Narendra Vaghela
Writer, Poet, Agricultural Journalist, TV Anchor, Publisher
Tuesday, 11 October 2022
નામ મજબૂરીનું
Sunday, 17 April 2022
ખાતર માથે દીવો : ખાતરની ખરીદી અને વપરાશમાં કાળજી રાખવી ખૂબ જરૂરી
હજુ તો અરધી-પોણી સદી પહેલા
જ પોતાની પરંપરાગત પ્રાકૃતિક ખેતી છોડી રાસાયણિક ખેતી પર આધાર રાખતા થઇ ગયેલા ભારતીય
ખેડૂતો માટે અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ જેવી વાતાવરણની કુદરતી અનિશ્ચિતતાની સાથોસાથ વૈશ્વિક
પટલ પર બનતી ઘટનાઓએ બેવડો માર આપીને બેવડ વાળી દીધા છે.
જમીનમાંથી અગાઉ
વાવેલ પાક દ્વારા પોષક તત્વોનો વપરાશ થવાથી, પિયત પાણીની સાથે નીતાર
અથવા વહી જવાથી, વાયુરૂપે ઉડી જવાથી કે
જમીનના ધોવાણથી માટીમાં રહેલ પોષક તત્વોમાં ઘટાડો થાય છે જેથી ખાતરો દ્વારા તેની
જરૂરિયાત પૂરી કરવી જરૂરી બને છે. વાપરવામાં સરળ એવા રાસાયણીક ખાતરો આવવાથી ખેડૂતોએ પોતાના
વાડી-ખેતરોમાંથી કુદરતી ખાતરના કારખાના સમાન પશુઓને હાંકી કાઢ્યા અને કૃત્રિમ
ખાતરોની ગુલામી સ્વીકારી લીધી.
છેલ્લા કેટલાક સમયથી
વૈશ્વિક રાજકારણમાં આવેલ પરિવર્તનો, ચીન પર મુકવામાં આવેલ આર્થિક પ્રતિબંધો અને છેલ્લે
બાકી રહેતું હોય તેમ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આજે આયાતી ખાતરોના ભાવ આસમાને
પહોંચ્યા છે. રાજ્યના કૃષિમંત્રીએ પણ કહેવું પડ્યું કે કાચામાલની અછત સહીત અનેક
કારણોસર હાલ નાછૂટકે સરકારી કંપનીઓના ખાતરમાં પણ ભાવવધારો કરવો પડ્યો છે. પરંતુ
ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અને સસ્તું મેળવી લેવાની અપેક્ષાને કારણે કેટલાક લેભાગુ
તત્વો અને અસામાજિક વેપારીઓ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ખેડૂતોને છેતરવા માટે તૈયાર
બેઠા હોય છે.
ગામના પાદરે ખટારા ભરીને
ખાતર વેચવા આવતા વેપારીઓ ખેડૂતોને રોકડેથી ખરીદવા પર પાણીના ભાવે સાવ સસ્તાં
ખાતરોમાં એક સાથે બે ફ્રી, ઘેરબેઠા ડીલીવરી સહીત બીજી અહી લખી ન શકાય તેવી અમુક અનૈતિક
લાલચ પણ આપે છે. માટીથી પણ સસ્તાં ભાવે મળતા આવા ખાતરોમાં શું ભેળવેલું હશે...? તે
અહી કહેવાની જરૂર નથી લાગતી. માટે જેને આપણે પોતાની માતા કહીએ છીએ તેવી
માટી-જમીન-ધરતીમાં શું ઉમેરીયે છીએ તે ખાસ જોવું પડે.
નવી મોસમ શરુ થાય તે પહેલા જ
અગાઉથી આયોજન કરી બજારમાંથી ખાતર ખરીદી લેવું જોઈએ. સાથે જ ભેજવાળી કે સાવ ખુલી
જગ્યામાં અને સીધા સૂર્યપ્રકાશમાં સંગ્રહાયેલ ખાતર ક્યારેય ન ખરીદવું. ખરીદી વખતે ખાતરની
થેલીની સિલાઈ અકબંધ હોવાની ખાતરી કરી લેવી તેમજ તેના પેકિંગ પર રાસાયણિક ખાતરનું
નામ અને બ્રાન્ડ, બનાવનાર-વેચનાર કંપનીનું નામ, સરનામું, લાયસન્સ નંબર વગેરે વિગતો
ચકાસવી જોઈએ.
ખાતરની થેલી ઉપર લખેલ એમ.આર.પી.
(મહતમ વેચાણ કિંમત) કરતા વધુ કિંમતે ક્યારેય ખાતરની ખરીદી કરવી નહિ. તેમજ ખરીદી
હંમેશા પાકા બીલથી જ કરવી. જો તમે ઉધાર ખરીદી કરતા હો તો વેપારીએ તમારા બીલમાં કયા
ખાતરનો કેટલો ભાવ ભર્યો તે જાણીને પોતાની ડાયરીમાં નોંધી લેવું.
