Tuesday, 28 June 2016

અંતર ખેડ - શિક્ષામૃત

શિક્ષામૃત

પુ. સહજાનંદ સ્વામી દ્વારા પોતાના આશ્રિતો માટે યોગ્ય જીવનધર્મનો માર્ગ બતાવતા સુત્રો શિક્ષાપત્રી તરીકે જાણીતા છે. કોઈપણ યુગમાં પ્રસ્તુત આ ધર્મબોધમાંથી કેટલાક અમૃત બિંદુઓ આપણે પણ ઝીલીએ. અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
  • અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂમાંકડચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
  • દેવતા કે પિતૃઓના યજ્ઞાર્થે પણ બકરાં, મૃગલાં, સસલા, માછલાં આદિ કોઈ જીવની હિંસા ન કરવી કેમકે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે.
  • સ્રી, ધન, રાજ્યની પ્રાપ્તિ અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.
  • આત્મઘાતનો તો તીર્થમાં પણ વિચાર ન કરવો. ક્રોધના આવેશમાં આવીને ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને પણ આત્મઘાત ન કરવો.
  • ઝેર ખાઈને કે ગળે ટુંપો ખાઈને તથા કૂવે પડીને અથવા પર્વત પરથી પડીને ઈત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.
  • ક્યારેય પણ પોતાનાથી કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર આદિથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું.
  • અમારા આશ્રિત પુરૂષ કે સ્ત્રીઓએ ક્યારેય પણ વ્યભિચાર ન કરવો. જુગાર આદિનો ત્યાગ કરવો.
  • જો માંસ કોઈ યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું.
  • ત્રણ પ્રકારની સુરા કે અગિયાર પ્રકારનું મદ્ય જો કોઈ દેવને ચડાવેલ નૈવેદ્ય હોય તો પણ ન પીવું.
  • જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવોની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય પણ ન ખાવું.
  • જો ઔષધ દારુ કે માંસયુક્ત હોય તે પણ ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તેણે આપેલ ઔષધ પણ ક્યારેય ન ખાવું.
  • ભાંગ, મફર, માજમ, ગાંજો આદિ કેફ કરનાર વસ્તુઓ ખાવા નહી અને પીવા પણ નહી.
  • અમારા આશ્રિતોએ દર્મનું કામ કરવા માટે પણ ક્યારેય ચોરનું કર્મ ન કરવું. કાષ્ટ, પુષ્પ વગેરે કોઈપણ વસ્તુ જો કોઈની ધણીયાતી હોય તો તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.
  • કોઈ જગ્યાએ ચોરમાર્ગેથી પેસવું નહી. કોઈના ધણીયાતા સ્થાનમાં તેના ધણીને પુછ્યા વિના જવું નહી કે ઉતારો કરવો નહી. 


