Sunday, 29 May 2016

દૂરદર્શન રાજકોટ : સ્વસહાય જુથોનું બેંક સાથે જોડાણ



મિત્રો, 
દૂરદર્શન રાજકોટના લાઈવ ફોન ઈન પ્રોગ્રામ : હેલ્લો કૃષિદર્શનમાં પ્રસારિત થયેલ કાર્યક્રમ 
"સ્વસહાય જૂથોનું બેંક સાથેનું જોડાણ"

દૂરદર્શન રાજકોટ - બીજ ઉત્પાદનનું મહત્વ

મિત્રો, 
દૂરદર્શન રાજકોટના લાઈવ ફોન ઈન પ્રોગ્રામ : હેલ્લો કૃષિદર્શનમાં પ્રસારિત થયેલ કાર્યક્રમ 
"બીજ ઉત્પાદનનું મહત્વ"


https://www.youtube.com/watch?v=WQUR1zZQAj0

Thursday, 26 May 2016

માનવીનું સાચું સ્વરૂપ – ૪

સ્વામી વિવેકાનંદ

સર્વોચ્ચ તત્વવેત્તાઓની ભાષામાં અને બાળકોના શબ્દોમાં ફેર માત્ર તારતમ્યનો હોય છે, વસ્તુનો નહીં. જેને તમે આજે સાચી, પદ્ધતિસરની અને ગણિતશાસ્ત્ર જેવી ચોક્કસ ભાષા કહો છો તેમાં, અને પ્રાચીનોની અસ્પષ્ટ, રહસ્યમય અને પૌરાણિક ભાષામાં માત્ર તારતમ્યનો જ તફાવત છે. તે સૌની પાછળ એક ભવ્ય વિચાર હોય છે, અને જાણે કે, બહાર વ્યક્ત થવાની તે મથામણ કરી રહ્યો હોય છે. કેટલીક વાર તો આ પ્રાચીન પુરાણકથાઓની પાછળ નક્કર સત્યો પડેલાં હોય છે. અને મને કહેતાં દિલગીરી થાય છે કે આજના જમાનાના લોકોના ચળકતાં સુંદર શબ્દો ઘણીવાર તો સાવ અર્થહીન જ હોય છે. એટલે અમુક વાત પુરાણની કથામાં કહેવાયેલ છે, તથા અમુક ભાઈના અથવા અમુક બાઈના ખ્યાલો સાથે બંધબેસતી થતી નથી, માત્ર એટલા જ કારણસર તેને ફેંકી દેવી ન જોઈએ. અમુક પયગંબરોએ શીખવેલ દંતકથાઓ માણસે માનવી જ જોઈએ એમ ઘણાખરા ધર્મો શીખવે છે. એ કારણસર જ જો લોકો ધર્મની મજાક ઉડાવતા હોય, તો તેમણે આ આધુનિક લોકોની ઊલટી વધારે મજાક ઉડાવવી જોઈએ. આધુનિક જમાનામાં જો કોઈ માણસ મોઝીઝ, બુદ્ધ અગર ઈશુ ખ્રિસ્તને ટાંકીને કોઈ વાત કરે તો લોકો તેની મજાક ઉડાવવાના; પણ જો તે હકસલી, ટિન્ડેલ અગર ડાર્વિનને નામે વાત કરે, તો લોકો તે વાત જેમની તેમ ગળે ઉતારી જવાના. હકસલીએ આ પ્રમાણે કહેલ છેએટલું જ વિધાન ઘણાને માટે બસ થઈ પડે છે. જરૂર, આપણે વહેમથી મુક્ત છીએ ખરા ! પેલો જો ધાર્મિક વહેમ હતો, તો આ વૈજ્ઞાનિક વહેમ છે; ફેર માત્ર એટલો જ કે તે વહેમમાંથી આધ્યાત્મિકતાના જીવનપ્રદ વિચારો આવ્યા હતા, જ્યારે આ આધુનિક વહેમમાંથી કામ અને લોભ જન્મે છે. પેલા વહેમમાં ઈશ્વરની પૂજા હતી જ્યારે આધુનિક વહેમમાં ગંદા પૈસા, કીર્તિ અને સત્તાની ઉપાસના છે. તફાવત માત્ર એટલો જ છે.

