Sunday, 12 June 2016

કૃષિનવલ – ૭

ચાલો, ઔષધ વાવીએ... 
– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથા : સૌ ગામલોકોની ગામના કોમ્યુનિટી હોલમાં મીટિંગ મળી હતી અને સિયાએ ‘ચાલો, ઔષધ વાવીએ.’ની હાકલ કરી એ વાતને ચાર-પાંચ માસ વીતી ચૂક્યા છે. દરમ્યાન સિયા અને અમનના જીવનમાં નાના નાના અનેક ઘટનાક્રમ બનતા રહ્યા, જેનો દોરી સંચાર કોના હાથમાં છે એનાથી એ બન્ને અજાણ હતાં. મીટિંગ દરમ્યાન એક ઓળો ઊભો થઇ બહાર મોબાઇલ પર કોઇ સાથે વાત કરી રહ્યો હતો શું એ આ ઘટનાક્રમ પાછળ હશે? આવો જોઈએ.
સપ્તમ ચાસ
સિયાએ સૌને ઔષધ વાવવા હાકલ કરી એ પછી બહુ ઓછા ખેડૂતો એવા નીકળ્યા જેમણે આ વિષયમાં રસ દાખવ્યો અને ઔષધીય ખેતીની છુટક શરૂઆત કરી. સિયા અને અમનને મન એ પણ બહુ હતું. બન્નેને પોતના પ્રયત્નો સફળ થવાની શરૂઆત થઈ રહી છે એ દેખાઇ રહ્યું હતું. બન્ને હોંશથી જે પણ માહિતીની જરૂર પડે તે ખેડૂતોને આપતાં હતાં. હંસાબેનના બનાવેલા ચાર્ટ્સના મિનિ મોડલ્સ અહીં હતા. એક બાજુ શેઢેપાળે ઉગાડી શકાતાં છોડ, ઝાડી અને વૃક્ષોના નામ અને પ્રાથમિક માહિતી હતી. એક ચાર્ટમાં મોટાપાયે પાક લઇ વધુ નફો આપનારા ઔષધોની યાદી હતી.
એક ચાર્ટ પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી વિષે વાત કરતો હતો, તો એક ચાર્ટમાં કયા ઔષધની વાર્ષિક માંગ કેટલી છે તે આપેલું હતું. એકમાં વધુ માહિતી માટે જરૂરી નામ-સરનામા અને ફોન નંબર હતાં. જે થોડાં લોકો આવીને એ બધું વાંચતા હતા (વાંચતા હતા – અમલમાં તો બહુ જ ઓછા લોકો લેતાં હતાં) આમ ને આમ પોષ માસ આવી ગયો.  
દરમ્યાન મથુર, કુરજી અને જયરાજસિંહે આવીને સિયાને જાણ કરી કે તેઓએ ચારથી આઠ હારમાં ઔષધિ વાવી હતી. થોભણ, લલિત, મેનાબેન અને મોહને એક એક વિઘો એના માટે ફાળવ્યો હતો. રાકેશ, મનજી અને નાથાએ શેઢે પાળે થોડા ઝાડ ઉછેરવાનું નક્કી કર્યું હતું. તો પવા, ઉકા અને લવજી જેવા અમુક લોકોની દાઢ પોતાના શેઢે ઊગેલા ઝાડપાનમાંથી કંઇપણ વેચી રોકડી કરી નાખવા માટે ડળકી હતી. અમન અને સિયાના ઘરનો વરંડો તો જાણે ઔષધિ-કૃષિ-માહિતી-કેન્દ્રમાં ફેરવાઈ ગયો હતો. કુરજી, મનજી અને નાથો અત્યારે ત્યાં આવ્યા હતા. સિયા તેમને ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે શું કરવું તે જણાવી રહી હતી.
તે ત્રણેયને લીલી ચા આપીને આવકારતા સિયાએ કહ્યું, ‘તમે કોઈ પણ ઔષધ વાવશો, ચાલશે. અહીં અમે ચાર્ટમાં દરેક વનસ્પતિની કેટલી માંગ છે તે દર્શાવ્યું જ છે. પરંતુ તમે જે ઉત્પાદન આપશો તેની ક્વોલિટી ઉત્તમ જ હોવી જોઈએ. આ કામ તમે થોડા વધુ પૈસા કમાવા કરતા હો, સ્વાસ્થ્ય માટે કરતા હો કે અન્ય કોઇ પણ કારણસર આમાં રસ લેતા થયા હો પરંતુ તમારે એ જાણી લેવું જોઇએ, કે પૈસા તો જ મળશે અને સ્વાસ્થ્ય તો જ જળવાશે, જયારે તમારું ઉત્પાદન ગુણવત્તાસભર હશે. અને તો તેની પરદેશ નિકાસ પણ થઈ શકે છે. તેને વાવો તો તમને વધુ પૈસા કમાવાનો મોકળો માર્ગ મળશે. પણ ત્યારે તમારા ઉત્પાદનોએ ગુણવત્તાની વધુ આકરી કસોટી પસાર કરવી પડશે.’ હજી આ વાત ચાલતી હતી ત્યાં અન્ય ચાર લોકો પરિસરમાં દાખલ થયા. 
