Wednesday, 30 November 2016

અપ્રત્યક્ષ

મિત્રો, આપણે સવારથી સાંજ સુધીમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એમ બે જાતના લોકોને મળીએ છીએ. પ્રત્યક્ષ એટલે આપણા મિત્રો, સગાવ્હાલા, વેપારીઓ સહકર્મીઓ અને અન્ય એવા પરિચિત લોકો કે જેઓને રૂબરૂ મળીએ છીએ. તેમજ અપ્રત્યક્ષ એટલે એવા લોકો કે જેઓ દ્વારા નિર્મિત ચીજવસ્તુઓ કે સેવાઓનો આપણે અવિરત ઉપયોગ કરીએ છીએ. સવારના ટુથબ્રશથી લઈને રાત્રે જેને ઓઢીને સુઈએ છીએ બ્લેન્કેટ જેવી ચીજ વસ્તુઓ જે બનાવે છે તે; કારખાનાનો કામદાર, ખેતી કરતો ખેડૂત-ખેતમજૂર, શેરી વાળતો સફાઈકર્મી, ખાદી વણતો વણકર, વાહન રીપેરીંગ કરતો કારીગર, આપણે ‘ઓનલાઈન’ રહી શકીએ તે માટે જમીનમાં ખાડાઓ ખોદી ઈન્ટરનેટ માટે જરૂરી જાત-જાતના કેબલ બીછાવનાર મજૂર વગેરે એટલે અપ્રત્યક્ષ માણસ. આ અપ્રત્યક્ષો વિના બધા લોકોનો ઠાઠમાઠ ધૂળ સમાન છે.

આજે મોટાભાગના લોકો એવું માને છે કે અપ્રત્યક્ષોને શ્રમના દામ ચૂકવી દીધા એટલે કામ પત્યું ! પરંતુ ના, તેઓ જે કામ કરે છે તેનું મૂલ્ય તેઓને ચૂકવાયેલ કિંમત કરતાં અનેકગણું વધારે છે. કદાચ કોઈ શાકભાજીવાળો આપણી પાસેથી બે રૂપિયાવધારે લે તો તેની પાછળ તેની મનસા પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવાનો કે પછી પોતાના બાળકો માટે કોઈ વસ્તુ લાવીને આનંદ કરાવવાનો હોય. પરંતુ હાય રે... સ્વાર્થીયુગ ! આજે લોકો બુદ્ધિમાં એટલા બધાં આગળ નીકળી ગયાં છે કે તેઓને આ મજૂર માણસને અપાતા બે રૂપિયા  ખૂબ મોંઘા લાગે છે. અને પોતે જ્યાં-ત્યાંથી કટકટાવતા હોય છે તે કમિશનો હજુ ઓછા લાગે છે.

ઘણા લોકો એમ પણ માને છે કે ગરીબ-વંચિત લોકોને મદદ કરીએ તો એ લોકો સહાયના પૈસા દારૂ વગેરે બદીઓમાં વેડફી નાખશે. પરંતુ કેટકેટલાય મોટામાથા ગણાતા માણસો રોજેરોજ કોઈને કોઈ વ્યસન કે બીનજરૂરી ખર્ચા કરે છે તેનું શું ? તેઓ પણ કેટલાય મંદિરો-મસ્જિદોમાં કે બાબાઓના ચરણોમાં પૈસા લુંટાવે જ છેને ! ખર્ચ કરવાની જગ્યા બદલવાથી તેના જરૂરી કે બીનજરૂરીપણાનું મૂળ તત્વ તો નથી જ બદલાઈ જતું. આજના ચોખલિયા સમાજે માત્ર તેના નામો જ બદલાવ્યા છે. બાકી નખશિખ વ્યસનમુક્ત કોણ છે ? કોઈને પ્રત્યક્ષ વ્યસન તો કોઈને પદ-પ્રતિષ્ઠા-પ્રોફેશનાલિઝમ-વાહવાહી વગેરેનું અપ્રત્યક્ષ વ્યસન. એક બાજુ અપ્રત્યક્ષોનું શોષણ કરે અને બીજી બાજુ મદદ કરવાના બહાને સામાજિક પ્રતિષ્ઠા શોધતા પ્રોફેશનલ્સદાનની સરવાણી વહાવે. આ અપ્રત્યક્ષ માણસો સતત નિષ્ઠાથી પોતાનું કામ કર્યે જતા હોય છે. હા, તેમાંના બે-પાંચ ટકા લોકો કામચોર જરૂર હશે, પણ એ વર્ષોથી થયેલા તેમની ઉપેક્ષા અને શોષણનું પ્રતિબિંબ ગણી શકાય.

મિત્રો, સમાજના આ અપ્રત્યક્ષ વર્ગને, શ્રમજીવીઓને, ગરીબોને, મજૂરોને જો પ્રેમથી અપનાવવામાં આવે, શિક્ષણ આપવામાં આવે, તેમની આર્થિક સ્થિતિને ઉપર ઊઠાવવામાં આવે તો ચોક્કસ દેશની દશા બદલાશે. એક નવી સામાજિક અને આર્થિક ક્રાંતિ થઈ શકે તે માટે ગત ૭મી નવેમ્બરે રાત્રે ૮ કલાકે દેશના વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચનમાં મોટી ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરી. આ નિર્ણયને લઈને ઉભી થયેલ આર્થિક સ્થિતિ, લોકોને પડતી અગવડની કે રાજકીય વિરોધપક્ષોએ મચાવેલ ધમાલની વાત બાજુએ મુકીએ. પરંતુ આ નોટબંધીનો ખરો ઉદ્દેશ જેને લાભ પહોંચાડવા માટે છે તેવા અપ્રત્યક્ષ લોકો એટલે કે આપણા દેશના કરોડો ગરીબ-વંચિત-શોષિત દેશબંધુઓની આવનારી ઉન્નતિ માટે આ નિર્ણયને કોઈપણ અગવડ સહીને પણ વધાવતા દેશવાસીઓને વંદન.  

મિત્રો, સમાજના અપ્રત્યક્ષ વર્ગને સંતુષ્ટ-પુષ્ટ કરવાનો બનતો પ્રયાસ કરીએ, આવા પ્રયત્નોમાં સહકાર આપીએ અને રાષ્ટ્રને સુખ-શાંતિ-સમૃદ્ધિ-વિકાસની ખેતી કરીને હરિયાળા રાજમાર્ગ પર આગળ વધારીએ એજ શુભકામનાઓ...

Tuesday, 8 November 2016

ભૂમિસેવક


મિત્રો, આમ તો છેલ્લા ઘણા સમયથી સમૃદ્ધ ખેતીમાં આ અંકના જે મુખ્ય વિષયવસ્તુ છે એ લોકો અંગે લખવાનું વિચારતો હતો કે જેઓ ‘કૃષિક્ષેત્રે સેવારત અસલી ખેડૂત’ છે. એટલે કે એવા કૃષિ કર્મીઓ કે જેમની પોતાની જમીન નથી પરંતુ બીજા ખેડૂતોની જમીનમાં ભાગ રાખીને અથવા તો છૂટક દાડી-મજૂરી કરીને ખરા અર્થમાં ખેતી કરે છે. સામાન્ય રીતે લોકો તેઓ માટે ‘ખેતમજૂર’ નામ પ્રયોગ કરે છે. પરંતુ તે કરતા હું તેઓ માટે ‘ભૂમિસેવક’ નામ વધારે યથાર્થ સમજુ છું.
આજે જયારે ખેડૂત પરિવારના યુવાન દીકરા-દીકરીઓ ભણીગણીને નોકરી-ધંધા માટે શહેર તરફ ગાડરિયા પ્રવાહ પેઠે દોટ મુકે છે ત્યારે ગામડામાં વેચાણની રાહે પડી રહેલ અથવા તો કહોને કે વેચાતા બચી ગયેલ ખેતીને સાચવવાની અને જીવતી રાખવાની જવાબદારી વૃદ્ધ પેઢીના ખભા પરથી ઉતરી શકી નથી. અને આ વડીલો પોતાના સિદ્ધાંતો કે મજબૂરીને લઈને ખેતી કરી રહ્યા છે. જોકે શારીરિક રીતે થાકી ચૂકેલ આ પુરાતન પેઢીના ખેડૂતોને ટેકો આપવા માટે જેઓ પોતાનું વતન છોડીને બે પૈસા કમાવા આવ્યા છે અને તેમના ખેતી કાર્યમાં સહાય કરે છે તે ભૂમિસેવકો ખરેખર વંદનીય છે. કેટલીક જગ્યાએ મેં જોયું છે કે આવા પરપ્રાન્તીય કે આદિવાસી મૂળના ભુમિસેવકો પોતાના જમીન માલિક વડીલોની સગા સંતાનો કરતા પણ વધારે સેવા કરતા હોય છે. જોકે હાલના સમયમાં ખરા રણમાં મીઠી વીરડી સમાન આવા સારા દ્રષ્ટાંતો જોવા મળવા દિન-પ્રતિદિન દુર્લભ બનતા જાય છે અને મારા મતે તેનું એક કારણ કદાચ સર્વત્ર વધી રહેલો ભૌતિકવાદ પણ છે.
Shree Pandurang Shastri ji
મિત્રો, એક સમય હતો જયારે ગુજરાત-મહારાષ્ટ્રના ગામડે-ગામડે પૂ.પાંડુરંગ દાદા પ્રેરિત સ્વાધ્યાય પરિવારના કર્મ-ભક્તિ સિદ્ધાંત મુજબ ઈશ્વરીય કાર્ય ગણી ખેતી કરવામાં આવતી હતી. જીવભાવનાના પાઠ, ભાવફેરીઓ અને યોગેશ્વર કૃષિના પ્રયોગોથી ગ્રામ્ય જીવન ધબકતું હતું. અને તેના ફળરૂપે ખેડૂતો-ભૂમિસેવકોના સંબંધો તેમજ કૃષિ આધારિત વેપાર-ધંધામાં નીતિમત્તા તેમજ શુદ્ધતા ઝળકતી હતી. પરંતુ દુર્ભાગ્યે હવે આવા માનવીય મૂલ્યો અને નૈતિકતાના ઉદાહરણો ઓછા થઇ રહ્યા છે. અહી કોઈ વિશિષ્ટ મત-પંથની વાહવાહી કે આલોચના કરવાનો કે ધાર્મિકતા ફેલાવવાનો આશય નથી પરંતુ કૃષિ જેવા પવિત્ર વ્યવસાયમાં છેલ્લા એક-દોઢ દશકાથી પ્રવેશી ચૂકેલ બદીઓ સામે યુદ્ધે ચડવાની વાત છે. તેમજ તેનાથી બચવા હજુ પણ સમય રહેતા જાગી જવાનો અંગુલી નિર્દેશ છે. 
મિત્રો, વિક્રમ સંવતના નવા આરંભાયેલ ૨૦૭૩ના આ વર્ષની નવલી પ્રભાતે આપણે એક સંકલ્પ લઈએ કે પોતપોતાના વેપાર-ધંધામાં હૃદયપૂર્વક નૈતિકતાની ચરમસીમાએ પહોંચીને આપણા વ્હાલુડાં રાષ્ટ્રને સમૃદ્ધ ખેતીના માર્ગે હરિયાળા વિકાસ તરફ આગળ ને આગળ ધપાવીશું... બસ એજ શુભકામનાઓ સાથે સૌ વાચક મિત્રોને નવા વર્ષના જાજા કરીને રામ...રામ...

