“ના મને દવા ઓછી પડી, કે ન તો દુવા ઓછી પડી,
જાણકાર તબીબે એવું કહ્યું, તને તાજી હવા ઓછી
પડી.”
સોશ્યલ મીડિયા પરથી મળેલ આ પંક્તિઓ આજના સમયમાં
કેટલી યથાર્થ છે તે કહેવા-સમજાવવાની જરૂર જ નથી. મહામારીના આ દોરમાં સ્વજનોને
બચાવવા માટે દવાખાનામાં ખાટલા અને ઓક્સિજનના બાટલા શોધવા ઠેર ઠેર ભટકતા માણસને,
હજુ તો પર્યાવરણ, પ્રાણવાયુ, વૃક્ષો, વનરાજી વગેરેની અગત્યતા સમજાવાનું શરુ જ થયું
હતું. ત્યાં તો માનવીને તેની પામરતાનો ખ્યાલ આપવા કુદરતે તાઉ-તે વાવાઝોડાને
મોકલ્યું.
ગત મહિનામાં અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત
દરમ્યાન વાવાઝોડાએ વેરેલ વિનાશની ઝાંખી જોઈ. મૂળ સહીત ઉખડી ગયેલ વૃક્ષોને જોઇને
સૌથી વધુ દુઃખ થયુ. પૃથ્વીના શરીર પરથી કોઈએ લીલો સાડલો ખેંચી કાઢ્યો હોય તેવા
કરુણ દ્રશ્યો ઠેર ઠેર જોવા મળતા હતા. મકાનો પડી જવા, છાપરાઓ ઉડી જવા વગેરે જેવી
ભૌતિક રીતે પડેલી માનવીય તકલીફોને તો આપણે સહુ ખભેખભા મીલાવીને ટૂંક સમયમાં દૂર
કરી લઈશું તેમાં કોઈ શંકા નથી. પરંતુ પર્યાવરણના પ્રહરી સમાન આ ઝાડવાંઓમાં થયેલ નુકશાન
ભરપાઈ કરવામાં ચોક્કસપણે અનેક વર્ષો નીકળી જશે.
આવા સમયે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપાણની સ્વયંભુ
સામાજીક જવાબદારી ઉપાડી લેનાર ભડવીર સંસ્થા અને તેના સંચાલકની વાત કરવાનું મન થાય.
જેમાં વાત કરીએ તો બોટાદ શહેર અને નજીકના તમામ વિસ્તારોને હરિયાળું બનાવવાના
પ્રયાસોમાં રત એક સંસ્થા છે મિશન ગ્રીન બોટાદ.
આ મિશનની શરૂઆત કેવી રીતે થઇ તેની વાત કરતા હાલ
સુરત રહેતા બોટાદના વતની વિજયભાઈ ઇટાલીયાએ જણાવ્યું કે વતન માટે કૈક કરવું છે એવો
વિચાર કેટલાંય સમયથી મનમાં સતત ઘૂમરાતો હતો. એવામાં એક વખત મારા મિત્ર જીજ્ઞેશભાઈ
કળથીયાનો ફોન આવ્યો કે બોટાદમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપાણ કરીએ તો કેવું રહે ?
બસ આ એક ફોનકોલથી વતનનું ઋણ ચૂકવવા માટેના અભિયાન મિશન ગ્રીન બોટાદની શરૂઆત થઇ અને
તેની સાથે જ શરુ થયો એક હરિયાળો અધ્યાય.
આજે બોટાદ શહેર અને સંલગ્ન વિસ્તારો વિવિધ
વૃક્ષોની લીલોતરીથી પલ્લવિત કરનાર મિશન ગ્રીન બોટાદની શરૂઆતના સમયમાં લોકોનો કોઈ
ખાસ સહકાર મળતો ન હતો. છતાં પણ વિજયભાઈ અને તેમની ટીમ હિંમત હાર્યા વિના એક જૂનુન
સાથે લાગી રહ્યાં હતા. ધીમેધીમે વૃક્ષોની લીલોતરી વધતા તેમને સાથ-સહકાર આપનારાઓ પણ
વધતા ગયા. આજે ગુજરાત સરકારના મંત્રીથી માંડીને વિવિધ રાજકીય-સામાજિક અગ્રણીઓ,
સરકારી ઓફિસર્સ સહીત સામાન્ય જનતા પણ મોટી સંખ્યામાં પ્રેમપૂર્વક મિશન ગ્રીન બોટાદ
સાથે જોડાઈ ચૂક્યા છે.