સિયાએ એમને પણ લીલી ચા વડે આવકાર્યા, ‘આવો રાકેશભાઇ, મથુરભાઇ, જયરાજસિંહ, આવો મેનાબેન.’ ચાના ખાલી થયેલા સાતેય કપ એકઠા કરી મેનાબેન રસોડામાં મુકી આવ્યા એટલે સિયા બોલી, ‘તમે લોકો આવ્યા તે પહેલા અમે ક્વોલિટી પ્રોડક્ટ્સની વાત કરી રહ્યા હતા. હું કહેતી હતી કે જેટલી વધુ ગુણવત્તાવાળો માલ તમે આપશો એટલું જ વધુ વળતર મળશે. આંતરિક ગુણવત્તા જે તે ઔષધમાં રહેલા તત્વો, રસાયણો અને ઝેરી દ્રવ્યો પર આધાર રાખે છે. જ્યારે બાહ્ય ગુણવત્તા રંગ, કદ, સ્વાદ વગેરે પર આધારિત છે. યાદ રાખજો કે મનજીભાઈની સ્પર્ધા ખુદ મનજીભાઈ સાથે જ છે. કુરજીભાઈ, મથુરભાઈ કે મેનાબેન સાથે નહીં. તમે જે ઉત્પાદન આપશો તે તમારી જ શાખ પૂરશે.’
મથુર બોલ્યો, ‘સાચી વાત છે, બેનની વાત માની મેં દિવાળી પછી ડિસેમ્બર મહિનામાં પૂંખીને ઇસબગુલ વાવ્યું. ચાર કિલો પ્રતિ હેક્ટરના માપે હું તો ૫૦૦ ગ્રામ ખાલી જોવા જ લઈ આવ્યો’તો. સૌ પહેલાં બીજને ૧ ગ્રામ મેટાલેક્ઝિલનો પટ આપ્યો, જમીનને આઠ-આઠ કિલો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપ્યાં. અને હા, વાવણી પહેલાં નિંદામણ માટે આઇસોપ્રોટુરોન દવાનો પણ છંટકાવ કર્યો. આમાં દોઢ મહિને તળછારાનો રોગ થાવા મંડે છે જેમાં બી કાળા પડી, ભૂંસીનું પ્રમાણ ઘટી જાય છે. મેં એની કાળજી રાખી અને મોલોમશીનું પણ નિયંત્રણ કર્યું. બન્ને માટે વનસ્પતિજન્ય જંતુનાશકો વાપર્યા. છેવટે ૧૧૦ થી ૧૩૦મા દિવસો દરમ્યાન કાપણી કરી અને સવા બસ્સો કિલા ઉત્પાદન મેળવ્યું.’
સિયાએ કહ્યું, ‘મથુરભાઈ, ઈસબગુલમાં જો નાઇટ્રોજન વધુ અપાઈ જાય તો પણ તળછારો થાય છે એટલે નાઇટ્રોજનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે તમે માર્ચની શરૂઆતમાં મીંઢી આવળ ૩૦ X ૩૦ સેમીના અંતરે વાવીને જુઓ. જો કે જૂનમાં એનો ચોમાસુ પાક પણ લઇ શકાય. એના બીજને એક રાત પાણીમાં પલાળી રાખવા. જેટલા બીજ ડૂબી જાય એટલાં જ વાવણીમાં વાપરવા જોઈએ. હેક્ટરે ૨૦ કિલો બીજની જરૂર પડશે. અને ખાતરમાં ૨૫-૨૫ કિલો નાઇટ્રોજન-ફોસ્ફરસ આપી, પૂર્તિ ખાતર તરીકે ફરી 30 દિવસે નાઇટ્રોજન આપવાનું. ઇસબગુલમાં તમે ૪ થી ૫ પિયત આપ્યા હશે. પણ આ મીંઢી આવળમાં જરૂર મુજબ અને તમારી કોઠાસૂઝ મુજબ આંતરખેડ, પિયત તથા નિંદામણ કરવું.’