છેલ્લે, ખાતર માથે દીવો, આ
કહેવતની જેમ પછતાવાનો વારો ના આવે તે માટે ખાતરની ખરીદી અને વપરાશમાં કેટલીક કાળજી
લેવી જોઈએ. ખાતરની ખરીદી કરતા પહેલા માટીનો રીપોર્ટ કરાવીને, જે-તે પાક મુજબ
જરૂરિયાત પ્રમાણે માત્ર તેમાં ખૂટતા તત્વો જ આપવા જોઈએ. તેમજ આવા ખાતરો ફક્ત લાયસન્સ
ધારક વેપારી કે ડેપોમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
Monday, 21 June 2021
કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે.
કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે.
આપણી ખેતી આધારિત સંસ્કૃતિ
યુગો પુરાણી છે. આપણા ખેતી પ્રધાન દેશમાં અંદાજે ૨૦ કરોડ ખેડૂત પરિવારો
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી અને ગૌપાલન સાથે સંકળાયેલા છે. મહાન આદિ ઋષિ મહર્ષિ
ભારદ્વાજે ગાયની મહત્તા દર્શાવવા તેના શરીરની અંદર તેત્રીસ કોટિ દેવતાનો વાસ છે તેમ
ઉલ્લેખ કરેલો છે. જો આપણે થોડા અગાઉના જમાનાની વાત કરીએ તો જેની પાસે વધારે ગાય કે
પશુઓ રહેતા તેઓ વધારે ધનવાન ગણાતા. દીકરીને સાસરીયે વળાવતી વખતે ધામેણામાં ભેટ-દાન
તરીકે ગાય આપવામાં આવતી. જેથી
દીકરીને સાસરિયાના સુખ-દુ:ખમાં ગાયનો સથવારો રહેતો. કેટલીક જગ્યાએ ગાયના બદલે ભેસની
પાડી પણ ભેટરૂપે આપવામાં આવતી. પરંતુ હવે ઘણું બધું બદલાય ગયું છે.
આજે આપણી ખેતી
સંસ્કૃતિમાંથી ગાય અને બળદનું મહાત્મય અનેકગણું ઘટી ગયું છે. ત્યારે આપણે ખેતીમાંથી
ખોવાયેલ નંદી (બળદ) વિષે વાત કરવાના છીએ.
કૃષિ તજજ્ઞ એવા મારા મિત્ર જતીનભાઈ બલદાણીયા સાથે આ અંગે તાજેતરમાં ચર્ચા થઇ.
જેમાંના અમુક મુદ્દાઓ આ લેખમાં રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.
તમે AI એટલે Artificial Insemination એટલે કે કૃત્રિમ બીજદાન
વિષે વાંચ્યું કે સાંભળ્યું જ હશે. જેમાં સારી ગુણવત્તા અને લક્ષણો ધરાવતા નંદી કે
પાડાનું સીમેન (વીર્ય) લઇ ઇન્જેક્શન મારફતે ગાય-ભેંસને આપવામાં આવે છે. જેથી આપણી
ઇચ્છાનુસાર લક્ષણો ધરાવતા વાછરડાં કે પાડરાં મેળવી શકાય તેવું માનવામાં આવે છે.
જતીનભાઈના જણાવ્યા અનુસાર ભારતમાં
આ AI અંદાજે ૧૫-૨૦ વર્ષથી
કાર્યરત છે. જો વિદેશની વાત કરીએ તો, ત્યાં આ પદ્ધતિને ઘણી જ
સફળતા મળી છે. જેના ઘણા કારણો છે. જેમકે વિદેશોમાં આપણા દેશની જેમ ખેડૂત કુટુંબ
દીઠ એક-બે ગાયો કે ભેંસો નથી હોતી પરંતુ મોટા મોટા તબેલા હોય છે, જેમાં પચાસ-સોથી
માંડીને પાંચસો-હજાર કે તેથી પણ વધુ ગાયો કે ભેંસો હોય છે.
તેમાં પણ પશુઓની ઉંમર મુજબ અલગ
અલગ રહેવાની સુવિધા હોય છે. જેમકે કોઈ ગાય ગરમીમાં આવવાની હોય ત્યારે તેને રહેવાની
અલગ સુવિધા ઉભી કરેલ હોય છે, જ્યાં તેનું AI પદ્ધતિ દ્વારા બીજદાન કરાવે છે. એ ત્યાં સરળ પ્રક્રિયા છે,
જેથી તબેલાની બીજી ગાયોને ખબર પણ ન હોય અને તેનું AI સફળતાપૂર્વક થઇ જાય છે.
વિશ્વની સૌથી વધારે ભેંસો ભારતમાં
છે. પરંતુ ભારતમાં તેના મોટા-મોટા તબેલા પ્રમાણમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. મોટેભાગે ખેડૂતના ઘરે એક-બે ગાય-ભેંસ હોય છે.
તેમજ આખા ગામની ગાય-ભેંસની સંખ્યાના આધારે ફક્ત બે-ત્રણ નંદી કે પાડા હોય છે. જેનો
ગામની ગાય/ભેસને ફળાવવા માટે તેનો ઉછેર થતો હતો.
હાલ ગામડાઓ અને શહેરોના તબેલામાં સંકરણ થયેલ (એચ.એફ. કે જર્સી) પશુઓની સંખ્યા વધતી
જાય છે.
