ચાલો, ઔષધ વાવીએ
–
ડૉ. નીરજ મહેતા
પૂર્વકથન : વર્ષો પહેલાં
જૂનાગઢના ગરવા ગિરનારની તળેટીમાં મિત્ર લાલાભાઈ થોડા દિવસ રહેવાનું બનેલું. સવારના
પાંચ વાગ્યા સુધી બન્ને તાપણા સામે બેસી નક્ષત્રો જોતા જોતા અલકમલકની વાતો કરતા
રહ્યા. તે પરોઢિયે લાલાભાઈએ હાઈસ્કૂલના વિદ્યાર્થી નીરજને એટલે કે મને કણઝી(કરંજ)થી
દાતણ કરતાં શીખવેલું. લીમડા અને બાવળ સિવાય પણ દાતણ થાય એની જાણ ત્યારે મને થયેલી.
સમૃદ્ધ ખેતી દ્વારા પ્રકાશિત ગુજરાતની આ સૌ પ્રથમ કૃષિ નવલ "ચાલો ઔષધ વાવીએ.." ના લેખક ડૉ.નીરજ મહેતાનું સન્માન કરતા 'ફૂલછાબ ના તંત્રી શ્રી કૌશિક મહેતા |
ગિરનારથી શરૂ થયેલી એ મૈત્રી પર થોડાં
પત્રાચાર બાદ જાણે પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય એમ લાગ્યું. પછી તો આઠ-નવ વર્ષના વહાણાં
વાયાં બાદ એક દિવસ આયુર્વેદમાં માસ્ટર ડીગ્રી મેળવી વૈદ્ય બની ચુકેલા ડૉ. નીરજનો
ફોન અચાનક રણક્યો. સામેથી અવાજ સાંભળતાં જ ‘લાલાભાઈ’ ઉર્ફે નરેન્દ્રભાઈ ઓળખાઈ ગયા.
ખબર અંતર પૂછ્યા બાદ તેમણે વાત કરી આયુર્વેદ અંગે લેખ લખવાની. અને આમ, નરેન્દ્ર
વાઘેલાએ કવિ નીરજને લેખ લખતો કર્યો. તંત્રી નરેન્દ્રભાઈ સાથે ત્રણ વર્ષ કામ કર્યા
પછી હવે જ્યારે તેમના નવા સામયિક ‘સમૃધ્ધ ખેતી’નું અવતરણ થઈ રહ્યું છે ત્યારે અમને
બન્નેને કશુંક નવું કરવાની ઈચ્છા હતી. વિગતવાર વાત થઈ પછી એમણે કહ્યું, ‘કોલમનું
નામ – ચાલો, ઔષધ વાવીએ.’ મને ખબર નહીં શું સૂઝ્યું તો મેં તેમને કહ્યું,
‘કૉલમ નહીં, એગ્રીનોવેલ... કૃષિનવલ. ટૂંકી વાર્તા, કૉલમ, લઘુનવલ, નવલકથા એ બધાથી
કંઈક જૂદું કરીએ. કૃષિ પર આધારિત ધારાવાહી નવલકથા. કેમ રહેશે?’ એમણે સહર્ષ સ્વીકાર
કર્યો. મુલાકાતમાં અંતે એમ નક્કી કર્યું કે આ સામાજીક કૃષિનવલ દ્વારા
ખેડૂતમિત્રોને ઔષધિય ખેતી માટે જાગૃત અને પ્રેરીત કરવા. મુખ્યપાત્ર સંપૂર્ણપણે મારા
મનમાં ઘડાઈ ગયું. ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે અમે બન્ને તેના પર એકમત થયા. અને પછી
શરૂ થયાં સિલસિલાવાર કથાનાં ખેડાણ તથા માવજત.
તો આવો, સાથે મળીને ખેતીવાડીને વધુ સમૃધ્ધ
બનાવવા માટે પ્રણ લઈએ. એકસાથે મળીને આ કથાને મિશન બનાવી દઈએ આપણે સૌ... ચાલો,
ઔષધ વાવીએ...