Thursday, 23 June 2016

કૃષિનવલ – ૮

ચાલો, ઔષધ વાવીએ 
– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથા: સિયા તથા અમનના પ્રયત્નોથી મથુર, કુરજી, જયરાજસિંહ, થોભણ, લલિત, મેના, મોહન, રાકેશ, મનજી, નાથો, પવો, ઉકો અને લવજી સૌ એક યા બીજી રીતે ‘ચાલો, ઔષધ વાવીએ.’ ઝુંબેશ સાથે જોડાયા. મીંઢી આવળ, ઇસબગુલ વગેરેના વાવેતર અને માવજત પર વાત ચાલતી હતી ત્યાં અમને આવીને જણાવ્યું કે કોઇ ટીખળીએ ખીલીઓ ઠોકી એની કારમાં પંચર પાડી દીધું હતું. હવે આગળ...
અષ્ટમ ચાસ
પોષ-મહાની ગુલાબી ઠંડીના ગુલાબ ફાગણના આગમન પછી ધીમે ધીમે મુરઝાવા લાગ્યા હતા. હજુ તો આ ગરમીની શરૂઆત છે. તણખા જેવી આ ગરમી ચૈત્ર વૈશાખ આવતાં સુધીમાં હોળીની ઝાળ જેવું દાવાનળ સ્વરૂપ અખત્યાર કરશે અને ધરતીને સૂરજના અંગારાથી ડામ દેશે. આવી ભયંકર ગરમી શરૂ થાય એ પહેલાં સિયા વધુમાં વધુ ગામલોકોને પોતાની વાત, પોતાનો નવો વિચાર પહોંચાડવા માગતી હતી. એટલે જ એણે ગામની સૌ મહિલાઓને એકત્ર કરી ચર્ચાસભા રાખી હતી.
હંસા, મેના, રેખાબા, પુષ્પા, રમીલા, મંજૂ, વનિતા, શોભના, ગંગામા, કાળીડોશી, ઝમકુડોશી, કંચનબેન, ચંપા, કુસુમ, વંદના, ચમેલી, અમીના, ફરઝાના, રુખસાના, કુલસુમ અને ઝેનબડોશી વગેરે સૌ ડૉ. સિયાએ આપણને બધાને શા માટે સૌને એકઠાં કર્યાં હશે એની ચર્ચા કરે છે. લીમડો, પીપળો અને આમલીના અડોઅડ આવેલા ઝાડવાઓના છાંયે બધાએ અડિંગો જમાવ્યો છે. થોડી ખિસકોલીઓ પેપાં ચાખે છે તો થોડી કાતરાની મજા લઈ રહી છે. પક્ષીઓને પાણી પીવા ટાંગેલા કૂંડાં પર બેઠેલા કબૂતરો મસ્તીએ ચડ્યા છે અને પાણી બહાર ઢોળી રહ્યાં છે. લીમડાના સુંદર ઝીણા ફૂલોને બેત્રણ નાની વયની સ્ત્રીઓ અપલક તાકી રહી છે.
સિયાએ આવીને સૌનું ધ્યાનભંગ કર્યું. તેણે કહ્યું, ‘બહેનો, ઉનાળાના દિવસો શરૂ થવાની તૈયારી છે અથવા કહો કે ઉનાળો આવી ગયો છે. તમારામાંથી અમુકની વાડીએ શાકભાજીઓ ફૂલીફાલી રહી છે. કોઇએ મગ પણ વાવ્યા હશે. કોઇએ વળી ઉનાળુ મગફળી વાવી હશે. એકંદરે સૌ ચોમાસા અને શિયાળા કરતાં વધુ નવરા રહેતાં હશો, ખરું ને?’
ગંગામા લાગલું જ બોલ્યાં, ‘અરે બેન ! અથાણાં-વસાણા કરવાનો ટેમ થ્યો છ આ તો. નવરાઇ તે વળી અમારે કેવી? આ ગુંદા, ગરમર, કાચી કેરી, કેરડાં, કરમદાં, લીંબુના અથાણાં કરશું ને હવે. કેમ બાયું?’ ઘણી સ્ત્રીઓએ એમાં સૂર પૂરાવ્યો. ‘અમારે તમારા જેવી નવરાઈ ક્યાં, બાઈ?’ કહી ઝમકુડોશીએ ટાપશી પૂરી.
સિયાએ કહ્યું, ‘આપણે સૌ ઔષધ વાવતાં તો થયાં. તો હવે એની સાથે સાથે ગૃહઉદ્યોગ પણ શરૂ થઈ શકે.’ કંચનબેન મૂંઝાઈને કહે, ‘દાક્તરાણીબેન, માંડીને કંઇક હમજાય એમ વાત કરો. આ ઉંમરે હવે ઉખાણા રમવાનું નઇ ફાવે.’
સિયાએ હસીને કહ્યું, ‘સાચી વાત. સીધી જ વાત કરું તો આપણે જે ઔષધો વાવીએ છીએ અથવા તો જે હાલ આપણે વાવ્યાં છે. અત્યારે એની પર ફૂલ બેસવાની ઋતુ છે. ફાગણ મહિનાની સાથે વસંત આવે. ચારેબાજુ ફૂલો ખીલે. અને એ ફૂલો આપણને અનેક રીતે કામ લાગે.’ ચંપાએ પૂછ્યું, ‘એ વળી કઇ રીતે?’ ત્યાં જ ભીખાઆતા એક માટલું હાથમાં લઇને આવ્યા. માટલાના કાંઠલા પર કાપડ વીંટીને એનું મોં બંધ કરેલું હતું. સિયા પાસે આવી ‘લે બેટા. હું તો હવે ખર્યું પાન. આ મારી મરણમૂડી તું સાચવ.’ એટલું કહીને જતા રહ્યાં.
સિયા હજુ કાંઇ બોલે એ પહેલાં ઝમકુડોશી બોલ્યા, ‘આ ભીખાભાઇ, વૈદ ભીખાલાલ કે’વાતા એક જમાનામાં. નગરશેઠનો એકનો એક દીકરો માંદો પડ્યો’તો. તે દિ ઇનો કેસ ભીખાલાલથી ફેલ થઇ ગ્યો તેદૂના એણે વૈદું પડતું મૂક્યું.’
સિયાએ માટલી સંભાળીને બાજુમાં મૂકી અને વાતનો દોર ફરી સાંધ્યો. ‘જુઓ, તમે બધાં ઉનાળામાં પાક અને અથાણાં-વસાણાં બનાવો છો, બરાબર? અને એ બધું ઘર પૂરતું. થોડું વધારે બનાવીએ તો..’ કાળીડોશી વચ્ચે જ બોલ્યા, ‘અરે બેન, આ હવે ખાનારાય ક્યાં ર્યા વધારે. આ મારો નાનકો શે’રમાં ભણે છ અને મોટોય શે’ર ફેકટરિયુંમાં કામે લાગ્યો છ. તી પછી ઈ ખાશે કુણ?’
સિયાએ સમજાવતાં કહ્યું, ‘થોડું વધારે બનાવીએ એ આપણા માટે નહીં. ધારો કે આપણે દર વરસે કિલો લીંબુનું અથાણું બનાવતાં હોઈએ અને પાંચ કિલો બનાવીએ તો બાકીનું, વધારાનું ચાર કિલો શહેરની માર્કેટમાં વેચાણ માટે મૂકી શકાય. બીજું આ ફૂલોની વાત કરું તો આ ગરમાળો, મહુડો, ગુલાબ અને ઈવન આવળ જેવાં ફૂલોનો ઔષધિય ઉપયોગ પણ થાય છે. અહીં એ બધાં ફૂલો ઢગલાબંધ ખીલીને કરમાઈ જાય છે અને અંતે ખરી જાય છે. એ કરતાં એનો પણ આપણે ઉપયોગ કરીએ.’ હવે ઝેનબડોશી મેદાનમાં આવ્યા, ‘યે બાત તો ઠીક કે હમ અથાણે બનાવેં ઔર બેચેં. ઠીક હૈ થોડે વધુ બનાવેંગે. પણ મેં કુ યે બેચેગા કોણ?’
સિયાએ કહ્યું, ‘એનોય ઉપાય છે. તમે બધાં જ સૌ સાથે મળીને એક સહકારી મંડળી જેવું બનાવી શકો. અને પછી શહેરની સુપર માર્કેટ્સ, મોલ્સ અને લોકલ બજાર સાથે કોન્ટ્રાક્ટ કરી લેવાના એ બાબતે. આપણે એમના ઓર્ડર મુજબનો માલ બનાવી આપવાનો. થોડી કમાણીના નવા સોર્સ ઊભા થાય આપણી પાસે રહેલા રિસોર્સમાંથી જ.’ બધાં ચણભણ કરવા લાગ્યાં. વંદના બોલી, ‘પણ આ ફૂલનું શું કરવાનું ઇ તો કાં’ક ક્યો. શું કે’તા’તા ફૂલનું?’
સિયાએ વાતનો દોર ફરી પોતાના હાથમાં લીધો, ‘ઝેનબબેન, ફરઝાના, રુખસાના, કુલસુમ, તમે લોકો અથાણાં સિવાય બીજું શું બનાવો ઉનાળામાં?’ ફરઝાના કહે, ‘અમ્મી ગુલાબનું શરબત બનાવે, ગુલાબની પાંદડીનો ગુલકંદ બનાવે. અબ્બાજાનને ક્યારેક ચાનક ચડે તો કેટલાંય વાસણ બગાડે અને કાં’ક... હા, ગુલાબનો અર્ક બનાવે.’ બધાં હસી પડ્યાં. કુસુમે કહ્યું, ‘અમે રાજસ્થાન ગ્યા’તા તંઇ ચૈત્રી ગુલાબમાંથી બનતો ગુલકંદ જોયો ત્યાં. ચૈત્ર મઇનામાં ઊગતાં ગુલાબનો ગુલકંદ બનાવે ઈ લોક.’
સિયા આખી વાતને સાંધીને રેણ કરતી હોય એમ બોલી, ‘બસ, એ જ. આપણે ગુલકંદ બનાવીશું. ગુલાબનો તો બધાં બનાવે જ છે, આપણે આવળ, ગુલમ્હોર, મહુડો, શીમળો, ગરમાળાના ફૂલોનો પણ ગુલકંદ બનાવીશું. અને એ દવાના કામમાં આવે’ આખું ટોળું એકસાથે ‘હેં...’ કરી ગયું. સિયાએ હસીને કહ્યું, ‘આપણે એ ગુલકંદ ફાર્મસી કંપનીઓ અને આયુર્વેદિક દવાની દુકાનોમાં આપીને એમાંથી પણ કમાણી કરી શકીએ. કેમ લાગે છે આ વાત તમને?’ બધાંના ચહેરા તાજાં ગુલાબ જેવાં ખીલી ગયાં.
સિયાએ કહ્યું, ‘આયુર્વેદમાં પુષ્પવર્ગ કરીને બધા ફૂલોના ઔષધિય ગુણોનું વર્ણન છે. દવામાં વપરાય એ બધાં ફૂલોનો આપણે ગુલકંદ બનાવી શકીએ. એને વેચીશું પણ ખરા અને ઘરમાં રસોડામાં રાખીને બાળકો અને પરિવારને સ્વસ્થ પણ રાખી શકીશું. શું કહો છો? સૌ છો મારી સાથે?’ સૌએ એકસાથે ‘હા’ ભણી.
સિયાએ આત્મવિશ્વાસથી લીમડાના ઝીણા ફૂલો પર બેઠેલી મધમાખીનું અવલોકન કરતાં કહ્યું, ‘ઉનાળાના દિવસો શરૂ થાય છે ત્યારે શરીરમાં વધુ ને વધુ ઠંડક આપે એવા ઔષધોપચાર જરૂરી છે. ગુલાબના ફૂલની પાંદડી પણ શરીરને ખૂબ જ ઠંડક આપે છે. ગુલાબની પાંદડીમાંથી બનાવાતો ગુલકંદ તો જગપ્રસિદ્ધ છે. એમાં ગુલાબની પાંદડી ઉપરાંત ઘણા બધા દેશી ઔષધો ઉમેરવામાં આવે છે. ગરમ પ્રદેશોમાં પણ આ ગુલકંદ ખૂબ જ ઠંડક આપે છે એટલે ઘણા લોકો પણ એનું સેવન કરે છે. કેટલીક જગ્યાએ ગુલાબની પાંદડી બહુ મળતી ન હોવાથી એક ભાગ ગુલાબની પાંદડી અને ત્રણ ભાગ સાકર નાખી એ બનાવાય છે. ઘણા ધંધાદારી ધોરણે બનાવતા હોવાથી તેમાં કુત્રિમ સુગંધ પણ મેળવે છે. પણ આવું ગુલકંદ અસર કરે નહીં. આજે આપણા દેશમાં પ્રમાણભૂત ગુલકંદ બનાવવાની સંસ્થાઓ પણ છે. આવું ગુલકંદ બન્યા બાદ તેમાં એલચીના બીજ, ચાંદીના વરખ અથવા રૌપ્ય ભસ્મ, બંગ ભસ્મ. ગળોસત્વ વગેરે એક કિલો ગુલકંદ દીઠ અઢી અઢી ગ્રામ ઉમેરવામાં આવે છે. જેને પરવડે તે તેમાં મોતી પિષ્ટી એમાં ઉમેરે છે જેનાથી ઠંડક અનુભવાય છે. આવો ગુલકંદ સવારે અને રાત્રે એક એક ચમચી લેતાં હોજરીની બળતરા, સોજો, ચાંદું બધામાં રાહત આપે છે. એ મોઢા પરના ખીલ મટાડે છે. એ લેવાથી શાંત અને સ્વસ્થ ઉંઘ પણ આવે છે.’
‘હા... હો,  આ ગુલકંદના તો કેટલાય ફાયદા છે.’ ગંગામાને એક જુની વાત યાદ આવતા વચ્ચે જ બોલી પડ્યા. ‘એક જમાનામાં મારી નણંદને ગરમીનું દરદ થઈ ગ્યુ’તુ. તયેં આ હમણા આઈવા’તા ઈ વૈદ્ય ભીખાલાલે કાઈંક આ ગુલકંદની જ દવા દીધી’તી. તે’દિ ઈ કેતા કે, ગુલકંદ લેવાથી ખીલ, ખંજવાળ, કબજિયાત, ગરમી, અળાઇ, અનિદ્રા મટી શરીર અને મનને ટાઢક થાય છે.’ જરાક શરમાઈને ગંગામાએ કહ્યું, ‘અને કેતા’તા કે આ ગુલકંદ બે માણાના વેવારમાંયે સારું કામ આપે છે.’
સિયાએ કહ્યું, ‘હા ખરી વાત છે. કેટલીક બહેનોને સમાગમ વખતે યોનિમાં બહુ ઉષ્ણતા વર્તાય છે. ચળ આવે છે અને સંયોગ વખતે એ ઉષ્ણતાને લીધે શુક્ર જલ્દી સ્ત્રવી જાય છે. પતિ-પત્નીને ગુલકંદનો પ્રયોગ કરાવવાથી બંનેના મન શાંત અને સરળ બને છે અને ગર્ભધારણ થઇ શકે છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં ઉષ્ણતા, વાયુ આ બધામાં ગુલકંદ ઉપયોગી નીવડે છે. બહેનોને રતવા હોય, ગર્ભધારણ થાય અને ગર્ભસ્ત્રાવ થાય ત્યારે ખેરનું ઘી ઠંડક અને શીતળતા અર્પે છે. આ રીતે ઘણી પ્રકારના ફુલમાંથી ગુલકંદ બનાવી શકાય.’
સીયાની વાત પુરી થાય ત્યા સુધી માંડ માંડ રાહ જોઈને બેસી રહેલ રમીલાએ સ્ત્રીસહજ જીજ્ઞાશાથી કહ્યું. ‘બેન, તમે અમને બીજા ફૂલોની વાત કરો ઈ પેલા જોવો તો ખરા કે ઓલા ભીખાબાપા આ માટલામાં ભરીન શું ખજાનો દઈ ગ્યા’સે. આ મારો નાનકો કેતો’તો, કે ઈ ભીખાબાપા કેટલાય વખતથી આજુબાજુના ગામની સીમ અને વગડામાં ગાંડાની જેમ રખડીને કાંક ભેગું કરતા હોય સે.’ બધી સ્ત્રીઓએ રમીલાની વાતને ટેકો પુરાવ્યો. સિયાએ કુતૂહલવશ માટલી પરથી કપડું ખોલ્યું. જોયું તો તેમાં જૂદાં જૂદાં ઔષધોનાં બીજ હતાં. અને સાથે હતી એક ચબરખી. જેમાં લખ્યુ હતુ કે... (ક્રમશઃ)

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.


