Monday, 31 December 2018

ઈસ્વીસન ૨૦૧૮ : વીતેલ વર્ષમાં ગુજરાતના કૃષિક્ષેત્રનું વિહંગાવલોકન


૩૧ ડીસેમ્બર ૨૦૧૮, આજે ઈસુના વર્ષનો આખરી દિવસ. વર્ષાન્તે દરેક વ્યક્તિએ વીતેલ વર્ષનું વિહંગાવલોકન કરવું જોઈએ એવું અનેક મહાનુભાવો કહી ચુક્યા છે. આપણે પણ આ તકે વર્ષ-૨૦૧૮ની અગત્યની ઘટનાઓ ખાસ કરીને ખેડૂત અને કૃષિક્ષેત્રને સ્પર્શતા બનાવો પર ઉડતી નજર નાંખીએ.
વર્ષ ૨૦૧૮માં દૂધ, દાળ અને શણના ઉત્પાદનમાં ભારતે સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રથમ ક્રમ તેમજ ચોખા, ઘઉં, શેરડી, કપાસ, મગફળી, શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં બીજો ક્રમ જાળવી રાખ્યો હતો. જોકે કૃષિક્ષેત્રનો વિકાસ દર ૨૦૧૭ની સરખામણીએ થોડો નીચો રહ્યો હતો. સાથે જ દેશમાં કૃષિ ઉત્પાદનો સંઘરી રાખવા માટે જરૂરી ગોડાઉન-વેરહાઉસની સંખ્યામાં અને ખાતરોના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
આંકડાની વાત ચાલ છે તો એ પણ જાણી લો કે ગત વર્ષમાં દેશમાંથી થતી ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં ૧૯ ટકા જેટલો વધારો થયો છે. સિક્કિમ જેવા રાજ્યને ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરાયાની સાથે અત્રે આપે એ જાણવું પણ જરૂરી છે કે ગયા વર્ષે દેશમાં રાસાયણિક જંતુનાશકોના વેચાણના દરમાં અધધ ૨૭ ટકા જેટલો બમ્પર ઉછાળો આવ્યો છે. એક તરફ અન્ન-ધાન અને શાકભાજી કે ફળોમાં છંટાયેલ રસાયણોને કારણે દેશમાં કેન્સરના દર્દીઓ વધી રહ્યાના સમાચાર છે તો બીજી તરફ એક ખાનગી ટીવી ચેનલે કરાવેલ સર્વે મુજબ દેશમાંથી દરરોજ લગભગ સવા બે હજાર ખેડૂતો ખેતી છોડી રહ્યા છે.
વર્ષ ૨૦૧૮માં રજુ થયેલ બજેટ પરથી એવું લાગ્યું કે ગુજરાત રાજ્ય અને કેન્દ્રની સરકારોના મનમાં ખેડૂતો પ્રત્યે દયાની લાગણી ઉભરાઈ ગઈ હોય. સરકારી બજેટમાં ખેડૂતો માટે હિતકારી ગણાતી અનેકવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાતો થઇ. પરંતુ કુદરતના બજેટમાં દયા વરસાવવામાં કંજુસી અને કરકસર કરવામાં આવી હતી. ૨૦૧૮ના વરસાદી મહિનામાં મોટેભાગે ખેતરના શેઢા કોરા અને ખેડૂતોની આંખો ભીની રહી.
વર્ષ ૨૦૧૮માં મગફળીના સરકારી ગોડાઉનોમાં આગ લાગવાનો (કે લગાડવાનો ?) સીલસીલો માંડ-માંડ બંધ થયો. કોથળામાંથી બિલાડાને બદલે બાઘડા કાઢતા કોથળાકાંડની વાત હોય, સરકારી ગોદામોમાં ભરેલ મગફળી મિશ્રિત માટી (!) ઉઘાડા પાડતા યુવાન ખેડૂતોની જનતા રેડ હોય, કહેવાતા કૃષિનેતાઓના પરસ્પર અસભ્ય ઉચ્ચારણોના વાયરલ થયેલ ઓડિયો-વિડીયોની વાત હોય કે સૌની યોજનાના ભવ્ય લોકાર્પણ સમારંભો હોય આ દરેક પ્રકરણો સતત મીડિયામાં અને ચર્ચામાં રહ્યાં.
પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે જાતે બની બેઠેલા કેટલાક કુખ્યાત કૃષિ આગેવાનોએ કરેલા ખેડૂતો માટેના વિરોધ પ્રદર્શનો, મૂકદર્શક બની બેસી રહેલા અધિકારીઓ, વારંવાર રંગ બદલાતા રાજકારણીઓ, નમાલી નેતાગીરી અને તપાસના તોતિંગ નાટકો વચ્ચે પીસાતી પ્રજા પણ હવે જાણી જ ગઈ છે કે સમય વિતવાની સાથે દરેક નવા કાંડ અને જુના કૌભાંડમાં આગુ સે ચાલી આતી રીત મુજબ છેવટે તો કુલડીમાં ગોળ ભંગાઈ જવાનો જ છે.
દેશમાં અનેક દેવાદાર ખેડૂતો દ્વારા થઇ રહેલા આપઘાતના સમાચારો વચ્ચે ગત વર્ષ દરમ્યાન યોજાયેલ વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ તેમજ લોકસભાના પેટા ચૂંટણીઓના પ્રચારમાં પણ નેતાઓના મોઢે કૃષિકરજ માફીની વાતો શિરમોર રહી. ઘણી જગ્યાએ થૂંકેલું ચટાયું તો કેટલેક ઠેકાણે ફેરવી તોળવામાં આવ્યું. જોકે આવા રાજકીય વાયદાઓ કરનારાઓ મોટેભાગે કોણીએ ગોળ ચોટાડવામાં માહેર હોય છે તે વાત પ્રજાએ બરોબર જાણી લેવી ઘટે.  
ગયું વર્ષ ખેડૂતોની માફક જ જંગલના રાજા સિંહ માટે પણ ઘાતક પૂરવાર થયું. અમરેલીની ગીર રેન્જના બે ડઝનથી વધારે સાવજો અજાણ્યા રોગ કે વનતંત્ર એ બેમાંથી કોનો ભોગ બન્યા એ રહસ્ય ઘૂંટાતું રહ્યું. વર્ષના મધ્યભાગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ઉપજના ટેકાના ભાવમાં વધારો જાહેર કરી વાહવાહી મેળવી તો વર્ષના અંત ભાગમાં ડુંગળીના નીચા બજારભાવે વાવેતર કરનારને રડાવ્યા. ગયા વર્ષે છેવાડાના ગામોના ખેડૂતો સાથે કરેલ વાતચીત પરથી તેઓ માટે પાક વિમો કે સરકારી સહાય મેળવવી એ કરતા નેવાના પાણી મોભે ચડાવવાનું કાર્ય વધુ સરળ જણાયું હતું.
રાજ્યના ખેડૂતોને ઘેરબેઠાં કૃષિ માહિતી પહોંચાડતા જૂજ ગુજરાતી કૃષિ સામયિકોમાંથી પણ ગત વર્ષે ત્રણ અગ્રણી કૃષિ માસિકો વાચકોને અભાવે બંધ થયા. તો સામે ખેડૂતોના હાથમાં આવેલ જાદુઈ ચિરાગના જીન જેવા સોશ્યલ મીડિયામાં અનધિકૃત કૃષિ માહિતીનો પ્રસાર આડેધડ વધ્યો છે. બે-પાંચ ખાસ એગ્રી-એપ્લીકેશનો કે પાંચ-પંદર વ્હોટસેપ ગૃપ સિવાય અન્ય જગ્યાએ કામ વગરના ગુડ મોર્નિંગ, સુવિચારો કે રાજકીય જુમલાબાજીથી વિશેષ કશું થતું હોય તેવું ધ્યાનમાં નથી. આવા ગૃપમાં વાયરલ થતી મોટાભાગની માહિતી વ્યક્તિગત હોવાની સાથે વૈમનસ્ય વધારે તેવી હોય છે.
છેલ્લે ખેડૂતો માટે વીતેલ વર્ષની અંધારી રાતમાં ટમટમતા દીવડા જેવા એક સમાચાર પણ જાણવા મળ્યા. એક ન્યુઝ રીપોર્ટ મુજબ આ વર્ષે સરકાર દ્વારા થયેલ મગફળી સહિતની કૃષિ જણસીઓના ખરીદીમાં રખાયેલ ચોકસાઈ તેમજ બહુસ્તરીય વ્યવસ્થા કાબિલેદાદ રહી છે. આપણે આશા રાખીએ કે આવતીકાલથી શરુ થતું ૨૦૧૯નું વર્ષ ખેડૂત જગતની સાથે તમામ લોકો માટે સુખદાયી અને સફળતા પ્રદાન કરનાર બની રહે.