- ડૉ. નીરજ મહેતા
પ્રથમ ચાસ
સિયા સમજણી થઈ ત્યારથી એને સાંજ ખૂબ ગમતી. નિરભ્ર કેસરી સાંજનું આકાશ
એને કોઈ સંત જેવું લાગતું. ગૅલેરીમાં રોકિંગ ચેરમાં બેઠાં-બેઠાં તે લાંબો સમય
આકાશને, એના ભગવા રંગને, માળા તરફ પરત ફરતાં પક્ષીઓને નિહાળ્યા કરતી. સાંજનો
આહ્લાદક સમીર એની અલકલટો સાથે રમત કર્યા કરતો અને ચહેરા પર વિખરાતી લટોને એ
વિખરાવા દેતી. અજબ શાંતિ મળતી એને આ વાતાવરણથી. અજબ પ્રકારનું તાદાત્મ્ય સધાતું આ
વાતાવરણ સાથે. નોખી જ આત્મીયતા હતી એને સાંજ સાથે. પણ આજે સિયા ઉદાસ હતી. આજે એને
કશું જ સારું નહોતું લાગતું. તેનું મન પણ રોકિંગ ચેરની સાથે ઝૂલતું હતું. અચાનક તે
રોકિંગ ચેરમાંથી ઊભી થઈ અને ગૅલેરીની રેલિંગ પકડીને શૂન્યતામાં કંઈક ખોળી રહી.
તેની પાછળ હજુ રોકિંગ ચેર આંદોલિત થતી હતી, તેના મનની જેમ જ.
![]() |
વિચારમગ્ન સિયા... |
એ કંઈ હંમેશા આવી ઉદાસ રહેતી નહીં. એની સેન્સ ઑફ હ્યુમર પણ લાજવાબ
હતી. મૂળભૂત રીતે આનંદ તેનો સ્વભાવ હતો. તે જ્યાં જાય ત્યાંનું વાતાવરણ બદલાઈ
જતું. વાતાવરણમાં ખુશી છવાઈ જતી. તેનામાં એક માહોલ
સર્જવાની તાકાત હતી. તેને ઓળખનારા, તેને મળનારા તેને ભૂલી ન જ શકે એવું પ્રભાવશાળી
તેનું વ્યક્તિત્વ હતું. તેની સાદગી અને તેની વાણીનું માધુર્ય સૌને સ્પર્શી જતું.
તે રડતાને પણ હસાવી શકતી. જીવન પ્રત્યેનો એનો અભિગમ એટલો પોઝિટિવ હતો કે ગમે તેવી
આફત કે મુશ્કેલીનો તે સરળતાથી સામનો કરી તેમાંથી માર્ગ કાઢી લેતી. તેને બાળકોને
નવું શીખવવું ગમતું. તે નાની હતી ત્યારે ‘હું તો મોટી થઈને ટીચર બનીશ’ એવું ઘણી
વાર બોલી હતી. ડોક્ટર થવું એ તેનું ભાગ્ય હતું પરંતુ એનામાં મૂળ તો એક શિક્ષકના,
એક લીડરના ગુણો હતા. હા, તે મોનિટર રહેતી મોટેભાગે. અને ટીચર્સ ડેમાં હંમેશા
ફર્સ્ટ આવતી.
વધુ પડતી બુધ્ધિમત્તા ઘણીવાર એકલતા માટે જવાબદાર બનતી હોય છે. એની
ઉંમરના દરેક એની વાત સમજી શકે એવું મોટાભાગે બનતું નહીં. આનંદ તેનો સ્વભાવ હતો પણ
તે માત્ર મિત્રો અને સ્નેહીઓ વચ્ચે. અન્ય માટે તે ઓછાંબોલી અને અંતર્મુખી
વ્યક્તિત્વવાળી છાપ ધરાવતી હતી. તે ઝડપથી કોઈ નવી જગ્યા કે નવા લોકો સાથે ભળી શકતી
નહીં. હા, એકવાર મન મળી જાય પછી ઓરિજીનલ સિયાનો સામેવાળાને પરિચય થાય. ખૂબ
હસતી-બોલતી અને ક્યારેક સામેવાળાની બોલતી બંધ કરી દેતી સિયા. વિજ્ઞાન, અધ્યાત્મ,
સમાજ, ઇતિહાસ વગેરેની વાતો કરતી સિયા. બાળકો સાથે બાળક અને મોટેરા સાથે મૅચ્યોર
બની જતી સિયા. સૌને સાચવી લેતી, સંભાળી લેતી સિયા. આંગળા પણ કરડી ખાવાનું મન થાય
એવી સ્વાદિષ્ટ ડિશીઝ બનાવતી સિયા. ફેબ્રિક પેઈન્ટિંગ કરી ડ્રેસ ડિઝાઇન કરતી સિયા.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી સિયા. દરેક વસ્તુમાં પોતાનો ‘ટચ’ લાવતી સિયા. આવી સિયા
આજે ઉદાસ છે.