ભારતમાં AI ની શરૂઆત વિશે માહિતી આપતા
જતીનભાઈએ કહ્યું કે હું જાણવા માંગુ છું કે આપણી દેશી ગાયો-ભેંસોને વિદેશી કોણે બનાવી
? શું આ કામ ખેડૂતોએ કર્યું છે ? આજે ભારત વિશ્વમાં દૂધ
ઉત્પાદનમાં પ્રથમ નંબર પર છે, તેમાં મારી ના નથી.
પરંતુ આ પ્રથમ નંબર લાવવામાં કે મેળવવામાં AI નું ખુબ
જ યોગદાન છે તેવું કહેવું કેટલા અંશે વ્યાજબી છે. અથવા AI દ્વારા જ આ થયું તે કહેવું વાજબી
નથી.
આપણે ત્યાં પશુપાલનની વાત
કરીએ તો તે ક્રમશઃ વધી રહ્યું છે પરંતુ ઘોડા,
ઊંટ, ગધેડા વગેરેની સંખ્યા ખૂબ જ ઘટી છે. તેનું સ્થાન ગાય, ભેસ કે બકરીએ લીધું
છે. પહેલા ડેરી ઉદ્યોગનો વિકાસ આટલો બધો
ના હતો, જેથી મોટાભાગનું દૂધ ઘર વપરાશના ઉપયોગમાં અને વધેલ દૂધમાંથી દહીં, દુધનો માવો તથા અન્ય બનાવટમાં વપરાતું
હતું. પણ હવે મોટા ભાગના વિસ્તારમાં ડેરીનો વિકાસ થતા ઘરે બનાવવામાં આવતી આ બધી
બનાવટ બંધ થઇ અથવા તો નહિવત થઇ ગઈ. હાલ મોટાભાગનું દૂધ ડેરીમાં ભરવામાં આવે છે. આથી
સરકારી ચોપડે કુલ દૂધ ઉત્પાદન વધારે દેખાય છે અને પશુ પણ એટલા જ વધ્યા છે.
જતીનભાઈ કહે છે કે એક સર્વે
પ્રમાણે વર્ષ ૨૦૧૨ અને તેની તુલનામાં ૨૦૧૯માં પશુવસ્તીમાં થયેલા ફેરફારની વાત કરીએ
તો વર્ષ ૨૦૧૨માં ગાયો, ભેંસોની સંખ્યા અનુક્રમે ૧૯.૦૯ કરોડ અને ૧૦.૮૭ કરોડ હતી. જે
વર્ષ ૨૦૧૯માં ૧૯.૨૫ કરોડ અને ૧૦.૯૮ કરોડ થવા પામી હતી. જે ગાયોની વસ્તીમાં ૦.૮૩
ટકા અને ભેંસોમાં ૧.૦૬ ટકાનો વધારો દર્શાવે છે. આ જ રીતે ઘેટાં અને બકરાંની વાત
કરીએ તો વર્ષ ૨૦૧૨માં અનુક્રમે ૧૩.૫૨ કરોડ અને ૬.૫૭ કરોડની વસ્તી વર્ષ ૨૦૧૯માં
૧૪.૮૯ કરોડ અને ૭.૪૩ કરોડ થઇ એટલે કે ઘેટાંમાં ૧૦.૧૪ ટકા અને બકરાંમાં ૧૪.૧૩ ટકાનો
વસ્તી વધારો થયો હતો.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય
છે કે ભારતમાં ઉપરોક્ત ૭ વર્ષમાં સૌથી વધારે વિકાસ ઘેટા અને ત્યારબાદ બકરામાં જોવા
મળે છે. પરંતુ તેમાં તો AI છે
જ નહિ કેમ કે તેમાં AI સફળ થતું નથી.
મને લાગે છે કે ખેડૂતના અને માલધારીઓના એટલા સારા ભાગ્ય કે ઘેટાં-બકરાંમાં AI સફળ ન રહ્યું. આ વાત કહેવાનો મારો
હેતુ એટલો જ કે વગર AI
એ ગાય-ભેસ કરતા ઘેટાં-બકરામાં વધારે વિકાસ થયો છે.
ગાય/ભેસમાં થઈ રહેલા AI અને તેની અસર વિશે માહિતી
જણાવતા જાતિન બલદાણીયાએ કહ્યું કે આપણે અગાઉ ગાય કે ભેસ ગરમીમાં આવે ત્યારે તેને આજુબાજુમાં
નજીકના વિસ્તારમાં જ્યાં સારી ગુણવતાના નંદી કે પાડા હોય ત્યાં લઇ જવામાં આવતી. હવે
આ એક નૈસર્ગિક ક્રિયા છે. જેમાં નંદી-પાડા દ્વારા ચોક્કસ રીતે જેતે માદા પશુની ઉતેજના
ચકાસણી થતી. ઘણી વખત માદાપશુ બહારથી ગરમીમાં આવેલ દેખાતી હોય અને પશુપાલક દ્વારા
તેને નર પાસે લઇ જવામાં આવે તો નંદી-પાડા દ્વારા ખબર પડી જતી કે માદા ગરમીમાં નથી.
કેટલીક વખત માદાપશુંમાં દેખાતી ન હોય તેવી ઉતેજના પણ થતી હોય છે, જો આવા સમયે તે
નર ની આજુબાજુમાં હોય તો નરપશુને જાણ થઇ જાય છે કે આ ગરમીમાં છે અને તેની સાથેના
શારીરિક મિલન દ્વારા સચોટ રીતે માદા ગર્ભવતી થઇ જતી.
