મિત્રો, માનવ એ લાગણીઓનું મૂર્ત સ્વરૂપ છે.
જયારે તેના જીવનમાં દુઃખની એવી કોઈ ક્ષણો કે મુસીબતોનો માર પડે છે, ત્યારે તેને
સધિયારો આપવા માટે માતા-પિતા, સ્વજનો કે પરિવારનો સહારો મળે છે. ઘણી વખત પરિવારના
સાથ-સહકારથી પણ કોઈ પ્રશ્ન ન ઉકેલાતો ન હોય અથવા તો વ્યક્તિ પોતાની મુશ્કેલીઓ અંગે
કોઈને કશું જણાવે નહિ અને બસ અંદર અંદર ઘૂંટાયા કરતો હોય છે. ત્યારે એક એવું પાત્ર
તેને દુખ, તકલીફ, મુસીબતો સામે લડવાની પ્રેરણા અને મદદ કરે છે, જેને જગત મિત્ર
તરીકે ઓળખે છે. દુનિયા સામે લડતા લડતા બસ હારી જવાની કે તૂટી જવાની અણી પર માણસ હોય
ત્યારે તેને મળેલો એક સાચા મિત્રનો સધિયારો ફરી જીવી જવાનું અને ફરી ઝઝૂમવાનું પ્રેરક
બળ આપી જાય છે. મિત્રનો ખભો જગતનું સૌથી સુરક્ષિત સ્થાન હોય છે કે જ્યાં આપણી
લાગણીઓ સલામત રીતે સચવાય રહે છે.

મિત્રો, આપને લાગશે કે આજે સાવ કોઈ વાર-તહેવાર
વગર મિત્રતાનો વિષય ક્યાંથી આવ્યો ? પરંતુ જવાબ પણ એ પ્રશ્નમાં જ છુપાયેલ છે કે મૈત્રી
માટે કોઈ સમય-પ્રસંગની રાહ જોવાની થોડી હોય ! પરંતુ આજે આ વાત કરવાની ખાસ તો એટલે
ઈચ્છા થઇ આવી કે આજનો માણસ એટલું બધું ઝડપી અને ઉપરછલ્લું જીવન જીવે છે કે તે પોતે
જ જાણે પોતાનાથી અજાણ્યો હોય... આવી પરિસ્થિતિ સમગ્ર સમાજના હિતમાં કદાપી ન હોઈ
શકે. વેપાર-ધંધા કે સગવડિયા સંબંધોના યુગમાં ફરી જરૂર છે નિ:સ્વાર્થ, નિખાલસ
મૈત્રીપૂર્ણ સંબધોના વાતાવરણની.
મૈત્રીના ઉદાહરણ તરીકે મોટેભાગે
શ્રીકૃષ્ણ-સુદામાનું નામ લેવાતું હોય છે, પરતું કર્ણ અને દુર્યોધનની મિત્રતા તલભાર
પણ ઓછી નથી. આવો, આપણે પણ સહુ સાથે આડંબર રહિત મિત્રો જેવું સહજ અને સરળ જીવન
જીવવાની શરૂઆત કરીએ. અને સંબંધોની સમૃદ્ધ ખેતી વડે રાષ્ટ્રને હરિયાળા વિકાસપથ પર
લઇ જઈએ.
સૌ મિત્રોને અંત:સ્તલ થી શુભકામનાઓ સાથે...
No comments:
Post a Comment