ગેલેરીમાં ઉભેલ સિયાની નજર સામે નાનો ગાર્ડન હતો. જેને સિયાએ જાતે
નર્ચર કર્યો હતો. ક્લિનિક સિવાયના ટાઈમિંગનું એડજસ્ટમેન્ટ કરીને તુલસી, ફુદીનો,
અજમો, કુંવારપાઠું, કેતકી, અશ્વગંધા, જેઠીમધ, સફેદ અને કાળી મૂસળી, લીંડીપીપર,
સર્પગંધા, મીંઢીઆવળ, અસેળીયો, ગૂગળ, ગુલાબ, મોગરો, જાસૂદ, પારિજાત, રાતરાણી,
બારમાસી, ટગરચાંદની, આંબો, (આંબા પર ઓર્કિડ પણ ખરાં) જાંબુ, દ્રાક્ષમંડપ એવું
ઘણું-ઘણું એણે ત્યાં વાવ્યું હતું. લીમડો, પીપળો અને સવન ત્યાં પહેલેથી હતાં જ.
આંગણમાં વચ્ચોવચ તુલસી ક્યારો હતો. એના મોટા સ્ક્વેર કુંડાને એણે જાતે વારલી
સ્ટાઈલમાં પેઈન્ટ કર્યું હતું. ડાબી અને
જમણી તરફ એક એક આંબા અને એની પાછળ એક બાજુ સવન અને બીજી બાજુ જાંબુ. અને જમણી બાજુ
આંબા નીચે એક ઝૂલો પણ હતો.
સિયા હંમેશા પોતાના આ સુંદર બગીચાની સતત જાળવણી કર્યા કરતી. હજુ બે
મહિના પહેલા એટલે કે જૂન માસમાં તેણે પોતાના બાગમાં લીંડીપીપર, ગુગળ, ચોમાસુ
મીંઢીઆવળ (બીજને આગલી રાતે પાણીમાં પલાળી બીજા દિવસે માત્ર ડૂબેલાં બીજ લઈ) તથા
સફેદ મૂસળી (કાર્બેન્ડીઝીમના 0.1 % દ્રાવણમાં મૂસળીને એક કલાક બોળી રાખ્યા બાદ)
વાવ્યાં હતાં. ગયા વર્ષે શિયાળામાં વાવેલા જેઠીમધના છોડને નાઈટ્રોજનના ખાતરની બીજી
પૂર્તિ (પહેલી ફેબ્રુઆરીમાં) બે દિવસ પહેલા કરી હતી. આ ઉપરાંત તેમાં સર્પગંધા,
કરિયાતું તથા બારમાસીના ધરુ પણ ઉછેર્યા હતાં. સર્પગંધા અને કરિયાતાના રોપની તો તેણે
પંદર દિવસ પહેલા ફેરરોપણી કરી દીધી હતી અને બારમાસીની ફેરરોપણી પંદર દિવસ પછી કરવાની
છે એ પણ તેને યાદ હતું. અશ્વગંધા અને ભોંયરીંગણી પણ આ અથવા આવતા મહિને એટલે કે
ઑગસ્ટ કે સપ્ટેમ્બરમાં સિયા વાવવાની હતી.