Sunday, 19 June 2016

Happy Father's Day

आपके ही नाम से जाना जाता हूँ "पापा".
भला इस से बड़ी शोहरत मेरे लिए क्या होगी,,



मेरे 8 साल के पुत्र ने फाधर्स डे पर आज ये
सुंदर चित्र बनाकर मुज़े उपहार दीया ।

Sunday, 12 June 2016

કૃષિનવલ – ૭

ચાલો, ઔષધ વાવીએ... 
– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથા : સૌ ગામલોકોની ગામના કોમ્યુનિટી હોલમાં મીટિંગ મળી હતી અને સિયાએ ‘ચાલો, ઔષધ વાવીએ.’ની હાકલ કરી એ વાતને ચાર-પાંચ માસ વીતી ચૂક્યા છે. દરમ્યાન સિયા અને અમનના જીવનમાં નાના નાના અનેક ઘટનાક્રમ બનતા રહ્યા, જેનો દોરી સંચાર કોના હાથમાં છે એનાથી એ બન્ને અજાણ હતાં. મીટિંગ દરમ્યાન એક ઓળો ઊભો થઇ બહાર મોબાઇલ પર કોઇ સાથે વાત કરી રહ્યો હતો શું એ આ ઘટનાક્રમ પાછળ હશે? આવો જોઈએ.
સપ્તમ ચાસ
સિયાએ સૌને ઔષધ વાવવા હાકલ કરી એ પછી બહુ ઓછા ખેડૂતો એવા નીકળ્યા જેમણે આ વિષયમાં રસ દાખવ્યો અને ઔષધીય ખેતીની છુટક શરૂઆત કરી. સિયા અને અમનને મન એ પણ બહુ હતું. બન્નેને પોતના પ્રયત્નો સફળ થવાની શરૂઆત થઈ રહી છે એ દેખાઇ રહ્યું હતું. બન્ને હોંશથી જે પણ માહિતીની જરૂર પડે તે ખેડૂતોને આપતાં હતાં. હંસાબેનના બનાવેલા ચાર્ટ્સના મિનિ મોડલ્સ અહીં હતા. એક બાજુ શેઢેપાળે ઉગાડી શકાતાં છોડ, ઝાડી અને વૃક્ષોના નામ અને પ્રાથમિક માહિતી હતી. એક ચાર્ટમાં મોટાપાયે પાક લઇ વધુ નફો આપનારા ઔષધોની યાદી હતી.
એક ચાર્ટ પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી વિષે વાત કરતો હતો, તો એક ચાર્ટમાં કયા ઔષધની વાર્ષિક માંગ કેટલી છે તે આપેલું હતું. એકમાં વધુ માહિતી માટે જરૂરી નામ-સરનામા અને ફોન નંબર હતાં. જે થોડાં લોકો આવીને એ બધું વાંચતા હતા (વાંચતા હતા – અમલમાં તો બહુ જ ઓછા લોકો લેતાં હતાં) આમ ને આમ પોષ માસ આવી ગયો.  
દરમ્યાન મથુર, કુરજી અને જયરાજસિંહે આવીને સિયાને જાણ કરી કે તેઓએ ચારથી આઠ હારમાં ઔષધિ વાવી હતી. થોભણ, લલિત, મેનાબેન અને મોહને એક એક વિઘો એના માટે ફાળવ્યો હતો. રાકેશ, મનજી અને નાથાએ શેઢે પાળે થોડા ઝાડ ઉછેરવાનું નક્કી કર્યું હતું. તો પવા, ઉકા અને લવજી જેવા અમુક લોકોની દાઢ પોતાના શેઢે ઊગેલા ઝાડપાનમાંથી કંઇપણ વેચી રોકડી કરી નાખવા માટે ડળકી હતી. અમન અને સિયાના ઘરનો વરંડો તો જાણે ઔષધિ-કૃષિ-માહિતી-કેન્દ્રમાં ફેરવાઈ ગયો હતો. કુરજી, મનજી અને નાથો અત્યારે ત્યાં આવ્યા હતા. સિયા તેમને ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે શું કરવું તે જણાવી રહી હતી.
તે ત્રણેયને લીલી ચા આપીને આવકારતા સિયાએ કહ્યું, ‘તમે કોઈ પણ ઔષધ વાવશો, ચાલશે. અહીં અમે ચાર્ટમાં દરેક વનસ્પતિની કેટલી માંગ છે તે દર્શાવ્યું જ છે. પરંતુ તમે જે ઉત્પાદન આપશો તેની ક્વોલિટી ઉત્તમ જ હોવી જોઈએ. આ કામ તમે થોડા વધુ પૈસા કમાવા કરતા હો, સ્વાસ્થ્ય માટે કરતા હો કે અન્ય કોઇ પણ કારણસર આમાં રસ લેતા થયા હો પરંતુ તમારે એ જાણી લેવું જોઇએ, કે પૈસા તો જ મળશે અને સ્વાસ્થ્ય તો જ જળવાશે, જયારે તમારું ઉત્પાદન ગુણવત્તાસભર હશે. અને તો તેની પરદેશ નિકાસ પણ થઈ શકે છે. તેને વાવો તો તમને વધુ પૈસા કમાવાનો મોકળો માર્ગ મળશે. પણ ત્યારે તમારા ઉત્પાદનોએ ગુણવત્તાની વધુ આકરી કસોટી પસાર કરવી પડશે.’ હજી આ વાત ચાલતી હતી ત્યાં અન્ય ચાર લોકો પરિસરમાં દાખલ થયા. 
સિયાએ એમને પણ લીલી ચા વડે આવકાર્યા, ‘આવો રાકેશભાઇ, મથુરભાઇ, જયરાજસિંહ, આવો મેનાબેન.’ ચાના ખાલી થયેલા સાતેય કપ એકઠા કરી મેનાબેન રસોડામાં મુકી આવ્યા એટલે સિયા બોલી, ‘તમે લોકો આવ્યા તે પહેલા અમે ક્વોલિટી પ્રોડક્ટ્સની વાત કરી રહ્યા હતા. હું કહેતી હતી કે જેટલી વધુ ગુણવત્તાવાળો માલ તમે આપશો એટલું જ વધુ વળતર મળશે. આંતરિક ગુણવત્તા જે તે ઔષધમાં રહેલા તત્વો, રસાયણો અને ઝેરી દ્રવ્યો પર આધાર રાખે છે. જ્યારે બાહ્ય ગુણવત્તા રંગ, કદ, સ્વાદ વગેરે પર આધારિત છે. યાદ રાખજો કે મનજીભાઈની સ્પર્ધા ખુદ મનજીભાઈ સાથે જ છે. કુરજીભાઈ, મથુરભાઈ કે મેનાબેન સાથે નહીં. તમે જે ઉત્પાદન આપશો તે તમારી જ શાખ પૂરશે.’
મથુર બોલ્યો, ‘સાચી વાત છે, બેનની વાત માની મેં દિવાળી પછી ડિસેમ્બર મહિનામાં પૂંખીને ઇસબગુલ વાવ્યું. ચાર કિલો પ્રતિ હેક્ટરના માપે હું તો ૫૦૦ ગ્રામ ખાલી જોવા જ લઈ આવ્યો’તો. સૌ પહેલાં બીજને ૧ ગ્રામ મેટાલેક્ઝિલનો પટ આપ્યો, જમીનને આઠ-આઠ કિલો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપ્યાં. અને હા, વાવણી પહેલાં નિંદામણ માટે આઇસોપ્રોટુરોન દવાનો પણ છંટકાવ કર્યો. આમાં દોઢ મહિને તળછારાનો રોગ થાવા મંડે છે જેમાં બી કાળા પડી, ભૂંસીનું પ્રમાણ ઘટી જાય છે. મેં એની કાળજી રાખી અને મોલોમશીનું પણ નિયંત્રણ કર્યું. બન્ને માટે વનસ્પતિજન્ય જંતુનાશકો વાપર્યા. છેવટે ૧૧૦ થી ૧૩૦મા દિવસો દરમ્યાન કાપણી કરી અને સવા બસ્સો કિલા ઉત્પાદન મેળવ્યું.’
સિયાએ કહ્યું, ‘મથુરભાઈ, ઈસબગુલમાં જો નાઇટ્રોજન વધુ અપાઈ જાય તો પણ તળછારો થાય છે એટલે નાઇટ્રોજનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે તમે માર્ચની શરૂઆતમાં મીંઢી આવળ ૩૦ X ૩૦ સેમીના અંતરે વાવીને જુઓ. જો કે જૂનમાં એનો ચોમાસુ પાક પણ લઇ શકાય. એના બીજને એક રાત પાણીમાં પલાળી રાખવા. જેટલા બીજ ડૂબી જાય એટલાં જ વાવણીમાં વાપરવા જોઈએ. હેક્ટરે ૨૦ કિલો બીજની જરૂર પડશે. અને ખાતરમાં ૨૫-૨૫ કિલો નાઇટ્રોજન-ફોસ્ફરસ આપી, પૂર્તિ ખાતર તરીકે ફરી 30 દિવસે નાઇટ્રોજન આપવાનું. ઇસબગુલમાં તમે ૪ થી ૫ પિયત આપ્યા હશે. પણ આ મીંઢી આવળમાં જરૂર મુજબ અને તમારી કોઠાસૂઝ મુજબ આંતરખેડ, પિયત તથા નિંદામણ કરવું.’
જયરાજસિંહે પણ વાત સાંધતા કહ્યું, ‘થોડા વખત પહેલા ડોક્ટર સાહેબ મને મળ્યા હતા ત્યારે આ મીંઢી આવળની જ વાત કરતા હતા. કહેતા હતા કે એની પર્ણિકાઓમાં સેનોસાઈડ નામનું રસાયણ હોય છે. તેનું પ્રમાણ જેમ વધારે એમ પાન વધુ ઘેરા અને એમ એની કિંમત પણ વધુ મળે. કળી અવસ્થામાં એટલે કે વાવણી પછી ૫૦, ૭૦ કે ૯૦ દિવસે પાનની કાપણી કરીએ તો તેમાં સેનોસાઈડ તત્વ સૌથી વધુ અને લગભગ ૩.૩૩% જેટલું મળે છે. પરંતુ ત્યારે ઉત્પાદન ઓછું મળે છે. વધુ ઉત્પાદન માટે ૯૦, ૧૧૦ કે ૧૩૦ દિવસે કાપણી કરવી જોઈએ.’ અત્યાર સુધી મુંગા બેસી રહેલા નાથાએ પણ વાતમાં ઝંપલાવતા કહ્યું કે, ‘હા, બાપુ. તે’દિ હું’યે ન્યાંજ ઉભો’તો. સાઈબ કેતા’તા કે ઉનાળુ પાકમાં ૯૦ થી ૧૦૦ દિવસે અને ચોમાસુ પાકમાં ૧૧૦ થી ૧૩૦ દિવસે કાપણી કરવી જોઈએ. એનાથી અનુક્રમે બન્નેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ અને ૧૫૦૦ થી ૨૦૦૦ પર્ણિકાઓ હેક્ટરદીઠ મળે છે.’
મેનાબહેન બોલ્યા, ‘અને હા, કાલે મારે પણ ડોક્ટર સાહેબ સાથે વાત થઈ. તેમણે કહ્યું કે મીંઢી આવળમાં પાન એટલે ખાલી પાન હોવા જોઈએ. શીંગો કે ડાળીઓ સાથે આપશો તો વજન વધશે પણ સારી કિંમત નહીં મળે. તેમાં કળીઓ ન આવી હોય ત્યારે ૨.૫૯% સેનોસાઇડ હોય છે. કળીઓ કુમળી અને લીલી હોય ત્યારે ૨.૬% અને પાકી અને પીળી હોય અને ખૂલવાની તૈયારીમાં હોય ત્યારે સર્વાધિક ૩.૩૩%થી ૪% જેટલું સેનોસાઇડ મળે છે. જો એ સમય ચૂકી જાઓ અને ફૂલ આવી જાય તો ૨.૬૩% જ સેનોસાઇડ મળશે જે તમારી ગુણવત્તા પર અસર કરશે.’ બહાર કોઈક અવાજ આવતા મેનાબહેને અટક્યા. પણ પાછી વાત શરૂ કરી, ‘મેં પણ દિવાળી પેલા હેક્ટરે ૩ કિલોના માપે ૩૦ સેમીના અંતરે અસાળિયો વાવ્યો હતો. તેમાં પાકમાં ફૂલ અવસ્થામાં મોલો તથા હીરાફુદાનો ઉપદ્રવ થયો હતો પણ મેં વનસ્પતિજન્ય જંતુનાશકો વાપરી હીરાફુદાની ઇયળનું સમયસર નિયંત્રણ કર્યું અને ભરાવદાર ઘેરા રંગવાળા બીજ મેળવ્યા. પણ હવે ફરી વાવીશ તે પહેલા કિલોગ્રામ બીજ દીઠ ૧.૫ ગ્રામ કાર્બેંન્ડાઝીમ અને ૨ ગ્રામ કેપ્ટાન દવાનો પટ આપીશ.’
સિયાએ કહ્યું, ‘મેના બહેન, તમે તેમાં હેક્ટર દીઠ નાઇટ્રોજન ૩૦ અને ફોસ્ફરસ ૪૦ કિલોના માપે આપેલા ને?’ મેનાબહેન બોલ્યા, ‘હા, ૩૦ દિવસે ૩૦ કિલો પૂર્તિ નાઇટ્રોજન પણ આપેલું. ૨૦, ૪૦, ૬૦ અને ૮૦મા દિવસે પિયત આપી શરૂઆતમાં એક-બે નિંદામણ અને જરૂર પ્રમાણે આંતરખેડ કરી ૧૦૦ થી ૧૧૦માં દિવસે કાપણી કરી અને હેક્ટરદીઠ ૧૫૦૦ કિલોનું ઉત્પાદન મેળવ્યું. લો આ ડોક્ટર સાહેબ પણ આવી ગયા.’ દરવાજામાંથી આવતા ડો. અમનને જોઈને મેનાબહેને પોતાની વાત પુરી કરી.
સિયાએ કહ્યું, ‘અરે અમન, તું ચાલીને કેમ આવ્યો?’ અમન થાકેલો લાગતો હતો. તે આરામ ખુરશીમાં બેસતા બોલ્યો, ‘અરે, કોઇક તોફાનીએ ગાડીના ચારેય ટાયરમાંથી હવા કાઢી નાખી હોય એવું લાગ્યું. ગેરેજવાળા રહીમને બતાવ્યું તો મને કહે પંચર છે. બે-બે ત્રણ-ત્રણ ખીલીઓ પણ ટાયર્સમાંથી કાઢીને બતાવી. આપણી ગાડીમાં આવું વળી કોણ કરી શકે?’ ત્યાં બેઠેલા ગ્રામજનો ડોક્ટર સાહેબ સાથે થયેલ આ નવતર હેરાનગતિ અંગે અંદરોઅંદર વાતે ચડ્યા. સિયાએ શંકિત નજરે દૂર ક્ષિતિજ તરફ જોયું પણ શિશિરના વિખરાતા ધુમ્મસ સિવાય કંઇ મળ્યું નહીં. (ક્રમશઃ) 


શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.

