Sunday, 5 June 2016

કૃષિનવલ – ૩


ચાલો, ઔષધ વાવીએ... 
– ડૉ. નીરજ મહેતા

ધનવન્તરી મંદિર - જામનગર નું વિહંગમ દ્રશ્ય 
પૂર્વકથા : ધન્વન્તરિ મંદિરના આર.સી.સી હોલમાં દ્રવ્યગુણવિજ્ઞાન પર પીએચ.ડી. થયેલા ડૉ. રાવનો ભારેખમ અવાજ ગૂંજી રહ્યો. ‘સૌથી પહેલાં તમને કહી દઉં કે હું અહીં ભાષણ કરવા નથી આવ્યો.’ આખા હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ‘હું અહીં ઉપદેશ દેવા પણ નથી આવ્યો. કારણ કે ભાષણ અને ઉપદેશથી માંસ્યાદિ ક્વાથ કરતાં પણ વધુ સહેલાઈથી અને સારી ઊંઘ આવે છે.’ ફરી હાસ્ય. થોડા ગંભીર ચહેરે ડૉ. રાવે કહ્યું, ‘હું અહીં આયુર્વેદના વારસાને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા તમને અપીલ કરવા ટહેલ નાખવા માટે આવ્યો છું.’ આખા હૉલમાં ચણભણાટ. અને રાવનો મક્કમ સ્વર, ‘ખરેખર હું તમારી ઊંઘ ઉડાડવા આવ્યો છું. તમને જગાડવા આવ્યો છું.’ હૉલમાં પિન-ડ્રોપ સાયલન્સ...
તૃત્તીય ચાસ
ડૉ. રાવ આગળ બોલ્યા, ‘શું તમે જાણો છો કે આપણો દેશ વિશ્વમાં જૈવિક વિવિધતાના સૌથી સભર દેશ પૈકી એક છે? વિશ્વના 12 મોટા બાયોડાયવર્સ દેશો વચ્ચે તે છઠ્ઠું સ્થાન ધરાવે છે. કુદરતે આપણને કેટલો મોટો વારસો આપ્યો છે અને આપણને એ વારસાની કદર નથી. આપણે આપણો વારસો, આપણા જંગલો, આપણું પર્યાવરણ બેપરવાઈથી, સદંતર લાપરવાઈથી નષ્ટ કરી રહ્યા છીએ.’ પંખાના ફરવાના અવાજ સિવાય હોલમાં સ્મશાનવત શાંતિ હતી. ડૉ. રાવે સ્લાઈડ ચેન્જ કરી. ‘આટલા જૈવવૈવિધ્ય વચ્ચે કેટલાંક પરિબળો મારે તમારી સામે રાખવા છે જેના કારણે ભારતના ઔષધીય છોડ અને વનસ્પતિ જોખમમાં છે. આમ તો જોખમ ઘણું મોટું છે પણ આપણે માત્ર ઔષધીય વનસ્પતિની અત્યારે વાત કરશું. આના માટે આપણે જ જવાબદાર છીએ.’
ચેન્જ થતી સ્લાઈડ સાથે માઈન્ડ ચેન્જ કરવા તત્પર ડૉ. રાવનો અવાજ, ‘હર્બલ કાચા-માલ અને ઉત્પાદનોની દેશ-વિદેશમાં વધતી માંગ, દવાઓ માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓનો વનસ્પતિ પર આધાર, ઇમારતી લાકડા અને ખાણકામ સહિતમાં થતો વૃક્ષોનો નાશ, શોપિંગ મોલ્સ અને હાઉસિંગ વિકાસના કારણે વનનો નાશ, અને અમુક જાતોની કુદરતી સંવેદનશીલતા અથવા દુર્લભતા આ બધા પરિબળોથી ઔષધિય વનસ્પતિનો દિવસે દિવસે નાશ થઈ રહ્યો છે. આમ તો વિશ્વમાં આશરે 17,000 જાતની વનસ્પતિ પૈકી આયુર્વેદ, સિદ્ધ અને યુનાની જેવી વૈદક સિસ્ટમ્સ વિવિધ ફોર્મ્યૂલેશનમાં માત્ર 2000 જાતનો ઉપયોગ કરે છે. જો કે આદિવાસીઓ અને પરંપરાગતવૈદ્યો દ્વારા ઉપયોગ થતી વનસ્પતિઓ 8000 કરતા વધારે પ્રજાતિઓ નોંધાઈ છે.’ હવે સ્લાઈડ પર ચાર્ટ હતો, ‘ઔષધમાં વનસ્પતિઓનાં 30% મૂળ, 14% છાલ, 16% પંચાંગ(સમગ્ર છોડ), 5% ફૂલ, 10% ફળ, 6% પાંદડાં, 7% બીજ, 3% લાકડા, 4% ભૂપ્રકાંડ 6% થડ વપરાય છે જેમાંથી માત્ર 20% જ પ્રજાતિઓ ઉગાડાય છે. એટલે કે 80% આધાર જંગલી અને પ્રાકૃતિક ઉગેલી વનસ્પતિઓ છે.’
