલા એના ક્લિનિક સુધી
પહોંચવામાં અમનને યુગો વીતી જતાં. અને વળતી વખતે એ જ પાંચ મિનિટ સેકંડોમાં ફેરવાઈ
જતી.
એમ.ડી. પૂરું થતાં જ અમનને આ જેકપોટ જેવી જોબ મળી
જશે. જોબ મળી ગામડામાં, પણ બન્નેએ ખુદને એ રંગમાં પણ રંગી લીધાં. અમન અને સિયા
પાણી જેવાં હતાં. જે વાસણમાં ભરો એનો આકાર લઇ લે. પાણીની જેમ જ નિર્મળ મનના.
પાણીની જેમ જ સ્વાસ્થ્ય આપનારા. માત્ર વેશભુષા અને બોલીથી અલગ પડતી સિયા ગામના
કોઇપણ કાર્યમાં સહજતાથી જોડાઇ જતી. એ સૌને મિત્ર તરીકે સંબોધતી. એ માનતી કે મિત્ર
જેટલું કરી શકે એટલું જીવનમાં બીજી કોઇ વ્યક્તિ કોઇ સંબંધ ન કરી શકે. એકવાર સિયાએ
ગામના કચરાવાળા રોડ પર કોઈને સલાહ આપ્યા વગર જાતે જ સાવરણો ઊઠાવી સફાઈ આદરી દીધી
અને પછી તો ગામમાં આપોઆપ સ્વયંશિસ્ત આવી ગઇ. જે થોડાં લોકો શિસ્તમાં નહોતા એ શરમે
ધરમે પણ ગામને ચોખ્ખું રાખવામાં ફાળો આપવા માંડ્યા.
એક વ્યક્તિ પણ ધારે તો કેટલો ફેર સમાજમાં પાડી
શકે એનું સિયા જીવંત ઉદાહરણ હતી. દર મહિને બધી સ્ત્રીઓને બોલાવી આંગણે વાવેલાં
ઔષધોની માવજત અને ઘરમાં નાની નાની બિમારીઓમાં થતાં એના સરળ ઉપયોગ એણે સૌને મોઢે
કરાવી દીધાં હતાં. સિયા, એક વ્યક્તિ નહીં, એક વિચાર હતી. અને વ્યક્તિ કરતાં
વિચારોની ઇનિંગ વધુ લાંબી જ હોય છે. સૌને ફરી એક વખત વિચારતા કરી મૂકવા સિયા આજે
કટિબધ્ધ હતી.
***
સિયાએ ગામલોકોને સંબોધતાં કહ્યું, ‘આજે મારે તમને
જે વાત કહેવી છે એ હું ઈચ્છું છું કે પહેલાં તમે પૂરેપૂરી સાંભળો અને પછી જ કોઇ
નિર્ણય પર આવો. હું અને ડોક્ટરસાહેબ છેલ્લા થોડા સમયથી આપણા આ ગામ સાથે જોડાયા
છીએ. અમે અમારાથી બનતા બધાં પ્રયત્નો આપણા ગામના સ્વાસ્થ્ય માટે કર્યા છે. પણ મારે
કહેવું જોઇએ કે ઘણીવાર અમને સફળતા મોડી મળી છે. તમારા રોગો મટાડવામાં અમને ધાર્યા
મુજબ ઝડપી સુધારો ઘણીવાર નથી જોવા મળ્યો.’ ટોળામાં ચણભણ ચાલુ થઈ.
‘મેં પહેલાં જ કહ્યું કે પૂરી વાત સાંભળીને જ
નિર્ણય કરશો.’ સિયાએ વાત આગળ ચલાવી, ‘અમે જે દવાઓ આપીએ છીએ જેને તમે દેશી દવા કે
ઓસડ કહો છો અને અમે આયુર્વેદિક ઔષધ કહીએ છીએ. મોટેભાગે વનસ્પતિ કે ઝાડપાનમાંથી
મેળવવામાં આવતી આવી અસલી ઔષધિઓ હવે દુર્લભ થઈ રહી છે. આજે જ્યારે ફાર્મસી કંપનીઓનો
રાફડો ફાટ્યો છે ત્યારે ઔષધની વધુ કિંમત મેળવવાની લાલચે અનેક મૂર્ખ લોકો ઔષધને
મૂળસોતાં ઉખેડી લે છે અને કંપનીઓને વેચી દે છે. આ રીતે આડેધડ કપાતાં જંગલોને કારણે
સાચાં ઓસડિયાં મળતા નથી.’
’નકલી કે નબળી કક્ષાના ઓસડીયાંને કારણે મોડાં
મળતા પરિણામો અને ઓછી અસરથી આયુર્વેદ પર લોકોનો વિશ્વાસ ક્યાં સુધી ટકી રહેશે તે
કહેવું મુશ્કેલ છે. સાચી દવાઓ મળે તો કેટલાં જીવ આસાનીથી બચી શકે તેનાથી કોઈ અજાણ
નથી જ. મારી અને સાહેબની સલાહ માનીને તમારામાંથી ઘણા લોકોએ ઘરઆંગણાના તુલસી,
દમવેલ, ખરખોડી, અરડૂસી, ચણોઠી, વરધારો, ફુદીનો, આદું, હળદર, સમેરવો જેવાં હાથવગાં
હથિયાર જેવાં ઓસડિયાંનો લાભ પણ લીધો છે. અહીં ઉપસ્થિત અનેક બહેનો અને માતાઓને આ
ઔષધોના ઘણાબધાં પ્રયોગો સુપેરે આવડે છે અને અત્યારે આપ પૂછો તો સંભળાવી શકે એમ પણ
છે. ગામમાંથી આપણે રોગોનું પ્રમાણ ઘટાડ્યું તો છે જ પણ હજુ જોઇએ તે સ્તર સુધી આપણે
નથી પહોંચ્યા..’

સિયાએ મક્કમ સ્વરે કહ્યું, ‘આનો એક જ ઉપાય છે.
આપણે જ આ ઔષધ વાવીએ. હા, આ દવાઓ આપણે મોટેપાયે વાવવી જોઈએ, જે આપણને સ્વસ્થ-સાજાં
તો રાખે જ ઉપરાંત એમાંથી સારી એવી કમાણી પણ કરાવે.’ ફરી ચણભણાટ. સિયાનો સ્વર, ‘હજી
મારી વાત પૂરી નથી થઇ. અમે ઇચ્છીએ છીએ કે આપણા ખેડૂત મિત્રો આયુર્વેદના ઔષધોનું
મોટાપાયે વાવેતર કરે. શતાવરી, મૂસળી, મીંઢીઆવળ, બારમાસી, આસંધ, ઇસબગુલ, જેઠીમધ,
લીંડીપીપર, કરિયાતું, ગુગળ જેવાં અનેક ઓસડિયાં તમે વાવી શકો. ઘણામાં તો સરકાર સહાય
પણ આપે છે તો અનેક ઔષધ એવા છે કે તેની માંગ તો ઉપજ કરતાં પણ ક્યાંય વધુ છે.
ઓસડીયાની ખેતીના ફાયદા ઘણાં છે, તમારે માત્ર તૈયારી બતાવવાની છે. જો તમે મારી સાથે
સહમત હો તો આવો, આપણે બધા સાથે મળીને સ્વાસ્થ્યની ખેતી કરીએ અને આરોગ્યને ભરડો
લેતાં માંદગીના અજગરને હાંકી કાઢીએ. ચાલો, ઔષધ વાવીએ.’ (ક્રમશઃ)
શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???
મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.
No comments:
Post a Comment