Friday, 10 June 2016

કૃષિનવલ – ૬

ચાલો, ઔષધ વાવીએ... 

– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથા : સૌ ગામલોકોની મીટિંગ ગામના કોમ્યુનિટી હોલમાં મળી હતી. સિયાએ ગામલોકોને સંબોધતાં કહ્યું હતું, ‘તમારા રોગો મટાડવામાં અમને ધાર્યા મુજબ ઝડપી સુધારો ઘણીવાર નથી જોવા મળ્યો. સાચી દવાના અભાવે જરૂરી સ્વાસ્થ્ય સહાય મળી શકતી નથી. આ દવાઓ આપણને સાચી અને સારી સ્થિતિમાં ગામમાં જ મળતી હોત તો ? આનો ઉપાય છે... આપણે જ આ ઔષધ વાવીએ. ઓસડીયાની ખેતીના ફાયદા ઘણાં છે, આપણે સાથે મળીને સ્વાસ્થ્યને ભરડા લેતાં માંદગીના અજગરને હાંકી કાઢીએ. ચાલો, ઔષધ વાવીએ.’
છઠ્ઠો ચાસ
સિયાએ ગામલોકોને સંબોધતાં કહ્યું, ‘તો આવો, આપણે બધા સાથે મળીને ઔષધની ખેતી કરીએ અને સ્વાસ્થ્યને ભરડા લેતાં માંદગીના અજગરને હાંકી કાઢીએ. ચાલો, ઔષધ વાવીએ.’ થવું એમ જોઇતું હતું કે બધા આ નાદને ઝીલી લે અને ઔષધ વાવવા તલપાપડ બને. પરંતુ એવું કંઇ પણ બન્યું નહીં. સામે બેઠેલ જગતનો તાત, દરેકે દરેક ખેડૂત મોં વકાસીને તેને જોઈ રહ્યા. સિયા આ સ્થિતિ માટે પણ તૈયાર હતી. ‘કોની રાહ જુઓ છો તમે? તમારા હિસ્સાના કામ કરવા કોઇ બીજું નહીં આવે. તમારા દુખદર્દ તમારે જ દૂર કરવા પડશે. આજનો દિવસ કોઇપણ કાર્ય માટેનો ઉત્તમ દિવસ છે. આજથી જ આ કામમાં લાગી જાઓ. સરકારી સહાય તો ઔષધની ખેતી માટે મળે જ છે. હું અને સાહેબ પણ આ બાબતે તમારી હેલ્પ કરીશું. તમને જ્યાં પણ મૂંઝારો થાય ત્યાં અમે છીએ જ.’
ટોળામાં બેઠેલા અમુક તોફાની તત્વો સળવળી રહ્યા હતા. ગામના ઉતાર જેવા છનો, મગન અને પવો લાગ શોધી રહ્યાં હતા. છનાને બીડીની તલપ લાગી હતી પણ મોહને દરેક જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અને દંડ રાખ્યો હતો. મન મારીને એણે પવાને ઇશારો કરી તમાકુ માગી. પવાએ તમાકુમાં ચૂનો ઉમેરી હથેળીમાં ઘસી માવો છનાને ધર્યો. છનાએ મોટો ચપટો લઈ નીચેના હોઠ પાછળ માવો ભરી દીધો. માવાના લીધે એનો બેડોળ ચહેરો વધુ કદરૂપો લાગવા માંડ્યો. એણે કહ્યું, ‘મગના, પવા, આપણે આ બાઇ કે’છ ઇ માંયલુ કાંય કરવું નથી ‘ને કોઇને કરવા દેવુંય નથી, હમજ્યા બેય?’ બન્નેએ હકારમાં ડોકાં ધુણાવ્યાં. ત્યાં સુધીમાં એ બન્નેએ પણ હોઠમાં તમાકુ દબાવી લીધી હતી.
સિયા કહી રહી હતી, ‘આપણી ધરામાં અનેક ઓસડિયા ઊગવાની શક્યતાઓ છે. આમળાથી લઈ અશ્વગંધા અને ભાંગરાથી લઈને હાડસાંકળ જેવા ઓસડિયા માટે આ ધરતી એકદમ યોગ્ય છે. બ્રાહ્મી, તુલસી, સાટોડી, લીંડીપીપર જેવાં છોડ અને વેલાં અને નગોડ, બિલી, અરણી, લીમડો, બીજોરું, જેવાં ઝાડ જેમનો અમુક ઝેરી ઓસડની શુદ્ધિ માટે તેમજ ભસ્મ અને રસ બનાવવા માટે વધુ ઉપયોગ થાય છે તે આપણા પંથકમાં એકદમ સહેલાઈથી ઊગી શકે તેમ છે.’
મગન ધીમેથી બોલ્યો, ‘ઉગે ઇ બધુંય વેચાય એવું કોણે કીધું?’ અને ત્રેખડાએ ખિખિયાટા કર્યા.
ટીખળ સામે ધ્યાન આપ્યા વગર સિયાએ પોતાની વાત ચાલુ રાખી, ‘અને બ્રાહ્મી, શતાવરી, કુંવારપાઠું, ગળો, ગોખરૂ, અરડૂસી, રાસ્ના, નસોતર, લીલું કરિયાતું, ઊભી ભોરિંગણી, ગુગળ, ગરમાળો, કણજી વગેરેનો ફાર્મસી ઉદ્યોગમાં પણ વધુ વપરાશ થાય છે. એટલે કે આ સૌની જરૂરિયાત વધુ છે. ગુગળ અને સફેદ મૂસળી જેવા અનેક ઔષધ પાકોની બજાર કિંમતો ઊંચી છે જે આપણે વધુ ધ્યાનમાં લેવા જેવા ખરાં. જે ખેડૂત ભાઈઓ પાસે જમીન સારી એવી કહી શકાય એટલી માતબર છે એ તો અશ્વગંધા, અરડૂસી, કુંવારપાઠું, ગળી, ગરમર, ભાંગરો, મીઠીડોડી, લીલું કરિયાતું, લીંડીપીપર, ગળી, મીંઢીઆવળ, બ્રાહ્મી એ બધાની ખેતી કરી એને વર્ષાયુ પાક તરીકે લઈ શકે. તેમાંથી ઉત્પાદિત મોટો જથ્થો કોઇપણ ફાર્મસીવાળા સાથે ડાયરેક્ટ ડીલ કરી સારી કિંમત મેળવી શકાય. આ બધા સિવાય લીમડો, આમળા, પારસપીપળો, ગરમાળો, કણજી, બીજોરૂ, અરીઠા, બિલી, અરણી, નગોડ, અરડૂસી, નાડીહિંગુ જેવા ઓસડિયાં તો પડતર જમીન કે શેઢેપાળે વાવી નાની જમીનવાળા ખેડૂત ભાઈઓ આવકનો સ્રોત ઊભો કરી શકે. કારણ કે આ દરેક વૃક્ષોનો કોઇ એક ભાગ જ ઓસડ તરીકે લેવાય છે એટલે એ લાંબા સમય સુધી લાભ આપતાં રહેશે. ખરું કે નહીં?’
હવે પવો બોલ્યો, ‘હા, અમે તો નવરા જ છંય આ બધું કરવા...’
ગામની બહેનો બેઠી હતી તે બાજુ જોઈને સિયાએ કહ્યું કે, ‘આપણા વનવિભાગ તથા કૃષિ વિભાગ દ્વારા બ્રાહ્મી, તુલસી, શતાવરી, કુંવારપાઠું, ગળો, લીંડીપીપર, અશ્વગંધા, આમળાં, વઢવાડિયો, સીવણ, બિલી, બીજોરું, લીલું કરિયાતું, ઊભી ભોરિંગણી, ગુગળ, ગરમાળો, કણજી, સફેદ મૂસળી, મીઠી ડોડી, કૌંચા, ગરમર, મીંઢીઆવળ, લીમડો વગેરેની ખેતી વિષયક માહિતી તૈયાર મળે છે. આંગણવાડીવાળા હંસાબેનને હું વિનંતી કરીશ કે આ બધાના ચાર્ટ બનાવવામાં અમને સૌને મદદ કરે જેથી સૌને એ યાદ રાખવું એકદમ સરળ થઈ પડશે. ચોરા પર આપણે મોહનભાઈની મદદથી એ મૂકાવીશું. બરાબરને મોહનભાઈ?’ મોહને સ્મિત વેરતાં કહ્યું, ‘ગામના વિકાસના કાર્યોમાં મારી ના હોય જ નહીં.’
સિયાએ નજીક ઉભેલા બાળકોને ઇશારો કરી કહ્યું, ‘આ બાળકો તમને આ બધા ઓસડના નમૂના બતાવવા તમારી પાસે આવી રહ્યા છે.’ લોકો ઊંચાનીચા થવા લાગ્યા. સિયાએ કહ્યું, ‘બધાને નમૂના જોવા મળશે. સૌ પોતાની જગ્યાએ જ રહેશો. મોહનભાઈએ અમને એક નર્સરી ડેવલપ કરવાની પણ રજા આપી છે અને ખરાબાની જમીનમાં ઓસડિયા વાવવાની પણ છૂટ આપી છે. આપણા બાળકો એ રોપાઓને ઉછેરવાની જવાબદારી લેશે એવી ધરપત મને ગામની સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબે પણ આપી છે. સ્કૂલમાં પણ અમે આરોગ્ય વન બનાવવા વિચારીએ છીએ. આપણા બાળકો એમાંથી ઘણું નવું શીખશે.’
આ વખતે છનો બધાને સંભળાય એમ બોલ્યો, ‘આપણા બાળકો... એને તો એકે છે નંઇ હજી... ખી..ખી..ખી...’ સિયા ગમ ખાઇ ગઈ. તાળીઓના ગડગડાટ વચ્ચે આખી વાત દબાઇ ગઈ.
હવે મોહન ઊભો થયો, ‘સારા વિચારનું સ્વાગત જ હોય. હું આપણા ગામ વતી આ ડોક્ટર યુગલનો આભાર માનું એટલો ઓછો છે. હા, આ ખરાબાની અને પડતર જમીનમાં ઉછેરેલા ઓસડમાંથી થયેલી કમાણી ગ્રામ પંચાયતના ફંડમાં રહેશે અને ગામના વિકાસના કામમાં આપણે એ વાપરીશું.’
ફરી પવાએ ટીખળ કરી, ‘એલા, સરપંચ થાવા જેવું છે, હોં.’ દરમ્યાન એક ઓળો ઊભો થઇ બહાર તરફ જતો હતો. સરપંચે જ્યારે પોતાના શબ્દોને વિરામ આપ્યો ત્યારે હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. બરાબર એ જ સમયે બહાર એક જણ મોબાઇલ પર કોઇ સાથે વાત કરી રહ્યો હતો, ‘તારા માટે આ ખરાબ શું બહુ ખરાબ સમાચાર છે. આ બેય જો આમ જ મંડ્યા રહેશે તો....’ સામેથી કંઇક વાત થઇ. ફરી એ માણસ બોલ્યો, ‘હા, કાંક તો કરવું જ પડશે. હું કરું છું કાંક. તુ ચિંતા નો કર. કાંક એવું કરવું પડશે કે સાપેય મરી જાય ને લાકડીય નો ભાંગે.’ અને ફોન કટ કરી તે બહાર નીકળતા ટોળામાં ભળી ગયો. (ક્રમશઃ) 
Dr. Niraj Mehta (writer of Agri novel)