ફરી પાછા આપણે પુરાણોની વાતો ઉપર આવીએ. આ બધી વાતોની પાછળ આપણે એક વિચારને ખૂબ જ આગળ તરી આવતો જોઈએ છીએ : મનુષ્ય પોતે જે હતો તેના કરતાં નીચે ઊતરી ગયો છે. અત્યારના જમાનાની વાત કરીએ તો, આધુનિક શોધખોળો આ સ્થિતિને તદ્દન ખોટી પાડતી દેખાય છે. ઉત્ક્રાંતિવાદીઓ આ વિધાનનો સદંતર વિરોધ કરતા લાગે છે. તેમના મત પ્રમાણે માણસ મૃદુકાય પ્રારંભિક કીડામાંથી વિકાસ પામેલ છે અને તેથી પુરાણની વાતો સાચી હોઈ શકે નહીં. છતાં ભારતમાં એવું એક પુરાણ છે કે જે આ બંને સ્થિતિઓનો સમન્વય સાધી શકે છે. ભારતની પુરાણકથાઓમાં કલ્પનો એક સિદ્ધાંત છે. તેમાં કહે છે કે બધી ઉત્ક્રાંતિ મોજાના રૂપમાં હોય છે. દરેક મોજાની પાછળ એક ખાડો હોય છે અને તેની પાછળ પાછું મોજું ઊભું થાય છે. આ ગતિ ચક્રાકાર હોય છે. આધુનિક શોધખોળને પરિણામે પણ તે હકીકત ખરી છે, કે મનુષ્ય માત્ર ઉત્ક્રાંતિનું જ પરિણામ ન હોઈ શકે. પ્રત્યેક ઉત્ક્રાંતિ અપક્રાંતિ સૂચિત કરે છે. આજે વૈજ્ઞાનિક જમાનાનો માણસ તમને કહેશે કે યંત્રમાં તમે અગાઉથી જેટલી શક્તિ ભરી હોય તેટલી જ શક્તિ તેમાંથી તમને મળી શકે; શૂન્યમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકે નહીં. જો માણસનો વિકાસ મૃદુકાય કીડામાંથી થયો હોય તો પૂર્ણ માનવ, બુદ્ધ કે ક્રાઈસ્ટ પણ આવા કીડામાં અવ્યક્ત સ્વરૂપમાં રહેલા જ હોવા જોઈએ. જો તેમ ન હોય તો આ મહાન પુરુષો આવ્યા ક્યાંથી ? શૂન્યમાંથી વસ્તુ ઉત્પન્ન થાય નહીં. આમ આપણે પુરાણોનો આધુનિક વિચારોની સાથે સમન્વય સાધી શકીએ છીએ. જે શક્તિ ધીમે ધીમે જુદી જુદી સ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે અને છેવટે પૂર્ણ માનવ રૂપે વિકસે છે, તે સાવ શૂન્યમાંથી તો આવી શકે જ નહીં. તેનું અસ્તિત્વ ક્યાંક પણ હતું જ, અને જો તેના પ્રારંભિક મૂળ તરીકે મૃદુકાય કીડો કે એકકોષી જીવ માનો, તો તે કીડા અને એકકોષી જીવમાં કોઈપણ રીતે એ શક્તિ રહેલી હોવી જ જોઈએ. [ક્રમશ:]

Monday, 23 May 2016

માનવીનું સાચું સ્વરૂપ – ૩

સ્વામી વિવેકાનંદ

દરેક શાસ્ત્ર કે પુરાણમાંથી આ એક જ હકીકત તરી આવે છે, કે આજનો માણસ પહેલાંના માણસ કરતાં નીચે ઊતરેલો છે. યહૂદી શાસ્ત્રમાં આવતી આદમના પતનની કથામાં રહેલા સત્યનો સાર આ છે. હિંદુ શાસ્ત્રમાં પણ ફરી ફરીને આ જ બાબત કહેવામાં આવેલ છે. લોકો જેને સતયુગ તરીકે ઓળખે છે તેવા સમયની કલ્પના પણ આ જ છે કે ત્યારે મનુષ્ય પોતાની ઈચ્છા સિવાય મૃત્યુ પામતો નહીં, પોતાનું શરીર ઈચ્છા પ્રમાણે ટકાવી શકતો અને તેનું મન મજબૂત તથા પવિત્ર હતું; ત્યારે કાંઈ પાપ ન હતું, દુઃખ ન હતું, અને આજનો જમાનો તે પૂર્ણત્વની સ્થિતિમાંથી અધઃપતન છે. આની સાથોસાથ આપણે બધે જ પ્રલયની કથા સાંભળીએ છીએ. તે કથા જ એક સબળ સાબિતી છે કે બધા ધર્મોની માન્યતા પ્રમાણે આજનો યુગ અગાઉના જમાનાની પતનની અવસ્થા છે. એ જમાનો વધારે ને વધારે બગડતો ગયો, અને છેવટે માનવજાતના મોટાભાગનો પ્રલયમાં નાશ થયો; અને ફરીથી ઉન્નતિ શરૂ થઈ. અને પૂર્વની એ પવિત્રતાની સ્થિતિએ ફરીથી પહોંચવાને માટે તે ધીમે ધીમે ઉન્નતિ સાધતો જાય છે.
બાઈબલના જૂના કરારમાં આવતી જલપ્રલયની વાર્તા તમે સારી રીતે જાણો છો. બેબીલોનના પ્રાચીન વતનીઓમાં, ઈજિપ્તના લોકોમાં, ચીનના લોકોમાં તથા હિંદુઓમાં પણ એ જ કથા પ્રચલિત હતી. મનુ નામે એક પ્રાચીન મહાન મુનિ ગંગા નદીને કિનારે તપ કરતા હતા, તે વખતે એક નાની માછલી તેમની પાસે રક્ષણાર્થે આવી. મનુએ તે માછલીને પોતાની પાસે પાણીથી ભરેલા નાના કમંડળમાં રાખી લીધી. મનુએ તેને પૂછ્યું : તારે શું જોઈએ છે ?’ પેલી નાની માછલીએ કહ્યું : મોટી માછલીઓ મારી પાછળ પડે છે તેથી તેમનાથી મારું રક્ષણ કરો.મનુ તે નાની માછલીને પોતાને ઘેર લઈ ગયા. બીજે દિવસે સવારે તેમણે જોયું માછલી તો કમંડળ જેવડી મોટી થઈ ગઈ છે.
મનુને જોતાં જ માછલી બોલી : હવે હું આ કમંડળમાં વધારે વખત સમાઈ શકું તેમ નથી.મનુએ તેને તળાવમાં મૂકી. બીજે દિવસે તે તળાવ જેવડી મોટી થઈ ગઈ અને કહ્યું કે હું તળાવની અંદર સમાઈ શકતી નથી. તેથી મનુ તેને નદીમાં લઈ ગયા અને બીજે દિવસે તે માછલી નદી જેવડી મોટી થઈ ગઈ. પછી મનુએ તેને સમુદ્રમાં મૂકી. ત્યારે તે માછલી બોલી : મનુ ! હું આ જગતનો સ્રષ્ટા છું, અને તને સાવચેત કરવા માટે મેં આ રૂપ ધારણ કરેલ છે. હું આ જગતનો પ્રલય કરવા માગું છું. તું એક નાવ બનાવ અને તેમાં દરેક પ્રકારના પ્રાણીની એકએક જોડી મૂકીને તારા કુટુંબને અંદર બેસાડી દે. પ્રલયના જળમાંથી મારું એક શીંગડું બહાર આવશે, તેની જોડે નાવને બાંધી દેજે, અને જ્યારે જલપ્રલય શાંત થઈ જાય ત્યારે તું બહાર આવીને દુનિયાને વસાવજે.આ પ્રમાણે આખા જગત ઉપર જલપ્રલય ફરી વળ્યો અને મનુએ પોતાના કુટુંબને તથા દરેક જાતના પ્રાણીના એક એક જોડકાંને અને દરેક છોડના બીજને બચાવ્યાં. જ્યારે પ્રલય શાંત થયો ત્યારે મનુએ દુનિયાને ફરી નવેસરથી વસાવી. આપણે સહુ માનવતરીકે ઓળખાઈએ છીએ, તેનું કારણ એ છે કે આપણે મનુના વંશજો છીએ.
હવે, માનવ ભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા, સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે તે એક બાળક પણ, સર્વોચ્ચ તત્વજ્ઞાન વ્યક્ત કરવાની કોશિશ કરી રહ્યું હોય છે; માત્ર બાળક પાસે તે વ્યક્ત કરવાની ઈન્દ્રિયો કે સાધન નથી. [ક્રમશ:]