Thursday, 1 November 2018

નેનો ટેકનોલોજી થકી ખેતી પાકોના પોષણમાં આવી રહેલ જબ્બર પરિવર્તન


 છેલ્લા ઘણા સમયથી નેનો ટેકનોલોજી શબ્દ વારંવાર સાંભળવામાં આવી રહ્યો છે. આ નેનો ટેકનોલોજીનો ઉપયોગ હવા તથા પાણીનું શુધ્ધિકરણ કરવા માટે, જમીન સુધારણા માટે, પોષક તત્વોના વહન માટે, ચોક્ક્સાઈપૂર્વકની ખેતી કરવા માટે, વિવિધ ખાતરો અને જંતુનાશક, ફુગનાશક, તથા નિંદામણનાશક દવાઓના વિકાસ માટે તેમજ પાકના બગાડને અટકાવવા માટે થઈ શકે છે.

આધુનિક વિજ્ઞાનનો વિકાસ જોતાં વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્ર નેનો ટેકનોલોજીના યોગદાન વગર બાકી રહેશે નહિ. ત્યારે ખેતીમાં તેના ઉપયોગથી અત્યંત આશાસ્પદ પરિવર્તન અને વિસ્મયકારક પરિણામો મળવાની અપેક્ષાઓ નિષ્ણાંતો દ્વારા સેવવામાં આવી રહી છે. આ વિષય પર સુરેન્દ્રનગર જીલ્લાના નાયબ બાગાયત નિયામક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ફારૂક પંજના વિચારો જાણવા જેવા છે.

નેનો એ ગ્રીક શબ્દ ‘નેનોશ’ માંથી ઉદ્દભવેલ શબ્દ છે. જેનો અર્થ - નાનું, સૂક્ષ્મ અથવા ન્યૂનતમ એવો થાય છે. આધુનિક વિજ્ઞાન દ્વારા કોઈપણ ઉપયોગી પદાર્થની રાસાયણિક, ભૌતિક તથા જૈવિક ગુણધર્મની લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવા માટે જે-તે પદાર્થને ૧:૧૦૦ નેનોમીટર પ્રમાણમાપનો કરવામાં આવે છે. એક નેનોમીટર એટલે એક મીટરનો અબજમો ભાગ. જેને માથાના વાળની જાડાઈનો લગભગ એંસી હજારમો ભાગ સમાન ગણી શકાય.

ખેતી પાકોમાં પોષણ વ્યવસ્થાપનમાં નેનો ટેકનોલોજીના ઉપયોગની જરૂરીયાત અંગે જણાવતા ડો. ફારૂક પંજ કહે છે કે, આપણા દેશમાં વર્ષે અંદાજીત સવા લાખ કરોડનું ખાતર આયાત કરવામાં આવે છે. જેમાં સાઈંઠ હજાર કરોડની કેંદ્ર સરકાર સબસીડી આપે છે. એક પ્રાયોગિક અભ્યાસ પરથી માલુમ પડેલ છે કે આવા મોંધા રાસાયણિક ખાતરો પાકને આપ્યા બાદ બાર દિવસ પછી તેની ઉપલબ્ધતા ઘટવા લાગે છે. જયારે નેનો ખાતર નેનો ખાતરો કોઈપણ પાકમાં પોષક તત્વોની કાર્યક્ષમતામાં ત્રણગણો વધારો કરે છે.

હાલમાં આધુનિક નેનો ટેકનોલોજી દ્વારા પોષક તત્વો ધીરેધીરે છુટા પડી પાકને મળતા રહે એવા ખાતરો બને છે. પરંપરાગત પદ્ધતિ વડે સીધા જમીનમાં કે છંટકાવ દ્વારા આપી શકાતા આ નેનો ખાતરના જથ્થાની જરૂરીયાત રાસા. ખાતર કરતા ઓછી હોવાથી ખેડૂતોને આર્થિક દ્રષ્ટીએ પણ પોષાય છે. નેનો ટેકનોલોજી જમીન, પાણી અને સુક્ષ્મજીવો ઉપર બીનજરૂરી વિપરીત અસરોને નિયંત્રિત કરે છે અને તે કારણે ખેતીમાં ઉત્પાદકતા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે.

નેનો ટેકનોલોજીની માનવ સ્વાસ્થ્ય પર પડી શકનાર સંભવિત વિપરીત અસર અંગે પૂછતાં ડો. ફારૂક પંજે કહ્યું હતું કે, કેટલાક સંશોધનોથી એવું માલુમ પડેલ છે કે જો નેનો ટેકનોલોજીની કોઈ પ્રોડક્ટ શરીરની પેશીઓમાં શોષાય અને ભળે તો વિપરિત અસર પાડી શકે તેમ છે પરંતુ ‘નેનો ટોકસીકોલોજી’ હજુ ગહન સંશોધનનો વિષય હોઈ તે અંગે કંઈ પણ કહેવું એ ઘણું વહેલું કહેવાય.

હાલમાં રાજયની આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ થોડા સમય પૂર્વે શરૂ કરવામાં આવેલ નેનો ટેકનોલોજી વિભાગ દ્વારા સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે. દેશ-વિદેશમાં અનેક સરકારી સંશોધન સંસ્થાઓ તથા ખાનગી કંપનીઓ દ્વારા નેનો ટેકનોલોજી ઉપર સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે. જેથી ખેતી માટે ઉપયોગી વિવિધ ફર્ટીલાઈઝર, હર્બીસાઈડ, પેસ્ટીસાઈડ વગેરેના સ્થાનિક અને વિદેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલ નેનો વર્ઝન બજારમાં ઉપલબ્ધ છે.

આગામી સમયની ખેતીમાં ઈન્ફોરમેશન ટેકનોલોજી, માઈક્રો ઈરિગેશન, ટીસ્યુકલ્ચર, બાયોટેકનોલોજી જેવા ઘટકોની સાથે નેનો ટેકનોલોજીનો પણ સહિયારો ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં નોંધનીય સુધારો જોઈ શકાશે.

Tuesday, 30 October 2018

ભૌતિકવાદના પ્રતીક સમાન રાસાયણિક ખાતરનો અતિરેક ક્યારે છોડીશું ?