પરંતુ આનાથી AI માં એકદમ ઉલટું જોવા મળે છે. જ્યારથી AI આવ્યું છે ત્યારથી માદાપશું
ગરમીમાં આવ્યાના લક્ષણો દેખાય એટલે પશુ ડોકટરને કૃત્રિમ બીજદાન માટે ઘરે
બોલાવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ભેસમાં AI ખૂબ જ મહેનત માંગી લે તેવું કામ છે. ગાય કે ભેસને બાંધવા
પડે, આજુબાજુ ચાર-પાંચ માણસો લાકડી લઇને ઉભા રહે, ત્યારે AI નું ઇન્સેક્સન લગાવી શકાય. આમાં ઉપર
જણાવ્યા મુજબ માદાપશુંની ચોક્કસ ઉત્તેજના થઇ શક્તિ નથી. હવે જો ખરેખર ગાય કે ભેસ ગરમીમાં
આવેલ ન હોય અને તેને AI નું ઇન્જેક્શન
આપવામાં આવે તો તેની બીજી આડઅસર પણ થતી હશે. આવું મારું માનવું છે.
જતીનભાઈ કહે છે કે આ ઉપરોક્ત
બાબતો આપણને સામાન્ય લાગે, પરંતુ પશુ ઉપર તેની માનસિક અસર થાય છે. કેમ કે મેં અગાઉ
જણાવ્યા મુજબ આપને ત્યાં ગરમીમાં આવતા પશુ માટે અલગ વ્યવસ્થા હોતી નથી. માટે આ
દ્રશ્ય આજુબાજુમાં જે બીજા પ્રાણી હોય તે જુવે છે અને તેના ડરથી તે ગરમીમાં આવતા
ગભરાટ અનુભવતા પણ હશે.
અગાઉ આ તેમના માટે એક કુદરતી ક્રિયા હતી, જેનો તેઓને આનંદ પણ મળતો હશે.
પરંતુ હવે AI થી ગાય અને ભેસમાં ૩ થી ૪
વેતર (વિયાણ) પછી
ગરમીમાં આવવાનો અને જો ગરમીમાં આવે તો ગાભ રહેવાની તક બહુ ઓછી રહે છે. આ વાત
સાંભળીને કોઈ કહેશે કે ગામમાં નંદી-પાડા તો છે જ ને, હવે તો ગાય-ભેંસને એની પાસે
લઇ જાઓ. તો મારો જવાબ છે કે આ AI આવતા
શુદ્ધ નસલના નંદી-પાડા કેટલાં બચ્યાં છે. અને જો હશે તો પણ જયારે ગાય કે ભેસને એક
વાર AI કરાવો પછી તેની આખી કુદરતી સીસ્ટમ
વિખાય જાય છે. ફરીથી અગાઉ જેટલી સક્ષમ રહેતી નથી.આ ઉપરાંત AI થી મારા ખયાલ
મુજબ બિન-વર્ણનાત્મક ગાય-ભેંસની જાત વધારે પેદા થઇ છે. આજે આપણને રસ્તા પર જે
રખડતી દેખાય છે તે મોટાભાગે બિન-વર્ણનાત્મક ઓલાદ છે. તેમાં વધારે ગાય હોય છે, કેમ
કે ભેસના કતલખાના હોવાથી તે આપણને રસ્તા પર રઝળતી દેખાતી નથી.
આજે બ્રાઝીલમાં શુદ્ધ ગીર
નસલ જોવા મળે છે. ગીરગાય એ બ્રાઝીલની સ્થાનિક ઓલાદ તો નથી, એટલે તેઓએ ધાર્યું હોત તો
તેને વર્ણસંકર બનાવી શક્યા હોત પરંતુ તેઓએ તેમ ન કર્યું. મૂળ ભાવનગરની ગીરગાયથી
બ્રાઝીલની ઈકોનોમી બદલાય, ત્યાની સંસદ સામે ભાવનગર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીની
ભવ્ય પ્રતિમા મુકવામાં આવી. પોતાની વાત પૂરી કરતા જતીનભાઈએ કહ્યું કે, છેલ્લે મારે
એટલું જ કહેવું છે કે કોઈપણ કામ જો દીર્ધદ્રષ્ટિ વગર કરવામાં આવે તો તેની માઠી અસર
થાય છે. આપણા દેશમાં પશુઓનું ધાર્મિક મહત્વ ખૂબ છે અને તેની સાથે કોઈપણ કામ કરતી
વખતે તેની માનવ સામાજિક જીવન પર થતી અસર વિશે જરૂર વિચારવું પડે. મેં મારા અનુભવની વાત કરી, બની શકે કે સંવેદનારહિત વિજ્ઞાની
તથ્યો અલગ પણ હોય શકે.
આપણી દેશી ગાયો તો યુગોથી માનવીને જીવન આપતી રહી
છે. તો પછી તેનું સંકરણ અથવા
તેમાં AI કરાવવાની શી ફરજ પડી.
