Monday, 22 March 2021

જળસંગ્રામ જીતવા જંગે ચડનારી જળયોદ્ધા : હરિયાણવી સન્નારીઓ

 વાત છે, હરિયાણાના રેવાડી જીલ્લાનાં ગામ નારાયણપુરની જળયોદ્ધા મહિલાઓની. અહી જોહાદ તરીકે ઓળખાતો એક ખૂબ મોટો કુવો જોવા દેશભરમાંથી લોકો આવે છે. આવતા એપ્રિલ-મે માસ દરમ્યાન પડનાર તડકાઓને લીધે આ વિસ્તારમાં પાણીના અન્ય નાના-મોટા સ્થાનો સુકાઈને ખાલી થઇ જશે. પરંતુ આ કુવો આખું વર્ષ છેક કાંઠા સુધી છલોછલ પાણીથી ભરાયેલ રહીને સમગ્ર નારાયણપુર વિસ્તારને પીવાના મીઠા પાણીનો પૂરવઠો પૂરો પાડતો રહે છે.

અંદાજે માત્ર અઢીસો પરિવારની વસ્તીવાળા આ નારાયણપુરમાં છેલ્લા દોઢ દાયકાથી વરસાદનાં પ્રમાણ અને ભૂગર્ભજળ સ્તરમાં ઝડપી ઘટાડો જોવા મળતો હતો. વૈજ્ઞાનિકોના મત મુજબ નારાયણપુરા વિસ્તારનાં ભૂતળનું પાણી ક્ષારવાળું અને પીવાલાયક ન હતું. દશેક વર્ષ પહેલા કેન્દ્ર સરકાર અંતર્ગતની સંસ્થા ‘એગ્રીકલ્ચર મેનેજમેન્ટ ટેકનોલોજી એજન્સી’ દ્વારા પાણીની ગુણવત્તા ચકાસવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રેવાડી વિસ્તારના કુલ પાતાળ કુવામાંથી ફક્ત ૨૪% કુવામાં જ પીવાલાયક સારી ગુણવત્તા ધરાવતું પાણી હતું. જ્યારે અન્યમાં ક્ષાર અને સોડિસિટી (સોડિયમ)ની ભરપૂર માત્રા જોવા મળી હતી.

ગામમાં પૂરતા પ્રમાણમાં મીઠું પાણી ન હોવાને લીધે ગામલોકો પાણી માટે બહારના સ્ત્રોત પર નિર્ભર હતા. ગામની મહિલાઓએ પાણી માટે દૂર દૂર ધક્કા ખાવા પડતા હતા. તત્કાલીન હરિયાણા સરકારના પાણી પૂરવઠા વિભાગ દ્વારા બાજુના પુંસીકા ગામમાંથી આસપાસના ગામડાંઓને પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવતો હતો. પરંતુ પોતાને પાણી ઓછું પડતું હોવાની ફરિયાદ કરીને પુંસીકાના લોકોએ વિરોધ કર્યો. જેથી નારાયણપુર વિસ્તાર માટે આ સુવિધા પણ બંધ કરવામાં આવી.

એ જુના દિવસોને યાદ કરતા આ ગામના મહિલા જળયોદ્ધા લલિતા કોર જણાવે છે કે, સામાન્ય રીતે પાણીનું એક ટીપું મેળવવા માટે અમારે કલાકો રાહ જોવી પડતી, અને ઉનાળાના દિવસોમાં તો મીઠા પાણીના એક ઘડા માટે અમારે દિવસો સુધી રાહ જોવી પડતી હતી. અંતે જ્યારે રાહ જોવાની હદ આવી જાય ત્યારે ફરજીયાતપણે અમારે ડંકીના ઉપયોગ કરીને ક્ષારવાળા પાણીનો ઉપયોગ કરવો પડતો હતો.

આવું વારંવાર થવાથી ગામની કેટલીક મહિલાઓએ આ સમસ્યા અંગે સાથે મળીને વિચાર્યું, તો સાર નીકળ્યો કે જ્યાં સુધી ગામના કુવા દ્વારા પાણી પુરું પાડવામાં આવતું હતું ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી. પણ જ્યારથી કુવો બંધ થયો છે ત્યારથી જ બધી સમસ્યાઓ જન્મી છે. આના ઉપાય તરીકે આ શરૂઆતમાં ફક્ત કુલ સાત મહિલાઓએ ગામના કુવાને ફરીથી જીવંત કરવાનું અને કુવાની બાજુમાં અડધા પૂરાઈ ગયેલ તળાવને ફરી ગાળવાનું નક્કી કર્યું.