‘તમને જાણ છે ભારતના કેટલા ઔષધીય છોડ રેડ-લિસ્ટેડ અને એન્ડેન્જર્ડ છે? જંગલો પ્રત્યે માણસની કાળજીનો અભાવ અને આડેધડ વૃક્ષોના નિકંદનના પગલે ઘણી મહત્વપૂર્ણ ઔષધીય છોડની પ્રજાતિ દુર્લભ બની રહી છે. આંદામાન અને નિકોબારમાં 40, આંધ્ર પ્રદેશમાં 13, અરુણાચલ પ્રદેશમાં 33, આસામમાં 24, ગોવામાં 6, ગુજરાતમાં 9, હિમાચલમાં 23, જમ્મુ-કાશ્મીરમાં 23, કર્ણાટકમાં 63, કેરળમાં 87, મધ્ય પ્રદેશમાં 4, મહારાષ્ટ્રમાં 72, મણિપુરમાં 15, મેઘાલયમાં 53, મિઝોરમમાં 6, ઓરિસ્સામાં 4,  રાજસ્થાનમાં 7, સિક્કિમમાં 47, તમિલનાડુમાં 133 આઈ રિપીટ 133, ઉત્તરાંચલમાં 33, પશ્ચિમ બંગાળમાં 14 ઔષધીય પ્રજાતિઓ નષ્ટપ્રાય થવાના આરે છે.’ વાતની અસર થવા માટે જરૂરી ખાલી જગ્યા ડૉ. રાવે છોડી. નિશબ્દતા આખા ઓરડામાં ફરી વળી.  
પછી ડૉ. રાવની સ્લાઈડમાં ટાઈમ્સ ઓફ ઇંડિયાના એપ્રિલ 4, 2010ની તારીખના પેપરનું કટિંગ હતું.
NEW DELHI: Ninety three per cent of wild medicinal plants used for making Ayurvedik medicines in the country are endangered and the government is trying to relocate them from their usual habitat to protect them. The threat to the plants came to the fore in an assessment exercise in different states carried out by the Botanical Survey of India.
ડૉ. રાવ બોલ્યા, ‘જી હા, આપણા દેશમાં આયુર્વેદિક દવાઓ બનાવવા માટે વપરાતા 93% જંગલી ઔષધીય છોડ નિકંદનની નિકટ છે. સરકાર તેમને બચાવવા માટે તેમના હેબિટેટમાં(મૂળ પ્રાપ્તિસ્થાનની જગાએ) તેમને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ શું આ છોડ બચી શકશે ખરા? પ્રશ્ન ખૂબ જટિલ અને મહત્વનો છે. ડોડો પક્ષી આપણી નજર સામે લુપ્ત થયું હતું. ગેંડા, વાઘ અને સિંહની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે અને આટલી કાળજી રાખવા છતાં દર થોડા સમયે તેમના અપમૃત્યુના બનાવો સામે આવે છે. એ તો તોય શિકારીથી ભાગી શકે પણ વૃક્ષોનું શું? એને મૂળસોતાં ઉખેડતાં માણસને એ ના પાડી નથી શકતા. એમની મૂંગી ચીસ સ્વાર્થી માનવીઓ સાંભળી નથી શકતા. એમના માટે આપણે, હા, આપણે સૌએ જવાબદારી ઉઠાવવી જોઈએ. આપણે ધારીએ તો એમાંથી થોડાને તો બચાવી જ શકીએ.’ એ જરા વાર રોકાયા. નવી સ્લાઈડમાં એક મોટું પ્રશ્નાર્થચિહ્ન હતું, ‘સવાલ એ છે... કેવી રીતે?’ તેમણે અપેક્ષાવાળી નજરથી બધા સામે જોયું. ‘વિચાર... વિઝન... દૂરદૃષ્ટિ.’
