Thursday, 26 May 2016

માનવીનું સાચું સ્વરૂપ – ૪

સ્વામી વિવેકાનંદ

સર્વોચ્ચ તત્વવેત્તાઓની ભાષામાં અને બાળકોના શબ્દોમાં ફેર માત્ર તારતમ્યનો હોય છે, વસ્તુનો નહીં. જેને તમે આજે સાચી, પદ્ધતિસરની અને ગણિતશાસ્ત્ર જેવી ચોક્કસ ભાષા કહો છો તેમાં, અને પ્રાચીનોની અસ્પષ્ટ, રહસ્યમય અને પૌરાણિક ભાષામાં માત્ર તારતમ્યનો જ તફાવત છે. તે સૌની પાછળ એક ભવ્ય વિચાર હોય છે, અને જાણે કે, બહાર વ્યક્ત થવાની તે મથામણ કરી રહ્યો હોય છે. કેટલીક વાર તો આ પ્રાચીન પુરાણકથાઓની પાછળ નક્કર સત્યો પડેલાં હોય છે. અને મને કહેતાં દિલગીરી થાય છે કે આજના જમાનાના લોકોના ચળકતાં સુંદર શબ્દો ઘણીવાર તો સાવ અર્થહીન જ હોય છે. એટલે અમુક વાત પુરાણની કથામાં કહેવાયેલ છે, તથા અમુક ભાઈના અથવા અમુક બાઈના ખ્યાલો સાથે બંધબેસતી થતી નથી, માત્ર એટલા જ કારણસર તેને ફેંકી દેવી ન જોઈએ. અમુક પયગંબરોએ શીખવેલ દંતકથાઓ માણસે માનવી જ જોઈએ એમ ઘણાખરા ધર્મો શીખવે છે. એ કારણસર જ જો લોકો ધર્મની મજાક ઉડાવતા હોય, તો તેમણે આ આધુનિક લોકોની ઊલટી વધારે મજાક ઉડાવવી જોઈએ. આધુનિક જમાનામાં જો કોઈ માણસ મોઝીઝ, બુદ્ધ અગર ઈશુ ખ્રિસ્તને ટાંકીને કોઈ વાત કરે તો લોકો તેની મજાક ઉડાવવાના; પણ જો તે હકસલી, ટિન્ડેલ અગર ડાર્વિનને નામે વાત કરે, તો લોકો તે વાત જેમની તેમ ગળે ઉતારી જવાના. હકસલીએ આ પ્રમાણે કહેલ છેએટલું જ વિધાન ઘણાને માટે બસ થઈ પડે છે. જરૂર, આપણે વહેમથી મુક્ત છીએ ખરા ! પેલો જો ધાર્મિક વહેમ હતો, તો આ વૈજ્ઞાનિક વહેમ છે; ફેર માત્ર એટલો જ કે તે વહેમમાંથી આધ્યાત્મિકતાના જીવનપ્રદ વિચારો આવ્યા હતા, જ્યારે આ આધુનિક વહેમમાંથી કામ અને લોભ જન્મે છે. પેલા વહેમમાં ઈશ્વરની પૂજા હતી જ્યારે આધુનિક વહેમમાં ગંદા પૈસા, કીર્તિ અને સત્તાની ઉપાસના છે. તફાવત માત્ર એટલો જ છે.

ફરી પાછા આપણે પુરાણોની વાતો ઉપર આવીએ. આ બધી વાતોની પાછળ આપણે એક વિચારને ખૂબ જ આગળ તરી આવતો જોઈએ છીએ : મનુષ્ય પોતે જે હતો તેના કરતાં નીચે ઊતરી ગયો છે. અત્યારના જમાનાની વાત કરીએ તો, આધુનિક શોધખોળો આ સ્થિતિને તદ્દન ખોટી પાડતી દેખાય છે. ઉત્ક્રાંતિવાદીઓ આ વિધાનનો સદંતર વિરોધ કરતા લાગે છે. તેમના મત પ્રમાણે માણસ મૃદુકાય પ્રારંભિક કીડામાંથી વિકાસ પામેલ છે અને તેથી પુરાણની વાતો સાચી હોઈ શકે નહીં. છતાં ભારતમાં એવું એક પુરાણ છે કે જે આ બંને સ્થિતિઓનો સમન્વય સાધી શકે છે. ભારતની પુરાણકથાઓમાં કલ્પનો એક સિદ્ધાંત છે. તેમાં કહે છે કે બધી ઉત્ક્રાંતિ મોજાના રૂપમાં હોય છે. દરેક મોજાની પાછળ એક ખાડો હોય છે અને તેની પાછળ પાછું મોજું ઊભું થાય છે. આ ગતિ ચક્રાકાર હોય છે. આધુનિક શોધખોળને પરિણામે પણ તે હકીકત ખરી છે, કે મનુષ્ય માત્ર ઉત્ક્રાંતિનું જ પરિણામ ન હોઈ શકે. પ્રત્યેક ઉત્ક્રાંતિ અપક્રાંતિ સૂચિત કરે છે. આજે વૈજ્ઞાનિક જમાનાનો માણસ તમને કહેશે કે યંત્રમાં તમે અગાઉથી જેટલી શક્તિ ભરી હોય તેટલી જ શક્તિ તેમાંથી તમને મળી શકે; શૂન્યમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકે નહીં. જો માણસનો વિકાસ મૃદુકાય કીડામાંથી થયો હોય તો પૂર્ણ માનવ, બુદ્ધ કે ક્રાઈસ્ટ પણ આવા કીડામાં અવ્યક્ત સ્વરૂપમાં રહેલા જ હોવા જોઈએ. જો તેમ ન હોય તો આ મહાન પુરુષો આવ્યા ક્યાંથી ? શૂન્યમાંથી વસ્તુ ઉત્પન્ન થાય નહીં. આમ આપણે પુરાણોનો આધુનિક વિચારોની સાથે સમન્વય સાધી શકીએ છીએ. જે શક્તિ ધીમે ધીમે જુદી જુદી સ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે અને છેવટે પૂર્ણ માનવ રૂપે વિકસે છે, તે સાવ શૂન્યમાંથી તો આવી શકે જ નહીં. તેનું અસ્તિત્વ ક્યાંક પણ હતું જ, અને જો તેના પ્રારંભિક મૂળ તરીકે મૃદુકાય કીડો કે એકકોષી જીવ માનો, તો તે કીડા અને એકકોષી જીવમાં કોઈપણ રીતે એ શક્તિ રહેલી હોવી જ જોઈએ. [ક્રમશ:]

No comments:

Post a Comment