હવે ગામડામાં ધીમે
ધીમે સારી ઓલાદ અને નંદી ખોવાઈ રહ્યા છે. તો પછી તેની સારી શુદ્ધ નસલ ક્યાંથી
મેળવવી. મારા મત મુજબ આને પ્રગતિ તો ન જ કહેવાય. આપણને કોઈ વિદેશી જાણકારો કહે કે
તમારી દેશી નસલની ગાય-ભેસોમાં આટલા બધા ગુણ છે, ત્યારે આપણે તેની નોધ ફક્ત આપણો
કોલર ઉંચો રાખવા જ લઈએ છીએ.
Monday, 14 June 2021
વતનનું ઋણ ચૂકવવા માટે વૃક્ષારોપણ : એક નૂતન અભિયાન એટલે મિશન ગ્રીન બોટાદ
“ના મને દવા ઓછી પડી, કે ન તો દુવા ઓછી પડી,
જાણકાર તબીબે એવું કહ્યું, તને તાજી હવા ઓછી
પડી.”
સોશ્યલ મીડિયા પરથી મળેલ આ પંક્તિઓ આજના સમયમાં
કેટલી યથાર્થ છે તે કહેવા-સમજાવવાની જરૂર જ નથી. મહામારીના આ દોરમાં સ્વજનોને
બચાવવા માટે દવાખાનામાં ખાટલા અને ઓક્સિજનના બાટલા શોધવા ઠેર ઠેર ભટકતા માણસને,
હજુ તો પર્યાવરણ, પ્રાણવાયુ, વૃક્ષો, વનરાજી વગેરેની અગત્યતા સમજાવાનું શરુ જ થયું
હતું. ત્યાં તો માનવીને તેની પામરતાનો ખ્યાલ આપવા કુદરતે તાઉ-તે વાવાઝોડાને
મોકલ્યું.
ગત મહિનામાં અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત
દરમ્યાન વાવાઝોડાએ વેરેલ વિનાશની ઝાંખી જોઈ. મૂળ સહીત ઉખડી ગયેલ વૃક્ષોને જોઇને
સૌથી વધુ દુઃખ થયુ. પૃથ્વીના શરીર પરથી કોઈએ લીલો સાડલો ખેંચી કાઢ્યો હોય તેવા
કરુણ દ્રશ્યો ઠેર ઠેર જોવા મળતા હતા. મકાનો પડી જવા, છાપરાઓ ઉડી જવા વગેરે જેવી
ભૌતિક રીતે પડેલી માનવીય તકલીફોને તો આપણે સહુ ખભેખભા મીલાવીને ટૂંક સમયમાં દૂર
કરી લઈશું તેમાં કોઈ શંકા નથી. પરંતુ પર્યાવરણના પ્રહરી સમાન આ ઝાડવાંઓમાં થયેલ નુકશાન
ભરપાઈ કરવામાં ચોક્કસપણે અનેક વર્ષો નીકળી જશે.
આવા સમયે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપાણની સ્વયંભુ
સામાજીક જવાબદારી ઉપાડી લેનાર ભડવીર સંસ્થા અને તેના સંચાલકની વાત કરવાનું મન થાય.
જેમાં વાત કરીએ તો બોટાદ શહેર અને નજીકના તમામ વિસ્તારોને હરિયાળું બનાવવાના
પ્રયાસોમાં રત એક સંસ્થા છે મિશન ગ્રીન બોટાદ.
આ મિશનની શરૂઆત કેવી રીતે થઇ તેની વાત કરતા હાલ
સુરત રહેતા બોટાદના વતની વિજયભાઈ ઇટાલીયાએ જણાવ્યું કે વતન માટે કૈક કરવું છે એવો
વિચાર કેટલાંય સમયથી મનમાં સતત ઘૂમરાતો હતો. એવામાં એક વખત મારા મિત્ર જીજ્ઞેશભાઈ
કળથીયાનો ફોન આવ્યો કે બોટાદમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપાણ કરીએ તો કેવું રહે ?
બસ આ એક ફોનકોલથી વતનનું ઋણ ચૂકવવા માટેના અભિયાન મિશન ગ્રીન બોટાદની શરૂઆત થઇ અને
તેની સાથે જ શરુ થયો એક હરિયાળો અધ્યાય.
આજે બોટાદ શહેર અને સંલગ્ન વિસ્તારો વિવિધ
વૃક્ષોની લીલોતરીથી પલ્લવિત કરનાર મિશન ગ્રીન બોટાદની શરૂઆતના સમયમાં લોકોનો કોઈ
ખાસ સહકાર મળતો ન હતો. છતાં પણ વિજયભાઈ અને તેમની ટીમ હિંમત હાર્યા વિના એક જૂનુન
સાથે લાગી રહ્યાં હતા. ધીમેધીમે વૃક્ષોની લીલોતરી વધતા તેમને સાથ-સહકાર આપનારાઓ પણ
વધતા ગયા. આજે ગુજરાત સરકારના મંત્રીથી માંડીને વિવિધ રાજકીય-સામાજિક અગ્રણીઓ,
સરકારી ઓફિસર્સ સહીત સામાન્ય જનતા પણ મોટી સંખ્યામાં પ્રેમપૂર્વક મિશન ગ્રીન બોટાદ
સાથે જોડાઈ ચૂક્યા છે.