તાજેતરમાં સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો આવવાથી ચોતરફ ઉહાપોહ મચી ગયો. પરંતુ એક સમય એવો હતો કે આપણી ખેતી માત્ર પશુઓના મળમૂત્રમાંથી બનતા દેશી ખાતર આધારિત હતી. જે આજે વિવિધ પ્રકારના ખાતરોની મોહતાજ બની ગઈ છે. ‘ખેતીમાં ખાતરોની ઉપયોગીતા ક્યા પ્રકારે, કેટલી અને શા માટે છે ?’... તે અંગે થોડાઘણા અંશે જાગૃત બનેલા અમુક લોકો સિવાય મોટાભાગના ખેડૂતો અન્યાનુકરણે બીનજરૂરી મોંઘા ખાતરોથી જમીનને રૂંધી નાખે છે. 
કૃષિ નિષ્ણાંતોના મતે ખેડૂતો માટે આજની સૌથી તાતી જરૂરીયાત એટલે પોતપોતાની જમીનનું પૃથ્થકરણ કરાવી, અને તેમાં માત્ર ઘટતા તત્વોનું ઉમેરણ કરવું તે છે. આજની ખેતીને ખેડૂત પરિવાર માટે પોષણક્ષમ બનાવવા અને ઉપજમાં વધારો કરવા માટે આવશ્યક ગણાતા આ ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ એ જરૂરી પણ છે. 
કારણ કે વિશ્વમાં ૧૭.૪૪૫ લાખ ચોરસ કિલોમીટર કૃષિભૂમિ ધરાવતા અમેરિકા બાદ ૧૫.૯૬૫ લાખ ચોરસ કિલોમીટર કૃષિ ભૂમિ સાથે ભારત બીજા ક્રમે આવે છે. ભલે ચીન ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટીએ ભારત કરતા મોટો હોય પરંતુ કૃષિભૂમિ ક્ષેત્રે  તેનાથી આગળ છે. આજે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરની સૌથી વધુ કૃષિ જમીન ધરાવતા ભારત અને ચીનમાં ખાતરોનો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. 
આ રાસા. ખાતરોના ઉદભવ અંગે ખાંખાખોળા કરતી વખતે ઈન્ટરનેટ પરથી જાણવા મળતી બાબતો ખરેખર પશ્ચિમી માનસિકતાનો પરિચય કરાવે છે. વાત જાણે એમ છે કે અઢારમી સદીમાં ફ્રાંસના અમુક વૈજ્ઞાનિકોએ પ્રયોગોને અંતે જાણ્યું કે છોડના વિકાસ માટે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણ તત્વો વધુ જરૂરી છે. અને છોડ આ તત્વોને વાતાવરણ અને ખેતીમાં પરાપૂર્વથી અપાતા રહેલા છાણીયા ખાતર તેમજ ખેતીના વધેલા કચરામાંથી મેળવી લે છે.
વર્ષ ૧૮૪૦માં જર્મન વૈજ્ઞાનિક લિબિકે પહેલીવાર સ્થાનિક ખેડૂતોને આ ત્રણેય તત્વોના રાસાયણિક મિશ્રણને એન.પી.કે. ખાતર સ્વરૂપે છોડને આપવા પ્રોત્સાહિત કર્યા. પરંતુ આ માત્ર પ્રોત્સાહને (!) બીજા વિશ્વયુદ્ધ બાદ ફરજીયાત ખેતસામગ્રીનું સ્થાન લીધું. કારણકે વિશ્વયુદ્ધનો મહાવિનાશ અટક્યા પછી અતિશય વધારે માત્રામાં વધેલા પોટાશ વગેરે જેવા રસાયણોથી બનેલા દારૂગોળાનું શું કરવું ? એ મુદ્દો સૌના માટે એક યક્ષપ્રશ્ન થઈને સામે આવ્યો હતો. 
પહેલેથી જ ભૌતિકવાદમાં માનતી વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓની નજર હવે આ બીનજરૂરી દારૂગોળા પર હતી. સાવ મફતના ભાવે મેળવેલા આ મોતના સામાનમાંથી પોટાશ અને બીજા ઝેરી રસાયણો તારવીને તેનો ખાતર અને જંતુનાશકો તરીકે જોરદાર પ્રચાર આરંભ્યો. મફતનો માલ હવે સોનાના ભાવે વેચાવા લાગતા અનેક મહાકાય કંપનીઓના મોઢામાંથી લાલચની લાળ ટપકવા લાગી. 
યુરોપમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિના પગલે ત્યાંની કોઈપણ ભોગે માત્ર નફો રળવો એ લક્ષ્ય રાખનારી કંપનીઓએ ભારત અને અન્ય એશિયાઈ દેશોમાં હરિયાળી ક્રાંતિના નામે ઝેરમાંથી બનેલા આ ખાતરો અને જંતુનાશકો વેંચીને તગડી કમાણી શરૂ કરી દીધી. એક રીતે કહીએ તો તેમણે કૃષિક્ષેત્રમાં પોતાના અકાટ્ય મૂળીયા વાવી દીધા. આવી કંપનીઓની નફ્ફટાઈનો એક નમૂનો જોઈએ. 
વર્ષ ૧૯૬૫માં અમેરિકા-વિયેતનામ યુદ્ધમાં વિયેતનામી સૈનિકો જંગલમાં છુપાયેલા હતા. અમેરીકન વાયુસેનાએ આ શત્રુસૈનિકોને જંગલમાંથી શોધી-શોધીને મારવા માટે ત્યાંની એક કુખ્યાત જંતુનાશક કંપની કે જે હાલ બીટી બીયારણોમાં વિશ્વસ્તરે પેટેન્ટ ધરાવે છે તેના ‘એજન્ટ ઓરેન્જ’ નામના નિંદામણનાશક રસાયણનો સહારો લીધો. ‘ઓપરેશન રાંચ હેન્ડ’ હેઠળ અમેરિકન વિમાનોએ રાત-દિવસ આકાશમાંથી આ રસાયણ વરસાવીને, તત્કાલીન વિયેતનામી સૈનિકો તથા તે જંગલમાં રહેનારા લાખો લોકોના મોત નીપજાવ્યા. સાથોસાથ ત્યાંની જૈવિક સંપત્તિનો નાશ કરી દીધો.
યુદ્ધ દરમીયાન લગભગ સાડા ચાર કરોડ લીટરની માત્રામાં છંટાયેલુ આ રસાયણ હજુ પણ ત્યાંની નવી જન્મતી પેઢીને અતિશય નુકશાન કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ આ જનસંહારના ફોટો-વિડીયો જોઇને થથરી જવાય છે. તાજેતરમાં બનેલી એક કમનસીબ ઘટનામાં રાજકોટની ભાગોળે આવેલ કોટડા નાયાણી ગામનો એક તદ્દન નિર્વ્યસની યુવાન હિતેશ લીંબાસીયા રાસાયણિક ખેતી થકી ખોરાકમાં ભળેલા ધીમા ઝેરના કારણે કેન્સરના ખપ્પરમાં હોમાય ગયો. પોતાના જુવાનજોધ દીકરાને શ્રદ્ધાંજલિ આપવા માટે ખેડૂત પિતા છગનભાઈએ સજીવ ખેતીના પ્રચારનું કામ ઉપાડ્યું હોવાના સમાચાર અખબારી પાનાઓ પર પણ ચમક્યાં હતા. 
ખેર, ધરતી વિદેશી હોય કે દેશની, પરંતુ તેને ઝેરના અતિરેકથી બચાવીશું તો જ જીવી શકીશું. હવે એ સમય પાકી ગયો છે કે આપણે પોતાના ખેતરની માટીનું પરિક્ષણ કરાવીને માત્ર પાકની જરૂરીયાત પૂરતા જ, અને ખાસ કરીને જમીનમાં ખૂટતા તત્વ ખાતરરૂપે આપીએ. નવા સમયના માઈક્રોન્યુટ્રીયન્ટ આધારિત ખાતરોનો જ ઉપયોગ કરવાનું શરૂ કરી દઈએ. સાથે જ ખેતરનો થોડો વિસ્તાર અલગ કાઢીને તેમાં ગાય આધારિત ખેતી, ઝીરો બજેટ ખેતી, કેમિકલ રહિત સજીવ ખેતી કે ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કરીએ. 
ખેડૂતમિત્રો, ખાતરના વિવેકપૂર્ણ ઉપયોગની માત્ર વાતો કરીને કે સાંભળીને બેસી રહેવાનો સમય હવે નથી રહ્યો. આજે ઉભા થઈશું, ચાલવાનું શરૂ કરીશું, તો લક્ષ્ય સુધી પહોંચવું અશક્ય નથી જ. હવે આપને મળેલ ‘જગતાત’ ઉપનામને ઉજાડવું કે ઉજાળવું એ આપના હાથ જ હાથમાં છે... કેમ બરાબરને ?

Monday, 27 August 2018

કૃષિ શિક્ષણનું ખાનગીકરણ : શું વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યા છે ?



ગુજરાતમાં સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીની રાહબરીમાં ખેડૂતપુત્રોને કૃષિ વિષયક જ્ઞાન મળી રહે તે માટે કૃષિ શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં આવેલ. પરંતુ આજે ખાનગીકરણના નામે કેટલીક સંસ્થાઓ કૃષિ શિક્ષણનું પણ વ્યાપારીકરણ કરી રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી થાય કે ના થાય પરંતુ શિક્ષણ માફિયાઓની આવક ચોક્કસ અનેકગણી વધી જશે.

નિયમિત અખબાર વાંચવાની ટેવ ધરાવતા લોકોનું પણ ધ્યાન સહજતાથી ન જાય તે રીતે થોડા દિવસ પહેલા અમુક છાપાઓમાં એક સમાચાર છપાયા હતા, કે ગુજરાતની આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા ખાતે આવેલ સરકારી કૃષિ યુની.ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની અમુક ખાનગી યુનીવર્સીટીઓ અને કોલેજોમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહેલ વિવિધ કૃષિ અભ્યાસક્રમોનો વિરોધ થઇ રહ્યો છે.