Friday, 14 October 2016

અમારી ઊર્જા

અમારી ઊર્જા
મિત્રો, કુદરતનો એક સાવ જ અચરજ પમાડે તેવો એક સિદ્ધાંત છે. કે જે કાર્યમાં આપણને આંતરિક આનંદ મળતો હોય તે જ કાર્ય કરવાથી આપણને અંદરનું બળ અને જીવંત ઊર્જા પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છીએ કે સતત દોડાદોડી કરતું બાળક ક્યારેય થાકતું નથી. એનું કારણ એ છે કે આવી દોડાદોડીમાંથી તેને મળતો આનંદ જ શક્તિમાં રૂપાંતરીત થાય છે. મનને જીવનરસથી તરબતર કરી દે તેવો આનંદ મેળવવા માટે જો લોકો પોતાની રોજિંદી જિંદગીનો થોડો હિસ્સો પણ જે લોકો ગમતી પ્રવૃત્તિ પાછળ ગાળે છે તે લોકો માટે બાકીનો હિસ્સો અણગમતો હોય તો પણ તેના માટે જરૂરી ઊર્જાની ખોટ ક્યારેય સાલતી નથી.
જોકે ઘણીવાર એવું પણ બને કે આનંદ મળે તેવી પ્રવૃત્તિ કરવાને બદલે સંજોગો જ એવા ઊભા થાય કે આપણી પસંદગીના વિષય કરતાં અલગ કે વિપરીત પ્રવૃત્તિ કરવાની ફરજ પડે. આ સમયે મનગમતી પ્રવૃત્તિ કરવાને બદલે જે છે તેને મનગમતું કરવાથી જીવન ઉર્જાથી તરવરતું ચેતનમય જીવન શક્ય બને.
હવે ઉપરોક્ત અનુસંધાને કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો અમુક છુટાછવાયાં વિસ્તારોને બાદ કરતા છેલ્લા બે વર્ષની માફક આ વરસે પણ હજુ સુધી જોઈએ તેવી મેઘા મહેર આપણા રાજ્ય પર થઇ નથી. ગમતી અને અણગમતી પરિસ્થિતિમાં પણ ‘થાકે હારે ઈ બીજા... ખેડૂત નહિ.’ એ મુજબ રાજ્યના વરસાદની કમીથી અસરગ્રસ્ત વિસ્તારોના ખડતલ ખેડૂતોએ પોતાના આયોજનોમાં પરિવર્તન કરીને કપાસ-મગફળી સહિતના મુખ્ય પાકોની જગ્યાએ ઓછા પાણીથી પાકતા કઠોળ પાકો તેમજ પશુધનને નીભાવવા માટે ઘાસચારાના પાકો વાવવાનું ગોઠવી લીધું છે.
આવા હકારાત્મક ઉર્જાસભર ખેડૂતોના વિકાસ માટે પ્રજ્જવલિત કૃષિ જ્ઞાનયજ્ઞમાં યથાશક્તિ આહુતિ આપવા માટે જી-વીન ગૃપ દ્વારા શરૂ થયેલ ‘સમૃદ્ધ ખેતી’ને આ માસથી ચોથું વરસ બેસી રહ્યું છે. શરૂઆતથી લઈને આજ સુધી અમારી ઊર્જા બનીને સમૃદ્ધ ખેતીને કૃષિ પ્રકાશનક્ષેત્રે ઉન્નત સ્થાન અપાવનાર દરેક ખેડૂત વાચકો, લેખકો, એજન્ટ મિત્રો તથા વિવિધ સ્વરૂપે સહાયક તમામ નામી-અનામી વ્યક્તિઓનો હૃદયથી આભાર.
મિત્રો, ત્રણ વર્ષની કૃષિ યાત્રા બાદ ચોથા વર્ષમાં હરિયાળો પ્રવેશ કરી રહેલ સમૃદ્ધ ખેતી અંગે કૃષિ ક્ષેત્રે કાર્યરત ખેડૂત હિમાયતી મહાનુભાવોના વિચારો, મંતવ્યો, સૂચનો એકત્ર કરવાનો અમે પ્રયાસ કર્યો. અને પરિણામ સ્વરૂપે અમને અમૂલ્ય રત્નકણિકાઓનો દુર્લભ પટારો પ્રાપ્ત થયો. 

ચાલો, આ મંતવ્ય અને સૂચનરૂપી રત્નોના ઉજાસમાં રાષ્ટ્રના હરિયાળા વિકાસ માટે સમૃદ્ધ ખેતી તરફ અગ્ર પ્રવાસ કરીએ.

સહુના ભેરૂડાં

મિત્રો, માનવ એ લાગણીઓનું મૂર્ત સ્વરૂપ છે. જયારે તેના જીવનમાં દુઃખની એવી કોઈ ક્ષણો કે મુસીબતોનો માર પડે છે, ત્યારે તેને સધિયારો આપવા માટે માતા-પિતા, સ્વજનો કે પરિવારનો સહારો મળે છે. ઘણી વખત પરિવારના સાથ-સહકારથી પણ કોઈ પ્રશ્ન ન ઉકેલાતો ન હોય અથવા તો વ્યક્તિ પોતાની મુશ્કેલીઓ અંગે કોઈને કશું જણાવે નહિ અને બસ અંદર અંદર ઘૂંટાયા કરતો હોય છે. ત્યારે એક એવું પાત્ર તેને દુખ, તકલીફ, મુસીબતો સામે લડવાની પ્રેરણા અને મદદ કરે છે, જેને જગત મિત્ર તરીકે ઓળખે છે. દુનિયા સામે લડતા લડતા બસ હારી જવાની કે તૂટી જવાની અણી પર માણસ હોય ત્યારે તેને મળેલો એક સાચા મિત્રનો સધિયારો ફરી જીવી જવાનું અને ફરી ઝઝૂમવાનું પ્રેરક બળ આપી જાય છે. મિત્રનો ખભો જગતનું સૌથી સુરક્ષિત સ્થાન હોય છે કે જ્યાં આપણી લાગણીઓ સલામત રીતે સચવાય રહે છે.

