Friday, 20 May 2016

ત્રણ વાત...

ત્રણ વાત...

ખેડૂત ભાઈઓ અને બહેનો,
કુશળ હશો.
મિત્રો, આજે મારે આપની સાથે જે ત્રણ વાતો કરવી છે, તેમાં પ્રથમ છે “પ્રધાનમંત્રી પાક વીમા યોજના’. ઘણા ખેડૂતમિત્રો વારંવાર પૃચ્છા કરતા હતા કે આ નવી યોજના કેવી છે ? માટે આ અંગે કૃષિ તીર્થ જુનાગઢ કૃષિ યુનીવર્સીટી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે સેવારત શ્રી ડૉ.એ.એમ. પારખીયા સાહેબ સાથે યુનીવર્સીટી કેમ્પસમાં યોજાયેલ ‘ઇનોવેટીવ ફાર્મર્સ મીટ’ દરમ્યાન વાત કરી. તેઓએ તાત્કાલિક ધોરણે વિગતવાર માહિતી આપતો વિશેષ લેખ તૈયાર કરી મોકલી આપ્યો. (પૃષ્ઠ ૧૮)
મિત્રો, ઘણી વખત આપણે જાણકારીના અભાવને કારણે કે આપણી પાસેની અપૂરતી માહિતીને કારણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવતી વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ લઇ શકતા નથી અથવા તો જે-તે યોજનાનો વિરોધ કરતા હોઈએ છીએ. આવું જ કદાચ ખેતી માટેના જરૂરી દસ્તાવેજો, વિવિધ યોજનાના ફોર્મ્સ, કે સબસીડી મેળવવા જેવા કાર્યોમાં ફરજીયાત થયેલ ઓનલાઈન નોંધણી (ડીઝીટલાઇઝેશન) અંગે થયું છે. ખેડૂતો દ્વારા ઓનલાઈન પ્રક્રિયાનો વિરોધ કરવાના કિસ્સામાં ખેડૂતોની કોમ્પ્યુટર અંગેની અણઆવડત કરતા કદાચ વધારે કારણભૂત એવા લોકો છે કે જેમને આવી પારદર્શી પ્રક્રિયાથી પોતાના ખિસ્સા તરફ આવતો અસ્ખલિત પ્રવાહ બંધ થતો દેખાય છે. આ તમામ બાબતો ની વચ્ચે જાણવા મળે છે કે ટૂંક જ સમયમાં ખાતરની સબસીડી સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત કરવામાં આવશે. અને તેના પાયલોટ પ્રોજેક્ટ માટે ઓડીસા અને ગુજરાતના ૨૦ જિલ્લાઓની પસંદગી થઇ રહી છે.
બીજી વાત છે ગયા અંકમાં રજૂ થયેલ ‘બજેટ બનાવો, ઇનામ મેળવો’ અભિયાન અંગે. મિત્રો, બજેટ અંગે વ્હોટ્સએપ, ઇમેલ, પત્ર દ્વારા મને ઘણા મેસેજ મળી ચૂક્યા છે. છતાં પણ હજુ જે વાચક ખેડૂતો પોતાનું બજેટ મોકલી શક્યા ન હોય તો સત્વરે મોકલી આપે. આ અભિયાન આગામી ૩૦ એપ્રિલ સુધી ચાલુ જ રાખવામાં આવ્યું છે. કેટલાક ખેડૂતોએ તો ખૂબ જ સારી રીતે પોતાના વાર્ષિક અંદાજપત્રની રચના કરી છે. અત્રે ખાસ વિનંતી કરીશ કે તમે બજેટ મોકલતા પહેલા તેમાં પોતાના નામ, ગામ, મોબાઈલ નંબરની વિગતો લખવાનું ભૂલશો નહિ. કારણ કે મને મળેલ અનેક અંદાજપત્રોમાં મોકલનાર ખેડૂતની કોઈ જ વિગત સામેલ નથી. હજુ પણ અભિયાનની બાકી મુદ્દતનો લાભ લઇ આપની આવક-જાવકનો અંદાજ કાગળ પર ઉતારો, કોઈપણ માધ્યમ દ્વારા મને મોકલી આપો અને ઈનામ મેળવવા માટે તૈયાર રહો. (વધુ વિગત : પૃષ્ઠ ૩૦)
મિત્રો, હવે ત્રીજી અને અગત્યની વાત. સમૃદ્ધ ખેતી કૃષિ સામયિક છેલ્લા પોણા ત્રણ વર્ષથી આપના ઘર સુધી કૃષિ માહિતીનો પ્રવાહ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. ચારેતરફ વધતી મોંઘવારીની અસર આ પ્રકાશનને પણ થઇ રહી છે. ગત સમયમાં પેપર અને પ્રિન્ટીંગ ખર્ચમાં થયેલ વધારાને પહોંચી વળવા માટે નાછૂટકે લવાજમના દરમાં થોડો વધારો કરવો પડ્યો છે. થોડામાં ઘણું સમજીને કૃષિ જ્ઞાનની આ સરવાણી આમ જ વહેતી રહે તે માટે આપના સહકારની અપેક્ષા તો હું રાખી જ શકું છું.
મિત્રો, અત્યારે ચાલતો વિક્રમ સંવતનો ચૈત્ર માહ એટલે કે હિંદુ ધર્મના યુગ પ્રવર્તકોના અવતરણ અને તહેવારોનો મહિનો. ભગવાન વિષ્ણુના મત્સ્યઅવતાર જયંતી તથા સિંધી સમાજના ઉદ્ધારક ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ (૯-એપ્રિલ), મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતી (૧૫-એપ્રિલ), અહિંસા પથદર્શક જૈન તીર્થંકર શ્રી મહાવીર જયંતી (૧૯-એપ્રિલ), સેવાભક્તિની આદર્શમૂર્તિ શ્રી હનુમાન જયંતી (૨૨-એપ્રિલ) જેવા તહેવારો ઉપરાંત આપણા રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત ૧૯૩૮નાં નૂતન વર્ષનો પ્રારંભ ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પડવાથી થાય છે. આ દિવસે (૮-એપ્રિલ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક શ્રી ડૉ. કેશવ બલીરામ હેડગેવારની જન્મ જયંતી પણ છે. સાથે જ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ ડૉ.આંબેડકરની જન્મ જયંતી (૧૪-એપ્રિલ) અને આપણા પ્રજાપર્વ એવા ગુજરાત રાજ્ય સ્થાપના દિન (૧-મે)  સહિતના દરેક તહેવારો-પ્રસંગોની સમગ્ર જી-વીન પરિવાર દ્વારા આપ સોને શુભકામનાઓ.
ચાલો, આપણે હૃદયની શુદ્ધ ભાવના સાથે આ અવસરોને સાચા અર્થમાં ઉજવીએ અને રાષ્ટ્રને હરિયાળા વિકાસના માર્ગે સમૃદ્ધ ખેતી તરફ અગ્રેસર કરીએ.
આપનો,
નરેન્દ્ર વાઘેલા

No comments:

Post a Comment