Saturday, 21 May 2016

માનવીનું સાચું સ્વરૂપ – ૨

સ્વામી વિવેકાનંદ

આપણી જાતને સુખી કરવા માટે આપણે દરેક વસ્તુ પાછળ દોડીએ છીએ; ઈન્દ્રિયગ્રાહ્ય વિષયોની દુનિયામાં આપણે આપણાં સુખ પ્રાપ્ત કરવા માટે ઘેલાની પેઠે દોડ્યા જઈએ છીએ. જિંદગીમાં સફળતા અનુભવેલા યુવાનને જો તમે પૂછશો તો તે કહેશે કે તે સત્ય છે; અને તે પ્રમાણે જ તે ખરેખર માને છે. કદાચ તે જ યુવાન જ્યારે વૃદ્ધ થાય અને સુખસમૃદ્ધિ તેને કાયમ હાથતાળી દઈને છટકી જતી અનુભવે, ત્યારે તે એમ કહેશે કે આ તો નસીબની વાત છે. આખરે તે અનુભવે છે, કે ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ શકતી નથી. તે જ્યાં જ્યાં નજર નાખે છે ત્યાં ત્યાં એક અભેદ્ય દીવાલ સામે આવે છે કે જેને તે ઓળંગી શકતો નથી. ઈન્દ્રિયની દરેક ક્રિયા એક પ્રતિક્રિયામાં પરિણમે છે. બધું જ ક્ષણિક છે; મોજશોખ, દુઃખ, એશઆરામ, ધન, સત્તા અને દારિદ્ર- ખુદ જીવન પણ બધું જ ક્ષણિક છે.

માનવજાતને માટે બે જ માર્ગો રહે છે. એક તો શૂન્યવાદીઓની સાથે એમ માનવું કે સર્વ કાંઈ શૂન્ય જ છે, આપણે કંઈ જાણતા નથી; ભૂત, ભવિષ્ય કે વર્તમાન વિશે પણ આપણે કદી કંઈ જાણી શકવાના નથી. આપણે એ યાદ રાખવું જોઈએ કે જે માણસ ભૂતકાળને તેમજ ભવિષ્યકાળને માનતો નથી અને માત્ર વર્તમાનકાળને જ વળગી રહેવા માગે છે, તે કેવળ પાગલ છે. એ તો માતાપિતાનો ઈન્કાર કરવો ને બાળકનું અસ્તિત્વ છે એમ કહેવા જેવું છે. તે પણ તેટલું જ તર્કયુક્ત ગણાય. ભૂતકાળ અને ભવિષ્યકાળનો અસ્વીકાર કરવો હોય, તો વર્તમાનકાળનો પણ અનિવાર્ય રીતે અસ્વીકાર કરવો જ જોઈએ. આ થયો એક પક્ષ શૂન્યવાદીઓનો પક્ષ. મેં ક્યાંયે એક પણ માણસ એવો જોયો નથી કે જે ક્ષણભરને માટે પણ ખરેખરો શૂન્યવાદી થઈ શકે. માત્ર બોલવું બહુ સહેલું છે.