માણસને મળતો પારિવારિક સંબંધોનો વારસો તેના હાથની કે પસંદગીની બાબત નથી. પરંતુ મિત્રતા એ સંપૂર્ણ રીતે પોતાની જ પસંદગી હોય છે. મારા-તમારા, આપણા સહુનો એ જાતઅનુભવ છે કે બે મિત્રો જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ કાચ જેવો પારદર્શક હોય છે. માણસમાત્રનું અભેદ હૃદય તેના દોસ્ત સામે સહજ રીતે જ ખુલ્લું થઇ જતું હોય છે. ઘણી વખત આપણ આ તારું કામ નહીં, તું આ ન કરી શકે….’ એમ કહીને આપણને આપણા કરતા વધારે ઓળખાતો આપણો ભેરું આપણી પાસે આપણી પોતે ધારી લીધેલી ક્ષમતાની ઉપરવટના કાર્યો કરાવી લે છે. અને એ વખતે આપણે પણ બમણા વેગથી કામ કરી અણધારી સફળતા કે વિજય પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પ્રસિદ્ધ ગુજરાતી શાયર ‘મરીઝ’તો ત્યાં સુધી કહે છે કે જો ભગવાન શક્તિ આપે તો હું બધાનું ઋણ ચૂકવી દઉં, પરંતુ મિત્રતાનું કરજ કેમે કરી ન ચૂકવાય !

મિત્રો, આપને લાગશે કે આજે સાવ કોઈ વાર-તહેવાર વગર મિત્રતાનો વિષય ક્યાંથી આવ્યો ? પરંતુ જવાબ પણ એ પ્રશ્નમાં જ છુપાયેલ છે કે મૈત્રી માટે કોઈ સમય-પ્રસંગની રાહ જોવાની થોડી હોય ! પરંતુ આજે આ વાત કરવાની ખાસ તો એટલે ઈચ્છા થઇ આવી કે આજનો માણસ એટલું બધું ઝડપી અને ઉપરછલ્લું જીવન જીવે છે કે તે પોતે જ જાણે પોતાનાથી અજાણ્યો હોય... આવી પરિસ્થિતિ સમગ્ર સમાજના હિતમાં કદાપી ન હોઈ શકે. વેપાર-ધંધા કે સગવડિયા સંબંધોના યુગમાં ફરી જરૂર છે નિ:સ્વાર્થ, નિખાલસ મૈત્રીપૂર્ણ સંબધોના વાતાવરણની.

મૈત્રીના ઉદાહરણ તરીકે મોટેભાગે શ્રીકૃષ્ણ-સુદામાનું નામ લેવાતું હોય છે, પરતું કર્ણ અને દુર્યોધનની મિત્રતા તલભાર પણ ઓછી નથી. આવો, આપણે પણ સહુ સાથે આડંબર રહિત મિત્રો જેવું સહજ અને સરળ જીવન જીવવાની શરૂઆત કરીએ. અને સંબંધોની સમૃદ્ધ ખેતી વડે રાષ્ટ્રને હરિયાળા વિકાસપથ પર લઇ જઈએ.

સૌ મિત્રોને અંત:સ્તલ થી શુભકામનાઓ સાથે...

તહેવારોનું તત્વ

તહેવારોનું તત્વ

દિવાળીનું પર્વ આવી રહ્યું છે. દિવાળી એટલે ઉજાસનો, આનંદનો તહેવાર. બાહ્ય રીતે તો દિવાળી ફટાકડા, નવા કપડા, ફૂલો, રંગોળી,  મિઠાઈઓ તથા શુભેચ્છાઓ દ્વારા ઉજવવામાં આવે છે. પરંતુ ખરી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે. જેની ઉજવણી ત્યારે જ થઇ ગણાય જ્યારે હૃદયમાં સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને સત્ય માટેની જાગૃતિ આવે. આપણે ત્યાં પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે પરંતુ આ તમામનો અંતિમ સાર એકસરીખો છે. ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે અદ્રશ્ય ઈશ્વરનો આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા ભવિષ્યની પ્રાર્થના કરે છે.
तमसोमा ज्योतिर्गमय 

ભારતીય સંસ્કૃતિ મુજબ આ તહેવારની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી છે. લક્ષ્મી એટલે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક. આ દિવસોમાં લક્ષ્મી સાથે વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. આ વિવિધ દેવતાઓને ધાર્મિક દ્રષ્ટીએ જોવાનું રહેવા દઈ માત્ર પાંચ તત્વ તરીકે જોઈએ તો પણ તેનું મહત્વ જાણવા જેવું છે. કુબેર એ મહેનતપૂર્વક ઉત્પન્ન કરાયેલ સંપત્તિનું પ્રતીક છે. ઇન્દ્ર એ સાત્વિક સંપત્તિ થકી મળતા કીર્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ગણેશ એ જરૂર પુરતું રાખી લઇ બાકીની સંપત્તિ, સમૃદ્ધિના લોક કલ્યાણ અર્થે કરાતા વહનનું પ્રતીક છે અને વિષ્ણુ એ સેવા, પરોપકારથી મળતા આંતરિક આનંદ અને સંતોષનું પ્રતીક છે. જ્યારે દેવી લક્ષ્મી એટલે એવી દૈવી શક્તિ કે જે ઉપરોક્ત તમામને પોતપોતાના કાર્યો માટે આવશ્યક ઊર્જા પૂરી પાડે છે.

સનાતન હિંદુ હોય કે પછી અન્ય કોઈ પણ ધર્મનો માણસ હોય. તે પોતાના તહેવારોને મન ભારીને માણવા હંમેશા તત્પર હોય છે. આજે જ્યારે ચિંતાના બોજ તળે દબાયેલી, ઢસડાતી જીંદગી માણસની પરિસ્થિતિ અનુસાર જીવનરીતિ બદલતી રહે છે. ત્યારે આવા તહેવારોને મનમાં ઉમંગ અને હૈયે હરખ ભરીને માણવા જરૂરી હોય છે. આ તહેવારો અને તેના માધ્યમથી ચાલતા પરસ્પરના વહેવારો જ માણસને માણસ તરીકે જીવંત રાખવાનું અને કુટુંબ, સગા-સબંધી, મિત્રો અને સ્નેહીઓ સાથે એકસૂત્રે બાંધી રાખવાનું અદભૂત કામ કરે છે.

દિવાળીના આ શુભ પ્રસંગે હું દરેક વાંચકો અને ખેડૂત ભાઈઓ-બહેનોને તેમના ઘરમાં ખુશહાલીના દીવડાઓ પ્રગટે અને દરેકના જીવનમાં ખુશીઓ અને સમૃધ્ધિનો ભંડાર છલકાય તેવી સમગ્ર સમૃદ્ધ ખેતી પરિવાર વતી હાર્દિક શુભકામના પાઠવું છું.

ચાલો, આજે નાનો પણ દિવાળીની દીપમાળા જેવો ઝગમગતો સંક્લપ કરીએ કે. રાષ્ટ્રને સમૃદ્ધ ખેતી દ્વારા હરિયાળા ઉજાશથી પ્રકાશિત વિકાસમાર્ગ પર અગ્રેસર કરીશું.