આ મિશન ગ્રીન બોટાદ દ્વારા સમયાંતરે યોજાતા રોપા
વિતરણ કાર્યક્રમોમાં વૃક્ષના રોપાઓ લેવા માટે સેંકડો લોકો લાઈનમાં ઉભા રહ્યા હોય
તેવા અનુપમ દ્રશ્યો પણ જોવા મળે છે. આ મિશનથી પ્રભાવિત થયેલા બોટાદના જ એક નિવાસી
મિત્ર તુષારભાઈ ગાબાણી કહે છે કે આમ તો અમારો વિસ્તાર સુક્કો ગણાય. પરંતુ જો આવી જ
રીતે મિશન ગ્રીન બોટાદ ચાલતું રહ્યું તો અમારું બોટાદ પણ ગાંધીનગર જેવું ગ્રીન થઇ
જાય એ દિવસ દૂર નથી. આ મિશન દ્વારા મિયાવાકી પદ્ધતિ વડે થયેલ હજારો વૃક્ષોના
વાવતેરથી પાળીયાદ રોડનો તળાવ વિસ્તાર અને ત્રાજપર રોડ સહીત અનેક વિસ્તારોએ આજે
લીલી ચાદર ઓઢી લીધી છે.
ખેડૂતોને ખેતીમાં રાસાયણિક દવાઓના ઉપયોગને
અટકાવવા માટે સમજાવતા તેમજ પર્યાવરણ રક્ષાના કાર્યક્રમ સાથે સંકળાયેલ બોટાદના બીજા
એક નિવાસી ચામુંડા ઓર્ગેનિકવાળા અશ્વિનભાઈ દલવાડી પણ આ મિશન ગ્રીન બોટાદના કર્મઠ
કાર્યકર્તા યુવાનોને બિરદાવતા કહે છે કે મિશનના કાર્યકરો આવા જ ઉત્સાહ અને
તત્પરતાથી કામ કરતા રહેશે તો જરૂર સફળ થશે અને જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ચોક્કસપણે
આખા વિસ્તારની કાયાપલટ કરી નાખશે.
મિશન ગ્રીન બોટાદના પર્યાવરણલક્ષી કાર્યોની નોંધ
લઈને વર્ષ ૨૦૨૦-૨૧ના અંજુ-નરસી પારિતોષિકની સામાજિક સેવા કેટેગરીમાં વિજયભાઈનું
નામ પસંદ કરવામાં આવ્યું છે. વિજયભાઈ કહે છે કે આ એવોર્ડ મળવાની ખુશી ચોક્કસ છે,
કેમ કે તેનાથી કેટલાય લોકોને આ કાર્ય કરવાની પ્રેરણા મળશે. પરંતુ જ્યારે કોઈ યુવાન
પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ કરવાને બદલે એક વૃક્ષ વાવવાનું નક્કી કરે છે ત્યારે અને
અમારું કાર્ય જોઇને કોઈ અન્ય ગામના લોકો પણ આવા અભિયાનની શરૂઆત કરે તે જોઈને જે
આનંદ મળે છે તે અવર્ણનીય છે.
હાલ આખું વિશ્વ ગોબલ વોર્મિંગ અને કલાયમેટ
ચેન્જના કારણે ગરમ ભઠ્ઠીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મિશન ગ્રીન બોટાદ અને તેના
જેવી અન્ય સંસ્થાઓના કાર્યો અને તેના પરિણામોની અસર થશે જ અને આવનારા સમયમાં
પૃથ્વીના શરીર પર ફરીથી હરિત ચુંદડીનું આવરણ વીંટળાઈ જશે એમાં શંકા નથી.
Monday, 26 April 2021
હાલના સમયે નિરાશ થવાને બદલે આ મુસીબતથી બચવાના રસ્તાઓ અપનાવીએ
આજે ફરીથી એ વાત કહી રહ્યો છું જેની ચર્ચા આપણે એક વર્ષ અગાઉ આ કોલમમાં કરી ચૂક્યા છીએ. વાત છે કોરોનાકાળના કકળાટની અને તેમાં હોમાતી મહામૂલી જિંદગીની. અખબારો અને ચેનલો પર વાજોવાજ બતાવવામાં આવતા આ મહામારીની અસરોના સમાચારો તેને જોનાર ખાસ કરીને ગ્રામ્ય વર્ગને નિરાશાની ખીણમાં વધુને વધુ ઊંડે સુધી ગરક કરી દે છે.
આપણે પોતે પણ પોતાની જાત અને પોતાના પરિવારનાં સભ્યોની સુરક્ષાને અદ્ધરતાલ છોડીને લગ્ન કે મરણ પ્રસંગે ગામ ભેગું કરીએ છીએ અથવા તો બે ઘડીના સગા જેવા તકવાદી રાજકીય પક્ષોની ચૂંટણી સભાઓ, મેળાવડાઓ, જલસાપાર્ટીઓમાં ‘અરે... અમને કાઈ ન થાય...’ એમ માનીને ટોળેટોળા રૂપે ભેગા થઈ રહ્યા છીએ. આવી રીતે થોડા સમય પુરતા પણ આ તીવ્ર આવેશમાં પોતાનો જીવ ખોવા તૈયાર થનાર લોકો અંગે શું કહેવું...?