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.


Wednesday, 8 June 2016

કૃષિનવલ – ૫

ચાલો, ઔષધ વાવીએ      – ડૉ. નીરજ મહેતા  
પૂર્વકથા : સિયાએ અમન આગળ સાચાં અને અસરકારક ઔષધ બાબતે પોતાની મૂંઝવણ વ્યક્ત કર્યા પછી અમને ગામના યુવા સરપંચ મોહન સાથે વાત કરી અને સૌ ગામલોકોની મીટિંગ ગોઠવવાનો પ્રસ્તાવ રાખ્યો. મોહને સૌને એકત્ર થવા જણાવ્યું. અને કોમ્યુનિટી હોલ આખો ભરચક થઇ ગયો. ડોક્ટર દંપતિને જોઇ સૌ કુતૂહલવશ ગણગણાટ કરવા લાગ્યા.
પંચમ ચાસ
ગામલોકોને કુતૂહલ હતું કે આજે સરપંચે સૌને પાદરમાં બનાવેલા પંચાયતના કોમ્યુનિટી હોલમાં કેમ બોલાવ્યા હશે ? ગામમાં જો કોઇ એવો પ્રસંગ હોય તો તે સૌને ખ્યાલ જ હોય. સૌ કોઇ અજંપાથી ભરેલા મનથી શું થઇ રહ્યું છે તે જોઇ રહ્યાં હતાં અને આપસમાં ચણભણાટ કરી રહ્યાં હતા. કોઇ બોલ્યું, ‘મને લાગે સે કે મફત નિદાનનો કેમ્પ હશે. આ મોહન સરપંચ આપણો લાભ જ વિચારતા હોય સે.’ તો વળી કોઈ કહે, ‘પે’લાના દાક્તરુંની જેમ આય વયા જાહે હવે. ગામડામાંથી કમાઈ લ્યે એટલે થાય હાલતાં શે’ર બાજુ. કોઇને ગામડામાં રઈ સેવા કરવી નો ગમે.’ તો કોક બોલ્યું કે, ‘આ લોકો આપણ સૌને અમથા-અમથા ભેગા નો કરે. લાલો કોઈ’દિ લાભ વગર્ય નો લોટે. ચૂંટણી નજીક આવતી ઓહે. એમાં કાં મોહનનો ‘ને કાં તો આ દાગતરનો કો’ક લાભ હોવો જોઈં.’ જેટલાં મોં એટલી વાત. ખરુ જ કહ્યું છેને કે, ગામના મોંએ ગરણાં તો કોણ બાંધી શક્યું છે?
હોલના સ્ટેજ પર થોડી ખુરશીઓ રાખેલી હતી. અમન, સિયા અને સરપંચ મોહન આવીને ખુરશીમાં બેઠા. પરસ્પર થોડી મસલત કર્યા બાદ સરપંચ મોહને વાત શરૂ કરી. ‘જય કિસાન. મારા વ્હાલા ગ્રામજનો, આજે આપણે અહીં શા માટે એકઠા થયાં છીએ એની કોઇ પણ પ્રકારની ભુમિકા બાંધ્યા વગર હું માઇક સીધું આપણા ડોક્ટર બેનને સોંપું છું. તેઓ જ આખી વાત કરશે. જય હિન્દ.’ સરપંચ પોતાની ખુરશી પર બેસી ગયા. લોકો અંદરોઅંદર ચર્ચાઓ કરવા લાગ્યા. ફરી સરપંચે ઉભા થઈ સૌને શાંત કરી વાતનો દોર સિયાને સોંપ્યો. સરપંચને ઉંડે ઉંડે બીક હતી કે ગામલોકો ડૉ. અમનની વાત કદાચ ન માને, પણ એક વાતની ધરપત હતી કે ગ્રામ લોકો ડોક્ટર દીદીની વાત કોઈ’દિ નહી ટાળે.
****
અમન ગામના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (સી.એચ.સી.)માં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતો. જ્યારે સિયાએ એક રૂમ ભાડે લઈ ત્યાં પોતાનું ક્લિનિક કર્યું હતું. ગામમાં સિયાને જોઇતું મોટા આંગણવાળું ઘર ન મળતાં એમણે થોડા સમયમાં ગામથી થોડે દૂર એક જગ્યાએ ફાર્મહાઉસ જેવું બનાવ્યુ હતું. થોડા સમયમાં નાના આંગણાને ગાર્ડનમાં ફેરવી નાખનાર સિયા ડોક્ટર તરીકે પણ એટલી જ કાબેલ હતી. આયુર્વેદ ઉપરાંત તે હોમિયોપથી, યુનાની, નેચરોપથી અને યોગ પણ જાણતી હતી. ઇમરજન્સી મેડીસીનનો સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો હોઇ તે આ બધી ચિકિત્સા પદ્ધતિથી માહિતગાર હતી. જરૂર પ્રમાણે દરેક દર્દીને જે તે પદ્ધતિ મુજબ દવા આપતી. તેનો મુખ્ય ઝોક તો આયુર્વેદ તરફનો જ રહેતો પણ તે જડ આયુર્વેદ પ્રેક્ટિશનર જેવી પણ નહોતી. ક્યારેક જરૂર લાગે તો ‘માફ કરજો, પણ આ રોગનો આયુર્વેદમાં કોઇ ઇલાજ નથી.’ તેમ કહેવામાં તેણે કદી નાનપ નહોતી અનુભવી.
સિયાએ ગામની મોટાભાગની સ્ત્રીઓને અનેકવાર સ્વાસ્થ્ય સેવાઓ આપી લાભાન્વિત કર્યાં હતાં. તેનાથી ગામની દરેક મહિલા તેને ડોક્ટર દીદી તરીકે સંબોધતી. નાનીમોટી દરેક સ્ત્રીઓ એનો પડ્યો બોલ ઝીલતી. માત્ર સ્ત્રીઓમાં જ નહીં પરંતુ પુરુષોમાં પણ એનું ખૂબ જ માન હતું. થોડા જ સમયમાં પોતાની કાર્યશૈલીથી સિયાએ એટલી ખ્યાતિ મેળવી લીધી હતી કે ન પૂછો વાત. એની નિદાન પરની પકડ અને સાલસ સ્વભાવે સૌ ગામલોકોના દિલ જીતી લીધાં હતાં.
સિયા અને અમન બન્નેએ નક્કી કર્યું હતું કે માત્ર જનરલ પ્રેક્ટિસ કરી પૈસા નથી કમાવા પરંતુ જે આયુર્વેદ એ બન્ને ભણ્યા હતા એને મૂર્ત રૂપે રોગો સામે જીતતું જોવું હતું. ના, એલોપથી કે બીજા કોઈ મેડિકલ સાયન્સ સાથે સ્પર્ધાની આ વાત નહોતી જ. અને એને મગજમાં બરાબર રાખીને જ તેઓ ચાલતાં હતાં. ‘અન્ય વિષય નિષ્ણાંત ડોક્ટરને રિફર કરવા જેવો કેસ આવે ત્યારે માત્ર બે પૈસા કમાવા માટે જે તે દર્દી પર અલગ અલગ દવાના અખતરા કરી, તેને પ્રયોગશાળાનું પ્રાણી ન બનાવવું’ એ એમની માન્યતા નહીં પણ નિયમ હતો. અને એટલે જ સાવ ટૂંકા ગાળામાં બન્ને ગામના ફેવરિટ ડૉક્ટર બની ગયાં હતાં.
સિયાને ક્યારેક આ બધું સપના જેવું લાગતું હતું. હજુ થોડા સમય પહેલાંની જ વાત છે કે બન્ને બી.એ.એમ.એસ.ની ફાઈનલ એક્ઝામ આપીને ઈન્ટર્નશિપ કરતાં હતાં. અને ડિગ્રી મળતાં જ બન્નેએ ત્યાં જામનગરમાં જ ક્લિનિક સ્ટાર્ટ કરી દીધું હતું. સાથે-સાથે બન્ને એમ.ડી. એન્ટ્રન્સની પણ તૈયારી કરતાં હતાં. એક નાના ફ્લેટમાં બન્ને રહેતાં અને સવારે વાંચતા અને સાંજે ક્લિનિક. આમ કરતા એક વર્ષમાં નાનકડી કાર લઈ શક્યા હતા અને એના હપ્તા અને ફ્લેટનું ભાડું બન્ને ભર્યા પછી ભાગ્યે જ કંઈ બચતું જેમાં હરીફરી શકાય. પણ બન્ને ખૂબ ખુશ હતાં. એમ.ડી.નું એડમિશન આ ક્લિનિક્સ પછી એમના જીવનનો બીજો પડાવ હતો.