અને એ દૂરદૃષ્ટિ સિયામાં હતી. તેણે પ્રશ્નોત્તરીના સેશનમાં સજેશન આપ્યા હતા. ડૉ. રાવે રેડ-લિસ્ટેડ પ્લાન્ટ્સ અને દરેકની આસપાસના પર્યાવરણ વિશે ચર્ચા કરી હતી. તેને ધ્યાનમાં રાખીને સિયાએ કહ્યું, ‘સર, આપણે જેમ ગ્રીનહાઉસમાં અમુક ચોક્કસ વાતાવરણ ઊભું કરી અમુક વનસ્પતિઓનો જોઈતો વિકાસ મેળવીએ છીએ એવી જ રીતે અલગ પ્રકારના ગ્રીનહાઉસ, કે જે પણ એને નામ આપીએ, વિકસાવી ન શકીએ જે અમુક ચોક્કસ સ્પિસીઝને ધ્યાનમાં રાખીને બનાવ્યા હોય? આપણી પાસે અત્યારે ટેક્નોલોજીની કમી નથી. ધારો કે આપણે કરિયાતું કે કડુને પુનઃસ્થાપિત કરવા માગતા હોય તો હાઉસની અંદર હિમાલય જેવું વાતાવરણ ઊભું કરીએ. એને જોઈતું તાપમાન અને અન્ય વસ્તુઓ મળે પછી એનો વિકાસ ન થાય.’ ડૉ. રાવે કહ્યું હતું, ‘આઇ સેલ્યુટ યોર સ્પિરિટ, યંગ લેડી. આ બધા આઇડિયાઝ મને કેમ ન આવ્યા એમ મને થાય છે.’ અમન મનમાં બોલ્યો, ‘દૂરંદેશી, વિઝન, સર.’
****
અને એ દૂરંદેશી, એ વિઝન સિયાએ થોડાં વર્ષો પછી એમ. ડી. દરમ્યાન કામે લગાડ્યાં. જ્યારે તેણે પોતાના થિસિસ (શોધનિબંધ) માટે વિષય નક્કી કર્યો ત્યારે ડિપાર્ટમેન્ટના હેડથી માંડીને સહપાઠીઓ સૌએ તેને સ્પષ્ટ ના કહી. પણ તે અડગ રહી. કામ ઘણું કરવાનું હતું. અશક્યને સાવ અડીને બેઠું હોય એવું અઘરું પણ હતું. લોકો એક સરળ ટોપિક પસંદ કરી આરામથી એમ.ડી. પૂરું કરી નીકળી જવામાં માનતા ત્યારે સિયાનો ટોપિક તેમને આત્મહત્યાથી કમ નહોતો લાગ્યો. પણ જ્યારે ઇથિકલ કમિટીએ પણ તેના ટોપિકને લીલી ઝંડી આપી ત્યારે તેના હેડ પણ બોલી ઊઠેલા, ‘આપ ચાહે અબ ઇસ થિસિસ સે આગે જાકર કુછ સિધ્ધ કરેં યા ન કરેં પર આપને યે સિધ્ધ કર દિયા કિ આપ ઝિન્દગીમેં બહુત આગે જાનેવાલે હો. આપ જૈસે હોનહાર સ્ટુડન્ટ્સ કી બદૌલત આયુર્વેદ કા ભવિષ્ય ઉજ્જ્વલ હૈ.’ અને પછી તો સિયાએ પોતાનો જીવ લગાડી દીધો હતો એ કાર્ય પૂર્ણ કરવામાં. 
****
ઝૂલાને યંત્રવત ઠેસ લગાવતો અમન સ્મૃતિઓમાંથી નીકળી વાસ્તવિકતાના ધરાતલ પર આવ્યો. સિયાની બેચેની એનાથી અજાણી નહોતી જ. એ છેલ્લા ઘણા અઠવાડિયાથી એ નોટિસ કરી રહ્યો હતો. સિયા એને ઘણીવાર કહેતી પણ ખરી, ‘અમન, મને એમ લાગે છે કે આ કામ માટે હું આ દુનિયામાં નથી આવી. મારે કંઈક બીજું જ કરવાનું છે. પણ ફ્યુચર ખૂબ જ ધુમ્મસ-ધુમ્મસ છે. કંઈ ખબર નથી પડતી કે નિયતિએ શું નિર્ધારિત કર્યું છે.’ અમન ત્યારે કહેતો, ‘તને જ્યારે પણ એમ થાય કે હવે મારે કંઈક બીજું કરવું છે ત્યારે મને કહેજે. એ જે પણ હોય. આઈ એમ વિથ યૂ.’ અમનને ખબર હતી, એ પહેલેથી જાણતો હતો કે સિયા આ દુનિયા માટે નથી બની. સિયાનો સ્વર કોઈ ઊંડી ગુફામાંથી આવતો હોય એવો તેને લાગ્યો, ‘અમન?’ એ બોલી પડ્યો, ‘હં?’ (ક્રમશઃ) 

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.

No comments:

Post a Comment