તહેવારોનું તત્વ
દિવાળીનું પર્વ આવી રહ્યું છે. દિવાળી એટલે
ઉજાસનો, આનંદનો તહેવાર. બાહ્ય રીતે તો દિવાળી ફટાકડા, નવા કપડા, ફૂલો, રંગોળી, મિઠાઈઓ તથા શુભેચ્છાઓ દ્વારા ઉજવવામાં આવે છે. પરંતુ
ખરી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે. જેની ઉજવણી ત્યારે જ થઇ ગણાય જ્યારે
હૃદયમાં સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને સત્ય માટેની જાગૃતિ આવે. આપણે ત્યાં પ્રદેશે-પ્રદેશે
દિવાળીની કથા અલગ છે પરંતુ આ તમામનો અંતિમ સાર એકસરીખો છે. ભારત અને નેપાળના
મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા
વર્ષના અઢળક પાક માટે અદ્રશ્ય ઈશ્વરનો આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા ભવિષ્યની
પ્રાર્થના કરે છે.
![]() |
तमसोमा ज्योतिर्गमय |
ભારતીય સંસ્કૃતિ મુજબ આ તહેવારની અધિષ્ઠાત્રી
દેવી લક્ષ્મી છે. લક્ષ્મી એટલે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક. આ દિવસોમાં લક્ષ્મી
સાથે વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. આ વિવિધ દેવતાઓને
ધાર્મિક દ્રષ્ટીએ જોવાનું રહેવા દઈ માત્ર પાંચ તત્વ તરીકે જોઈએ તો પણ તેનું મહત્વ
જાણવા જેવું છે. કુબેર એ મહેનતપૂર્વક ઉત્પન્ન કરાયેલ સંપત્તિનું પ્રતીક છે. ઇન્દ્ર
એ સાત્વિક સંપત્તિ થકી મળતા કીર્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ગણેશ એ જરૂર પુરતું
રાખી લઇ બાકીની સંપત્તિ, સમૃદ્ધિના લોક કલ્યાણ અર્થે કરાતા વહનનું પ્રતીક છે અને
વિષ્ણુ એ સેવા, પરોપકારથી મળતા આંતરિક આનંદ અને સંતોષનું પ્રતીક છે. જ્યારે દેવી
લક્ષ્મી એટલે એવી દૈવી શક્તિ કે જે ઉપરોક્ત તમામને પોતપોતાના કાર્યો માટે આવશ્યક
ઊર્જા પૂરી પાડે છે.
સનાતન હિંદુ હોય કે પછી અન્ય કોઈ પણ ધર્મનો
માણસ હોય. તે પોતાના તહેવારોને મન ભારીને માણવા હંમેશા તત્પર હોય છે. આજે જ્યારે ચિંતાના
બોજ તળે દબાયેલી, ઢસડાતી જીંદગી માણસની પરિસ્થિતિ અનુસાર જીવનરીતિ બદલતી રહે છે.
ત્યારે આવા તહેવારોને મનમાં ઉમંગ અને હૈયે હરખ ભરીને માણવા જરૂરી હોય છે. આ તહેવારો
અને તેના માધ્યમથી ચાલતા પરસ્પરના વહેવારો જ માણસને માણસ તરીકે જીવંત રાખવાનું અને
કુટુંબ, સગા-સબંધી,
મિત્રો અને સ્નેહીઓ સાથે એકસૂત્રે બાંધી
રાખવાનું અદભૂત કામ કરે છે.
દિવાળીના આ શુભ પ્રસંગે હું દરેક વાંચકો અને
ખેડૂત ભાઈઓ-બહેનોને તેમના ઘરમાં ખુશહાલીના દીવડાઓ પ્રગટે અને દરેકના જીવનમાં ખુશીઓ
અને સમૃધ્ધિનો ભંડાર છલકાય તેવી સમગ્ર સમૃદ્ધ ખેતી પરિવાર વતી હાર્દિક શુભકામના
પાઠવું છું.
ચાલો, આજે નાનો પણ દિવાળીની દીપમાળા જેવો ઝગમગતો સંક્લપ
કરીએ કે. રાષ્ટ્રને સમૃદ્ધ ખેતી દ્વારા હરિયાળા ઉજાશથી પ્રકાશિત વિકાસમાર્ગ પર
અગ્રેસર કરીશું.
No comments:
Post a Comment