Saturday, 16 July 2016

કૃષિનવલ – ૯

ચાલો, ઔષધ વાવીએ 
– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથાસિયાએ સૌને ઔષધ વાવતાં કર્યાં. એ પછી ગુલકંદ વગેરેના ગૃહઉદ્યોગ તરફ પણ વાળ્યા. એ વાત ચાલુ હતી ત્યારે જ વૈદ્ય ભીખાલાલ એક માટલું જેના કાંઠલા પર કાપડ વીંટીને એનું મોં બંધ કરેલું હતું સિયાને ‘લે બેટા. હું તો હવે ખર્યું પાન. આ મારી મરણમૂડી તું સાચવ.’ કહીને જતા રહ્યાં. સિયાની વાત પુરી થાય ત્યા સુધી માંડ માંડ રાહ જોઈને બેસી રહેલ રમીલાએ સ્ત્રીસહજ જીજ્ઞાસાથી કહ્યું. ‘બેન, તમે અમને બીજા ફૂલોની વાત કરો ઈ પેલા જોવો તો ખરા કે ઓલા ભીખાબાપા આ માટલામાં ભરીન શું ખજાનો દઈ ગ્યા’સે. આ મારો નાનકો કેતો’તો, કે ઈ ભીખાબાપા કેટલાય વખતથી આજુબાજુના ગામની સીમ અને વગડામાં ગાંડાની જેમ રખડીને કાંક ભેગું કરતા હોય સે.’ બધી સ્ત્રીઓએ રમીલાની વાતને ટેકો પુરાવ્યો. સિયાએ કુતૂહલવશ માટલી પરથી કપડું ખોલ્યું. જોયું તો તેમાં જૂદાં જૂદાં ઔષધોનાં બીજ હતાં. અને સાથે હતી એક ચબરખી. જેમાં લખ્યુ હતુ કે...
નવમો ચાસ
સિયાએ ચબરખી વાંચી વાળીને પાછી મૂકી દીધી, એમાં લખ્યુ હતું કે... ‘દીકરી, હું એક જમાનામાં ગામનો નામી વૈધ કહેવાતો. ઘણા હઠીલા રોગોની સારવાર કરીને મેં અનેક ગામલોકોને સ્વાસ્થ્ય આપ્યું હતું. બેન દીકરીઓની તકલીફોથી માંડી જુવાનિયાવના રોગો, બાળકોના રોગોથી માંડીને ગલઢેરાના રોગો મેં મટાડ્યા હતાં. પણ કુદરતનું કરવું કે એક વાર નગરશેઠના દીકરાની બિમારી મારાથી ન પકડાઇ. મેં તો ના જ પાડી’તી કે આમાં કાંઇ થાય એમ નથી, એના લક્ષણ જ પેલેથી એવા હતાં. મુંબઈ જાતો અને ત્યાં રૂપિયા ઉડાડીને આવતો. દારૂ અને... બીજું ઘણું બધું તો આંયા લખાય એમ નથી ને એમાં એને એવો રોગ થ્યો કે વજન ઘટતું જાય ને રોગ પ્રતિકાર શક્તિ જવાબ દઇ ગઇ. એની દવા થાય એમ જ નો’તી પણ આ તો નગર શેઠ. આપણું કાંઇ હાલ્યું નઇ ને એની દવા કરવી પડી. એમાં ક્યાંકથી ઇ આયુર્વેદ કે દેશીના નામે કાંક લૈ આવ્યા ને જાણ્યા વિના આપ્યું તે એનો દીકરો દેવના ઘરે ગ્યો. ને આળ મારા પર નાખ્યું ને તેદૂનુ મારે વૈદું મૂકવું પડ્યું. ખેર, જે થયું તે પણ ત્યારથી હું જાતે જ દવા ઉગાડતો ને આપતો. જેટલાને મારામાં વિશવા હતો ઇ ઘરે આવીન લઇ જાતા દવા. પણ નામ પર કાળી ટીલી લાગી ગયેલી તે સાજા થાય પણ કોઇને ક્યે નઇ. આ મેં છેલ્લા થોડા સમયમાં ભેગા કરેલા બીજ છે. કયા ઓસડના છે ને કેમ ઓળખવા ઇ તને તો ખબર જ હશે તોય મેં અલગ ચિઠ્ઠીમાં ઈ લખ્યું છે. જોઇ લેજે. આ મારી મરણમૂડી છે. હવે હું ઝાઝો સમય નથી એટલે તને આ સોંપું છું. જાળવજે અને આ વારસો આગળ ધપાવજે. તમે બેય માણા બોવ સારું કામ કરો છો. ભગવાન તમને સફળતા અને જશ આપે એવા આશીર્વાદ...’ સિયા થોડીવાર કંઇ બોલી ન શકી. આ અંગે તેને અમન સાથે વાત કરવાનું મન થઈ આવ્યું. પણ અમન તો સરપંચ મોહન સાથે બાજુના ગામમાં ગયો હતો.
રમીલાએ પૂછ્યું, ‘શું થ્યુ?’ તો ટુંકમાં ‘કાંઈ નહીં...’ જવાબ આપ્યો અને સ્વસ્થ થતાં બોલી, ‘...તો આપણે ગુલકંદની બાકી રહેલી વાત આગળ ધપાવીએ. આયુર્વેદીય મતે મહુડાનાં ફૂલ સ્વાદમાં ગળ્યાં, પચવામાં ભારે, ઠંડા, પોષણ આપનાર, બળ અને વીર્યવર્ધક, વાયુ અને પિત્તનો નાશ કરનાર છે. આ મહુડાના ફૂલમાંથી ગુલકંદ બનાવવા મહુડાનાં ફૂલ અને સાકર સરખા વજને લઈ ખૂબ મસળી કાચની બરણીમાં ભરી તેને એક મહિનો તડકામાં મૂકવાથી ગુલકંદ તૈયાર થઇ જાય છે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી શરીરની આંતરિક ગરમી, પેશાબની બળતરા, પેશાબમાં રસી, ઝીણો તાવ, અગ્નિમાંદ્ય, લોહીનો બગાડ, અને પેશાબનો અવરોધ મટે છે.’
આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ વધુ સુધારે છે. ગરમાળાના ફૂલનો ગુલકંદ બનાવવા કાચની સ્વચ્છ બરણીમાં આંગળીના એક વેઢા જેટલો જાડો ખડી સાકરના ચૂર્ણનો થર કરી એની ઉપર ત્રણ વેઢા જેટલો જાડો ગરમાળાના ફૂલનો થર કરવો. ફરી પાછો એની ઉપર ખડી સાકરનો થર કરી, ગરમાળાના ફૂલનો થર કરવો. સૌથી ઉપર ખડી સાકરનો થર રહે એમ કાચની બરણી ભરવી. બરણીનું મોઢુ કોટનના એટલે કે સુતરાઉ જાડા કપડાથી બાંધી, બરણી તડકે મૂકવી. સાતથી દસ દિવસ આ મિશ્રણ તડકે રાખી, સમયાંતરે ચમચાથી ઉપર-નીચે હલાવતા રહેવું. જરૂર મુજબ કેસર-ઈલાયચી મેળવીને એ પછી એનું સેવન કરવું. સવારે ઠંડા પાણી સાથે એક નાની ચમચી ગુલકંદ લાંબા સમય સુધી લેવાથી જૂની કબજિયાત, ખાંસી, શરીરમાં બળતરા, ચામડીના રોગો, હૃદયરોગ, જૂનો તાવ વગેરેમાં ફાયદો થાય છે. હવે કુલસુમ કંઇક તૈયારી કરીને આવી છે. તેને સાંભળીએ.’ કહી સિયાએ કુલસુમને બોલાવી.
કુલસુમે કહ્યું, ‘આ ઉનાળાની સીઝનમાં શરીર અને દિલોદિમાગને ઠંડક પહોંચે તેવું કાંઇક બનાવીએ તો કેમ? ગરમીમાં ગુલાબનું શરબત દિલદિમાગ અને શરીરને ઠંડક પહોંચાડે છે. આ સીઝનમાં ગુલાબના ફૂલો પણ બજારમાં સહેલાઇથી મળે છે. તો આજે આપણે ગુલાબનું શરબત બનાવીશું. શરબત બનાવવા કે બેને કહ્યું એ ગુલકંદ બનાવવા ઇંગ્લિશ ગુલાબના ફૂલો કરતાં દેશી ગુલાબના ફૂલો વધુ સારાં. પચાસેક નંગ ગુલાબની પાંદડીઓને બે વખત પાણીથી ધોઈ અને સાફ કરવી અને ચારણીમાં રાખવી જેથી વધારાનું પાણી નીકળી જાય. ત્યારબાદ, પાંદડીને એક સૂતરાઉ સાફ કાપડ પર પાથરવી. અને બીજા કપડાથી પાંદડી પરનું પાણી લૂછીને કોરી કરવી. પછી એક કપ પાણી ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે ગુલાબની પાંદડીઓને મિક્સરમાં નાખી તેમા ગરમ પાણી નાખી અને પીસી લેવી. મિક્સરમાં પીસેલી પાંદડીઓના રસને ગરણીમાં નાખી અને એક વાસણમાં ભેગો કરવો. એક બીટ ને ધોઈ, છાલ ઉતારી અને ટૂકડામાં સમારવુ. એક ચમચો ઝીણી સમારેલી કોથમીર, 25-25 ફૂદીના અને તુલસીના પાન લઇને ધોઈ સાફ કરી અને બધાને ભેગા કરીને બારીક પીસી લેવા. દાડમનો રસ પણ ઉમેરી શકાય.’ અમુક સ્ત્રીઓ નોટબુકમાં આ બધું નોંધી રહી હતી.
તેણે આગળ કહ્યું, ‘પીસેલું મિશ્રણ અને એક કપ પાણી એક વાસણમાં ભેગુ કરી અને તે વાસણને ગરમ કરવા મૂકવું. ઉભરો (ઉફાણ) આવ્યા બાદ, ધીમો તાપ કરી અને ૩-૪ મિનિટ સુધી ગરમ થવા દેવું. ત્યારબાદ, તાપ બંધ કરી દેવો અને આ મિશ્રણને ઠંડુ પાડવા દેવું. ઠંડું પડી ગયા બાદ, ચારણીમાં રસને ગાળી અને એક વાસણમાં ભેગો કરવો. ૬૦૦ ગ્રામ ખાંડ (લગભગ ૩ કપ) એક વાસણમાં નાખી અને તેમાં ૨૦૦ ગ્રામ (૧-કપ) પાણી નાખવું. ખાંડ ઓગળી ગયા બાદ, ૧-૨ મિનિટ આ પાણી ગરમ કરવું અને ત્યારબાદ, તાપ/ગેસ  બંધ કરી દેવો. ચારસો ગ્રામ ખાંડમાં એલચી ફોલી અને તેના દાણા મિક્સ કરી અને ખાંડને પીસી લેવી. ૪ લીંબુનો રસ એક વાટકીમાં કાઢીને અલગ રાખવો. ખાંડની ચાસણીમાં ગુલાબની પાંદડીનો રસ, બીટ વગેરે મિશ્રણનો રસ અને લીંબુનો રસ મિક્સ કરવો. દળેલી (પીસેલી) ખાંડ પણ આ મિશ્રણમાં નાંખી મિક્સ કરવી. બધીજ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરવી. શરબતને ૪-૫ કલાક ઢાંકીને રાખી દેવું. જેથી બધાજ સ્વાદ એક રસ થઇ અને સુગંધ આવશે. ગુલાબના શરબત માટેનું સીરપ  તૈયાર. એને એક કાચની બોટલમાં ભરી લેવું. જ્યારે પણ શરબત બનાવવાની ઈચ્છા થાય ત્યારે ૧ ગ્લાસ ઠંડા પાણીમાં ૨ મોટા ચમચા  ગુલાબનું સીરપ નાંખવું અને મિક્સ કરવું. શરબત વધુ ઠંડુ કરવા બરફના ટૂકડા પણ નાંખી શકાય. અને હવે રૂખસાના આપણું શરબત કાઢ. બધાં ટેસ્ટ કરાવીએ અને મજા કરીએ.’ વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ. ત્યાં રઘલો દોટ મૂકતો આવ્યો અને કહ્યું, ‘એક ખરાબ સમાચાર છે...’ (ક્રમશઃ) 

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.

