–
સ્વામી વિવેકાનંદ

બાઈબલના જૂના
કરારમાં આવતી જલપ્રલયની વાર્તા તમે સારી રીતે જાણો છો. બેબીલોનના પ્રાચીન વતનીઓમાં, ઈજિપ્તના લોકોમાં, ચીનના લોકોમાં તથા
હિંદુઓમાં પણ એ જ કથા પ્રચલિત હતી. મનુ નામે એક પ્રાચીન મહાન મુનિ ગંગા નદીને
કિનારે તપ કરતા હતા, તે વખતે એક નાની માછલી તેમની પાસે રક્ષણાર્થે આવી. મનુએ તે માછલીને પોતાની
પાસે પાણીથી ભરેલા નાના કમંડળમાં રાખી લીધી. મનુએ તેને પૂછ્યું : ‘તારે શું જોઈએ છે ?’ પેલી નાની માછલીએ
કહ્યું : ‘મોટી માછલીઓ મારી પાછળ પડે છે તેથી તેમનાથી મારું રક્ષણ કરો.’ મનુ તે નાની
માછલીને પોતાને ઘેર લઈ ગયા. બીજે દિવસે સવારે તેમણે જોયું માછલી તો કમંડળ જેવડી
મોટી થઈ ગઈ છે.
મનુને જોતાં જ
માછલી બોલી : ‘હવે હું આ કમંડળમાં વધારે વખત સમાઈ શકું તેમ નથી.’ મનુએ તેને તળાવમાં
મૂકી. બીજે દિવસે તે તળાવ જેવડી મોટી થઈ ગઈ અને કહ્યું કે હું તળાવની અંદર સમાઈ
શકતી નથી. તેથી મનુ તેને નદીમાં લઈ ગયા અને બીજે દિવસે તે માછલી નદી જેવડી મોટી થઈ
ગઈ. પછી મનુએ તેને સમુદ્રમાં મૂકી. ત્યારે તે માછલી બોલી : ‘મનુ ! હું આ જગતનો
સ્રષ્ટા છું, અને તને સાવચેત કરવા માટે મેં આ રૂપ ધારણ કરેલ છે. હું આ જગતનો પ્રલય કરવા
માગું છું. તું એક નાવ બનાવ અને તેમાં દરેક પ્રકારના પ્રાણીની એકએક જોડી મૂકીને
તારા કુટુંબને અંદર બેસાડી દે. પ્રલયના જળમાંથી મારું એક શીંગડું બહાર આવશે, તેની જોડે નાવને
બાંધી દેજે, અને જ્યારે જલપ્રલય શાંત થઈ જાય ત્યારે તું બહાર આવીને દુનિયાને વસાવજે.’ આ પ્રમાણે આખા જગત
ઉપર જલપ્રલય ફરી વળ્યો અને મનુએ પોતાના કુટુંબને તથા દરેક જાતના પ્રાણીના એક એક
જોડકાંને અને દરેક છોડના બીજને બચાવ્યાં. જ્યારે પ્રલય શાંત થયો ત્યારે મનુએ
દુનિયાને ફરી નવેસરથી વસાવી. આપણે સહુ ‘માનવ’ તરીકે ઓળખાઈએ છીએ, તેનું કારણ એ છે કે આપણે મનુના વંશજો છીએ.
હવે, માનવ ભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે.
મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા, સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે તે એક બાળક પણ, સર્વોચ્ચ
તત્વજ્ઞાન વ્યક્ત કરવાની કોશિશ કરી રહ્યું હોય છે; માત્ર બાળક પાસે તે વ્યક્ત કરવાની ઈન્દ્રિયો કે સાધન નથી.
[ક્રમશ:]
No comments:
Post a Comment