–
સ્વામી વિવેકાનંદ

ફરી પાછા આપણે પુરાણોની વાતો ઉપર આવીએ. આ બધી વાતોની
પાછળ આપણે એક વિચારને ખૂબ જ આગળ તરી આવતો જોઈએ છીએ : મનુષ્ય પોતે જે હતો તેના
કરતાં નીચે ઊતરી ગયો છે. અત્યારના જમાનાની વાત કરીએ તો, આધુનિક
શોધખોળો આ સ્થિતિને તદ્દન ખોટી પાડતી દેખાય છે. ઉત્ક્રાંતિવાદીઓ આ વિધાનનો સદંતર
વિરોધ કરતા લાગે છે. તેમના મત પ્રમાણે માણસ મૃદુકાય પ્રારંભિક કીડામાંથી વિકાસ
પામેલ છે અને તેથી પુરાણની વાતો સાચી હોઈ શકે નહીં. છતાં ભારતમાં એવું એક પુરાણ છે
કે જે આ બંને સ્થિતિઓનો સમન્વય સાધી શકે છે. ભારતની પુરાણકથાઓમાં કલ્પનો એક
સિદ્ધાંત છે. તેમાં કહે છે કે બધી ઉત્ક્રાંતિ મોજાના રૂપમાં હોય છે. દરેક મોજાની
પાછળ એક ખાડો હોય છે અને તેની પાછળ પાછું મોજું ઊભું થાય છે. આ ગતિ ચક્રાકાર હોય
છે. આધુનિક શોધખોળને પરિણામે પણ તે હકીકત ખરી છે, કે મનુષ્ય માત્ર ઉત્ક્રાંતિનું જ પરિણામ ન હોઈ શકે.
પ્રત્યેક ઉત્ક્રાંતિ અપક્રાંતિ સૂચિત કરે છે. આજે વૈજ્ઞાનિક જમાનાનો માણસ તમને
કહેશે કે યંત્રમાં તમે અગાઉથી જેટલી શક્તિ ભરી હોય તેટલી જ શક્તિ તેમાંથી તમને મળી
શકે; શૂન્યમાંથી
કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકે નહીં. જો માણસનો વિકાસ મૃદુકાય કીડામાંથી થયો હોય તો
પૂર્ણ માનવ, બુદ્ધ
કે ક્રાઈસ્ટ પણ આવા કીડામાં અવ્યક્ત સ્વરૂપમાં રહેલા જ હોવા જોઈએ. જો તેમ ન હોય તો
આ મહાન પુરુષો આવ્યા ક્યાંથી ? શૂન્યમાંથી વસ્તુ ઉત્પન્ન થાય નહીં. આમ આપણે પુરાણોનો
આધુનિક વિચારોની સાથે સમન્વય સાધી શકીએ છીએ. જે શક્તિ ધીમે ધીમે જુદી જુદી
સ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે અને છેવટે પૂર્ણ માનવ રૂપે વિકસે છે, તે સાવ
શૂન્યમાંથી તો આવી શકે જ નહીં. તેનું અસ્તિત્વ ક્યાંક પણ હતું જ, અને જો
તેના પ્રારંભિક મૂળ તરીકે મૃદુકાય કીડો કે એકકોષી જીવ માનો, તો તે
કીડા અને એકકોષી જીવમાં કોઈપણ રીતે એ શક્તિ રહેલી હોવી જ જોઈએ. [ક્રમશ:]
No comments:
Post a Comment