Tuesday, 28 June 2016

અંતર ખેડ - શિક્ષામૃત

શિક્ષામૃત

પુ. સહજાનંદ સ્વામી દ્વારા પોતાના આશ્રિતો માટે યોગ્ય જીવનધર્મનો માર્ગ બતાવતા સુત્રો શિક્ષાપત્રી તરીકે જાણીતા છે. કોઈપણ યુગમાં પ્રસ્તુત આ ધર્મબોધમાંથી કેટલાક અમૃત બિંદુઓ આપણે પણ ઝીલીએ. અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
  • અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂમાંકડચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
  • દેવતા કે પિતૃઓના યજ્ઞાર્થે પણ બકરાં, મૃગલાં, સસલા, માછલાં આદિ કોઈ જીવની હિંસા ન કરવી કેમકે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે.
  • સ્રી, ધન, રાજ્યની પ્રાપ્તિ અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.
  • આત્મઘાતનો તો તીર્થમાં પણ વિચાર ન કરવો. ક્રોધના આવેશમાં આવીને ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને પણ આત્મઘાત ન કરવો.
  • ઝેર ખાઈને કે ગળે ટુંપો ખાઈને તથા કૂવે પડીને અથવા પર્વત પરથી પડીને ઈત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.
  • ક્યારેય પણ પોતાનાથી કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર આદિથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું.
  • અમારા આશ્રિત પુરૂષ કે સ્ત્રીઓએ ક્યારેય પણ વ્યભિચાર ન કરવો. જુગાર આદિનો ત્યાગ કરવો.
  • જો માંસ કોઈ યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું.
  • ત્રણ પ્રકારની સુરા કે અગિયાર પ્રકારનું મદ્ય જો કોઈ દેવને ચડાવેલ નૈવેદ્ય હોય તો પણ ન પીવું.
  • જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવોની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય પણ ન ખાવું.
  • જો ઔષધ દારુ કે માંસયુક્ત હોય તે પણ ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તેણે આપેલ ઔષધ પણ ક્યારેય ન ખાવું.
  • ભાંગ, મફર, માજમ, ગાંજો આદિ કેફ કરનાર વસ્તુઓ ખાવા નહી અને પીવા પણ નહી.
  • અમારા આશ્રિતોએ દર્મનું કામ કરવા માટે પણ ક્યારેય ચોરનું કર્મ ન કરવું. કાષ્ટ, પુષ્પ વગેરે કોઈપણ વસ્તુ જો કોઈની ધણીયાતી હોય તો તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.
  • કોઈ જગ્યાએ ચોરમાર્ગેથી પેસવું નહી. કોઈના ધણીયાતા સ્થાનમાં તેના ધણીને પુછ્યા વિના જવું નહી કે ઉતારો કરવો નહી. 