ત્યાર પછી એક બીજો માર્ગ છે, તે છે વસ્તુનો ખુલાસો શોધવો, સત્ય વસ્તુની શોધ કરવી, હરહંમેશ બદલાયા કરતા ક્ષણભંગુર જગતમાં જે કંઈ સત્ય છે તેની શોધ કરવી. જડ દ્રવ્યના પરમાણુઓના સમૂહરૂપ આ શરીરમાં કંઈ સત્ય છે ? માનવમનના સમગ્ર ઈતિહાસમાં શોધખોળનો વિષય આ જ છે. ખૂબ જ પ્રાચીન કાળમાં, આપણે અનેકવાર માણસોના મનમાં પ્રકાશના ચમકારા આવતા જોઈએ છીએ. ત્યારે પણ, આપણે માણસને જડ શરીરથી એક ડગલું આગળ વધતો જોઈએ છીએ. તે વખતે માણસે એવું કંઈક શોધી કાઢ્યું છે કે જે આ બાહ્ય શરીર નથી, છતાં ઘણે અંશે તેના જેવું જ વધારે સંપૂર્ણ, વધારે નિર્દોષ અને આ શરીરનો નાશ થાય તો પણ ટકી રહે તેવું છે. મૃતદેહને ભસ્મીભૂત કરતા અગ્નિદેવને સંબોધાયેલા ઋગવેદના મંત્રોમાં આપણે વાંચીએ છીએ : હે અગ્નિ ! તું તેને કોમળતાપૂર્વક તારા બાહુઓ વડે લઈ જજે, તેને તેજસ્વી અને સંપૂર્ણ શરીર આપજે, તથા જ્યાં પિતૃઓ રહે છે અને જ્યાં શોક કે મૃત્યુ નથી ત્યાં તેને લઈ જજે.તમને દરેક ધર્મમાં આ જ વિચાર સાંપડશે. તેની સાથોસાથ આપણને એક બીજો વિચાર પણ મળે છે. એ એક સૂચક હકીકત છે કે એક પણ અપવાદ સિવાય બધા ધર્મો એવો મત ધરાવે છે, કે માણસ અગાઉ હતો તેના કરતાં અત્યારે અવનતિ પામેલો છે; પછી ભલે તેઓ આ વિચારને પૌરાણિક શબ્દોમાં કે સ્પષ્ટ દાર્શનિક ભાષામાં કે સુંદર કાવ્યમય વાણીમાં રજૂ કરે. [ક્રમશ:]

માનવીનું સાચું સ્વરૂપ - ૧

માનવીનું સાચું સ્વરૂપ - ૧
સ્વામી વિવેકાનંદ

મહાપુરુષોના જીવન વિશે કદાચ આપણે બહું થોડું જાણતાં હોઈએ છીએ,. પરંતુ તેઓ કઈ દ્રષ્ટિએ મહાન છે, તેમનું જીવનદર્શન શું હતું, તેમના વિચારો કેવા હતા વગેરે વિશે આપણને કશો ખ્યાલ હોતો નથી. તેમના વિશાળ ચિંતનનો આપણને લાભ મળે તે માટે તેમને ઊંડાણથી જાણવા ખૂબ જરૂરી છે. સ્વામી વિવેકાનંદના જીવનદર્શન વિષયક વિચારો આપણને અંદરથી જાગૃત કરે છે. સ્વામીજીએ લંડન ખાતે આપેલ પ્રવચન આ લેખ દ્વારા ધારાવાહિક સ્વરૂપે પ્રગટ કરી રહ્યા છીએ.
------------------------------- 
મનુષ્ય ઈન્દ્રિયોને ખૂબ જ ચીકટાઈથી વળગી રહે છે; છતાં પણ જેમાં પોતે જીવે છે અને હરેફરે છે તે બાહ્ય જગતને તે ભલે ગમે તેટલું સાર-વાળું માને, છતાં વ્યક્તિઓના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તેમના મનમાં આપોઆપ જ સવાલ ઊઠે છે : શું આ સાચું છે ?’ જે માણસને પોતાની ઈન્દ્રિયોની પ્રામાણિકતા વિશે સવાલ કરવાની એક ક્ષણ પણ હોતી નથી, જેની પ્રત્યેક પળ ઈન્દ્રિયનો કોઈને કોઈ ભોગ ભોગવવામાં પસાર થતી હોય છે, તેને પણ મૃત્યુ આવે જ છે અને ફરજિયાતપણે સવાલ પૂછવો પડે છે : શું આ સાચું છે ?’ ધર્મની શરૂઆત આ પ્રશ્નથી થાય છે, અને એ પ્રશ્નનો જવાબ મળે એટલે તેનો અંત આવે છે. દૂર દૂરના ભૂતકાળમાં પણ કે જ્યાં આપણને લેખિત ઈતિહાસ મદદ કરી શકતો નથી, પુરાણોના રહસ્યમય પ્રકાશમાં, અતિ દૂર સંસ્કૃતિની શરૂઆતના ઝાંખા અજવાળામાં પણ, આપણે જોઈએ છીએ કે, એ જ પ્રશ્ન પુછાયો હતો : આનું શું થાય છે ?’ ‘સત્ય શું છે ?’


ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છે : જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ જાહેર કરે છે કે તે માણસ કાયમને માટે ચાલ્યો ગયો છે, જ્યારે બીજો પક્ષ ભારપૂર્વક કહે છે કે તે હજુ જીવતો છે. આ બેમાંથી સાચું કયું ?’ આ સવાલના જુદા જુદા જવાબો અપાયા છે. અધ્યાત્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને ધર્મનું સમગ્ર ક્ષેત્ર આ પ્રશ્નના જુદા જુદા જવાબો વડે ખરેખર ભરાઈ ગયું છે. સાથે સાથે આ પ્રશ્નને દબાવી દેવાના પણ પ્રયત્નો થયેલા છે. આનાથી પર શું છે ? સાચું શું છે ?’ આ સવાલ પૂછતા મનની અદમ્યતાને રોકવાના પ્રયત્નો પણ થયેલા છે. પરંતુ મૃત્યુ જ્યાં સુધી રહેલું છે, ત્યાં સુધી એ પ્રશ્ન દબાવી દેવાના આ બધા પ્રયત્નો હંમેશાં નિષ્ફળ જ પુરવાર થશે. ઈન્દ્રિયોથી પર કંઈ પણ દેખાતું નથી એવી વાતો આપણે ભલે કરીએ; આપણી બધી આશાઓ અને તમન્નાઓને માત્ર વર્તમાન ક્ષણ પૂરતી જ મર્યાદિત રાખીએ, અને ઈન્દ્રિયોની દુનિયાથી પર કશાનો પણ વિચાર ન કરવાને માટે આપણે ખૂબ મહેનત પણ કરીએ, અને કદાચ બહારની બધી વસ્તુઓ આપણને આ દુનિયાની સાંકડી મર્યાદાઓમાં બંધાયેલા રાખવામાં મદદ પણ કરે છે. આપણને વર્તમાનથી આગળ વધીને વિશાળ બનતા અટકાવવામાં આખી દુનિયા ભલે એકઠી થાય, છતાં જ્યાં સુધી મૃત્યુ છે, ત્યાં સુધી આ પ્રશ્ન ફરી ફરીને પણ ઉદ્દભવશે જ કે જે બધી વસ્તુઓને સાચામાં સાચી અને સૌથી વધુ સારભૂત માનીને આપણે વળગી રહીએ છીએ, તે બધીનો અંત શું મૃત્યુ જ છે ?’ જગત એક ક્ષણમાં વિનાશ પામે છે, અને સદાને માટે હતું ન હતું થઈ જાય છે. જેની પેલી પાર અતલ ખાઈ આવેલી છે, તે સીધી કરાડને કાંઠે ઊભા રહીને, દરેક મન, ગમે તેવું સખત અને દઢ હોય તો પણ ડરથી જરૂર પાછું હટીને પ્રશ્ન ઉઠાવશે : શું આ સાચું છે ?’ એક મહાન મનની તમામ શક્તિઓ વડે ધીમે ધીમે બંધાયેલી જીવનભરની આશાઓ એક ક્ષણમાં અદશ્ય થઈ જાય છે. શું તે બધી આશાઓ સત્ય છે ? આ પ્રશ્નનો જવાબ મળવો જ જોઈએ. સમય જતાં તે પ્રશ્નનું જોર ઘટવાને બદલે વધે છે. વળી સુખી બનવાની આશા વિશે પણ વિચારવાનું છે. [ક્રમશ:]

Friday, 20 May 2016

તમે બજેટ બનાવ્યું ?

તમે બજેટ બનાવ્યું ?