કૃષિ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરી રહેલી વિદ્યાર્થી કમિટીના ડો.વિમલ ચૌધરી, જયવીર સોલંકી, મુકેશ ચૌધરી તથા દર્શન પટેલ સહિતના વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાજય સરકાર સંચાલિત કૃષિ વિશ્વવિદ્યાલયો અને ભારતીય કૃષિ અનુષંધાન પરિષદ (આઈ.સી.એ.આર.) દિલ્હીની માન્યતા વગર રાજ્યમાં અમદાવાદની રાય યુનિ., રાજકોટની આર.કે. યુનિ. અને વડોદરાની પારૂલ યુનિ. જેવી ખાનગી શિક્ષણ સંસ્થાઓ છેલ્લા ૫ વર્ષથી ગેરકાયદેસર રીતે સ્નાતક કક્ષાના કૃષિ અભ્યાસક્રમો ચલાવી રહી છે.

વિદ્યાર્થી આગેવાન ડો.વિમલ ચૌધરી કહે છે કે આ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસક્રમો માટેની આઈ.સી.એ.આર., દિલ્હી તથા કેંદ્ર સરકારની જોગવાઈ મુજબ નિયમોનું પાલન થતું નથી. ઉક્ત સંસ્થાઓમાં કૃષિ શિક્ષણ અને સંશોધન માટે અનિવાર્ય ધારાધોરણો જેવા કે લેબ અને વર્ગોની સુવિધા, સંશોધન માટે જરૂરી જમીનની ઉપલબ્ધી તથા નેટ કે ડોક્ટરેટ જેવી જરૂરી લાયકાત ધરાવતા પ્રાધ્યાપકો વગેરેનો સદંતર અભાવ છે.

હાલ આ ખાનગી સંસ્થાઓમાંથી સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસ માટે ગુજરાત કૃષિ યુનિ.ઓમાં જોડાવાની પ્રવેશ પરીક્ષા પર રોક લાગી ગયેલ છે. જેથી તેમનો સમય વેડફાઇ રહ્યો છે અને તેમનું ભવિષ્ય પણ અદ્ધરતાલ રહેલ છે. બીજા એક વિદ્યાર્થી દર્શન પટેલ ભાવિ આશંકા સાથે કહે છે કે આવી અમાન્ય અને પાયા વિહોણી યુનિ.ઓમાંથી સ્નાતક થયેલા વિધાર્થીઓ ગુજરાત રાજ્યના ખેડુતોને કેવું માર્ગદર્શન આપશે અને કઈ રીતે મદદરૂપ થઇ શકશે.

જો કૃષિ શિક્ષણમાં આ રીતે જ ખાનગીકરણ થતું રહેશે તો હાલમાં ઇજનેરી અને મેડીકલના વિદ્યાર્થીઓ જેવી હાલત કૃષિ અને સંબંધિત અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પણ થશે અને સમાજમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા વધુ વકરશે. તેમજ પાયાવિહોણી સવલતો સાથે શિક્ષણ આપતી ખાનગી કૉલેજમાં કૃષિ અને કૃષિ સંબંધિત અભ્યાસક્રમ ચાલુ રહેશે તો ધોરણ બાર(સાયન્સ)માં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈસાના જોરે ખાનગી કોલેજોમાં બિનલાયક પ્રોફેસર પાસેથી પ્રેક્ટિકલ જ્ઞાન વગર ભણીને કૃષિ સ્નાતકની ડિગ્રી મેળવી લેશે.

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી કૉલેજની મોંઘીદાટ ફી ભરી શકતા નથી. સરકારી કૃષિ યુનિ.ઓમાં શિક્ષણની ગુણવત્તા માટે કડક કાયદાઓ પ્રવર્તે છે માટે, તેમાં ભણતા વિદ્યાથીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું અને તેમના પરિણામો અન્ય ખાનગી કૉલેજના વિદ્યાર્થીઓ કરતા એકંદરે નીચા રહેતા જોવા મળે છે. પરિણામે સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસની પરિક્ષાઓમાં સરકારી કૃષિ યુનિ.ના હોશિયાર વિદ્યાર્થીઓને પણ નુકસાન ભોગવવું પડશે.

સરકારી નિયમો અને ધારાધોરણનું યોગ્ય પાલન થતું ન હોવાથી તા.૬/૯/૨૦૧૬ ના રોજ તત્કાલીન રાજય સરકારે પણ પત્ર પાઠવીને આવી ખાનગી યુનિવર્સિટીને સદર અભ્યાસક્રમ માટે પરવાનગી મેળવી લેવા તાત્કાલિક ધોરણે સુચના આપેલ તથા તા.૨૭/૧૦/૨૦૧૬ની અખબારી યાદી દ્વારા વિદ્યાર્થીઓને જે-તે ખાનગી યુનિ.માં પ્રવેશ ન લેવા માટે તાકીદ કરવામા આવેલ હતી. વિદ્યાર્થીઓએ આવા અનેક પુરાવાઓ સાથે સક્ષમ અધિકારીઓ અને સાંસદોને રજુઆતો કરી છે.

પોતાના સમકાલીન અને ભાવિ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવા હેતુથી રાજ્યની ચારેય સરકારી કૃષિ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં મોઢા પર કાળી પટ્ટી બાંધીને, પ્લેકાર્ડ અને પોસ્ટરો બનાવીને તથા ‘જય જવાન- જય કિશાન’ના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને ધરણા પ્રદર્શન દ્વારા કૃષિ શિક્ષણના ખાનગીકરણનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યાં છે. નવનિર્માણ આંદોલનની યાદ અપાવતી તેમની આ ચળવળ કેવો રંગ લાવશે તે તો આવનાર સમય જ કહેશે. 

Wednesday, 22 August 2018

ફળપાકોની ખેતી : પર્યાવરણ રક્ષા સાથે આર્થિક સમૃદ્ધિનો ઉમદા ઉપાય


ફળપાકોની ખેતી : પર્યાવરણ રક્ષા સાથે આર્થિક સમૃદ્ધિનો ઉમદા ઉપાય

  • ·      સૌને પોષણ પુરૂ પાડતી ધરતીને આપણે માતા કહીએ છીએ. પુરાણોમાં કહેવાયું છે કે વૃક્ષો એ ધરાનું વસ્ત્ર છે. અને ધરાનાં ધાવણ સમાન ફળ આપતા ઝાડ કાપી, તેનું વસ્ત્રાહરણ પણ આપણે જ કરીએ છીએ.
  • ·         રોકડિયા પાકોનાં ભાવમાં થતો ઘટાડો, ખેતમજૂરોની અછત અને વિવિધ સમસ્યાઓને કારણે અનેક ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખેતીની જગ્યાએ પુનઃ ઓર્ગેનિક ફળઝાડ વાવવા તરફ અગ્રેસર થયા છે.

---------

દ્રશ્ય ૧ : સૃષ્ટિમાં ચોમેર છવાયેલ અનંત હરિયાળી વચ્ચે કોઈપણ સીમા-સરહદ વગર મન પડે ત્યાં જીવવા માટે સ્વતંત્ર વિચરણ કરતા વેદકાલીન કે તેથી પણ પુરાતન સંસ્કૃતિના લોકો. તરસ લાગે ત્યારે નદી, ઝરણાં, કુંડ સહીત હાથવગા પાણીના વિવિધ કુદરતી સ્રોત અને ભૂખ લાગે ત્યારે વિવિધ પ્રકારના કંદમૂળ અને ફળફળાદીથી લચી પડતી વનરાજી. કોઈ જ કલેશ કે અભાવ વગરનું બસ માત્ર નિરોગી અને દીર્ઘકાલીન શ્રેષ્ઠ જીવન.

દ્રશ્ય ૨ : સમગ્ર સંસારમાં ધીરે ધીરે સભ્યતાઓ વિકસી રહી છે. નૂતન પ્રકારના સભ્ય સમાજનો માણસ પોતાના પાલતું પશુઓના નિભાવ માટે બહુ દૂર જવું ન પડે તે કારણે પોતાની આસપાસના વિસ્તારોનાં જ જંગલો કાપીને ખેતી કરી રહ્યો છે. નવા નવા શોધાઈ રહેલા કે સંશોધિત થઈ રહેલા ખેતી પાકોનો સ્વાદ પોતાને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો હોવાથી તેના માટે માનવજાત આ પોષક તત્વોથી ભરપૂર ફળોનાં વૃક્ષ કાપવામાં કોઈએ દુખ થતું નથી.