સામાન્ય રીતે દરરોજ સવારે નાસ્તો કરીને અને બપોરે જમ્યા બાદ બન્ને પોતાની નાનકડી કાર લઈને ક્લિનિક જવા નીકળી ગયા હોય. ક્યારેક અમન કાર ચલાવે તો ક્યારેક સિયા. પણ રસ્તામાં કારની મ્યુઝિક સિસ્ટમ તો ચાલુ હોય જ. કોઈ વખત રફીના અવાજમાં શમ્મી કપૂરના ગીતો મન ડોલાવતાં હોય, તો ક્યારેક આશા, કિશોર, હરિહરન, સોનુ, શ્રેયા કે સુનિધિ મૂડ પ્રમાણે કર્ણેન્દ્રિયોને બહેલાવતાં હોય તો ક્યારેક ગાયકોના નામ ભૂલાઈ જાય પછીયે યાદ રહે એવા સિયાની પસંદના જુના ગીતો દિલમાં ઊતરી જતા હોય. ઘણી વખત સિયા અને અમન સાથે ગણગણે પણ ખરાં અને વાત પણ કરે. રસ્તો એટલો ટૂંકો લાગે કે સિયાનું ક્લિનિક ક્યારે આવી જાય એ ખબર જ ન પડે. સંગાથ સમયને ગતિ આપે છે અને વિરહ સમયને થંભાવી દે છે. એ વાત અમનને સિયાને તેના ક્લિનિક પર છોડ્યા પછી સમજાતું. ઘરથી માત્ર ત્રણ-ચાર કિલોમીટરના અંતરે આવેલા એના ક્લિનિક સુધી પહોંચવામાં અમનને યુગો વીતી જતાં. અને વળતી વખતે એ જ પાંચ મિનિટ સેકંડોમાં ફેરવાઈ જતી.
એમ.ડી. પૂરું થતાં જ અમનને આ જેકપોટ જેવી જોબ મળી જશે. જોબ મળી ગામડામાં, પણ બન્નેએ ખુદને એ રંગમાં પણ રંગી લીધાં. અમન અને સિયા પાણી જેવાં હતાં. જે વાસણમાં ભરો એનો આકાર લઇ લે. પાણીની જેમ જ નિર્મળ મનના. પાણીની જેમ જ સ્વાસ્થ્ય આપનારા. માત્ર વેશભુષા અને બોલીથી અલગ પડતી સિયા ગામના કોઇપણ કાર્યમાં સહજતાથી જોડાઇ જતી. એ સૌને મિત્ર તરીકે સંબોધતી. એ માનતી કે મિત્ર જેટલું કરી શકે એટલું જીવનમાં બીજી કોઇ વ્યક્તિ કોઇ સંબંધ ન કરી શકે. એકવાર સિયાએ ગામના કચરાવાળા રોડ પર કોઈને સલાહ આપ્યા વગર જાતે જ સાવરણો ઊઠાવી સફાઈ આદરી દીધી અને પછી તો ગામમાં આપોઆપ સ્વયંશિસ્ત આવી ગઇ. જે થોડાં લોકો શિસ્તમાં નહોતા એ શરમે ધરમે પણ ગામને ચોખ્ખું રાખવામાં ફાળો આપવા માંડ્યા.
એક વ્યક્તિ પણ ધારે તો કેટલો ફેર સમાજમાં પાડી શકે એનું સિયા જીવંત ઉદાહરણ હતી. દર મહિને બધી સ્ત્રીઓને બોલાવી આંગણે વાવેલાં ઔષધોની માવજત અને ઘરમાં નાની નાની બિમારીઓમાં થતાં એના સરળ ઉપયોગ એણે સૌને મોઢે કરાવી દીધાં હતાં. સિયા, એક વ્યક્તિ નહીં, એક વિચાર હતી. અને વ્યક્તિ કરતાં વિચારોની ઇનિંગ વધુ લાંબી જ હોય છે. સૌને ફરી એક વખત વિચારતા કરી મૂકવા સિયા આજે કટિબધ્ધ હતી.
***
સિયાએ ગામલોકોને સંબોધતાં કહ્યું, ‘આજે મારે તમને જે વાત કહેવી છે એ હું ઈચ્છું છું કે પહેલાં તમે પૂરેપૂરી સાંભળો અને પછી જ કોઇ નિર્ણય પર આવો. હું અને ડોક્ટરસાહેબ છેલ્લા થોડા સમયથી આપણા આ ગામ સાથે જોડાયા છીએ. અમે અમારાથી બનતા બધાં પ્રયત્નો આપણા ગામના સ્વાસ્થ્ય માટે કર્યા છે. પણ મારે કહેવું જોઇએ કે ઘણીવાર અમને સફળતા મોડી મળી છે. તમારા રોગો મટાડવામાં અમને ધાર્યા મુજબ ઝડપી સુધારો ઘણીવાર નથી જોવા મળ્યો.’ ટોળામાં ચણભણ ચાલુ થઈ.
‘મેં પહેલાં જ કહ્યું કે પૂરી વાત સાંભળીને જ નિર્ણય કરશો.’ સિયાએ વાત આગળ ચલાવી, ‘અમે જે દવાઓ આપીએ છીએ જેને તમે દેશી દવા કે ઓસડ કહો છો અને અમે આયુર્વેદિક ઔષધ કહીએ છીએ. મોટેભાગે વનસ્પતિ કે ઝાડપાનમાંથી મેળવવામાં આવતી આવી અસલી ઔષધિઓ હવે દુર્લભ થઈ રહી છે. આજે જ્યારે ફાર્મસી કંપનીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે ઔષધની વધુ કિંમત મેળવવાની લાલચે અનેક મૂર્ખ લોકો ઔષધને મૂળસોતાં ઉખેડી લે છે અને કંપનીઓને વેચી દે છે. આ રીતે આડેધડ કપાતાં જંગલોને કારણે સાચાં ઓસડિયાં મળતા નથી.’
’નકલી કે નબળી કક્ષાના ઓસડીયાંને કારણે મોડાં મળતા પરિણામો અને ઓછી અસરથી આયુર્વેદ પર લોકોનો વિશ્વાસ ક્યાં સુધી ટકી રહેશે તે કહેવું મુશ્કેલ છે. સાચી દવાઓ મળે તો કેટલાં જીવ આસાનીથી બચી શકે તેનાથી કોઈ અજાણ નથી જ. મારી અને સાહેબની સલાહ માનીને તમારામાંથી ઘણા લોકોએ ઘરઆંગણાના તુલસી, દમવેલ, ખરખોડી, અરડૂસી, ચણોઠી, વરધારો, ફુદીનો, આદું, હળદર, સમેરવો જેવાં હાથવગાં હથિયાર જેવાં ઓસડિયાંનો લાભ પણ લીધો છે. અહીં ઉપસ્થિત અનેક બહેનો અને માતાઓને આ ઔષધોના ઘણાબધાં પ્રયોગો સુપેરે આવડે છે અને અત્યારે આપ પૂછો તો સંભળાવી શકે એમ પણ છે. ગામમાંથી આપણે રોગોનું પ્રમાણ ઘટાડ્યું તો છે જ પણ હજુ જોઇએ તે સ્તર સુધી આપણે નથી પહોંચ્યા..’
સામે બેઠેલા તમામ ગ્રામજનો પર નજર ફેરવી ફરી સિયાએ કહ્યું, ‘શું ખૂટે છે...? તમને ખબર છે શું ખૂટે છે? માત્ર અને માત્ર સાચી દવાઓ. સાચી દવાના અભાવે જરૂરી સ્વાસ્થ્ય સહાય મળી શકતી નથી. સાચી દવાના અભાવે ઘણીવાર દરદી કે ખુદ ડોક્ટર પણ કફોડી સ્થિતિમાં મૂકાય છે. તો આ ક્ષતિની પૂર્તિ કઈ રીતે કરી શકાય?’ થોડો વિચારવાનો સમય લોકોને આપી પોડિયમ પર પડેલા ગ્લાસમાંથી સિયાએ બે ઘૂંટ ભર્યા. ‘આ દવાઓ આપણને સાચી અને સારી સ્થિતિમાં ગામમાં જ મળતી હોત તો?’ ટોળામાં ગણગણાટનું એક મોજું ફરી વળ્યું.
સિયાએ મક્કમ સ્વરે કહ્યું, ‘આનો એક જ ઉપાય છે. આપણે જ આ ઔષધ વાવીએ. હા, આ દવાઓ આપણે મોટેપાયે વાવવી જોઈએ, જે આપણને સ્વસ્થ-સાજાં તો રાખે જ ઉપરાંત એમાંથી સારી એવી કમાણી પણ કરાવે.’ ફરી ચણભણાટ. સિયાનો સ્વર, ‘હજી મારી વાત પૂરી નથી થઇ. અમે ઇચ્છીએ છીએ કે આપણા ખેડૂત મિત્રો આયુર્વેદના ઔષધોનું મોટાપાયે વાવેતર કરે. શતાવરી, મૂસળી, મીંઢીઆવળ, બારમાસી, આસંધ, ઇસબગુલ, જેઠીમધ, લીંડીપીપર, કરિયાતું, ગુગળ જેવાં અનેક ઓસડિયાં તમે વાવી શકો. ઘણામાં તો સરકાર સહાય પણ આપે છે તો અનેક ઔષધ એવા છે કે તેની માંગ તો ઉપજ કરતાં પણ ક્યાંય વધુ છે. ઓસડીયાની ખેતીના ફાયદા ઘણાં છે, તમારે માત્ર તૈયારી બતાવવાની છે. જો તમે મારી સાથે સહમત હો તો આવો, આપણે બધા સાથે મળીને સ્વાસ્થ્યની ખેતી કરીએ અને આરોગ્યને ભરડો લેતાં માંદગીના અજગરને હાંકી કાઢીએ. ચાલો, ઔષધ વાવીએ.’ (ક્રમશઃ)

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.

