આજે ફરીથી એ વાત કહી રહ્યો છું જેની ચર્ચા આપણે એક વર્ષ અગાઉ આ કોલમમાં કરી ચૂક્યા છીએ. વાત છે કોરોનાકાળના કકળાટની અને તેમાં હોમાતી મહામૂલી જિંદગીની. અખબારો અને ચેનલો પર વાજોવાજ બતાવવામાં આવતા આ મહામારીની અસરોના સમાચારો તેને જોનાર ખાસ કરીને ગ્રામ્ય વર્ગને નિરાશાની ખીણમાં વધુને વધુ ઊંડે સુધી ગરક કરી દે છે.
આપણે પોતે પણ પોતાની જાત અને પોતાના પરિવારનાં સભ્યોની સુરક્ષાને અદ્ધરતાલ છોડીને લગ્ન કે મરણ પ્રસંગે ગામ ભેગું કરીએ છીએ અથવા તો બે ઘડીના સગા જેવા તકવાદી રાજકીય પક્ષોની ચૂંટણી સભાઓ, મેળાવડાઓ, જલસાપાર્ટીઓમાં ‘અરે... અમને કાઈ ન થાય...’ એમ માનીને ટોળેટોળા રૂપે ભેગા થઈ રહ્યા છીએ. આવી રીતે થોડા સમય પુરતા પણ આ તીવ્ર આવેશમાં પોતાનો જીવ ખોવા તૈયાર થનાર લોકો અંગે શું કહેવું...?
આજે આપણા રાજયમાં ભાગ્યે જ કોઈ એવું
ગામડું હશે કે જ્યાં આ રાક્ષસી વાયરસનું કોઈ ભોગ બન્યું ના હોય. અગાઉના સમયમાં
ગામમાં કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થતું તો પણ આખું ગામ શોકમગ્ન થઇ જતું. જયારે આજે
તો રોજેરોજ મૃત્યુના સમાચારો મળી રહ્યા છે. જે ચોક્કસ નિરાશાજનક વાત છે. પરંતુ,
વરસાદ આવશે જ એવી આશા સાથે આગોતરું વાવેતર કરતો આશાવાદી ખેડૂત કે ગ્રામ્યજન નિરાશ
થાય તે સમગ્ર વિશ્વ માટે ખૂબ જ નુકશાનકારક છે.
આ સંદર્ભે એક દંતકથા ખાસ ધ્યાને લીધા
જેવી છે: એક વખત અકબરનાં જન્મદિવસે બધા કારભારી અને દરબારીઓ તેને વિવિધ પ્રકારની
મોંઘી-મોંઘી ભેટ-સોગાદો આપી રહ્યાં હતા. બીરબલનો વારો આવ્યો એટલે તેણે પણ અકબરને
એક વીંટી ભેટ તરીકે આપી. આ જોઇને અન્ય દરબારીઓ હસવા લાગ્યા. કોઇકે કહ્યું પણ ખરું
કે, જોયુંને જહાંપનાહ, આ તમે જેને ખૂબ જ માથે ચડાવ્યો છે તે આ બીરબલ, તમારા જેવા
બાદશાહને ભેટ આપવા માટે સાવ સામાન્ય વીંટી લઈ આવ્યો. તેના મનમાં તમારા પ્રત્યે કોઈ
લાગણી જ નથી. બસ ખાલી વાતો જ મોટી મોટી કરે છે.
અકબર પણ થોડો નારાજ થયો. તેણે બીરબલને
કહ્યું કે હું માનું છું કે તારું દરેક કામ કોઈ ગૂઢાર્થભર્યું હોય છે. પણ ભેંટમાં
આ સાવ સાદી વીંટી...? કંઈ સમજાતું નથી. બીરબલે અદબપૂર્વક કહ્યું કે જહાંપનાહ, આ
કોઈ સામાન્ય વીંટી નથી. આ એવી વસ્તુ છે કે જો તમે ખૂબ દુઃખી હશો તો તે જોઇને રાજી
થઈ જશો અને જો અતિ ખુશ હો ત્યારે તેને જોશો તો તે તમને વધુ પડતી ખુશીને લીધે છકી
જતા રોકી સામાન્ય પરિસ્થિતિમાં લઈ આવશે. આ સાંભળીને દીવાને ખાસમાં બેઠેલ તમામ લોકો
વિચારમાં પડી ગયા.
આટલું કહીને બીરબલે અન્ય દરબારીઓ તરફ
ફરીને કહ્યું કે, મિત્રો, દુઃખ આવે ત્યારે નાસીપાશ થવાને બદલે, નબળા વિચારો કરવાને
બદલે શાંતિથી વિચારીયે કે આ ખરાબ સમય પણ વીતી જશે, તો મને ખાતરી છે કે ચોક્કસ કોઈ
નવો માર્ગ મળશે અને જે તે મુસીબતથી છૂટકારો થશે. આ જવાબ સાંભળીને અકબર સંતુષ્ટ થયો
અને બીરબલને શાબાશી આપી.
પ્રિય ખેડૂત મિત્રો, અકબર-બીરબલની વાર્તાવાળી
આ ઘટના કદાચ સાચી ન પણ હોય, પરંતુ ...આ પણ વીતી જશે... વાક્ય અને તેની અસર ખરેખર
અદભુત છે. સમય કયારેય એક સરખો રહેતો નથી. માટે હાલના નબળા સમયે મૂંઝાવાને બદલે, નિરાશ
થવાને બદલે માસ્ક પહેરવું, સેનીટાઈઝર, વેક્સીનેશન, બે વ્યક્તિઓ વચ્ચે બે-ગજનું
અંતર પાળવું વગેરે જેવા આ મુસીબતમાંથી બચવાના રસ્તાઓ અપનાવવા જોઈએ અને આજના આ દુઃખ-તકલીફોને
સમયના વહેણમાં વહેતા મૂકી દેવા જોઈએ.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ
નિરામયા...
No comments:
Post a Comment