ખેડૂત ભાઈઓ અને બહેનો,
કુશળ હશો.
મિત્રો, ફેબ્રુઆરી મહિનો પૂરો થાય અને માર્ચ મહિનો આવે એટલે જાહેર જીવનમાં રસ લેતા બધા જ લોકોનું ધ્યાન એ વાત પર રહે છે કે આવતું નાણાકીય વર્ષ કેવું રહેશે ? કેમ કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં રાજ્ય અને કેન્દ્રની સરકારો દ્વારા આગામી વર્ષ માટે અંદાજપત્ર (બજેટ) રજુ કરવામાં આવે છે. દૈનિક છાપાઓમાં ભરાઈ ભરાઈને બજેટની ઝીણી ઝીણી વિગતો આવતી રહે છે. “રૂપિયો ક્યાંથી આવશે ? ક્યા જશે ? વેરામાં કેટલો વધારો-ઘટાડો થયો ? સરકારની નવી યોજનાઓ કે નવી નીતિઓ કેવી રહેશે ?” ટૂંકમાં સરકારના વિચાર મુજબ આપણુ આવતું વર્ષ કેવું રહેશે તે નક્કી થવાનો સમય એટલે બજેટ.
અને મને યાદ છે ત્યાં સુધી તત્કાલીન વડાપ્રધાનશ્રી વી.પી.સિંઘની સરકારના નાણામંત્રીશ્રી મધુ દંડવતે એ ફેબ્રુઆરી ૧૯૯૦માં રજુ કરેલા બજેટ થી આજ દિન સુધી બજેટ એ શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે વાદવિવાદનું હાથવગું બહાનું રહ્યું છે. સત્તાપક્ષ કહેશે વિકાસાભીમુખ બજેટ તો વિપક્ષ કહેશે આંકડાની માયાજાળ. ખેર એવી રાજનીતિ એ બધા લોકોને મુબારક. પરંતુ આપણે તો માત્ર એ જોવા પર ભાર મુકીએ કે આ બજેટમાં દેશવાસીઓના જઠરાગ્નિ માટે ફાયરબ્રિગેડનું કામ કરનાર એટલે કે સૌના પેટની આગ બુઝાવનાર ખેડૂત અને કૃષિક્ષેત્ર માટે આ બજેટમાં કેટલી જોગવાઈઓ કે યોજનાઓ અથવા નીતિઓ રજુ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૬-૧૭ માટે રાજ્ય સરકારના નાણામંત્રીશ્રી સૌરભ પટેલે રજુ કરેલ બજેટમાંથી ખેડૂત અને કૃષિક્ષેત્રને સ્પર્શતી જાહેરાત અને જોગવાઈઓ જોઈએ તો તેમણે કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે ૫૯૪૦.૦૮ કરોડ, ગ્રામિણ વિકાસ માટે ૨૭૬૪.૮૯ કરોડ, સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે ૧૪૨૯૪.૨૦ કરોડ, કૃષિ અને સહકાર વિભાગ માટે ૫૭૯૨.૪૫ કરોડ, જળ સંપત્તિ અને કલ્પસર માટે ૫૨૪૪ કરોડ, પશુપાલન અને ગૌ સંવર્ધન માટે ૬૧૪.૫ કરોડ, વન અને પર્યાવરણ માટે ૧૨૯૨.૮૬ કરોડ, ઓર્ગેનિક ખેતી માટે ૧૦ કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત ખરીફ પાક માટે ૧ ટકાના વ્યાજદરે ૬ લાખ સુધીનું ધીરાણ આપવા ૩૭૫ કરોડ, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ (સૌની) યોજના માટે ૨૦૦૦ કરોડ, નર્મદાની કચ્છ શાખા નહેરના ત્રણ પમ્પીંગ સ્ટેશન અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પાંચ પમ્પીંગ સ્ટેશન માટે ૮૬૨ કરોડ, ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના રાજ્યના ૬૪ તાલુકાના ૫ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે તે માટે ૧૨,૫૦૦ કિલોમીટર લાંબી ભૂગર્ભ પાઈપલાઈન કામ માટે ૨૦૨૧ કરોડ, ખેડૂત વીજ સબસિડી માટે ૪૦૧૦.૭૫ કરોડ તેમજ ખેડૂતોને ૧ લાખથી વધુ કૃષિ વીજ જોડાણ આપવા ૧૬૪૩.૫ કરોડની જોગવાઈ પણ કરી છે.
મિત્રો, સરકાર તો પોતાનું કામ કરશે. પરંતુ આ સમયે આપણું પણ કામ છે કે આપણે પોતાની ખેતીનું બજેટ બનાવીએ. એક ડાયરી લઈ તેમાં આગામી એપ્રિલ થી માર્ચ સુધીના વર્ષમાં ખાતર, બીયારણ, દવાઓ, ઉપજના બજારભાવ, મજૂર, વાહનભાડા, ધિરાણ, ઘરખર્ચ, તહેવાર-પ્રસંગ, આકસ્મીક ખર્ચ વગેરે માટે આવક જાવકની જોગવાઈઓ જુઓ, ખરીદી, ખર્ચ અને ઉપજ વેચાણ માટે સરેરાશ કાઢીને નોધ કરો. અને હા... તમે બનાવેલ બજેટની એક નકલ અમને મોકલી આપો. કેમકે, જી-વીન ગૃપ તરફથી અપાનાર આકર્ષક ભેટ તમારી રાહ જોવે છે. (આ માટે વધુ વિગતો પાના નં. ___ પર આપેલ છે.)
તો ચાલો મિત્રો, ધૂળેટી (૨૪ માર્ચ)ની શુભાકામનાનાં રંગોમાં એક રંગ હિસાબ-કિતાબનો પણ ઉમેરીએ અને રાષ્ટ્રને સંતુલિત વિકાસનો હરિયાળો રંગ લગાડી સમૃદ્ધ ખેતી તરફ લઇ જઈએ.
આપનો,
નરેન્દ્ર વાઘેલા

ત્રણ વાત...

ત્રણ વાત...

