Saturday, 21 May 2016

માનવીનું સાચું સ્વરૂપ - ૧

માનવીનું સાચું સ્વરૂપ - ૧
સ્વામી વિવેકાનંદ

મહાપુરુષોના જીવન વિશે કદાચ આપણે બહું થોડું જાણતાં હોઈએ છીએ,. પરંતુ તેઓ કઈ દ્રષ્ટિએ મહાન છે, તેમનું જીવનદર્શન શું હતું, તેમના વિચારો કેવા હતા વગેરે વિશે આપણને કશો ખ્યાલ હોતો નથી. તેમના વિશાળ ચિંતનનો આપણને લાભ મળે તે માટે તેમને ઊંડાણથી જાણવા ખૂબ જરૂરી છે. સ્વામી વિવેકાનંદના જીવનદર્શન વિષયક વિચારો આપણને અંદરથી જાગૃત કરે છે. સ્વામીજીએ લંડન ખાતે આપેલ પ્રવચન આ લેખ દ્વારા ધારાવાહિક સ્વરૂપે પ્રગટ કરી રહ્યા છીએ.
------------------------------- 
મનુષ્ય ઈન્દ્રિયોને ખૂબ જ ચીકટાઈથી વળગી રહે છે; છતાં પણ જેમાં પોતે જીવે છે અને હરેફરે છે તે બાહ્ય જગતને તે ભલે ગમે તેટલું સાર-વાળું માને, છતાં વ્યક્તિઓના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તેમના મનમાં આપોઆપ જ સવાલ ઊઠે છે : શું આ સાચું છે ?’ જે માણસને પોતાની ઈન્દ્રિયોની પ્રામાણિકતા વિશે સવાલ કરવાની એક ક્ષણ પણ હોતી નથી, જેની પ્રત્યેક પળ ઈન્દ્રિયનો કોઈને કોઈ ભોગ ભોગવવામાં પસાર થતી હોય છે, તેને પણ મૃત્યુ આવે જ છે અને ફરજિયાતપણે સવાલ પૂછવો પડે છે : શું આ સાચું છે ?’ ધર્મની શરૂઆત આ પ્રશ્નથી થાય છે, અને એ પ્રશ્નનો જવાબ મળે એટલે તેનો અંત આવે છે. દૂર દૂરના ભૂતકાળમાં પણ કે જ્યાં આપણને લેખિત ઈતિહાસ મદદ કરી શકતો નથી, પુરાણોના રહસ્યમય પ્રકાશમાં, અતિ દૂર સંસ્કૃતિની શરૂઆતના ઝાંખા અજવાળામાં પણ, આપણે જોઈએ છીએ કે, એ જ પ્રશ્ન પુછાયો હતો : આનું શું થાય છે ?’ ‘સત્ય શું છે ?’


ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છે : જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ જાહેર કરે છે કે તે માણસ કાયમને માટે ચાલ્યો ગયો છે, જ્યારે બીજો પક્ષ ભારપૂર્વક કહે છે કે તે હજુ જીવતો છે. આ બેમાંથી સાચું કયું ?’ આ સવાલના જુદા જુદા જવાબો અપાયા છે. અધ્યાત્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને ધર્મનું સમગ્ર ક્ષેત્ર આ પ્રશ્નના જુદા જુદા જવાબો વડે ખરેખર ભરાઈ ગયું છે. સાથે સાથે આ પ્રશ્નને દબાવી દેવાના પણ પ્રયત્નો થયેલા છે. આનાથી પર શું છે ? સાચું શું છે ?’ આ સવાલ પૂછતા મનની અદમ્યતાને રોકવાના પ્રયત્નો પણ થયેલા છે. પરંતુ મૃત્યુ જ્યાં સુધી રહેલું છે, ત્યાં સુધી એ પ્રશ્ન દબાવી દેવાના આ બધા પ્રયત્નો હંમેશાં નિષ્ફળ જ પુરવાર થશે. ઈન્દ્રિયોથી પર કંઈ પણ દેખાતું નથી એવી વાતો આપણે ભલે કરીએ; આપણી બધી આશાઓ અને તમન્નાઓને માત્ર વર્તમાન ક્ષણ પૂરતી જ મર્યાદિત રાખીએ, અને ઈન્દ્રિયોની દુનિયાથી પર કશાનો પણ વિચાર ન કરવાને માટે આપણે ખૂબ મહેનત પણ કરીએ, અને કદાચ બહારની બધી વસ્તુઓ આપણને આ દુનિયાની સાંકડી મર્યાદાઓમાં બંધાયેલા રાખવામાં મદદ પણ કરે છે. આપણને વર્તમાનથી આગળ વધીને વિશાળ બનતા અટકાવવામાં આખી દુનિયા ભલે એકઠી થાય, છતાં જ્યાં સુધી મૃત્યુ છે, ત્યાં સુધી આ પ્રશ્ન ફરી ફરીને પણ ઉદ્દભવશે જ કે જે બધી વસ્તુઓને સાચામાં સાચી અને સૌથી વધુ સારભૂત માનીને આપણે વળગી રહીએ છીએ, તે બધીનો અંત શું મૃત્યુ જ છે ?’ જગત એક ક્ષણમાં વિનાશ પામે છે, અને સદાને માટે હતું ન હતું થઈ જાય છે. જેની પેલી પાર અતલ ખાઈ આવેલી છે, તે સીધી કરાડને કાંઠે ઊભા રહીને, દરેક મન, ગમે તેવું સખત અને દઢ હોય તો પણ ડરથી જરૂર પાછું હટીને પ્રશ્ન ઉઠાવશે : શું આ સાચું છે ?’ એક મહાન મનની તમામ શક્તિઓ વડે ધીમે ધીમે બંધાયેલી જીવનભરની આશાઓ એક ક્ષણમાં અદશ્ય થઈ જાય છે. શું તે બધી આશાઓ સત્ય છે ? આ પ્રશ્નનો જવાબ મળવો જ જોઈએ. સમય જતાં તે પ્રશ્નનું જોર ઘટવાને બદલે વધે છે. વળી સુખી બનવાની આશા વિશે પણ વિચારવાનું છે. [ક્રમશ:]

No comments:

Post a Comment