Thursday, 19 May 2016

વાવેતરથી એંઠવાડ સુધી

ખેડૂત ભાઈઓ અને બહેનો,
કુશળ હશો.

મિત્રો, આજકાલ વોટ્સએપ અને ફેસબુક જેવા સોશ્યલ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે; ‘જ્યારે તમે જમવા બેસો ત્યારે ચોક્કસ પ્રાર્થના કરજો કે તમારી થાળીમાં આવેલ અનાજ ઉગાડનાર પણ ભૂખ્યો ન રહે.’ સમાજમાં ફેલાતી આવી સદભાવના ખૂબ જ આનંદદાયક છે. પરંતુ સાથોસાથ એક એ ડર પણ છે કે ક્યાંક આવી સારી વાતો માત્ર સોશ્યલ મીડિયામાં લખવા-વાંચવા સુધી જ સીમિત તો નથી રહી ગઈને ? શારીરિક પોષણ પુરૂ પાડતા અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધ વગેરે ભલે પૈસા ખરચીને ખરીદતા હોઈએ. પરંતુ જો તેનો સદઉપયોગ ન થાય તો....? તો પરસેવો સીંચીને તે ઉપજાવનાર ખેડૂત પ્રત્યે દ્રોહ કર્યો ગણાય, ગુણો કર્યો ગણાય. હાલમાં તડામાર લગ્નગાળો ચાલી રહ્યો છે. એક પ્રસંગ પૂરો કરીને ઘરે પહોંચીએ ત્યાં બીજા અનેક આમંત્રણો આપણી રાહ જોતા હોય છે. આપને થશે કે અનાજની વાતમાંથી સીધા લગ્નપ્રસંગમાં ક્યાં પહોંચી ગયા ?
મિત્રો, પશ્ચિમના દેશોમાંથી ઘણી અનાવશ્યક પ્રથાઓ, આપણાં દેશમાં પાછલે દરવાજેથી દાખલ થતી જોઈ શકાઈ છે. તેમાંની એક એટલે બુફે પ્રથા. અગાઉ હારબંધ પલાંઠીવાળીને બેસવાની જે પ્રથા હતી તેમાં ક્યા ખામી હતી ? આ અંગે વિચારવા જેવું છે. સારતિયા યુવાનો આવીને પીરસે, જમનાર પોતાની રુચિ અનુસાર જરૂરી વાનગી જ લે અને શાંતિથી જમે. આમાં રાંધેલા અનાજનો બગાડ ઓછો થાય. ઉગાડનારાઓની મહેનત લેખે લાગે.
આજે ટૂંકા સમયમાં પ્રસંગ પતાવવાની ઉતાવળ અને પીરસણીયાઓની કમીને કારણે પંગતપ્રથા લુપ્ત થઇ રહી છે. પરંપરાગત પંગતમાં અથવા ટેબલ ખુરશી પર પરંતુ બેસાડીને જમાડવાની પ્રથા જ ઉત્તમ છે. આવા જમણમાં ખોરાકના વધ-ઘટ બગાડનો આધાર ખાસ તો પીરસનારાંઓ પર રહે છે. પીરસનારાંઓ જમનારાંઓને જરૂરત પ્રમાણે વધુ-ઓછું આપવામાં જેટલાં કાબેલ તેટલો બગાડ ઓછો થાય. જ્યારે બુફેમાં હાથમાં ડીસ લઈને ખૂટતી વાનગી ફરીથી લેવા નીકળવું ન પડે એટલે કેટલાય લોકો થાળીમાં બે માળ જેટલી વાનગીઓ ભરીને આવે છે. જેનું અંતે એંઠવાડગમન થાય છે.
આમ છતાં જ્યાં બુફે ભોજન કરાવવું અનિવાર્ય જ હોય ત્યાં જો કેટલીક કાળજી લેવામાં આવે તો ખાદ્ય પદાર્થોનો થતો બગાડ અટકાવી શકાય છે. જેમકે, અત્યારે ‘બુફે’માં દરેક કાઉન્ટર ઉપર કઈ કઈ વાનગીઓ છે તે જાણતા ન હોવાથી મોટાભાગે બધી જ વાનગીઓ લેવાનું ચલણ હોય છે અને પછી જો તે ન ભાવે કે ન ફાવે તે એંઠવાડમાં જાય છે. આમ થતું અટકાવવા માટે ભોજન સ્થળે અથવા તો આમંત્રણ પત્રમાં જ વાનગીઓનું લીસ્ટ (મેનુ) પ્રદર્શિત કરી શકાય. જેથી જમવા આવનાર વ્યક્તિ પોતાને મનગમતી વાનગીઓ લેવાનું આયોજન કરી શકે. “વધુ વાનગીઓ રાખવાથી યશ મળશે અને બધા વખાણ કરશે...” આવા મોહમાંથી બહાર આવીને યજમાને મર્યાદિત વાનગીઓ બનાવવી જોઈએ. વધુ વાનગીઓમાં ખર્ચ ન કરતા તે બચાવીને સારી વ્યવસ્થામાં ખર્ચ કરવો જોઈએ એટલે કે ભીડ ન થાય અને દરેકને જેટલીવાર જોઈએ એટલીવાર સુલભતાથી મળી રહે તે પ્રમાણે ભોજન વ્યવસ્થા ગોઠવવાથી એકી સાથે બધુ થાળીમાં લઈ લેવાની વૃત્તિમાંથી લોકો બહાર આવશે અને બગાડ અટકશે.
મિત્રો, ખેડૂતોએ રાત-દિવસ જોયા વગર પોતાના લોહી-પરસેવાથી સીંચીને ઉપજાવેલ અનાજનો એક દાણો પણ જો એંઠવાડમાં જતો બચાવી શકીએ તો જગતના તાતનું થોડું ઘણું ઋણ ચૂકવ્યું ગણાશે.
ચાલો, આપણે અન્નનો આદર કરીને તેને એંઠવાડમાં જતું અટકાવવાનો પ્રયત્ન કરીએ અને રાષ્ટ્રને હરિત વિકાસના માર્ગે આગળ વધીએ સમૃદ્ધ ખેતી તરફ...

આપનો,

નરેન્દ્ર વાઘેલા

No comments:

Post a Comment