આજે આપણા રાજયમાં ભાગ્યે જ કોઈ એવું
ગામડું હશે કે જ્યાં આ રાક્ષસી વાયરસનું કોઈ ભોગ બન્યું ના હોય. અગાઉના સમયમાં
ગામમાં કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થતું તો પણ આખું ગામ શોકમગ્ન થઇ જતું. જયારે આજે
તો રોજેરોજ મૃત્યુના સમાચારો મળી રહ્યા છે. જે ચોક્કસ નિરાશાજનક વાત છે. પરંતુ,
વરસાદ આવશે જ એવી આશા સાથે આગોતરું વાવેતર કરતો આશાવાદી ખેડૂત કે ગ્રામ્યજન નિરાશ
થાય તે સમગ્ર વિશ્વ માટે ખૂબ જ નુકશાનકારક છે.
આ સંદર્ભે એક દંતકથા ખાસ ધ્યાને લીધા
જેવી છે: એક વખત અકબરનાં જન્મદિવસે બધા કારભારી અને દરબારીઓ તેને વિવિધ પ્રકારની
મોંઘી-મોંઘી ભેટ-સોગાદો આપી રહ્યાં હતા. બીરબલનો વારો આવ્યો એટલે તેણે પણ અકબરને
એક વીંટી ભેટ તરીકે આપી. આ જોઇને અન્ય દરબારીઓ હસવા લાગ્યા. કોઇકે કહ્યું પણ ખરું
કે, જોયુંને જહાંપનાહ, આ તમે જેને ખૂબ જ માથે ચડાવ્યો છે તે આ બીરબલ, તમારા જેવા
બાદશાહને ભેટ આપવા માટે સાવ સામાન્ય વીંટી લઈ આવ્યો. તેના મનમાં તમારા પ્રત્યે કોઈ
લાગણી જ નથી. બસ ખાલી વાતો જ મોટી મોટી કરે છે.
અકબર પણ થોડો નારાજ થયો. તેણે બીરબલને
કહ્યું કે હું માનું છું કે તારું દરેક કામ કોઈ ગૂઢાર્થભર્યું હોય છે. પણ ભેંટમાં
આ સાવ સાદી વીંટી...? કંઈ સમજાતું નથી. બીરબલે અદબપૂર્વક કહ્યું કે જહાંપનાહ, આ
કોઈ સામાન્ય વીંટી નથી. આ એવી વસ્તુ છે કે જો તમે ખૂબ દુઃખી હશો તો તે જોઇને રાજી
થઈ જશો અને જો અતિ ખુશ હો ત્યારે તેને જોશો તો તે તમને વધુ પડતી ખુશીને લીધે છકી
જતા રોકી સામાન્ય પરિસ્થિતિમાં લઈ આવશે. આ સાંભળીને દીવાને ખાસમાં બેઠેલ તમામ લોકો
વિચારમાં પડી ગયા.
આટલું કહીને બીરબલે અન્ય દરબારીઓ તરફ
ફરીને કહ્યું કે, મિત્રો, દુઃખ આવે ત્યારે નાસીપાશ થવાને બદલે, નબળા વિચારો કરવાને
બદલે શાંતિથી વિચારીયે કે આ ખરાબ સમય પણ વીતી જશે, તો મને ખાતરી છે કે ચોક્કસ કોઈ
નવો માર્ગ મળશે અને જે તે મુસીબતથી છૂટકારો થશે. આ જવાબ સાંભળીને અકબર સંતુષ્ટ થયો
અને બીરબલને શાબાશી આપી.
પ્રિય ખેડૂત મિત્રો, અકબર-બીરબલની વાર્તાવાળી
આ ઘટના કદાચ સાચી ન પણ હોય, પરંતુ ...આ પણ વીતી જશે... વાક્ય અને તેની અસર ખરેખર
અદભુત છે. સમય કયારેય એક સરખો રહેતો નથી. માટે હાલના નબળા સમયે મૂંઝાવાને બદલે, નિરાશ
થવાને બદલે માસ્ક પહેરવું, સેનીટાઈઝર, વેક્સીનેશન, બે વ્યક્તિઓ વચ્ચે બે-ગજનું
અંતર પાળવું વગેરે જેવા આ મુસીબતમાંથી બચવાના રસ્તાઓ અપનાવવા જોઈએ અને આજના આ દુઃખ-તકલીફોને
સમયના વહેણમાં વહેતા મૂકી દેવા જોઈએ.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ
નિરામયા...
Monday, 22 March 2021
જળસંગ્રામ જીતવા જંગે ચડનારી જળયોદ્ધા : હરિયાણવી સન્નારીઓ
વાત છે, હરિયાણાના રેવાડી જીલ્લાનાં ગામ નારાયણપુરની જળયોદ્ધા મહિલાઓની. અહી જોહાદ તરીકે ઓળખાતો એક ખૂબ મોટો કુવો જોવા દેશભરમાંથી લોકો આવે છે. આવતા એપ્રિલ-મે માસ દરમ્યાન પડનાર તડકાઓને લીધે આ વિસ્તારમાં પાણીના અન્ય નાના-મોટા સ્થાનો સુકાઈને ખાલી થઇ જશે. પરંતુ આ કુવો આખું વર્ષ છેક કાંઠા સુધી છલોછલ પાણીથી ભરાયેલ રહીને સમગ્ર નારાયણપુર વિસ્તારને પીવાના મીઠા પાણીનો પૂરવઠો પૂરો પાડતો રહે છે.