ખેડૂત ભાઈઓ અને બહેનો,
કુશળ હશો.
મિત્રો, આજે મારે આપની સાથે જે ત્રણ વાતો કરવી છે, તેમાં પ્રથમ છે “પ્રધાનમંત્રી પાક વીમા યોજના’. ઘણા ખેડૂતમિત્રો વારંવાર પૃચ્છા કરતા હતા કે આ નવી યોજના કેવી છે ? માટે આ અંગે કૃષિ તીર્થ જુનાગઢ કૃષિ યુનીવર્સીટી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે સેવારત શ્રી ડૉ.એ.એમ. પારખીયા સાહેબ સાથે યુનીવર્સીટી કેમ્પસમાં યોજાયેલ ‘ઇનોવેટીવ ફાર્મર્સ મીટ’ દરમ્યાન વાત કરી. તેઓએ તાત્કાલિક ધોરણે વિગતવાર માહિતી આપતો વિશેષ લેખ તૈયાર કરી મોકલી આપ્યો. (પૃષ્ઠ ૧૮)
મિત્રો, ઘણી વખત આપણે જાણકારીના અભાવને કારણે કે આપણી પાસેની અપૂરતી માહિતીને કારણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવતી વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ લઇ શકતા નથી અથવા તો જે-તે યોજનાનો વિરોધ કરતા હોઈએ છીએ. આવું જ કદાચ ખેતી માટેના જરૂરી દસ્તાવેજો, વિવિધ યોજનાના ફોર્મ્સ, કે સબસીડી મેળવવા જેવા કાર્યોમાં ફરજીયાત થયેલ ઓનલાઈન નોંધણી (ડીઝીટલાઇઝેશન) અંગે થયું છે. ખેડૂતો દ્વારા ઓનલાઈન પ્રક્રિયાનો વિરોધ કરવાના કિસ્સામાં ખેડૂતોની કોમ્પ્યુટર અંગેની અણઆવડત કરતા કદાચ વધારે કારણભૂત એવા લોકો છે કે જેમને આવી પારદર્શી પ્રક્રિયાથી પોતાના ખિસ્સા તરફ આવતો અસ્ખલિત પ્રવાહ બંધ થતો દેખાય છે. આ તમામ બાબતો ની વચ્ચે જાણવા મળે છે કે ટૂંક જ સમયમાં ખાતરની સબસીડી સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત કરવામાં આવશે. અને તેના પાયલોટ પ્રોજેક્ટ માટે ઓડીસા અને ગુજરાતના ૨૦ જિલ્લાઓની પસંદગી થઇ રહી છે.
બીજી વાત છે ગયા અંકમાં રજૂ થયેલ ‘બજેટ બનાવો, ઇનામ મેળવો’ અભિયાન અંગે. મિત્રો, બજેટ અંગે વ્હોટ્સએપ, ઇમેલ, પત્ર દ્વારા મને ઘણા મેસેજ મળી ચૂક્યા છે. છતાં પણ હજુ જે વાચક ખેડૂતો પોતાનું બજેટ મોકલી શક્યા ન હોય તો સત્વરે મોકલી આપે. આ અભિયાન આગામી ૩૦ એપ્રિલ સુધી ચાલુ જ રાખવામાં આવ્યું છે. કેટલાક ખેડૂતોએ તો ખૂબ જ સારી રીતે પોતાના વાર્ષિક અંદાજપત્રની રચના કરી છે. અત્રે ખાસ વિનંતી કરીશ કે તમે બજેટ મોકલતા પહેલા તેમાં પોતાના નામ, ગામ, મોબાઈલ નંબરની વિગતો લખવાનું ભૂલશો નહિ. કારણ કે મને મળેલ અનેક અંદાજપત્રોમાં મોકલનાર ખેડૂતની કોઈ જ વિગત સામેલ નથી. હજુ પણ અભિયાનની બાકી મુદ્દતનો લાભ લઇ આપની આવક-જાવકનો અંદાજ કાગળ પર ઉતારો, કોઈપણ માધ્યમ દ્વારા મને મોકલી આપો અને ઈનામ મેળવવા માટે તૈયાર રહો. (વધુ વિગત : પૃષ્ઠ ૩૦)
મિત્રો, હવે ત્રીજી અને અગત્યની વાત. સમૃદ્ધ ખેતી કૃષિ સામયિક છેલ્લા પોણા ત્રણ વર્ષથી આપના ઘર સુધી કૃષિ માહિતીનો પ્રવાહ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. ચારેતરફ વધતી મોંઘવારીની અસર આ પ્રકાશનને પણ થઇ રહી છે. ગત સમયમાં પેપર અને પ્રિન્ટીંગ ખર્ચમાં થયેલ વધારાને પહોંચી વળવા માટે નાછૂટકે લવાજમના દરમાં થોડો વધારો કરવો પડ્યો છે. થોડામાં ઘણું સમજીને કૃષિ જ્ઞાનની આ સરવાણી આમ જ વહેતી રહે તે માટે આપના સહકારની અપેક્ષા તો હું રાખી જ શકું છું.
મિત્રો, અત્યારે ચાલતો વિક્રમ સંવતનો ચૈત્ર માહ એટલે કે હિંદુ ધર્મના યુગ પ્રવર્તકોના અવતરણ અને તહેવારોનો મહિનો. ભગવાન વિષ્ણુના મત્સ્યઅવતાર જયંતી તથા સિંધી સમાજના ઉદ્ધારક ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ (૯-એપ્રિલ), મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતી (૧૫-એપ્રિલ), અહિંસા પથદર્શક જૈન તીર્થંકર શ્રી મહાવીર જયંતી (૧૯-એપ્રિલ), સેવાભક્તિની આદર્શમૂર્તિ શ્રી હનુમાન જયંતી (૨૨-એપ્રિલ) જેવા તહેવારો ઉપરાંત આપણા રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત ૧૯૩૮નાં નૂતન વર્ષનો પ્રારંભ ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પડવાથી થાય છે. આ દિવસે (૮-એપ્રિલ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક શ્રી ડૉ. કેશવ બલીરામ હેડગેવારની જન્મ જયંતી પણ છે. સાથે જ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ ડૉ.આંબેડકરની જન્મ જયંતી (૧૪-એપ્રિલ) અને આપણા પ્રજાપર્વ એવા ગુજરાત રાજ્ય સ્થાપના દિન (૧-મે)  સહિતના દરેક તહેવારો-પ્રસંગોની સમગ્ર જી-વીન પરિવાર દ્વારા આપ સોને શુભકામનાઓ.
ચાલો, આપણે હૃદયની શુદ્ધ ભાવના સાથે આ અવસરોને સાચા અર્થમાં ઉજવીએ અને રાષ્ટ્રને હરિયાળા વિકાસના માર્ગે સમૃદ્ધ ખેતી તરફ અગ્રેસર કરીએ.
આપનો,
નરેન્દ્ર વાઘેલા

Thursday, 19 May 2016

વાવેતરથી એંઠવાડ સુધી

ખેડૂત ભાઈઓ અને બહેનો,
કુશળ હશો.