દ્રશ્ય ૩ : ઔદ્યોગિક ક્રાંતિનાં પડઘમ વચ્ચે વસ્તી વધારાના પરિણામ સ્વરૂપ ગરીબ લોકોને કામે લગાડવાના કહેવાતા સદ્કાર્ય માટે ઠેર ઠેર જંગલોની જમીનો પર મોટા કારખાનાઓની શરૂઆત થઈ રહી છે. ફેકટરીઓના પ્રદુષણ અને કુપોષણથી બીમાર મજૂરોની સારવાર કરતા ડોકટરો તેમને પોષણયુક્ત ફળ ખાવાની સલાહ આપે છે, ગરીબી અને ભૂખમરાથી ત્રસ્ત માણસ નિરાશ થતો કેટલાયે લોકો પાસે મદદની અપેક્ષા રાખે છે પણ મોંઘા ફળ ભીખમાં કોણ આપે ?

દ્રશ્ય ૪ : ફળાઉ સહીત દરેક જાતના વૃક્ષોની ઉપેક્ષાના પરિણામોની અસરથી પૃથ્વીનું સંતુલન ખોરવાઈ/બગડી રહ્યું છે. અતિ/અલ્પ વૃષ્ટિ, પુર, વધતું તાપમાન જેવા અનિષ્ટો સામે સમતોલન જાળવી રાખવા માટે વિવિધ સંગઠનો અને સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણ યોજનાઓ (કાગળ પર) અમલમાં લવાતી નજરે પડે છે. ક્યાંક વળી સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે અગર તો ટોકન દરે ફળઝાડનાં રોપાઓ વિતરિત કરે છે.

દ્રશ્ય ૫ : ફરજના ભાગ રૂપે કરવામાં આવેલ વૃક્ષોના સરકારી વાવેતરોનાં ઉછેર અને જાળવણીnની સરેરાશનાં આંકડા નિરાશ કરે છે તો વળી પેઢી દર પેઢી ટૂંકી થતી જતી જમીનમાં જગ્યા રોકતા વૃક્ષોને કાપીને વાવવામાં આવેલ રોકડિયા પાકોનાં ભાવમાં દર વખતે ઘટાડો થતા, ખેતમજૂરોની અછત અને ખેતીમાં કરેલ રોકાણ કરતા પણ ઓછુ વળતર મળતા અનેક ખેડૂતો કપાસ મગફળીની રાસાયણિક ખેતીની જગ્યાએ પુનઃ ઓર્ગેનિક ફળઝાડ વાવવા તરફ અગ્રેસર થયા છે.

દ્રશ્ય ૬ : (ભવિષ્યમાં) મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં શેઢેપાળે અથવા થોડી અલગ જમીન કાઢીને વિવિધ પ્રકારના ફળઝાડનું ઉત્પાદન લે છે. વિનિમય પદ્ધતિથી અડોશપડોશના ખેડૂતો પોતપોતાના ફળોની આપલે કરે છે. પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોને મોસમ પ્રમાણે ઉપજતા પોષણયુક્ત ફળ મળે તે માટે સુંદર વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી દરેક બાળક કે વ્યક્તિના રોજિંદા આહારમાં ફળોનો સમાવેશ થવા લાગ્યો છે.
***
મિત્રો, આ દ્રશ્યો કોઈ કપોળકલ્પિત નાટકની વાતો નથી. પણ સાબિત કરે છે કે દુનિયા ગોળ છે અને ચકડોળનાં ફાલકાની જેમ સૌનું જીવનચક્ર ચાલે છે તેનો પુરાવો છે. કુદરતી ખેતી અને ખોરાકથી દૂર રહેલો માણસ આજે ફરી પ્રકૃતિ તરફ વળી રહ્યો છે. જે આનંદની વાત પણ છે. આ લાંબી પૂર્વભૂમિકા બાદ વાત કરીએ મુખ્ય વિષય ફળઝાડની ખેતી વિશે...
પુરાણોમાં કહેવાયું છે કે વૃક્ષોએ ધરાનું વસ્ત્ર છે. આપણે ધરતીને માતા કહીએ છીએ કારણ કે તે આપણને પોષણ પુરૂ પાડે છે અને ધરાનાં ધાવણ સમાન ફળ આપતા ઝાડવા કાપીને તેનું વસ્ત્રાહરણ પણ આપણે જ કરીએ છીએ. હવે વૃક્ષો આપણા માટે પ્રકૃતિનો ઉપહાર કે ધરતી પરના અચલ સંત નથી રહ્યાં. આપણે તેને માત્ર આપણી જરૂરીયાત માટે જ વાવીએ અને કાપીએ છીએ.

પર્યાવરણ રક્ષક
આજે સમસ્ત વિશ્વ સમક્ષ બગડતું હવામાન મોટી સમસ્યા છે. જેનો ઈલાજ વધુમાં વધુ વૃક્ષો વાવવા તે છે. માલપરાના અગ્રણી ખેડૂત વડીલ હીરજીભાઈ ભીંગરાડીયા તો કહે છે કે, ‘અનેક જીવોનાં આશ્રયદાતા એવા આ વૃક્ષોને જો કાન દઈને સાંભળીએ તો આપણી સાથે વાતો પણ કરે છે.’ માનવીય સભ્યતાના સૌથી શ્રેષ્ઠ મિત્ર ગણાતા વૃક્ષો આપણને જીવનમૃત્યુપર્યંત સતત કામ આપતા રહ્યાં છે. પેલું ગીત તો યાદ જ હશે, ‘દેખ તમાશા લકડી કા...’ હવે સમય આવ્યો છે આપણે તેનો સાથ આપવાનો. પણ યક્ષપ્રશ્ન એ છે કે આ વૃક્ષો વાવવાનું વિરાટ કાર્ય કરે કોણ ??? તો સરકાર કે સંસ્થાઓને બાજુ પર મૂકીને આ કાર્ય કરવા માટે જો કોઈએ સોથી સક્ષમ હોય તો તે છે ખેડૂત. ખેડૂતને જગતાત તરીકે આપણે સૌ જાણીએ છીએ. જગતને જીવાડવા માટે અન્ન ઉત્પન્ન કરતો ખેડૂત હવે જગતને જાળવવાની જવાબદારી પણ અદા કરે અને પોતાના ખેતરોમાં લાંબા ગાળા સુધી ટકી રહી પર્યાવરણની જાળવણી કરી શકે તેવા વૃક્ષોનું વાવેતર કરે તો ખરું કામ થાય. પણ કહેવત છે કે, ‘ભૂખ્યા પેટે ભજન ન થાય...’ એ ન્યાયે માત્ર મોટા મોટા વૃક્ષો વાવીને ખેતરની જમીન જો રોકી લેવામાં આવે તો સૌના ભોજનનું શું ? તો તેનો ઈલાજ છે કે ફળઝાડની ખેતી. અહી આપણે વૃક્ષ પર ઉપકાર કરવાની વાત નથી પણ આપણા પોતાના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યના લોભે ફળઝાડનાં વાવેતર કરવાની વાત છે.

ફળઝાડ જ શા માટે ?
૧ – પોષણશાસ્ત્રની દ્રષ્ટીએ દરેક વ્યક્તિએ દરરોજ પોતાના આહારમાં ૮૦ થી ૯૦ ગ્રામ તાજા અને મોસમી ફળ ખાવા જોઈએ.
૨ – ફળમાં ખનીજ, ચરબી, ક્ષાર, કાર્બોહાઈડ્રેટસ, વિટામિન્સ સહિત ભરપૂર તત્વો રૂપી સમતોલ આહાર છે.
૩ – સારી ગુણવત્તા ધરાવતા ફળોની નિકાસ કરવાની ખૂબ જ શક્યતાઓ.
૪ – પુષ્કળ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી હોવાથી બેરોજગારીની સમસ્યા નિવારવામાં સહાયક.
૫ – વિવિધ પ્રકારની મૂલ્યવર્ધિત બનાવટને કારણે લાંબો સમય સંગ્રહ કરી શકાય.
૬ – પડતર કે બિન ઉપજાવ જમીનમાં પણ વાવી શકાય. જેનાથી સમયાંતરે જમીન નવસાધ્ય થાય છે.
૭ – અન્ય કોઈપણ પ્રકારની ખેતી ન થઈ શકે તેવા વિસ્તારોનાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ.
૮ – ફળના વૃક્ષો ફળ આપવાની સાથે સાથે જમીનનું ધોવાણ અટકાવે છે.
૯ – એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન અને વધુ આવક આપવાની ક્ષમતા.