Thursday, 23 June 2016

કૃષિનવલ – ૮

ચાલો, ઔષધ વાવીએ 
– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથા: સિયા તથા અમનના પ્રયત્નોથી મથુર, કુરજી, જયરાજસિંહ, થોભણ, લલિત, મેના, મોહન, રાકેશ, મનજી, નાથો, પવો, ઉકો અને લવજી સૌ એક યા બીજી રીતે ‘ચાલો, ઔષધ વાવીએ.’ ઝુંબેશ સાથે જોડાયા. મીંઢી આવળ, ઇસબગુલ વગેરેના વાવેતર અને માવજત પર વાત ચાલતી હતી ત્યાં અમને આવીને જણાવ્યું કે કોઇ ટીખળીએ ખીલીઓ ઠોકી એની કારમાં પંચર પાડી દીધું હતું. હવે આગળ...
અષ્ટમ ચાસ
પોષ-મહાની ગુલાબી ઠંડીના ગુલાબ ફાગણના આગમન પછી ધીમે ધીમે મુરઝાવા લાગ્યા હતા. હજુ તો આ ગરમીની શરૂઆત છે. તણખા જેવી આ ગરમી ચૈત્ર વૈશાખ આવતાં સુધીમાં હોળીની ઝાળ જેવું દાવાનળ સ્વરૂપ અખત્યાર કરશે અને ધરતીને સૂરજના અંગારાથી ડામ દેશે. આવી ભયંકર ગરમી શરૂ થાય એ પહેલાં સિયા વધુમાં વધુ ગામલોકોને પોતાની વાત, પોતાનો નવો વિચાર પહોંચાડવા માગતી હતી. એટલે જ એણે ગામની સૌ મહિલાઓને એકત્ર કરી ચર્ચાસભા રાખી હતી.
હંસા, મેના, રેખાબા, પુષ્પા, રમીલા, મંજૂ, વનિતા, શોભના, ગંગામા, કાળીડોશી, ઝમકુડોશી, કંચનબેન, ચંપા, કુસુમ, વંદના, ચમેલી, અમીના, ફરઝાના, રુખસાના, કુલસુમ અને ઝેનબડોશી વગેરે સૌ ડૉ. સિયાએ આપણને બધાને શા માટે સૌને એકઠાં કર્યાં હશે એની ચર્ચા કરે છે. લીમડો, પીપળો અને આમલીના અડોઅડ આવેલા ઝાડવાઓના છાંયે બધાએ અડિંગો જમાવ્યો છે. થોડી ખિસકોલીઓ પેપાં ચાખે છે તો થોડી કાતરાની મજા લઈ રહી છે. પક્ષીઓને પાણી પીવા ટાંગેલા કૂંડાં પર બેઠેલા કબૂતરો મસ્તીએ ચડ્યા છે અને પાણી બહાર ઢોળી રહ્યાં છે. લીમડાના સુંદર ઝીણા ફૂલોને બેત્રણ નાની વયની સ્ત્રીઓ અપલક તાકી રહી છે.
સિયાએ આવીને સૌનું ધ્યાનભંગ કર્યું. તેણે કહ્યું, ‘બહેનો, ઉનાળાના દિવસો શરૂ થવાની તૈયારી છે અથવા કહો કે ઉનાળો આવી ગયો છે. તમારામાંથી અમુકની વાડીએ શાકભાજીઓ ફૂલીફાલી રહી છે. કોઇએ મગ પણ વાવ્યા હશે. કોઇએ વળી ઉનાળુ મગફળી વાવી હશે. એકંદરે સૌ ચોમાસા અને શિયાળા કરતાં વધુ નવરા રહેતાં હશો, ખરું ને?’
ગંગામા લાગલું જ બોલ્યાં, ‘અરે બેન ! અથાણાં-વસાણા કરવાનો ટેમ થ્યો છ આ તો. નવરાઇ તે વળી અમારે કેવી? આ ગુંદા, ગરમર, કાચી કેરી, કેરડાં, કરમદાં, લીંબુના અથાણાં કરશું ને હવે. કેમ બાયું?’ ઘણી સ્ત્રીઓએ એમાં સૂર પૂરાવ્યો. ‘અમારે તમારા જેવી નવરાઈ ક્યાં, બાઈ?’ કહી ઝમકુડોશીએ ટાપશી પૂરી.
સિયાએ કહ્યું, ‘આપણે સૌ ઔષધ વાવતાં તો થયાં. તો હવે એની સાથે સાથે ગૃહઉદ્યોગ પણ શરૂ થઈ શકે.’ કંચનબેન મૂંઝાઈને કહે, ‘દાક્તરાણીબેન, માંડીને કંઇક હમજાય એમ વાત કરો. આ ઉંમરે હવે ઉખાણા રમવાનું નઇ ફાવે.’
સિયાએ હસીને કહ્યું, ‘સાચી વાત. સીધી જ વાત કરું તો આપણે જે ઔષધો વાવીએ છીએ અથવા તો જે હાલ આપણે વાવ્યાં છે. અત્યારે એની પર ફૂલ બેસવાની ઋતુ છે. ફાગણ મહિનાની સાથે વસંત આવે. ચારેબાજુ ફૂલો ખીલે. અને એ ફૂલો આપણને અનેક રીતે કામ લાગે.’ ચંપાએ પૂછ્યું, ‘એ વળી કઇ રીતે?’ ત્યાં જ ભીખાઆતા એક માટલું હાથમાં લઇને આવ્યા. માટલાના કાંઠલા પર કાપડ વીંટીને એનું મોં બંધ કરેલું હતું. સિયા પાસે આવી ‘લે બેટા. હું તો હવે ખર્યું પાન. આ મારી મરણમૂડી તું સાચવ.’ એટલું કહીને જતા રહ્યાં.
સિયા હજુ કાંઇ બોલે એ પહેલાં ઝમકુડોશી બોલ્યા, ‘આ ભીખાભાઇ, વૈદ ભીખાલાલ કે’વાતા એક જમાનામાં. નગરશેઠનો એકનો એક દીકરો માંદો પડ્યો’તો. તે દિ ઇનો કેસ ભીખાલાલથી ફેલ થઇ ગ્યો તેદૂના એણે વૈદું પડતું મૂક્યું.’
સિયાએ માટલી સંભાળીને બાજુમાં મૂકી અને વાતનો દોર ફરી સાંધ્યો. ‘જુઓ, તમે બધાં ઉનાળામાં પાક અને અથાણાં-વસાણાં બનાવો છો, બરાબર? અને એ બધું ઘર પૂરતું. થોડું વધારે બનાવીએ તો..’ કાળીડોશી વચ્ચે જ બોલ્યા, ‘અરે બેન, આ હવે ખાનારાય ક્યાં ર્યા વધારે. આ મારો નાનકો શે’રમાં ભણે છ અને મોટોય શે’ર ફેકટરિયુંમાં કામે લાગ્યો છ. તી પછી ઈ ખાશે કુણ?’
સિયાએ સમજાવતાં કહ્યું, ‘થોડું વધારે બનાવીએ એ આપણા માટે નહીં. ધારો કે આપણે દર વરસે કિલો લીંબુનું અથાણું બનાવતાં હોઈએ અને પાંચ કિલો બનાવીએ તો બાકીનું, વધારાનું ચાર કિલો શહેરની માર્કેટમાં વેચાણ માટે મૂકી શકાય. બીજું આ ફૂલોની વાત કરું તો આ ગરમાળો, મહુડો, ગુલાબ અને ઈવન આવળ જેવાં ફૂલોનો ઔષધિય ઉપયોગ પણ થાય છે. અહીં એ બધાં ફૂલો ઢગલાબંધ ખીલીને કરમાઈ જાય છે અને અંતે ખરી જાય છે. એ કરતાં એનો પણ આપણે ઉપયોગ કરીએ.’ હવે ઝેનબડોશી મેદાનમાં આવ્યા, ‘યે બાત તો ઠીક કે હમ અથાણે બનાવેં ઔર બેચેં. ઠીક હૈ થોડે વધુ બનાવેંગે. પણ મેં કુ યે બેચેગા કોણ?’