આ મિશન ગ્રીન બોટાદ દ્વારા સમયાંતરે યોજાતા રોપા
વિતરણ કાર્યક્રમોમાં વૃક્ષના રોપાઓ લેવા માટે સેંકડો લોકો લાઈનમાં ઉભા રહ્યા હોય
તેવા અનુપમ દ્રશ્યો પણ જોવા મળે છે. આ મિશનથી પ્રભાવિત થયેલા બોટાદના જ એક નિવાસી
મિત્ર તુષારભાઈ ગાબાણી કહે છે કે આમ તો અમારો વિસ્તાર સુક્કો ગણાય. પરંતુ જો આવી જ
રીતે મિશન ગ્રીન બોટાદ ચાલતું રહ્યું તો અમારું બોટાદ પણ ગાંધીનગર જેવું ગ્રીન થઇ
જાય એ દિવસ દૂર નથી. આ મિશન દ્વારા મિયાવાકી પદ્ધતિ વડે થયેલ હજારો વૃક્ષોના
વાવતેરથી પાળીયાદ રોડનો તળાવ વિસ્તાર અને ત્રાજપર રોડ સહીત અનેક વિસ્તારોએ આજે
લીલી ચાદર ઓઢી લીધી છે.
ખેડૂતોને ખેતીમાં રાસાયણિક દવાઓના ઉપયોગને
અટકાવવા માટે સમજાવતા તેમજ પર્યાવરણ રક્ષાના કાર્યક્રમ સાથે સંકળાયેલ બોટાદના બીજા
એક નિવાસી ચામુંડા ઓર્ગેનિકવાળા અશ્વિનભાઈ દલવાડી પણ આ મિશન ગ્રીન બોટાદના કર્મઠ
કાર્યકર્તા યુવાનોને બિરદાવતા કહે છે કે મિશનના કાર્યકરો આવા જ ઉત્સાહ અને
તત્પરતાથી કામ કરતા રહેશે તો જરૂર સફળ થશે અને જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ચોક્કસપણે
આખા વિસ્તારની કાયાપલટ કરી નાખશે.
મિશન ગ્રીન બોટાદના પર્યાવરણલક્ષી કાર્યોની નોંધ
લઈને વર્ષ ૨૦૨૦-૨૧ના અંજુ-નરસી પારિતોષિકની સામાજિક સેવા કેટેગરીમાં વિજયભાઈનું
નામ પસંદ કરવામાં આવ્યું છે. વિજયભાઈ કહે છે કે આ એવોર્ડ મળવાની ખુશી ચોક્કસ છે,
કેમ કે તેનાથી કેટલાય લોકોને આ કાર્ય કરવાની પ્રેરણા મળશે. પરંતુ જ્યારે કોઈ યુવાન
પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ કરવાને બદલે એક વૃક્ષ વાવવાનું નક્કી કરે છે ત્યારે અને
અમારું કાર્ય જોઇને કોઈ અન્ય ગામના લોકો પણ આવા અભિયાનની શરૂઆત કરે તે જોઈને જે
આનંદ મળે છે તે અવર્ણનીય છે.
હાલ આખું વિશ્વ ગોબલ વોર્મિંગ અને કલાયમેટ
ચેન્જના કારણે ગરમ ભઠ્ઠીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મિશન ગ્રીન બોટાદ અને તેના
જેવી અન્ય સંસ્થાઓના કાર્યો અને તેના પરિણામોની અસર થશે જ અને આવનારા સમયમાં
પૃથ્વીના શરીર પર ફરીથી હરિત ચુંદડીનું આવરણ વીંટળાઈ જશે એમાં શંકા નથી.
No comments:
Post a Comment