શું ધ્યાન રાખવું ?
જાણીતા બાગાયતકાર ગફારભાઈ કુરેશી જણાવે છે કે, ‘જો ફળપાક વાવતા પહેલા ખેડૂતો થોડા મુદ્દાઓ પ્રત્યે કાળજી રાખે તો સારી આવક રળી શકે છે. જેમકે, વિશ્વાસુ અને જવાબદાર નર્સરીમાંથી જ રોપા કે કલમો ખરીદવી. બાગાયત ખાતાના નિવૃત અધિકારીઓના જ્ઞાનનો ઉપયોગ કરવો તેમજ આ ક્ષેત્રનાં પીઢ વ્યક્તિઓની સલાહ લેવી. ખોટી ઉતાવળ કરીને કે દેખાદેખીથી કોઈ નવા પ્રકારનાં ફળની જાતના વાવેતર પાછળ આંખો મીંચીને પડવાને બદલે લીંબુ અને કેરી જેવા મૂલ્યવર્ધિત થઈ શકે તેમજ લાંબો સમય સુધી સંગ્રહી શકાય તેવા પાકો વાવવાનું વિવેકબુદ્ધિપૂર્વક ભાવિ આયોજન કરવું. કારણ કે થોડા સમય પહેલા એપલ બોરનાં વાવેતરનો વાયરો ચાલ્યો હતો. હવે વિચારો કે જ્યારે આ બધા બોર એકસાથે પાકીને બજારમાં આવે ત્યારે બજારભાવ શું મળે ? હાં, એક વાત ચોક્કસ છે કે, જેમનું ઉત્પાદન ગુણવત્તાસભર હશે એની હરીફાઈમાં કોઈ નહિ હોય.’
 
શું વાવવું ?
જમીન, રોપા, પિયત વ્યવસ્થા, મજૂર, ઉત્પાદનના વેંચાણ કે પરિવહનની વ્યવસ્થા વગેરે મુદ્દાની અનુકૂળતા મુજબ ફળઝાડ વાવી શકાય. જેમકે, આંબો, ચીકુ, કેળ, પપૈયા, લીંબુ, નાળીયેરી, જામફળ, સીતાફળ, બોર, દાડમ, ખારેક, જાંબુ, આમળાં, કાજુ, દ્રાક્ષ, મોસંબી, રાયણ, ફણસ વગેરે. ઉપરાંત જે-તે વિસ્તારમાં પ્રચલિત ફળપાકનું વાવેતર કરવાથી નજીકમાં જ તેનું બજાર ઉપલબ્ધ રહે છે. જેમકે એક સમય હતો જ્યારે દાડમ કે પપૈયા માત્ર બીમારીમાં જ ખવાય તેવો ખ્યાલ પ્રવર્તતો હતો. પરંતુ આજે દાડમ અને પપૈયાનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાથી બજારમાં દાડમ-પપૈયાની હાજરી સારી એવી વધેલી જણાય છે.

છેલ્લે છેલ્લે
ખેડૂત મિત્રો, તમે રોકડિયા પાકોને બદલે માત્ર ફળપાકો જ વાવો તેવો કોઈ જ દુરાગ્રહ નથી, પરંતુ એક નમ્ર અપીલ તો ચોક્કસ કરીશ કે તમારા વાડી-ખેતરનાં એકાદ ભાગમાં અથવા તો કમસે કમ શેઢાપાળા પર પોતાના પરિવાર અને સગાવ્હાલાઓ માટે તેમજ ખેતરમાં કાયમી વસવાટ કરનારા પંખીઓ માટે થોડાક ફળઝાડનું વાવેતર કરો. અને પછી જો જો કે, આ વૃક્ષો તમારા ખેતરને કેવું જીવંત બનાવી દે છે. કારણકે જો વૃક્ષો રહેશે તો આ પૃથ્વી રહેશે, આપણે રહીશું અને તો જ આ બધી સમૃદ્ધીઓને માની શકીશું.