સિયાએ કહ્યું, ‘એનોય ઉપાય છે. તમે બધાં જ સૌ સાથે મળીને એક સહકારી મંડળી જેવું બનાવી શકો. અને પછી શહેરની સુપર માર્કેટ્સ, મોલ્સ અને લોકલ બજાર સાથે કોન્ટ્રાક્ટ કરી લેવાના એ બાબતે. આપણે એમના ઓર્ડર મુજબનો માલ બનાવી આપવાનો. થોડી કમાણીના નવા સોર્સ ઊભા થાય આપણી પાસે રહેલા રિસોર્સમાંથી જ.’ બધાં ચણભણ કરવા લાગ્યાં. વંદના બોલી, ‘પણ આ ફૂલનું શું કરવાનું ઇ તો કાં’ક ક્યો. શું કે’તા’તા ફૂલનું?’
સિયાએ વાતનો દોર ફરી પોતાના હાથમાં લીધો, ‘ઝેનબબેન, ફરઝાના, રુખસાના, કુલસુમ, તમે લોકો અથાણાં સિવાય બીજું શું બનાવો ઉનાળામાં?’ ફરઝાના કહે, ‘અમ્મી ગુલાબનું શરબત બનાવે, ગુલાબની પાંદડીનો ગુલકંદ બનાવે. અબ્બાજાનને ક્યારેક ચાનક ચડે તો કેટલાંય વાસણ બગાડે અને કાં’ક... હા, ગુલાબનો અર્ક બનાવે.’ બધાં હસી પડ્યાં. કુસુમે કહ્યું, ‘અમે રાજસ્થાન ગ્યા’તા તંઇ ચૈત્રી ગુલાબમાંથી બનતો ગુલકંદ જોયો ત્યાં. ચૈત્ર મઇનામાં ઊગતાં ગુલાબનો ગુલકંદ બનાવે ઈ લોક.’
સિયા આખી વાતને સાંધીને રેણ કરતી હોય એમ બોલી, ‘બસ, એ જ. આપણે ગુલકંદ બનાવીશું. ગુલાબનો તો બધાં બનાવે જ છે, આપણે આવળ, ગુલમ્હોર, મહુડો, શીમળો, ગરમાળાના ફૂલોનો પણ ગુલકંદ બનાવીશું. અને એ દવાના કામમાં આવે’ આખું ટોળું એકસાથે ‘હેં...’ કરી ગયું. સિયાએ હસીને કહ્યું, ‘આપણે એ ગુલકંદ ફાર્મસી કંપનીઓ અને આયુર્વેદિક દવાની દુકાનોમાં આપીને એમાંથી પણ કમાણી કરી શકીએ. કેમ લાગે છે આ વાત તમને?’ બધાંના ચહેરા તાજાં ગુલાબ જેવાં ખીલી ગયાં.
સિયાએ કહ્યું, ‘આયુર્વેદમાં પુષ્પવર્ગ કરીને બધા ફૂલોના ઔષધિય ગુણોનું વર્ણન છે. દવામાં વપરાય એ બધાં ફૂલોનો આપણે ગુલકંદ બનાવી શકીએ. એને વેચીશું પણ ખરા અને ઘરમાં રસોડામાં રાખીને બાળકો અને પરિવારને સ્વસ્થ પણ રાખી શકીશું. શું કહો છો? સૌ છો મારી સાથે?’ સૌએ એકસાથે ‘હા’ ભણી.
સિયાએ આત્મવિશ્વાસથી લીમડાના ઝીણા ફૂલો પર બેઠેલી મધમાખીનું અવલોકન કરતાં કહ્યું, ‘ઉનાળાના દિવસો શરૂ થાય છે ત્યારે શરીરમાં વધુ ને વધુ ઠંડક આપે એવા ઔષધોપચાર જરૂરી છે. ગુલાબના ફૂલની પાંદડી પણ શરીરને ખૂબ જ ઠંડક આપે છે. ગુલાબની પાંદડીમાંથી બનાવાતો ગુલકંદ તો જગપ્રસિદ્ધ છે. એમાં ગુલાબની પાંદડી ઉપરાંત ઘણા બધા દેશી ઔષધો ઉમેરવામાં આવે છે. ગરમ પ્રદેશોમાં પણ આ ગુલકંદ ખૂબ જ ઠંડક આપે છે એટલે ઘણા લોકો પણ એનું સેવન કરે છે. કેટલીક જગ્યાએ ગુલાબની પાંદડી બહુ મળતી ન હોવાથી એક ભાગ ગુલાબની પાંદડી અને ત્રણ ભાગ સાકર નાખી એ બનાવાય છે. ઘણા ધંધાદારી ધોરણે બનાવતા હોવાથી તેમાં કુત્રિમ સુગંધ પણ મેળવે છે. પણ આવું ગુલકંદ અસર કરે નહીં. આજે આપણા દેશમાં પ્રમાણભૂત ગુલકંદ બનાવવાની સંસ્થાઓ પણ છે. આવું ગુલકંદ બન્યા બાદ તેમાં એલચીના બીજ, ચાંદીના વરખ અથવા રૌપ્ય ભસ્મ, બંગ ભસ્મ. ગળોસત્વ વગેરે એક કિલો ગુલકંદ દીઠ અઢી અઢી ગ્રામ ઉમેરવામાં આવે છે. જેને પરવડે તે તેમાં મોતી પિષ્ટી એમાં ઉમેરે છે જેનાથી ઠંડક અનુભવાય છે. આવો ગુલકંદ સવારે અને રાત્રે એક એક ચમચી લેતાં હોજરીની બળતરા, સોજો, ચાંદું બધામાં રાહત આપે છે. એ મોઢા પરના ખીલ મટાડે છે. એ લેવાથી શાંત અને સ્વસ્થ ઉંઘ પણ આવે છે.’
‘હા... હો,  આ ગુલકંદના તો કેટલાય ફાયદા છે.’ ગંગામાને એક જુની વાત યાદ આવતા વચ્ચે જ બોલી પડ્યા. ‘એક જમાનામાં મારી નણંદને ગરમીનું દરદ થઈ ગ્યુ’તુ. તયેં આ હમણા આઈવા’તા ઈ વૈદ્ય ભીખાલાલે કાઈંક આ ગુલકંદની જ દવા દીધી’તી. તે’દિ ઈ કેતા કે, ગુલકંદ લેવાથી ખીલ, ખંજવાળ, કબજિયાત, ગરમી, અળાઇ, અનિદ્રા મટી શરીર અને મનને ટાઢક થાય છે.’ જરાક શરમાઈને ગંગામાએ કહ્યું, ‘અને કેતા’તા કે આ ગુલકંદ બે માણાના વેવારમાંયે સારું કામ આપે છે.’
સિયાએ કહ્યું, ‘હા ખરી વાત છે. કેટલીક બહેનોને સમાગમ વખતે યોનિમાં બહુ ઉષ્ણતા વર્તાય છે. ચળ આવે છે અને સંયોગ વખતે એ ઉષ્ણતાને લીધે શુક્ર જલ્દી સ્ત્રવી જાય છે. પતિ-પત્નીને ગુલકંદનો પ્રયોગ કરાવવાથી બંનેના મન શાંત અને સરળ બને છે અને ગર્ભધારણ થઇ શકે છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં ઉષ્ણતા, વાયુ આ બધામાં ગુલકંદ ઉપયોગી નીવડે છે. બહેનોને રતવા હોય, ગર્ભધારણ થાય અને ગર્ભસ્ત્રાવ થાય ત્યારે ખેરનું ઘી ઠંડક અને શીતળતા અર્પે છે. આ રીતે ઘણી પ્રકારના ફુલમાંથી ગુલકંદ બનાવી શકાય.’
સીયાની વાત પુરી થાય ત્યા સુધી માંડ માંડ રાહ જોઈને બેસી રહેલ રમીલાએ સ્ત્રીસહજ જીજ્ઞાશાથી કહ્યું. ‘બેન, તમે અમને બીજા ફૂલોની વાત કરો ઈ પેલા જોવો તો ખરા કે ઓલા ભીખાબાપા આ માટલામાં ભરીન શું ખજાનો દઈ ગ્યા’સે. આ મારો નાનકો કેતો’તો, કે ઈ ભીખાબાપા કેટલાય વખતથી આજુબાજુના ગામની સીમ અને વગડામાં ગાંડાની જેમ રખડીને કાંક ભેગું કરતા હોય સે.’ બધી સ્ત્રીઓએ રમીલાની વાતને ટેકો પુરાવ્યો. સિયાએ કુતૂહલવશ માટલી પરથી કપડું ખોલ્યું. જોયું તો તેમાં જૂદાં જૂદાં ઔષધોનાં બીજ હતાં. અને સાથે હતી એક ચબરખી. જેમાં લખ્યુ હતુ કે... (ક્રમશઃ)

શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.


Sunday, 19 June 2016

Happy Father's Day

आपके ही नाम से जाना जाता हूँ "पापा".
भला इस से बड़ी शोहरत मेरे लिए क्या होगी,,



मेरे 8 साल के पुत्र ने फाधर्स डे पर आज ये
सुंदर चित्र बनाकर मुज़े उपहार दीया ।

Sunday, 12 June 2016

કૃષિનવલ – ૭

ચાલો, ઔષધ વાવીએ... 
– ડૉ. નીરજ મહેતા

પૂર્વકથા : સૌ ગામલોકોની ગામના કોમ્યુનિટી હોલમાં મીટિંગ મળી હતી અને સિયાએ ‘ચાલો, ઔષધ વાવીએ.’ની હાકલ કરી એ વાતને ચાર-પાંચ માસ વીતી ચૂક્યા છે. દરમ્યાન સિયા અને અમનના જીવનમાં નાના નાના અનેક ઘટનાક્રમ બનતા રહ્યા, જેનો દોરી સંચાર કોના હાથમાં છે એનાથી એ બન્ને અજાણ હતાં. મીટિંગ દરમ્યાન એક ઓળો ઊભો થઇ બહાર મોબાઇલ પર કોઇ સાથે વાત કરી રહ્યો હતો શું એ આ ઘટનાક્રમ પાછળ હશે? આવો જોઈએ.
સપ્તમ ચાસ
સિયાએ સૌને ઔષધ વાવવા હાકલ કરી એ પછી બહુ ઓછા ખેડૂતો એવા નીકળ્યા જેમણે આ વિષયમાં રસ દાખવ્યો અને ઔષધીય ખેતીની છુટક શરૂઆત કરી. સિયા અને અમનને મન એ પણ બહુ હતું. બન્નેને પોતના પ્રયત્નો સફળ થવાની શરૂઆત થઈ રહી છે એ દેખાઇ રહ્યું હતું. બન્ને હોંશથી જે પણ માહિતીની જરૂર પડે તે ખેડૂતોને આપતાં હતાં. હંસાબેનના બનાવેલા ચાર્ટ્સના મિનિ મોડલ્સ અહીં હતા. એક બાજુ શેઢેપાળે ઉગાડી શકાતાં છોડ, ઝાડી અને વૃક્ષોના નામ અને પ્રાથમિક માહિતી હતી. એક ચાર્ટમાં મોટાપાયે પાક લઇ વધુ નફો આપનારા ઔષધોની યાદી હતી.
એક ચાર્ટ પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી વિષે વાત કરતો હતો, તો એક ચાર્ટમાં કયા ઔષધની વાર્ષિક માંગ કેટલી છે તે આપેલું હતું. એકમાં વધુ માહિતી માટે જરૂરી નામ-સરનામા અને ફોન નંબર હતાં. જે થોડાં લોકો આવીને એ બધું વાંચતા હતા (વાંચતા હતા – અમલમાં તો બહુ જ ઓછા લોકો લેતાં હતાં) આમ ને આમ પોષ માસ આવી ગયો.  
દરમ્યાન મથુર, કુરજી અને જયરાજસિંહે આવીને સિયાને જાણ કરી કે તેઓએ ચારથી આઠ હારમાં ઔષધિ વાવી હતી. થોભણ, લલિત, મેનાબેન અને મોહને એક એક વિઘો એના માટે ફાળવ્યો હતો. રાકેશ, મનજી અને નાથાએ શેઢે પાળે થોડા ઝાડ ઉછેરવાનું નક્કી કર્યું હતું. તો પવા, ઉકા અને લવજી જેવા અમુક લોકોની દાઢ પોતાના શેઢે ઊગેલા ઝાડપાનમાંથી કંઇપણ વેચી રોકડી કરી નાખવા માટે ડળકી હતી. અમન અને સિયાના ઘરનો વરંડો તો જાણે ઔષધિ-કૃષિ-માહિતી-કેન્દ્રમાં ફેરવાઈ ગયો હતો. કુરજી, મનજી અને નાથો અત્યારે ત્યાં આવ્યા હતા. સિયા તેમને ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે શું કરવું તે જણાવી રહી હતી.
તે ત્રણેયને લીલી ચા આપીને આવકારતા સિયાએ કહ્યું, ‘તમે કોઈ પણ ઔષધ વાવશો, ચાલશે. અહીં અમે ચાર્ટમાં દરેક વનસ્પતિની કેટલી માંગ છે તે દર્શાવ્યું જ છે. પરંતુ તમે જે ઉત્પાદન આપશો તેની ક્વોલિટી ઉત્તમ જ હોવી જોઈએ. આ કામ તમે થોડા વધુ પૈસા કમાવા કરતા હો, સ્વાસ્થ્ય માટે કરતા હો કે અન્ય કોઇ પણ કારણસર આમાં રસ લેતા થયા હો પરંતુ તમારે એ જાણી લેવું જોઇએ, કે પૈસા તો જ મળશે અને સ્વાસ્થ્ય તો જ જળવાશે, જયારે તમારું ઉત્પાદન ગુણવત્તાસભર હશે. અને તો તેની પરદેશ નિકાસ પણ થઈ શકે છે. તેને વાવો તો તમને વધુ પૈસા કમાવાનો મોકળો માર્ગ મળશે. પણ ત્યારે તમારા ઉત્પાદનોએ ગુણવત્તાની વધુ આકરી કસોટી પસાર કરવી પડશે.’ હજી આ વાત ચાલતી હતી ત્યાં અન્ય ચાર લોકો પરિસરમાં દાખલ થયા. 
સિયાએ એમને પણ લીલી ચા વડે આવકાર્યા, ‘આવો રાકેશભાઇ, મથુરભાઇ, જયરાજસિંહ, આવો મેનાબેન.’ ચાના ખાલી થયેલા સાતેય કપ એકઠા કરી મેનાબેન રસોડામાં મુકી આવ્યા એટલે સિયા બોલી, ‘તમે લોકો આવ્યા તે પહેલા અમે ક્વોલિટી પ્રોડક્ટ્સની વાત કરી રહ્યા હતા. હું કહેતી હતી કે જેટલી વધુ ગુણવત્તાવાળો માલ તમે આપશો એટલું જ વધુ વળતર મળશે. આંતરિક ગુણવત્તા જે તે ઔષધમાં રહેલા તત્વો, રસાયણો અને ઝેરી દ્રવ્યો પર આધાર રાખે છે. જ્યારે બાહ્ય ગુણવત્તા રંગ, કદ, સ્વાદ વગેરે પર આધારિત છે. યાદ રાખજો કે મનજીભાઈની સ્પર્ધા ખુદ મનજીભાઈ સાથે જ છે. કુરજીભાઈ, મથુરભાઈ કે મેનાબેન સાથે નહીં. તમે જે ઉત્પાદન આપશો તે તમારી જ શાખ પૂરશે.’
મથુર બોલ્યો, ‘સાચી વાત છે, બેનની વાત માની મેં દિવાળી પછી ડિસેમ્બર મહિનામાં પૂંખીને ઇસબગુલ વાવ્યું. ચાર કિલો પ્રતિ હેક્ટરના માપે હું તો ૫૦૦ ગ્રામ ખાલી જોવા જ લઈ આવ્યો’તો. સૌ પહેલાં બીજને ૧ ગ્રામ મેટાલેક્ઝિલનો પટ આપ્યો, જમીનને આઠ-આઠ કિલો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપ્યાં. અને હા, વાવણી પહેલાં નિંદામણ માટે આઇસોપ્રોટુરોન દવાનો પણ છંટકાવ કર્યો. આમાં દોઢ મહિને તળછારાનો રોગ થાવા મંડે છે જેમાં બી કાળા પડી, ભૂંસીનું પ્રમાણ ઘટી જાય છે. મેં એની કાળજી રાખી અને મોલોમશીનું પણ નિયંત્રણ કર્યું. બન્ને માટે વનસ્પતિજન્ય જંતુનાશકો વાપર્યા. છેવટે ૧૧૦ થી ૧૩૦મા દિવસો દરમ્યાન કાપણી કરી અને સવા બસ્સો કિલા ઉત્પાદન મેળવ્યું.’
સિયાએ કહ્યું, ‘મથુરભાઈ, ઈસબગુલમાં જો નાઇટ્રોજન વધુ અપાઈ જાય તો પણ તળછારો થાય છે એટલે નાઇટ્રોજનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે તમે માર્ચની શરૂઆતમાં મીંઢી આવળ ૩૦ X ૩૦ સેમીના અંતરે વાવીને જુઓ. જો કે જૂનમાં એનો ચોમાસુ પાક પણ લઇ શકાય. એના બીજને એક રાત પાણીમાં પલાળી રાખવા. જેટલા બીજ ડૂબી જાય એટલાં જ વાવણીમાં વાપરવા જોઈએ. હેક્ટરે ૨૦ કિલો બીજની જરૂર પડશે. અને ખાતરમાં ૨૫-૨૫ કિલો નાઇટ્રોજન-ફોસ્ફરસ આપી, પૂર્તિ ખાતર તરીકે ફરી 30 દિવસે નાઇટ્રોજન આપવાનું. ઇસબગુલમાં તમે ૪ થી ૫ પિયત આપ્યા હશે. પણ આ મીંઢી આવળમાં જરૂર મુજબ અને તમારી કોઠાસૂઝ મુજબ આંતરખેડ, પિયત તથા નિંદામણ કરવું.’
જયરાજસિંહે પણ વાત સાંધતા કહ્યું, ‘થોડા વખત પહેલા ડોક્ટર સાહેબ મને મળ્યા હતા ત્યારે આ મીંઢી આવળની જ વાત કરતા હતા. કહેતા હતા કે એની પર્ણિકાઓમાં સેનોસાઈડ નામનું રસાયણ હોય છે. તેનું પ્રમાણ જેમ વધારે એમ પાન વધુ ઘેરા અને એમ એની કિંમત પણ વધુ મળે. કળી અવસ્થામાં એટલે કે વાવણી પછી ૫૦, ૭૦ કે ૯૦ દિવસે પાનની કાપણી કરીએ તો તેમાં સેનોસાઈડ તત્વ સૌથી વધુ અને લગભગ ૩.૩૩% જેટલું મળે છે. પરંતુ ત્યારે ઉત્પાદન ઓછું મળે છે. વધુ ઉત્પાદન માટે ૯૦, ૧૧૦ કે ૧૩૦ દિવસે કાપણી કરવી જોઈએ.’ અત્યાર સુધી મુંગા બેસી રહેલા નાથાએ પણ વાતમાં ઝંપલાવતા કહ્યું કે, ‘હા, બાપુ. તે’દિ હું’યે ન્યાંજ ઉભો’તો. સાઈબ કેતા’તા કે ઉનાળુ પાકમાં ૯૦ થી ૧૦૦ દિવસે અને ચોમાસુ પાકમાં ૧૧૦ થી ૧૩૦ દિવસે કાપણી કરવી જોઈએ. એનાથી અનુક્રમે બન્નેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ અને ૧૫૦૦ થી ૨૦૦૦ પર્ણિકાઓ હેક્ટરદીઠ મળે છે.’
મેનાબહેન બોલ્યા, ‘અને હા, કાલે મારે પણ ડોક્ટર સાહેબ સાથે વાત થઈ. તેમણે કહ્યું કે મીંઢી આવળમાં પાન એટલે ખાલી પાન હોવા જોઈએ. શીંગો કે ડાળીઓ સાથે આપશો તો વજન વધશે પણ સારી કિંમત નહીં મળે. તેમાં કળીઓ ન આવી હોય ત્યારે ૨.૫૯% સેનોસાઇડ હોય છે. કળીઓ કુમળી અને લીલી હોય ત્યારે ૨.૬% અને પાકી અને પીળી હોય અને ખૂલવાની તૈયારીમાં હોય ત્યારે સર્વાધિક ૩.૩૩%થી ૪% જેટલું સેનોસાઇડ મળે છે. જો એ સમય ચૂકી જાઓ અને ફૂલ આવી જાય તો ૨.૬૩% જ સેનોસાઇડ મળશે જે તમારી ગુણવત્તા પર અસર કરશે.’ બહાર કોઈક અવાજ આવતા મેનાબહેને અટક્યા. પણ પાછી વાત શરૂ કરી, ‘મેં પણ દિવાળી પેલા હેક્ટરે ૩ કિલોના માપે ૩૦ સેમીના અંતરે અસાળિયો વાવ્યો હતો. તેમાં પાકમાં ફૂલ અવસ્થામાં મોલો તથા હીરાફુદાનો ઉપદ્રવ થયો હતો પણ મેં વનસ્પતિજન્ય જંતુનાશકો વાપરી હીરાફુદાની ઇયળનું સમયસર નિયંત્રણ કર્યું અને ભરાવદાર ઘેરા રંગવાળા બીજ મેળવ્યા. પણ હવે ફરી વાવીશ તે પહેલા કિલોગ્રામ બીજ દીઠ ૧.૫ ગ્રામ કાર્બેંન્ડાઝીમ અને ૨ ગ્રામ કેપ્ટાન દવાનો પટ આપીશ.’
સિયાએ કહ્યું, ‘મેના બહેન, તમે તેમાં હેક્ટર દીઠ નાઇટ્રોજન ૩૦ અને ફોસ્ફરસ ૪૦ કિલોના માપે આપેલા ને?’ મેનાબહેન બોલ્યા, ‘હા, ૩૦ દિવસે ૩૦ કિલો પૂર્તિ નાઇટ્રોજન પણ આપેલું. ૨૦, ૪૦, ૬૦ અને ૮૦મા દિવસે પિયત આપી શરૂઆતમાં એક-બે નિંદામણ અને જરૂર પ્રમાણે આંતરખેડ કરી ૧૦૦ થી ૧૧૦માં દિવસે કાપણી કરી અને હેક્ટરદીઠ ૧૫૦૦ કિલોનું ઉત્પાદન મેળવ્યું. લો આ ડોક્ટર સાહેબ પણ આવી ગયા.’ દરવાજામાંથી આવતા ડો. અમનને જોઈને મેનાબહેને પોતાની વાત પુરી કરી.
સિયાએ કહ્યું, ‘અરે અમન, તું ચાલીને કેમ આવ્યો?’ અમન થાકેલો લાગતો હતો. તે આરામ ખુરશીમાં બેસતા બોલ્યો, ‘અરે, કોઇક તોફાનીએ ગાડીના ચારેય ટાયરમાંથી હવા કાઢી નાખી હોય એવું લાગ્યું. ગેરેજવાળા રહીમને બતાવ્યું તો મને કહે પંચર છે. બે-બે ત્રણ-ત્રણ ખીલીઓ પણ ટાયર્સમાંથી કાઢીને બતાવી. આપણી ગાડીમાં આવું વળી કોણ કરી શકે?’ ત્યાં બેઠેલા ગ્રામજનો ડોક્ટર સાહેબ સાથે થયેલ આ નવતર હેરાનગતિ અંગે અંદરોઅંદર વાતે ચડ્યા. સિયાએ શંકિત નજરે દૂર ક્ષિતિજ તરફ જોયું પણ શિશિરના વિખરાતા ધુમ્મસ સિવાય કંઇ મળ્યું નહીં. (ક્રમશઃ) 


શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???

મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ 
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.