તેણે જે સરસ મજાના એક નાનક્ડા ઘરની કલ્પના કરી હતી તે કદાચ આનાથી
સુંદર ન જ હોય એમ તે વિચારી રહી. પ્રથમ માળે બે રૂમ અને એક મોટી ગેલેરી, ગ્રાઉન્ડ
ફ્લોર પર એક રસોડું, એક હૉલ, પાછળ વૉશિંગ સ્પેસ અને કિચન ગાર્ડન જ્યાં દૈનિક
જરૂરિયાતના કોથમરી, મરચી, ટમેટાં, રીંગણ, બટેટાં, દૂધી-ગલકાં-તૂરીયાંની વેલ, અને
એવું બધું સિયાના હાથના સ્પર્શે જ મ્હોર્યું હતું. તેની માવજતથી આ મકાન ઘર બન્યું
હતું. નાનપણમાં તેણે સાંભળેલી-વાંચેલી પરીઓની વાર્તામાં આવતાં સુંદર ઘરની કલ્પના
જરા જૂદી રીતે હવે સાકાર થઈ હતી. જીવનમાં પરીકથા જેવું તો બનતું નથી જ પણ ઘણીવાર
જીવનમાં પરીકથાઓ કરતાં પણ આશ્ચર્યજનક વળાંકો આવતા હોય છે. સત્ય ઘણીવાર કલ્પનાને પણ
અતિક્રમી જતું હોય છે.
સિયાની એક બીજી પણ કલ્પના એ હતી કે આ બધા અને અન્ય ઉપયોગી ઝાડપાન શક્ય
થાય તો મોટાપાયે વાવવાં. એ કલ્પના દુઃસાધ્ય તો લાગતી જ હતી પણ અશક્ય તો નહીં જ.
સિયાએ શોખથી એગ્રિકલ્ચર – હોર્ટીકલ્ચર - મોડર્ન ફાર્મિંગ જેવા અનેકવિધ વિષયો પર
પુષ્કળ વાંચ્યું હતું. તેનું જ્ઞાન તે યોગ્ય રીતે વાપરી આગળ વધવા માગતી હતી.
લોકોની વધુમાં વધુ ક્યા પ્રકારે સેવા કરી શકાય એ તે વિચાર્યા કરતી. તેણે માત્ર
સાયન્ટીફિક પુસ્તકો જ વાંચ્યા નહોતાં. ગાંધી – વિનોબા – ટાગોર – ટોલ્સટોય – નિત્શે
- ઓ’હેનરી જેવાં ફિલસૂફી, અધ્યાત્મ અને જીવનમૂલ્યો
વિષયક પુસ્તકો પણ વાંચ્યા હતાં. તે એકલી હોય ત્યારે ખૂબ વિચારતી. અને તેને થતું કે
આ જીવન માત્ર આ રીતે જીવવા માટે નથી જ. આપણે આ પૃથ્વી પર આ જગ્યા પર શા માટે છીએ એ
પ્રશ્ન તેને કોરી ખાતો. એવું બને ત્યારે તે ઉદાસ થઈ જતી અને આ જ રીતે શૂન્યને
અવલોક્યા કરતી શૂન્યમાંથી જવાબ મેળવવાની અપેક્ષાએ.
એકલતા અને ઉદાસીનો કોઈ ઊંડો સંબંધ હશે. સિયાના કિસ્સામાં તો એમ પણ કહી
શકાય કે તે એકાંત સિવાય ઉદાસ થતી જ નહીં. બીજા સામે દુઃખી થવું કે રડવું તેને કદી
ફાવતું જ નહીં. કદાચ સિયા ઉદાસ હોય તો પણ જ્યારે બધા વચ્ચે હોય તો તમે પકડી જ ન
શકો એની ઉદાસીને. સુખ વહેંચવાની ચીજ છે અને દુઃખ આપણી અંગત સંપત્તિ છે એમ સિયા
માનતી. એ પોતે ગમે તેટલી ઉદાસ હોય તો પણ એ બીજાને હસાવી શકતી, ખુશ કરી શકતી. જાણે
તે આ સંસાર માટે બની જ નહોતી. કોઇ દિવ્ય પળે આ પૃથ્વી પર આવી ચડેલો દિવ્ય આત્મા જ
કદાચ આવો હોય. સિયા કંઈક વિચારોમાં ખોવાયેલી હતી અને બરાબર ત્યારે જ એની પાછળ કંઈક
સંચાર થયો. એ પોતાની ઉદાસીમાં એટલી ડૂબેલી હતી કે એને કંઈ જ સંભળાયું નહીં. ધીમે
ધીમે કોઈ આવીને એની પાછળ ઊભું રહી ગયું. એના હાથ લંબાયા અને સિયાની પાછળ એના ગળા
તરફ આગળ વધ્યા અને... (ક્રમશઃ)
શું આપ આ કૃષિ નવલનો બીજો અંક વાંચવા માંગો છો...???
મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.
No comments:
Post a Comment