મિત્રો, આજકાલ વોટ્સએપ અને ફેસબુક જેવા સોશ્યલ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે; ‘જ્યારે તમે જમવા બેસો ત્યારે ચોક્કસ પ્રાર્થના કરજો કે તમારી થાળીમાં આવેલ અનાજ ઉગાડનાર પણ ભૂખ્યો ન રહે.’ સમાજમાં ફેલાતી આવી સદભાવના ખૂબ જ આનંદદાયક છે. પરંતુ સાથોસાથ એક એ ડર પણ છે કે ક્યાંક આવી સારી વાતો માત્ર સોશ્યલ મીડિયામાં લખવા-વાંચવા સુધી જ સીમિત તો નથી રહી ગઈને ? શારીરિક પોષણ પુરૂ પાડતા અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધ વગેરે ભલે પૈસા ખરચીને ખરીદતા હોઈએ. પરંતુ જો તેનો સદઉપયોગ ન થાય તો....? તો પરસેવો સીંચીને તે ઉપજાવનાર ખેડૂત પ્રત્યે દ્રોહ કર્યો ગણાય, ગુણો કર્યો ગણાય. હાલમાં તડામાર લગ્નગાળો ચાલી રહ્યો છે. એક પ્રસંગ પૂરો કરીને ઘરે પહોંચીએ ત્યાં બીજા અનેક આમંત્રણો આપણી રાહ જોતા હોય છે. આપને થશે કે અનાજની વાતમાંથી સીધા લગ્નપ્રસંગમાં ક્યાં પહોંચી ગયા ?
મિત્રો, પશ્ચિમના દેશોમાંથી ઘણી અનાવશ્યક પ્રથાઓ, આપણાં દેશમાં પાછલે દરવાજેથી દાખલ થતી જોઈ શકાઈ છે. તેમાંની એક એટલે બુફે પ્રથા. અગાઉ હારબંધ પલાંઠીવાળીને બેસવાની જે પ્રથા હતી તેમાં ક્યા ખામી હતી ? આ અંગે વિચારવા જેવું છે. સારતિયા યુવાનો આવીને પીરસે, જમનાર પોતાની રુચિ અનુસાર જરૂરી વાનગી જ લે અને શાંતિથી જમે. આમાં રાંધેલા અનાજનો બગાડ ઓછો થાય. ઉગાડનારાઓની મહેનત લેખે લાગે.
આજે ટૂંકા સમયમાં પ્રસંગ પતાવવાની ઉતાવળ અને પીરસણીયાઓની કમીને કારણે પંગતપ્રથા લુપ્ત થઇ રહી છે. પરંપરાગત પંગતમાં અથવા ટેબલ ખુરશી પર પરંતુ બેસાડીને જમાડવાની પ્રથા જ ઉત્તમ છે. આવા જમણમાં ખોરાકના વધ-ઘટ બગાડનો આધાર ખાસ તો પીરસનારાંઓ પર રહે છે. પીરસનારાંઓ જમનારાંઓને જરૂરત પ્રમાણે વધુ-ઓછું આપવામાં જેટલાં કાબેલ તેટલો બગાડ ઓછો થાય. જ્યારે બુફેમાં હાથમાં ડીસ લઈને ખૂટતી વાનગી ફરીથી લેવા નીકળવું ન પડે એટલે કેટલાય લોકો થાળીમાં બે માળ જેટલી વાનગીઓ ભરીને આવે છે. જેનું અંતે એંઠવાડગમન થાય છે.
આમ છતાં જ્યાં બુફે ભોજન કરાવવું અનિવાર્ય જ હોય ત્યાં જો કેટલીક કાળજી લેવામાં આવે તો ખાદ્ય પદાર્થોનો થતો બગાડ અટકાવી શકાય છે. જેમકે, અત્યારે ‘બુફે’માં દરેક કાઉન્ટર ઉપર કઈ કઈ વાનગીઓ છે તે જાણતા ન હોવાથી મોટાભાગે બધી જ વાનગીઓ લેવાનું ચલણ હોય છે અને પછી જો તે ન ભાવે કે ન ફાવે તે એંઠવાડમાં જાય છે. આમ થતું અટકાવવા માટે ભોજન સ્થળે અથવા તો આમંત્રણ પત્રમાં જ વાનગીઓનું લીસ્ટ (મેનુ) પ્રદર્શિત કરી શકાય. જેથી જમવા આવનાર વ્યક્તિ પોતાને મનગમતી વાનગીઓ લેવાનું આયોજન કરી શકે. “વધુ વાનગીઓ રાખવાથી યશ મળશે અને બધા વખાણ કરશે...” આવા મોહમાંથી બહાર આવીને યજમાને મર્યાદિત વાનગીઓ બનાવવી જોઈએ. વધુ વાનગીઓમાં ખર્ચ ન કરતા તે બચાવીને સારી વ્યવસ્થામાં ખર્ચ કરવો જોઈએ એટલે કે ભીડ ન થાય અને દરેકને જેટલીવાર જોઈએ એટલીવાર સુલભતાથી મળી રહે તે પ્રમાણે ભોજન વ્યવસ્થા ગોઠવવાથી એકી સાથે બધુ થાળીમાં લઈ લેવાની વૃત્તિમાંથી લોકો બહાર આવશે અને બગાડ અટકશે.
મિત્રો, ખેડૂતોએ રાત-દિવસ જોયા વગર પોતાના લોહી-પરસેવાથી સીંચીને ઉપજાવેલ અનાજનો એક દાણો પણ જો એંઠવાડમાં જતો બચાવી શકીએ તો જગતના તાતનું થોડું ઘણું ઋણ ચૂકવ્યું ગણાશે.
ચાલો, આપણે અન્નનો આદર કરીને તેને એંઠવાડમાં જતું અટકાવવાનો પ્રયત્ન કરીએ અને રાષ્ટ્રને હરિત વિકાસના માર્ગે આગળ વધીએ સમૃદ્ધ ખેતી તરફ...

આપનો,

નરેન્દ્ર વાઘેલા