Tuesday, 8 November 2016

ભૂમિસેવક


મિત્રો, આમ તો છેલ્લા ઘણા સમયથી સમૃદ્ધ ખેતીમાં આ અંકના જે મુખ્ય વિષયવસ્તુ છે એ લોકો અંગે લખવાનું વિચારતો હતો કે જેઓ ‘કૃષિક્ષેત્રે સેવારત અસલી ખેડૂત’ છે. એટલે કે એવા કૃષિ કર્મીઓ કે જેમની પોતાની જમીન નથી પરંતુ બીજા ખેડૂતોની જમીનમાં ભાગ રાખીને અથવા તો છૂટક દાડી-મજૂરી કરીને ખરા અર્થમાં ખેતી કરે છે. સામાન્ય રીતે લોકો તેઓ માટે ‘ખેતમજૂર’ નામ પ્રયોગ કરે છે. પરંતુ તે કરતા હું તેઓ માટે ‘ભૂમિસેવક’ નામ વધારે યથાર્થ સમજુ છું.
આજે જયારે ખેડૂત પરિવારના યુવાન દીકરા-દીકરીઓ ભણીગણીને નોકરી-ધંધા માટે શહેર તરફ ગાડરિયા પ્રવાહ પેઠે દોટ મુકે છે ત્યારે ગામડામાં વેચાણની રાહે પડી રહેલ અથવા તો કહોને કે વેચાતા બચી ગયેલ ખેતીને સાચવવાની અને જીવતી રાખવાની જવાબદારી વૃદ્ધ પેઢીના ખભા પરથી ઉતરી શકી નથી. અને આ વડીલો પોતાના સિદ્ધાંતો કે મજબૂરીને લઈને ખેતી કરી રહ્યા છે. જોકે શારીરિક રીતે થાકી ચૂકેલ આ પુરાતન પેઢીના ખેડૂતોને ટેકો આપવા માટે જેઓ પોતાનું વતન છોડીને બે પૈસા કમાવા આવ્યા છે અને તેમના ખેતી કાર્યમાં સહાય કરે છે તે ભૂમિસેવકો ખરેખર વંદનીય છે. કેટલીક જગ્યાએ મેં જોયું છે કે આવા પરપ્રાન્તીય કે આદિવાસી મૂળના ભુમિસેવકો પોતાના જમીન માલિક વડીલોની સગા સંતાનો કરતા પણ વધારે સેવા કરતા હોય છે. જોકે હાલના સમયમાં ખરા રણમાં મીઠી વીરડી સમાન આવા સારા દ્રષ્ટાંતો જોવા મળવા દિન-પ્રતિદિન દુર્લભ બનતા જાય છે અને મારા મતે તેનું એક કારણ કદાચ સર્વત્ર વધી રહેલો ભૌતિકવાદ પણ છે.
Shree Pandurang Shastri ji
મિત્રો, એક સમય હતો જયારે ગુજરાત-મહારાષ્ટ્રના ગામડે-ગામડે પૂ.પાંડુરંગ દાદા પ્રેરિત સ્વાધ્યાય પરિવારના કર્મ-ભક્તિ સિદ્ધાંત મુજબ ઈશ્વરીય કાર્ય ગણી ખેતી કરવામાં આવતી હતી. જીવભાવનાના પાઠ, ભાવફેરીઓ અને યોગેશ્વર કૃષિના પ્રયોગોથી ગ્રામ્ય જીવન ધબકતું હતું. અને તેના ફળરૂપે ખેડૂતો-ભૂમિસેવકોના સંબંધો તેમજ કૃષિ આધારિત વેપાર-ધંધામાં નીતિમત્તા તેમજ શુદ્ધતા ઝળકતી હતી. પરંતુ દુર્ભાગ્યે હવે આવા માનવીય મૂલ્યો અને નૈતિકતાના ઉદાહરણો ઓછા થઇ રહ્યા છે. અહી કોઈ વિશિષ્ટ મત-પંથની વાહવાહી કે આલોચના કરવાનો કે ધાર્મિકતા ફેલાવવાનો આશય નથી પરંતુ કૃષિ જેવા પવિત્ર વ્યવસાયમાં છેલ્લા એક-દોઢ દશકાથી પ્રવેશી ચૂકેલ બદીઓ સામે યુદ્ધે ચડવાની વાત છે. તેમજ તેનાથી બચવા હજુ પણ સમય રહેતા જાગી જવાનો અંગુલી નિર્દેશ છે. 
મિત્રો, વિક્રમ સંવતના નવા આરંભાયેલ ૨૦૭૩ના આ વર્ષની નવલી પ્રભાતે આપણે એક સંકલ્પ લઈએ કે પોતપોતાના વેપાર-ધંધામાં હૃદયપૂર્વક નૈતિકતાની ચરમસીમાએ પહોંચીને આપણા વ્હાલુડાં રાષ્ટ્રને સમૃદ્ધ ખેતીના માર્ગે હરિયાળા વિકાસ તરફ આગળ ને આગળ ધપાવીશું... બસ એજ શુભકામનાઓ સાથે સૌ વાચક મિત્રોને નવા વર્ષના જાજા કરીને રામ...રામ...

No comments:

Post a Comment