જોકે જૂના ખંડેર જેવા તળાવમાંથી મીઠું પાણી ભરેલા કુવા તરફની મુસાફરી સરળ તો ન હતી. તેની વાત કરતા બીજા મહિલા જળયોદ્ધા કિરણ ચૌધરીએ કહ્યું કે, શરૂઆતના દિવસોમાં, અમે ફક્ત છ-સાત સ્ત્રીઓ દરરોજ ઘરનું કામ પૂરું કરીને વહેલી સવારે અહી આવી જતી અને આખો દિવસ ઉત્સાહપૂર્વક, ખૂબ જ મહેનતથી તળાવને ઊંડું ઉતારવાની કામગીરી કરતી. આ ખોદકામ માટે જરૂરી ચીજવસ્તુઓ અમે પોતાની બચત અને ગામની અન્ય સ્ત્રીઓ પાસેથી ઉઘરાવેલ ફંડમાંથી કરતા. અમે જાતે જ હાર્ડવેરની દુકાને જઇને રકઝક કરી વ્યાજબી ભાવ કરાવી માલ લઇ આવતા.

બધું જ કામ આ મહિલાઓ કરતી હોવા છતાં પણ કરૂણતા તો એ હતી કે ગામના તો ઠીક પરંતુ તેમના ઘરના પુરૂષો પણ આ સન્નારીઓની મજાક કરતા અને હાંસી ઉડાવતા. આ પરિસ્થિતિમાં પણ સતત એક વર્ષ સુધી મથામણ કર્યા બાદ આ સાત મહિલાઓનો દ્દઢ નિશ્ચય જોઇને ધીમે ધીમે ગામની અન્ય સ્ત્રીઓ પણ તેમની સાથે જોડાવા લાગી. જોકે ત્યારબાદ તેમના આ કાર્યની નોંધ લઈને એક સામાજિક સંસ્થાએ તેમને નાણાંકીય સહાય આપી અને ગામલોકોનો પણ સહકાર મળવા લાગ્યો.

ગામના પૂર્વ સરપંચ અનીતાદેવી જણાવે છે કે, મીઠા પાણીના સ્રોતની જાળવણી માટે નક્કી કરવામાં આવ્યું કે ફક્ત પીવા માટે ઘરદીઠ રોજનું ચાર બેડાં પાણી જ ભરવું. અને અન્ય ઉપયોગ માટે તળાવના પાણીનો ઉપયોગ કરવો. નક્કી કરેલા કલાકો દરમિયાન ગામની સ્ત્રીઓ સાથે મળીને પાણી ભરવા આવે જેથી કોઇ નિયમથી વધુ પાણી ન લઇ શકે. દરરોજ કુવાની સાફસફાઈ અને માવજત કરવામાં આવે છે. વૃદ્ધ જળયોદ્ધા દાદી ગુરશરનજી તો કહે છે કે, આ ગામમાં મીઠું પાણી એ ઇશ્વરના આશીર્વાદ છે. આ કુવાનો અમે એક મંદિર જેટલો જ આદર કરીએ છીએ.

હવે આ કુવો સમગ્ર વર્ષ દરમિયાન પાણીથી છલોછલ રહે છે અને ગામની જરૂરિયાત અનુસાર પાણી પૂરું પણ પાડે છે. ચોમાસામાં કુવાની નજીક આવેલ શાળાની છત પરથી નીતરેલુ અને ખૂલ્લા વિસ્તારોનું પાણી એકત્ર કરીને ગામના તળાવ તથા અન્ય જળસ્રોતને ફરીથી રિચાર્જ કરવામાં આવે છે. આજે આ નારાયણપુર ગામ એક મોડેલ ગામ અને મહિલાઓના કુવાવાળું ગામ તરીકે જાણીતું બન્યું છે.

No comments:

Post a Comment