Tuesday, 7 June 2016

કૃષિનવલ – ૪

ચાલો, ઔષધ વાવીએ – ડૉ. નીરજ મહેતા
પૂર્વકથા : અમન છેલ્લા ઘણા અઠવાડિયાથી નોટિસ કરી રહ્યો હતો કે સિયા પોતાનામાં ખોવાયેલી રહે છે. કંઈ ખબર નથી પડતી કે નિયતિએ શું નિર્ધારિત કર્યું છે. એ પહેલેથી જાણતો હતો કે સિયા આ દુનિયા માટે નથી બની.
ચતુર્થ ચાસ
ઝૂલો યાંત્રિક રીતે જ જાણે ચાલી રહ્યો હતો. અમનનું બધું ધ્યાન સિયાની વાતમાં જ હતું. સિયાએ કહ્યું, ‘અમન, પૈસા ખૂબ કમાઈ લીધા. હવે કંઇક મનને ગમે તેવું કરવું છે.’ અમન બોલ્યો, ‘બોલ, સિયા. તારે શું કરવું છે ? હું મદદ માટે તૈયાર છું, કોઈપણ રીતે આપણે તે પુરૂ કરીશું.’ સિયાએ કહ્યું, ‘અમન, આપણે આટલાં વર્ષોથી પ્રેક્ટિસ કરીએ છીએ અને કેટલાયે પ્રકારના રોગ અને રોગીઓ જોયા છે. મોટેભાગે આપણે નિદાન કરવામાં થાપ નથી જ ખાધી. અનેકને સાજાં કર્યાં છે. અનેકના આશીર્વાદ, દુઆઓ આપણને મળી છે.’ અમને માત્ર માથું હલાવ્યું. ‘છતાંય ઘણીવાર એમ નથી લાગતું કે આપણને પરિણામ મોડું મળ્યું હોય અને દર્દી ધાર્યા કરતાં વધુ હેરાન થયા હોય ?’
અમને કહ્યું, ‘એ તો રોગીની તાસિર અને રોગની તાકાત પર...’ સિયાએ એને અધવચ્ચે રોકી દીધો, ‘હું રોગ કે રોગી વિશે વાત નથી કરતી. હું વાત કરૂ છું દવાઓ વિશે.’ થોડીવારની ચૂપકીદી પછી અમને કહ્યું, ‘તો તું શું એમ કહેવા માંગે છે કે આપણને દવાના લીધે પરિણામ નથી મળતા? એ કેમ બને યાર. એનાથી જ તો દર્દી સાજાં થાય છે.’ સિયાએ મક્કમ સ્વરે કહ્યું, ‘ના, દર્દી સાજા થાય છે સાચી દવાઓથી... આ બધી દવાઓ જે આપણે આપીએ છીએ એ ખરેખર એટલી ભરોસાપાત્ર છે ખરી? અમુક કંપનીઓના ચ્યવનપ્રાશનું ટર્નઓવર આખા દેશમાં થતા આમળાં કરતા પણ વધુ કિલો હોય છે. ચાલો માની લઈએ કે બધાં આમળાં એ એક કંપનીએ ખરીદી લીધાં તો બાકીની કંપનીઓ શું નાખે છે? એ પણ વિચારવું જ રહ્યું. આપણે ચ્યવનપ્રાશમાં જો સાચાં દેશી આમળાં જ વાપરીએ છીએ એટલે જ તો પરિણામ મળે છે.’ 
અમનના વિચારોના વાદળાં સિયાની સમજના વાયુથી એ તરફ ફંટાવા લાગ્યાં, ‘હા, એ તો છે. એટલે જ આપણે દર્દીઓને કોઈ વૈદ્યે તૈયાર કરેલો અથવા આપણે બનાવેલો ચ્યવનપ્રાશ જ વાપરવાની ભલામણ કરીએ છીએ.’ સિયા બોલી, ‘એકદમ ખરું, પણ બીજી દવાઓનું શું ? આમળાં તો આપણને સહેલાઈથી મળે છે એટલે જ તો આપણે ચ્યવનપ્રાશ કે ત્રિફળા કે રસાયન ચૂર્ણ બનાવી શકીએ છીએ, પણ ઓછાં પ્રમાણમાં મળતાં બીજા ઔષધદ્રવ્યોનું શું? આપણા જેવાં અનેક આયુર્વેદિક ડોક્ટર્સ એના માટે સપ્લાયર પર ભરોસો રાખે છે. એ શું આપે એ તો એ જ જાણે ને. એનેય માંગને પહોંચી વળવા ભેળસેળ નહીં કરવી પડતી હોય તેની શું ખાતરી?’
અમન બોલ્યો, ‘મને યાદ નથી કે કોઈપણ ડ્રગ માટે આપણને આપણા સપ્લાયરે ના પાડી હોય. એનો મતલબ તો એ જ કે...’ સિયાએ એનું વાક્ય પૂરું કરતાં કહ્યું, ‘...એણે ક્યારેક તો આપણને છેતર્યા જ હશે.’ સિયા જરા ગંભીર થઈને બોલી, ‘આ બધાનાં કારણો એ જ છે જે ડૉ. રાવે આપણને કહ્યાં હતાં. આપણી પાસે પૂરતાં ઔષધો છે જ નહીં, અમુક તેના મૂળ વાતાવરણમાં માંડ-માંડ અસ્તિત્વ ટકાવતા પડ્યા હોય ત્યાં આવા સપ્લાયર્સ તેનું નિકંદન કાઢવા તત્પર હોય છે. આપણે એમને રોકી નહીં શકીએ. પણ આપણે જે તે વનસ્પતિની પ્રજાતિ નષ્ટ થતાં તો અટકાવી શકીએ ને?’ અમન બોલ્યો, ‘પણ કેવી રીતે સિયા? આપણો ગાર્ડન ગમે તેટલો મોટો કરીએ આપણે આપણા પેશન્ટ્સ પૂરતી એ ખાધને પૂરી શકીએ. બધા માટે નહીં.’
સિયાએ કહ્યું, ‘એ જ હું કહેવા માંગું છું. ઝાઝા હાથ રળિયામણા. આપણે બીજાનો સાથ લઈએ. આપણે જેમ કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન ડેવલપ કરીએ છીએ તેમ દરેક આયુર્વેદિક ડોક્ટર કરે તો કેમ? અને મોટી ખાધને પહોંચી વળવા ઔષધિય પાકોનું વાવેતર થાય. આપણા ખેડૂત મિત્રો આપણી મદદ કરે અને કમાય.’ અમને કહ્યું, ‘પહેલાં તો દરેક આયુર્વેદિક ડોક્ટર્સને ઔષધિય પાકોની ખેતીની પૂરેપૂરી જાણકારી નથી. તેઓ તો સપ્લાયર્સ કે ફાર્મસી પર જ આધાર રાખે છે. એમને આ બાબતે સમજાવવા કરતાંય અઘરું છે આ ઔષધની ઓળખ આપવી. એ ભગીરથ કાર્ય કોણ કરશે ? અને ખેડૂતો રોકડિયા પાકો વાવવાનું છોડીને આની ખેતી કેમ કરે? હું તને હતોત્સાહ કરવા નથી માગતો પણ આ બધું વિચારવું જરૂરી છે.’ સિયાએ કહ્યું, ‘તું સાચો છે, આ અઘરું છે, પણ અશક્ય નથી. આ બધું હું કરીશ. હું બધાને સમજાવીશ. હવે મને લાગે છે કે આ જ મારું કામ છે.’
અમન અત્યાર સુધી બધી મદદ માટે તૈયાર હતો પણ હવે આ પ્રશ્ન વધુ વિકટ હતો. તેને ખ્યાલ જ હતો કે સરળ કામ કદી સિયાને પસંદ પડ્યા નથી. તે હંમેશા નવા નવા સાહસ પસંદ કરતી આવી છે. પણ આ કામ ખૂબ મોટું હતું, મહાન હતું. શક્યતાઓ પણ અતાગ હતી. જો ખરેખર આવું થાય તો હેલ્થકેરની અને ઔષધિય ખેતી બન્નેની સિકલ જ બદલાઈ જાય. પણ સારા કામમાં સો વિઘ્ન આવે તે હંમેશા યાદ રાખવું જોઈએ એમ અમને વિચાર્યું.
****
એમ.ડી. દરમ્યાન સિયાએ ‘હિમાલયન ઔષધની જાળવણી’ વિષય પસંદ કર્યો હતો. જામનગરમાં બેઠાં-બેઠાં હિમાલયન ઔષધોની જાળવણી એ ઘણાને તુક્કો લાગ્યો હતો. યુનિવર્સિટીએ પણ વિષય બદલવા કહેલું. પણ સિયાએ એથિકલ કમિટિ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે જો આપણે હિમાલય જેવું વાતાવરણ જે તે ઔષધને આપી શકીએ તો આ શક્ય બને જ. આપણે આવા નાના આઈડિયાને અમલમાં નથી મૂકતાં એટલે જ પાશ્ચાત્ય દેશોથી આપણે વિજ્ઞાનમાં પાછળ છીએ. જો એક મોકો મને આપવામાં આવે તો હું એ સાબિત કરી શકું તેમ છું. મોકો મળતા તેણે નાનાપાયે કોલ્ડ હાઉસ બનાવી એમાં હિમાલયન ઔષધિઓ જેવી કે કડુ, બનફ્શા અને વછનાગ વગેરેને તેણે સફળતાપૂર્વક ઉગાડી બતાવી. એટલું જ નહીં પરંતુ આ રીતે ઉગાડેલ ઔષધોને સફળતાપૂર્વક દર્દીઓ પર વાપરી પણ બતાવ્યાં. આ બધુ જોઈ આયુર્વેદના માંધાતાઓ પણ સિયાની બુદ્ધિમત્તા પર વારી ગયેલા. આ પ્રેઝન્ટેશનનો દિવસ એ સિયાની જીતનો દિવસ અને આયુર્વેદિક સંશોધનક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ હતો.
અમનના સંશોધનનો વિષય હતો ‘ઊગાડેલાં ઔષધ અને નૈસર્ગિક રીતે ઊગેલ ઔષધ : ગુણની દૃષ્ટિએ.’ ખરેખર ઉગાડેલી જાત જંગલી અથવા જાતે ઊગેલી જાત કરતાં ગુણમાં ઊણી ઊતરે છે કે કેમ એ એને જોવું હતું. તે માનતો હતો કે ૫૦૦૦ વર્ષ પહેલાં અને હવેના વાતાવરણમાં ખૂબ ફરક છે તેથી આયુર્વેદની વિવિધ સંહિતાઓમાં આપેલ સિદ્ધાંતો ફરીથી તપાસવા જોઇએ. સંશોધનને અંતે તેણે સાબિત કર્યું કે નૈસર્ગિક અવસ્થામાં ઉગેલી વનસ્પતિઓમાં, પ્રયત્નપૂર્વક ઉગાડવામાં આવેલી વનસ્પતિઓ કરતાં ગુણ સહેજ વધુ હોય છે. પરંતુ તેણે એ પણ ધ્યાન દોર્યું કે ભલે ગુણમાં થોડો તફાવત હોય પણ રોગ પરની અસરકારકતામાં બન્ને સારું પરિણામ આપે છે. જેથી આગળ જતાં મોટાપાયે ઔષધિય ખેતીને પ્રોત્સાહન મળવું જોઇએ.
અમન અને સિયા બન્નેના રિસર્ચ એકબીજાના પૂરક હતા અને સૌએ વખાણ્યા હતા. અને પછી એટલી નાની ઉંમરે સિયાએ અમન સાથે મળીને ‘હિમાલયન ઔષધ તમારા બાગમાં’ પુસ્તક લખ્યું જે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં એકસાથે પ્રકાશિત થયું. અનેક લોકોએ વખાણ્યું અને અમુક વાંકદેખાઓએ વખોડ્યું પણ ખરું. પણ અંતે, સિયાએ ધાર્યું નિશાન તો તાક્યું જ.