જયરાજસિંહે પણ વાત સાંધતા કહ્યું, ‘થોડા વખત પહેલા ડોક્ટર સાહેબ મને મળ્યા હતા ત્યારે આ મીંઢી આવળની જ વાત કરતા હતા. કહેતા હતા કે એની પર્ણિકાઓમાં સેનોસાઈડ નામનું રસાયણ હોય છે. તેનું પ્રમાણ જેમ વધારે એમ પાન વધુ ઘેરા અને એમ એની કિંમત પણ વધુ મળે. કળી અવસ્થામાં એટલે કે વાવણી પછી ૫૦, ૭૦ કે ૯૦ દિવસે પાનની કાપણી કરીએ તો તેમાં સેનોસાઈડ તત્વ સૌથી વધુ અને લગભગ ૩.૩૩% જેટલું મળે છે. પરંતુ ત્યારે ઉત્પાદન ઓછું મળે છે. વધુ ઉત્પાદન માટે ૯૦, ૧૧૦ કે ૧૩૦ દિવસે કાપણી કરવી જોઈએ.’ અત્યાર સુધી મુંગા બેસી રહેલા નાથાએ પણ વાતમાં ઝંપલાવતા કહ્યું કે, ‘હા, બાપુ. તે’દિ હું’યે ન્યાંજ ઉભો’તો. સાઈબ કેતા’તા કે ઉનાળુ પાકમાં ૯૦ થી ૧૦૦ દિવસે અને ચોમાસુ પાકમાં ૧૧૦ થી ૧૩૦ દિવસે કાપણી કરવી જોઈએ. એનાથી અનુક્રમે બન્નેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ અને ૧૫૦૦ થી ૨૦૦૦ પર્ણિકાઓ હેક્ટરદીઠ મળે છે.’
મેનાબહેન બોલ્યા, ‘અને હા, કાલે મારે પણ ડોક્ટર સાહેબ સાથે વાત થઈ. તેમણે કહ્યું કે મીંઢી આવળમાં પાન એટલે ખાલી પાન હોવા જોઈએ. શીંગો કે ડાળીઓ સાથે આપશો તો વજન વધશે પણ સારી કિંમત નહીં મળે. તેમાં કળીઓ ન આવી હોય ત્યારે ૨.૫૯% સેનોસાઇડ હોય છે. કળીઓ કુમળી અને લીલી હોય ત્યારે ૨.૬% અને પાકી અને પીળી હોય અને ખૂલવાની તૈયારીમાં હોય ત્યારે સર્વાધિક ૩.૩૩%થી ૪% જેટલું સેનોસાઇડ મળે છે. જો એ સમય ચૂકી જાઓ અને ફૂલ આવી જાય તો ૨.૬૩% જ સેનોસાઇડ મળશે જે તમારી ગુણવત્તા પર અસર કરશે.’ બહાર કોઈક અવાજ આવતા મેનાબહેને અટક્યા. પણ પાછી વાત શરૂ કરી, ‘મેં પણ દિવાળી પેલા હેક્ટરે ૩ કિલોના માપે ૩૦ સેમીના અંતરે અસાળિયો વાવ્યો હતો. તેમાં પાકમાં ફૂલ અવસ્થામાં મોલો તથા હીરાફુદાનો ઉપદ્રવ થયો હતો પણ મેં વનસ્પતિજન્ય જંતુનાશકો વાપરી હીરાફુદાની ઇયળનું સમયસર નિયંત્રણ કર્યું અને ભરાવદાર ઘેરા રંગવાળા બીજ મેળવ્યા. પણ હવે ફરી વાવીશ તે પહેલા કિલોગ્રામ બીજ દીઠ ૧.૫ ગ્રામ કાર્બેંન્ડાઝીમ અને ૨ ગ્રામ કેપ્ટાન દવાનો પટ આપીશ.’
સિયાએ કહ્યું, ‘મેના બહેન, તમે તેમાં હેક્ટર દીઠ નાઇટ્રોજન ૩૦ અને ફોસ્ફરસ ૪૦ કિલોના માપે આપેલા ને?’ મેનાબહેન બોલ્યા, ‘હા, ૩૦ દિવસે ૩૦ કિલો પૂર્તિ નાઇટ્રોજન પણ આપેલું. ૨૦, ૪૦, ૬૦ અને ૮૦મા દિવસે પિયત આપી શરૂઆતમાં એક-બે નિંદામણ અને જરૂર પ્રમાણે આંતરખેડ કરી ૧૦૦ થી ૧૧૦માં દિવસે કાપણી કરી અને હેક્ટરદીઠ ૧૫૦૦ કિલોનું ઉત્પાદન મેળવ્યું. લો આ ડોક્ટર સાહેબ પણ આવી ગયા.’ દરવાજામાંથી આવતા ડો. અમનને જોઈને મેનાબહેને પોતાની વાત પુરી કરી.
સિયાએ કહ્યું, ‘અરે અમન, તું ચાલીને કેમ આવ્યો?’ અમન થાકેલો લાગતો હતો. તે આરામ ખુરશીમાં બેસતા બોલ્યો, ‘અરે, કોઇક તોફાનીએ ગાડીના ચારેય ટાયરમાંથી હવા કાઢી નાખી હોય એવું લાગ્યું. ગેરેજવાળા રહીમને બતાવ્યું તો મને કહે પંચર છે. બે-બે ત્રણ-ત્રણ ખીલીઓ પણ ટાયર્સમાંથી કાઢીને બતાવી. આપણી ગાડીમાં આવું વળી કોણ કરી શકે?’ ત્યાં બેઠેલા ગ્રામજનો ડોક્ટર સાહેબ સાથે થયેલ આ નવતર હેરાનગતિ અંગે અંદરોઅંદર વાતે ચડ્યા. સિયાએ શંકિત નજરે દૂર ક્ષિતિજ તરફ જોયું પણ શિશિરના વિખરાતા ધુમ્મસ સિવાય કંઇ મળ્યું નહીં. (ક્રમશઃ) 


શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.

No comments:

Post a Comment