અંદાજે માત્ર અઢીસો પરિવારની વસ્તીવાળા આ નારાયણપુરમાં છેલ્લા દોઢ દાયકાથી વરસાદનાં પ્રમાણ અને ભૂગર્ભજળ સ્તરમાં ઝડપી ઘટાડો જોવા મળતો હતો. વૈજ્ઞાનિકોના મત મુજબ નારાયણપુરા વિસ્તારનાં ભૂતળનું પાણી ક્ષારવાળું અને પીવાલાયક ન હતું. દશેક વર્ષ પહેલા કેન્દ્ર સરકાર અંતર્ગતની સંસ્થા ‘એગ્રીકલ્ચર મેનેજમેન્ટ ટેકનોલોજી એજન્સી’ દ્વારા પાણીની ગુણવત્તા ચકાસવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રેવાડી વિસ્તારના કુલ પાતાળ કુવામાંથી ફક્ત ૨૪% કુવામાં જ પીવાલાયક સારી ગુણવત્તા ધરાવતું પાણી હતું. જ્યારે અન્યમાં ક્ષાર અને સોડિસિટી (સોડિયમ)ની ભરપૂર માત્રા જોવા મળી હતી.
ગામમાં
પૂરતા પ્રમાણમાં મીઠું પાણી ન હોવાને લીધે ગામલોકો પાણી માટે બહારના સ્ત્રોત પર
નિર્ભર હતા. ગામની મહિલાઓએ પાણી માટે દૂર દૂર ધક્કા ખાવા પડતા હતા. તત્કાલીન હરિયાણા
સરકારના પાણી પૂરવઠા વિભાગ દ્વારા બાજુના પુંસીકા ગામમાંથી આસપાસના ગામડાંઓને
પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવતો હતો. પરંતુ પોતાને પાણી ઓછું પડતું
હોવાની ફરિયાદ કરીને પુંસીકાના લોકોએ વિરોધ કર્યો. જેથી નારાયણપુર વિસ્તાર માટે આ
સુવિધા પણ બંધ કરવામાં આવી.
એ જુના
દિવસોને યાદ કરતા આ ગામના મહિલા જળયોદ્ધા લલિતા કોર જણાવે છે કે, સામાન્ય રીતે પાણીનું એક ટીપું
મેળવવા માટે અમારે કલાકો રાહ જોવી પડતી, અને ઉનાળાના
દિવસોમાં તો મીઠા પાણીના એક ઘડા માટે અમારે દિવસો સુધી રાહ જોવી પડતી હતી. અંતે
જ્યારે રાહ જોવાની હદ આવી જાય ત્યારે ફરજીયાતપણે અમારે ડંકીના ઉપયોગ કરીને ક્ષારવાળા
પાણીનો ઉપયોગ કરવો પડતો હતો.
આવું
વારંવાર થવાથી ગામની કેટલીક મહિલાઓએ આ સમસ્યા અંગે સાથે મળીને વિચાર્યું, તો સાર
નીકળ્યો કે જ્યાં સુધી ગામના કુવા દ્વારા પાણી પુરું પાડવામાં આવતું હતું ત્યાં
સુધી કોઈ તકલીફ ન હતી. પણ જ્યારથી કુવો બંધ થયો છે ત્યારથી જ બધી સમસ્યાઓ જન્મી છે.
આના ઉપાય તરીકે આ શરૂઆતમાં ફક્ત કુલ સાત મહિલાઓએ ગામના કુવાને ફરીથી જીવંત કરવાનું
અને કુવાની બાજુમાં અડધા પૂરાઈ ગયેલ તળાવને ફરી ગાળવાનું નક્કી કર્યું.
બધું જ કામ આ મહિલાઓ કરતી હોવા છતાં પણ કરૂણતા તો એ હતી કે ગામના તો ઠીક પરંતુ તેમના ઘરના પુરૂષો પણ આ સન્નારીઓની મજાક કરતા અને હાંસી ઉડાવતા. આ પરિસ્થિતિમાં પણ સતત એક વર્ષ સુધી મથામણ કર્યા બાદ આ સાત મહિલાઓનો દ્દઢ નિશ્ચય જોઇને ધીમે ધીમે ગામની અન્ય સ્ત્રીઓ પણ તેમની સાથે જોડાવા લાગી. જોકે ત્યારબાદ તેમના આ કાર્યની નોંધ લઈને એક સામાજિક સંસ્થાએ તેમને નાણાંકીય સહાય આપી અને ગામલોકોનો પણ સહકાર મળવા લાગ્યો.
હવે આ કુવો સમગ્ર વર્ષ દરમિયાન પાણીથી છલોછલ રહે છે અને ગામની જરૂરિયાત અનુસાર પાણી પૂરું પણ પાડે છે. ચોમાસામાં કુવાની નજીક આવેલ શાળાની છત પરથી નીતરેલુ અને ખૂલ્લા વિસ્તારોનું પાણી એકત્ર કરીને ગામના તળાવ તથા અન્ય જળસ્રોતને ફરીથી રિચાર્જ કરવામાં આવે છે. આજે આ નારાયણપુર ગામ એક મોડેલ ગામ અને મહિલાઓના કુવાવાળું ગામ તરીકે જાણીતું બન્યું છે.