****
‘અમન, આજે આપણને સામાન્ય લાગતી દરેક શોધ ક્યારેક ક્રાંતિકારી શોધ ગણાતી હતી. આજે આપણને સહજ લાગતાં દરેક કાર્ય ક્યારેક સ્વપ્ન જ ભાસતાં હતાં. આપણે હિમાલયમાં થતાં ઔષધો જામનગરમાં ઉછેર્યાં હતાં. તો શું આપણે થોડા એવા સારા લોકો નહીં શોધી શકીએ જેને આપણી વાતમાં વિશ્વાસ બેસે?’ અમને કહ્યું, ‘ચોક્કસ બેસશે. હું આજે જ સરપંચને વાત કરું છું. બધા ગામલોકોને બોલાવે અને પછી આપણે આપણી વાત એમની સામે મૂકીએ. કંઇક સરસ ગોઠવાઈ જશે એમ મને લાગે છે.’ સિયાએ ઊંડો શ્વાસ ભરતાં કહ્યું, ‘હા, મને પણ એમ લાગી રહ્યું છે કે કંઈક સારું થવા જઈ રહ્યું છે.’ સિયાએ અમનના ખભે માથું ટેકવી, આંખો બંધ કરી દીધી. પોતાના ધ્યેયમાં મક્કમ અને નિશ્ચિંત આ દંપતિ ભાવિના ઉમદા ખયાલોમાં રાચતુ હતું અને અમનના પગની ઠેસથી ઝૂલો ઝૂલતો રહ્યો. 
****
પોણા છ ફૂટનો કસાયેલ જુવાન મોહન ગામનો સરપંચ હતો. તે છેલ્લી બે ટર્મથી સતત ચૂંટણી જીતતો આવ્યો હતો. પહેલાંના ખાઇબદેલા આધેડ સરપંચ ચંદુલાલને બમણા મતથી પછાડી તે સરપંચ બન્યો. લોકલાગણી અને મદદથી ગામનો સર્વાંગી વિકાસ થયો. ગયા વર્ષે ગામને શ્રેષ્ઠ પંચાયતનો ખિતાબ પણ રાજ્ય સરકાર દ્વારા મળેલો. મોહને આવતાંવેત ગામમાં સૌપ્રથમ તો પાકા રસ્તા, જાહેર શૌચસંકુલ બંધાવ્યા. ગામમાં આર.ઓ. પ્લાન્ટ સ્થાપ્યો અને પીવાનું શુધ્ધ પાણી ૨૦ લીટર દીઠ માત્ર ૪ રૂપિયાના દરે સૌને મળે તેવી વ્યવસ્થા કરી. ફોન કરો અથવા પંચાયતમાં લખાવો એટલે પાણી ઘેર પહોંચી જાય. ગરીબીરેખા નીચે જીવતાં પરિવારોને તો ફ્રી સર્વિસ. કંઈક નવું કરવાની બધી દરખાસ્તની મોહનની હા જ હોય.
ગામમાં મોહન અને અમન લગભગ સાથે કારકીર્દી શરૂ કરનાર હતા. મોહન સરપંચ થયો એજ વર્ષે અમનની સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે નિમણુંક થઈ. અમન ગામમાં સૌ પહેલાં મોહનને જ મળેલો. ઘણા સમયથી બંધ સરકારી ક્વાર્ટરને મોહને થોડા માણસોને કામે લગાડી તાત્કાલિક રહેવાલાયક બનાવી આપ્યું હતું. સિયા અને અમન બન્નેએ નક્કી કર્યું હતું કે માત્ર જનરલ પ્રેક્ટિસ કરી પૈસા નથી કમાવા. બે પૈસા કમાવા માટે દર્દીને પોતાના અખતરાનું પ્રાણી ન બનાવાય એ એમની માન્યતા નહીં પણ નિયમ હતો અને એટલે જ સાવ ટૂંકા ગાળામાં આ બન્ને ગામના ફેવરિટ ડૉક્ટર તેમજ સરપંચના માનીતા બની ગયાં હતાં. અમન અને સરપંચના કુટુંબ વચ્ચે ખાસ્સો આવરોજાવરો રહેતો.
પંચાયત ઓફિસમાં સરપંચ મોહન કોમ્પ્યુટર આગળ બેઠો હતો. અમનને જોઈ એ તરત ઊભો થયો. ‘એ... આવો.. ડૉક્ટર. આમ ભૂલા પડવું હોં.. કો’ક દિ આ બાજુયે. લે... હાર્યે મેડમ નથી આવ્યા ?’ હાથ મિલાવી અમન બોલ્યો, ‘મોહનભાઈ, હું અને મેડમ નિરાંતે તમારે ઘરે આવશું. અત્યારે તો તમારી સાથે થોડી ખાસ વાત કરવી છે.’ મોહને કહ્યું, ‘જરૂર, જરૂર. બેસો.’ અમન ગામને મળેલા “શ્રેષ્ઠ ગ્રામ” એવોર્ડનું મઢાવેલું સર્ટિફિકેટ જોતાં બોલ્યો, ‘મોહનભાઈ, આપણા ખેડૂતો સામાન્ય રીતે કપાસ, મગફળી, એરંડા એવું બધું વાવે છે, ખરું?’ મોહનને જિજ્ઞાસા થઈ, ‘હા, એ તો સાચું. એનું તમારે કેમ કામ પડ્યું?’ અમને કહ્યું, ‘અમે આપણા ખેડૂતો સાથે વાત કરવા ઈચ્છીએ છીએ. અગાઉ આપણે ચકલી અને પક્ષી બચાવો ઝૂંબેશ કરેલી ત્યારે ગામલોકો અને ખેડૂતમિત્રોનો અદભુત પ્રતિસાદ સાંપડેલો. દરેક ખેડૂતમિત્રોએ પોતાના વાડી-ખેતરમાં બે લાઈન જાર વાવવા વચન આપેલું અને પાળેલું પણ ખરું.’ મોહને કહ્યું, ‘હા, તમે અને મેડમ અહીં આવીને જે કામગીરી બજાવી છે એ પછી ગામલોકો તમારી વાત નો માને તો જ નવાઈ લાગત. આપણે ફરી મિટીંગ કરીએ. શું પ્રસ્તાવ છે આ વખતે?’ અમને સ્મિત કરી મોહનને આખી વાત કરી. વાત પૂરી થયે બન્નેના ચહેરા પર સંતોષની ઝલક હતી.  
***
ગામલોકોને કુતૂહલ હતું કે આજે સરપંચે સૌને પાદરમાં બનાવેલા પંચાયતના કોમ્યુનિટી હોલમાં કેમ બોલાવ્યા હશે ? ગામમાં જો કોઇ એવો પ્રસંગ હોય તો તે સૌને ખ્યાલ જ હોય. આજે સૌ અજંપાથી શું થઇ રહ્યું છે તે જોઇ રહ્યાં હતાં. થોડીવારે જ્યારે ડોક્ટર દંપતિએ દેખા દીધી ત્યારે ટોળામાં ચણભણાટ શરૂ થયો. કોઇ બોલ્યું, ‘મફત નિદાન કેમ્પ હશે.’ કોઇ વળી કહે, ‘પેલાના દાક્તરુંની જેમ આય વયા જાહે હવે.’ જેટલાં મોં એટલી વાત. અમન અને સરપંચ ખુરશીમાં બેઠા. સરપંચે સૌને શાંત કરી વાતનો દોર સિયાને સોંપ્યો. ગામલોકો અમનની વાત કદાચ ન માને, પણ સિયાની વાત કોઈ ન ટાળે. સિયાએ ગામલોકોને સંબોધતાં કહ્યું, ‘આજે મારે તમને જે વાત કહેવી છે એ હું ઈચ્છું છું કે પહેલાં તમે પૂરેપૂરી સાંભળો અને પછી જ કોઇ નિર્ણય પર આવો. હું અને ડોક્ટરસાહેબ છેલ્લા થોડા સમયથી આપણા આ ગામ સાથે જોડાયા છીએ. અમે અમારાથી બનતા બધાં પ્રયત્નો આપણા ગામના સ્વાસ્થ્ય માટે કર્યા છે. પણ મારે કહેવું જોઇએ કે ઘણીવાર અમને સફળતા મોડી મળી છે. તમારા રોગો મટાડવામાં અમને ધાર્યા મુજબ ઝડપી સુધારો ઘણીવાર નથી જોવા મળ્યો.’ ટોળામાં ચણભણ ચાલુ થઈ.
‘મેં પહેલાં જ કહ્યું કે પૂરી વાત સાંભળીને જ નિર્ણય કરશો.’ સિયાએ વાત આગળ ચલાવી, ‘અમે જે દવાઓ આપીએ છીએ જેને તમે દેશી દવા કે ઓસડ કહો છો અને અમે આયુર્વેદિક ઔષધ કહીએ છીએ. મોટેભાગે વનસ્પતિ કે ઝાડપાનમાંથી મેળવવામાં આવતી આવી અસલી ઔષધિઓ હવે દુર્લભ થઈ રહી છે. આજે જ્યારે ફાર્મસી કંપનીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે ઔષધની વધુ કિંમત મેળવવાની લાલચે અનેક મૂર્ખ લોકો ઔષધને મૂળસોતાં ઉખેડી લે છે. આ રીતે આડેધડ કપાતા જંગલોને કારણે સાચાં ઓસડિયાં મળતા નથી. નકલી કે નબળી કક્ષાના ઓસડીયાંને કારણે મોડાં મળતા પરિણામો અને ઓછી અસરથી આયુર્વેદ પર લોકોનો વિશ્વાસ ક્યાં સુધી ટકી રહેશે તે કહેવું મુશ્કેલ છે. સાચી દવાઓ મળે તો કેટલાં જીવ આસાનીથી બચી શકે તેનાથી કોઈ અજાણ નથી જ. મારી અને સાહેબની સલાહ માનીને તમારામાંથી ઘણા લોકોએ ઘરઆંગણાના તુલસી, દમવેલ, ખરખોડી, અરડૂસી, ચણોઠી, વરધારો, ફુદીનો, આદું, હળદર, સમેરવો જેવાં હાથવગાં હથિયાર જેવાં ઓસડિયાંનો લાભ પણ લીધો છે. ગામમાંથી આપણે રોગોનું પ્રમાણ ઘટાડ્યું તો છે જ પણ હજુ જોઇએ તે લેવલ સુધી આપણે નથી પહોંચ્યા..’
સામે બેઠેલા તમામ ગ્રામજનો પર નજર ફેરવી ફરી સિયાએ કહ્યું, ‘શું ખૂટે છે... ખબર છે ? માત્ર સાચી દવાઓ. હા, આ દવાઓ આપણે મોટેપાયે વાવવી જોઈએ, જે આપણને સ્વસ્થ-સાજાં તો રાખે જ ઉપરાંત એમાંથી કમાણી પણ કરાવે.’ ફરી ચણભણાટ, સિયાનો સ્વર, ‘હજી મારી વાત પૂરી નથી થઇ. અમે ઇચ્છીએ છીએ કે આપણા ખેડૂત મિત્રો આયુર્વેદના ઔષધો મોટાપાયે વાવે. શતાવરી, મૂશળી, મીંઢીઆવળ, બારમાસી, આસંધ, ઇસબગુલ, જેઠીમધ, લીંડીપીપર, કરિયાતું, ગુગળ જેવાં અનેક ઓસડિયાં તમે વાવી શકો. ઘણામાં તો સરકાર સહાય પણ આપે છે તો અનેક ઔષધ એવા છે કે તેની માંગ ઉપજ કરતાં પણ વધુ છે. ઓસડીયાની ખેતીના ફાયદા ઘણાં છે, તમારે માત્ર તૈયારી બતાવવાની છે. તો આવો, આપણે બધા સાથે મળીને ચાલો, ઔષધ વાવીએ.’ (ક્રમશઃ) 

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.