ખેતીનું પ્રથમ અને આવશ્યક કૃષિકાર્ય : જમીનની તૈયારી - ખેડ


ખેતીનું પ્રથમ અને આવશ્યક કૃષિકાર્ય : જમીનની તૈયારી - ખેડ

‘ખેડ, ખાતરને પાણી... ઉપજ લાવે તાણી’ જુના જમાનામાં આ કહેવત કઈ અમસ્તી જ નહિ પડી હોય. આપણા પૂર્વજોએ કોઠાસૂઝના બળે અને આપણી કૃષિ યુનીવર્સીટીઓના વૈજ્ઞાનિકોએ દાયકાઓના વિશદ સંશોધનો ઉપરથી તારણ કાઢ્યું છે કે આ ત્રણેય બાબતનું ખેતીકાર્યમાં સમાન મહત્વ છે. અમુક લોકો તો એમ પણ કહે છે કે ‘સારી અને યોગ્ય રીતે કરેલ ખેડથી ખેતીનું અડધું કામ તો એમ જ પૂરૂ થઇ જાય છે.’ ખેતીની જમીન વ્યવસ્થાપનના કાર્યમાં ઉનાળુ ખેડને સફળતાની ચાવી કહી શકાય છે. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ જમીન, હવા, પાણી અને પાક વચ્ચે જો સુવ્યવસ્થિત સંબંધ હોય તો ખેડૂતોને તેની મહેનતનું અદકેરું પરિણામ મળે છે.
કૃષિ ઉત્પાદનમાં પાકના મુખ્ય અંગ એવા મૂળને વિકસવાનો આધાર અને મોટાભાગનું પોષણની જરૂરીયાતો પૂરી પાડવા માટે જમીન એ મહત્વનું માધ્યમ છે. જમીનના છિદ્રોમાં રહેલ ઓક્સીજન છોડના મૂળ દ્વારા તેની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. વર્ષો સુધી જો આ જમીનને પડતર રાખી મુકવામાં આવે તો તે પથ્થર જેવી નક્કર બની જાય છે. ખેતીકાર્યોમાં ઉપયોગ કરવા માટે આ જમીનને યોગ્ય ખેડ કરીને તપાવવી અત્યંત જરૂરી છે.
ખેડના વિવિધ પ્રકારો હોય છે. જેમકે જમીનના પોત પ્રમાણે કરાતી ઊંડી કે છીછરી ખેડ. વાવેતરના સમય મુજબ કરાતી પ્રાથમિક ખેડ, આંતર ખેડ અને છેલ્લી ખેડ. સંખ્યા મુજબ જોઈએ તો ઓછી ખેડ, અનુકૂળ ખેડ, રીડ્યુસ ખેડ તેમજ વધુ પડતી ખેડ વગેરે કહી શકાય. ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ પડતી ખેડથી થતા નુકશાનને અટકાવવા ખેડૂત પોતાની જમીનના બંધારણ મુજબ જરૂર પુરતી ઊંડાઈ અને આવશ્યક સંખ્યામાં ખેડ કરે તે જરૂરી છે. ખેડ કેટલી કરવી તેનો આધાર જે તે ખેતરમાં અગાઉ કયો પાક વાવેલો હતો અને હવે પાછી કયો પાક વાવવાનો છે તેના પર આધારિત હોય છે.
આપણા મોટાભાગના વિસ્તારોની ખેતી ચોમાસા આધારિત હોવાથી વરસાદ પહેલા ઉનાળામાં જમીનને ખેડીને તૈયાર કરવી ખૂબ જ અગત્યનું કૃષિ કાર્ય છે. બળદથી ચાલતા હળ કે ટ્રેક્ટર સંચાલિત રોટાવેટર જેવા ખેત ઓજારો વડે જમીનને વ્યવસ્થિત રીતે ચાસમાં યોગ્ય ઊંડાઈ સુધી ખોદી, માટીને ઉલટસુલટ પલટાવી, તેને પોચી અને ભરભરી બનાવી રાખવાના કાર્ય એટલે ખેડ. જમીન સંરચના અને તેના બંધારણમાં ખેડ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ખેતરમાં રહેલા આગલા પાકના થડિયા-જડિયા, ડાળી, પાન, અન્ય અવશેષો વગેરે ખેડ કરવાથી જમીનની અંદર દટાઈ જાય છે અને સમયાંતરે તેમાંથી જમીનમાં જરૂરી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ થતું રહે છે.
બળદથી ચાલતા ચવડાવાળા હળ અથવા ટ્રેક્ટરથી ચાલતા દાંતાવાળા યાંત્રિક હળ વડે ખેડ કરવાથી જમીનમાં અંગ્રેજી ‘વી’ આકારના ઊંડા લીટા થાય છે. જો ફક્ત એક જ દિશામાં સીધી ખેડ કરવામાં આવે તો ચાસમાં બે દાંતા વચ્ચેનો ભાગ ખેડાયા વગરનો રહી જાય છે અને નીકપાળા જેવો આકાર બની જતા જમીનને સમતલ કરવાનો ખર્ચ પણ વધી જાય છે. માટે ખેડ કરતી વખતે ફક્ત એક જ તરફ ખેડવાને બદલે આડી-ઊભી ખેડ કરવી જરૂરી છે. જેથી ખેતરમાં દરેક જગ્યાની માટી ઉપર નીચે થઇ શકે.
ખેડ કરવાથી માટીના મોટા ઢેફાંનું નાના રજકણોમાં રૂપાંતર થાય છે. આ કણો નાના થવાથી છોડના મૂળના વધુ સંપર્કમાં આવે છે. જેથી છોડ તેમાં રહેલા સુક્ષ્મ પોષકતત્વોને વધુ આસાનીથી લઇ શકે છે. એમ પણ કહી શકાય કે ખેડના માધ્યમથી જમીનમાં અપાયેલ ખાતર કે અન્ય તત્વોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
ખેડને કારણે જમીન પોચી અને ભરભરી બનતા વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે. પાણીનો સંગ્રહ થવાની સાથે જમીનનું ધોવાણ પણ અટકે છે. સારી ખેડથી જમીનની ભેજશોષણ અને ભેજસંગ્રહણ શક્તિ વધવાથી છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી ભેજ અને પોષકતત્વોનો ઉપાડ સારી રીતે કરી શકે છે.
યોગ્ય સમયે આદર્શ ખેડ કરવાથી જમીનની છિદ્રાળુતા વધે છે. જમીનમાં હવાની અવરજવર સારી થવાથી છોડના મૂળને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળે છે અને તેના મૂળની સારી વૃદ્ધિ થાય છે. આમ થતા છોડની ઉત્પાદકતા વધે છે અને છેવટે ઉપજમાં પણ વધારો થાય છે. ખેડના કારણે પોચી થયેલ જમીનમાં સૂરજનો તડકો અને તાપ ઊંડે સુધી પહોંચતા જમીનમાં રહેલા ફૂગ સહિતના ખેતીને નુકશાન કરતા જમીનજન્ય રોગાણુંઓ અને વિષાણુંઓ નષ્ટ થાય છે.
ખેડ કરતી વખતે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેલા મુંડા, કોશેટા, ઉધઈ, ઈયળ વગેરે જમીનની સપાટી ઉપર આવી જાય છે. ખેડકાર્ય કરતા હળ કે ટ્રેક્ટરની પાછળ પાછળ ફરતા બગલા જેવા પરભક્ષી પંખીઓ જમીનમાંથી નીકળતા આ નુકશાનકારક કીટકોને વીણી-વીણીને ખાઈ જતા હોવાથી ખેડૂતો માટે મફતમાં આગોતરું પાક સંરક્ષણ પણ થઇ જાય છે.
સમયાંતરે ખેડ કરવાથી પાક સાથે જમીન પર અનાવશ્યક ઉગી નીકળતા નિંદામણના અવશેષો અને બીજનો નાશ થાય છે. ઘણી વખત આવા નિંદામણના ખેડની સાથે જમીનમાં ઊંડા જતા રહેવાથી તેણે વિકસવા માટે પુરતા હવા-પાણી ન મળતા સહજ રીતે તેનો નાશ થાય છે.
આપણે વર્ષોથી આપણી જમીનોમાં વિવિધ પ્રકારમાં ખાતરો ઉમેરતા આવ્યા છીએ. આ ખાતરોનો મોટો ભાગ છોડના મૂળના સંપર્કમાં આવ્યા વગર જમીન પર નિષ્ક્રિય અને અલભ્ય અવસ્થામાં પડ્યો રહે છે. મોંઘા ભાવના ખાતરો કે પોષક તત્વોને છોડના મૂળ વિસ્તારમાં મોકલી, છોડને લભ્ય સ્વરૂપમાં લાવવા માટે ખેડ એ અતિ મહત્વનું ખેતી કાર્ય છે.
જેમ દરેક કાર્ય તેના યોગ્ય પ્રમાણમાપ કરતા અતિ વધારે કે અતિ ઓછુ કરવામાં આવે તો પરિણામ યોગ્ય મળતું નથી તે જ રીતે ખેડ પણ જો વધુ પડતી કરવામાં આવે તો નુકશાનથાય છે. જમીનમાં હવાનું પ્રમાણ વધતા જમીનમાં રહેલા સેન્દ્રીય પદાર્થ હવા સાથે ઉડીને વાતાવરણમાં ભળી જાય છે. જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ ઘટતા જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ ધીમી પડે છે. જે છેવટે જમીનની ઉત્પાદકતાને પણ ઘટાડે છે.
વધુ પડતી ખેડ કરવાથી જમીનમાં નાના કણોની સંખ્યા વધે છે. જેથી નાના કણ જમીનમાં નીચે બેસતા જઈને સખત પડ બનાવે છે, જે જમીનની નીતાર શક્તિ અને ઉત્પાદકતા ઘટાડે છે. જમીનની માટીનું વધુ નાના કણોમાં રૂપાંતર થતા જમીનની ઘનતા વધે છે. જેથી છોડના મૂળનો યોગ્ય વિકાસ થતો નથી અને પરિણામે છોડની ઉત્પાદન શક્તિ ઓછી થાય છે. જમીન વિજ્ઞાનીઓના મત મુજબ જમીનની ઘનતા પ્રતિ ઘન સેન્ટીમીટરે ૧.૫૫ ગ્રામથી વધારે હોય તો પાક ઉત્પાદન પર વિપરીત અસર કરે છે.
=====


Tuesday, 15 May 2018

ખેતી અને ખેડૂતો માટે એગ્રો સેન્ટર્સની ભૂમિકા


ખેતી અને ખેડૂતો માટે એગ્રો સેન્ટર્સની ભૂમિકા : 
તકવાદી વેપારવૃતિ કે મદદગાર મિત્ર ?

માણસે પોતાની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ પુરી કરવા માટે ધન રળવું પડે છે. એ નિર્વિવાદ સત્ય છે. એટલે ઊંમર થતા શારીરિક અને વૈચારિક રીતે કાબેલ થયેલો માણસ અનુભવ સિદ્ધ વડીલોની વાત, પોતાની બુદ્ધિ અને અન્ય ક્ષમતાઓ પરથી કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરી પોતાના આર્થિક ઉપાર્જનનો માર્ગ નક્કી કરે છે. એક ગુજરાતી કહેવત છે કે ‘ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી.’ જોકે દરેક વ્યક્તિ ખેતી કરી શકવા સમર્થ નથી હોતી કેમકે ખેતી એ ખૂબ જ મહેનત અને સમર્પણ માંગી લેતું કાર્ય છે. ખેતી ન કરી શકવાના બીજા અનેક કારણો હોય શકે, પરંતુ અત્યારે તે બાબત બાજુ પર મુકીને વાત કરીએ કૃષિ સાથે સંકળાયેલ આ બહુ જ મોટા ક્ષેત્રની કે જેના વિશે વિસ્તારથી ગંભીરતાપૂર્વક ક્યાંય લખાયું નથી.અને તે મહત્વપૂર્ણ મુદ્દો એટલે ‘એગ્રો સેન્ટર્સ’.


મિત્રો, જ્યારે ઉત્તમ વ્યવસાયની વાત આવે ત્યારે હું વેપારનાં એ વ્યવસાયને પણ ઉત્તમ જ ગણું છું કે જે ખેતી સાથે સંકળાયેલ છે. ખેતીમાં વપરાતી દરેક વસ્તુઓ ખેડૂત પોતે બનાવી શકતો નથી માટે ખેડૂતોને તેમના ગામના પાદર સુધી (એમ કહો કે ઘેરબેઠાં) વિવિધ પ્રકારના ખાતર, બિયારણ, દવાઓ તેમજ સમયે સમયે યોગ્ય જાણકારી અને જરૂરી સલાહ-સૂચન પુરા પાડનાર એગ્રો સેન્ટર્સના વેપારીઓની કાર્ય કુશળતાથી અનેકો ખેડૂતો પોતાનું કૃષિ કર્મ સરળતાથી કર્યે જાય છે. વિશાળ ફલક પર ફેલાયેલ ખેતી અને ખેડૂતોની સેવામાં (ભલે ‘શ્રીસવા’ જેવો યોગ્ય નફો ચડાવીને) કાર્યરત એગ્રો સેન્ટર્સ પણ અભિનંદન અને વંદનને લાયક છે. ‘ધોમધખતા રણમાં મીઠી વીરડી’ સમાન આવા વેપારીઓ આ વ્યવસાયનું ગૌરવ છે તેમાં કોઈ બે મત નથી.

પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો અન્ય વ્યવસાયોની જેમ એગ્રો સેન્ટર્સનાં ક્ષેત્રમાં પણ આજે લોભ, લાલચ, સ્વાર્થ, છેતરપીંડી, તકવાદીપણું, ઈર્ષ્યા, અસત્ય, અજ્ઞાનતા વગેરે જેવા અનેક દૂષણો ઘર કરી ગયા છે. આજે અનેક વેપારીઓ આવા દૂષણોથી ગ્રસ્ત છે. જે ખેડૂતના કારણે થતા વેપાર થકી પોતાનો પરિવાર પોષણ પામે છે, પોતે વેપારી તરીકે સમાજમાં ઊંચું માથું રાખીને ફરી શકે છે, તેવા ખેડૂતો સાથે છળકપટ કરવામાં જેઓ જરાપણ છોછ નથી રાખતા, આવા અનેક વેપારીઓને સૌ ઓળખે છે અને તમે પણ જાણતા જ હશો. (છે ને અનુભવ ?) અહી નીચે જણાવેલ મુદ્દાઓ પરથી વાચક મિત્રો પોતાના સંપર્કમાં રહેલા એગ્રો-વેપારીનું આંકલન કરી શકશે.

૦૧ - લાયકાત
જેમ ડોક્ટર કે વકીલ પોતાનો વ્યવસાય શરૂ કર્યા પહેલા તેનું વિધિવત શિક્ષણ મેળવે છે તેમ એગ્રો સેન્ટર પર બેઠેલ વ્યક્તિ માત્ર ખેતીવાડીનું ભણેલો જ નહિ પરંતુ કૃષિ ક્ષેત્રનો ખરા અર્થમાં જાણકાર હોવો જરૂરી છે. તે પોતાના ગ્રાહકો ખેડૂતો સહીત લાગુ પડતા સમગ્ર વિસ્તારમાં અગાઉના વર્ષોમાં ખેતીમાં થયેલ દરેક ફેરફારોથી પરિચિત હોવો જોઈએ. હવામાન અનુસાર ખેતી પર થનાર અસરોનો અભ્યાસુ હોવા ઉપરાંત જુના-નવા પ્રકારના બિયારણો કે ખેતીપદ્ધતિઓને કારણે ખેડૂતોને મળનાર ઉત્પાદનોની સમિક્ષા કરી શકવાની યોગ્ય બૌદ્ધિક ક્ષમતાઓ તેનામાં હોય તે અત્યંત આવશ્યક છે.
ઘણી જગ્યાએ માત્ર સગાઇ-લગ્ન કરવામાં દેખાડવા માટે જરૂરી હોય કે પછી બીજો કોઈ ધંધો મળતો ન હોવાનાં કારણોસર દાતણ વેંચવામાં પણ ન ચાલે તેવા કોઈપણ આલિયા-માલિયા વ્યક્તિઓ દવા-ખાતરની દુકાન ખોલીને બેસી જાય છે. આવા કોઈપણ જાતની યોગ્યતા ન ધરાવતા વેપારીઓનાં હાથમાં ખેતી અને ખેડૂતનું ભાવિ પહોંચી જાય તેનાથી વધુ દુ:ખદ તો બીજું શું હોય શકે ?

૦૨ - વિવેકશીલતા
ખેતી એટલે જીવંત પ્રકૃત્તિ. ખેતરની માટી, બીજ, છોડ, ખેતરમાં જતા-આવતા પશુપંખી વગેરે સજીવ છે. અને માટે જ તેની સાથે કામ કરવામાં ખેડૂત અને વેપારી બંનેએ માનવતા, સૌજન્યશીલતા અને પોતાની વિવેકબુદ્ધિનો પરિચય આપવો પડતો હોય છે. ગ્રાહક સ્વરૂપે પોતાની દુકાને આવતા ખેડૂતના ખેતરમાં ઉભેલા છોડની સ્થિતિ, હવામાન, આજુ-બાજુના ખેતરોની પરિસ્થિતિ વગેરે જાણીને પછી ખેડૂતને શેની જરૂર છે? તેમજ જે-તે ખેડૂતની આર્થિક સ્થિતિનો વિવેકપૂર્ણ વિચાર કર્યા પછી માત્ર આવશ્યક હોય તેવા જ ઉપાય બતાવવાની આવડત જે-તે વેપારીમાં હોવી જોઈએ.
ઘણી જગ્યાએ ખેડૂતની જરૂરીયાત સમજ્યા વિના માત્ર પોતાની અજ્ઞાનતાને ઢાંકવા માટે આવેલ ગ્રાહકને ‘હાજર સો હથિયાર’ ગણીને પોતાની દુકાનમાંથી આડેધડ વસ્તુ આપી દેનાર વેપારી ‘આંખનું કાજળ ગાલે’ ઘસાવતા હોય છે. ખેડૂત કે ખેતી પર શું પ્રતિક્રિયા થશે તેનો ખ્યાલ કર્યા વગર આવા લોકો માત્ર પોતાનો સ્ટોક ખાલી કરવા માટે બિનજરૂરી કે ‘એક્સપાયર’ થઇ ગયેલ અત્યંત હાનીકારક વસ્તુઓ પણ પધરાવી દેતા હોય છે. મિત્રો, ખેતીની સજીવતા માટે આવા વેપારીઓને હું સૌથી મોટું જોખમ ગણું છું.

૦૩ - સમયસજ્જ અને પરિક્ષક  
આપણે જાણીએ છીએ કે ખેતીમાં દરેક કાર્યો જો યોગ્ય સમયે થાય તો જ યોગ્ય પરિણામ મળે છે. અને આ માટે જરૂરી વિવિધ ચીજ-વસ્તુઓ, જાણકારી તેમજ સાચી અને સમયસર સલાહ માટે ખેડૂત જેના પર સૌથી વધારે મદાર રાખે છે તેવી વ્યક્તિ, એટલે કે એગ્રો સેન્ટરનાં વેપારીમાં સમય સજ્જતાનો ગુણ હોવો આવશ્યક છે. નિયમિત રીતે ખેડૂતોના ખેતર, નજીકના કૃષિ શિક્ષણ કેન્દ્રોની મુલાકાતો, ખેડૂતો માટે સમયાંતરે યોજાતા સરકારી - સહકારી કે ખાનગી કૃષિમેળા અને કૃષિવર્ગો કે સેમીનાર વગેરેમાં જઈને પોતાના કૃષિ જ્ઞાનને વહેતા સમયની સાથે ‘અપ ટુ ડેટ’ રાખે છે. આવા વેપારીઓ પોતાની દુકાનમાં વેંચવા માટે રાખતા પહેલા જે-તે ઉત્પાદનોનું વિવિધ જગ્યાએ જાત નિદર્શન કરાવી, પરિક્ષણ કરે છે અને ત્યારબાદ જો યોગ્ય પરિણામ મળે તો જ ગ્રાહકોને આપવાનાં આગ્રહી હોય છે. પોતાના ગ્રાહક ખેડૂતોનાં ઉત્કર્ષ માટે પૂરતો સમય આપતા અને સમયનું મૂલ્ય સમજતા ઝવેરી જેવા આ પારખું વેપારીઓ સમગ્ર વ્યવસાય માટે ગૌરવ સમાન હોય છે.
ઘણી જગ્યાએ એવા વેપારીઓ પણ હોય છે કે જેઓને પોતાની દુકાનનાં ઉંબરાની બહાર પગ મૂકવો ગમતો નથી. નવરાશના સમયનો સદુપયોગ કરવાને બદલે ટેબલ પર પગ ચડાવીને કાંતો ટીવી પર ફિલ્મો જોતા હોય અથવા તો મોબાઈલ મચડતા હોય છે. મેં જાતે જોયેલા અમુક ઉદાહરણ તો એવા છે કે જ્યાં દુકાને આવેલ ગ્રાહકને યોગ્ય જવાબ આપવાને બદલે જે-તે વેપારી માટે મોબાઈલ પર ‘તીનપત્તી’ રમત વધારે મહત્વ હતી. આવા લોકો પોતાનો સમય તો ખરાબ કરે જ છે પણ સાથોસાથ જનમાનસમાં વેપારીવર્ગ પ્રત્યે સૂગ પણ પેદા કરે છે.

૦૪ - કૃષિ હિતચિંતક
‘ખેતી અને ખેડૂત છે તો હું છું...’ એમ માનીને પોતાની દુકાને આવેલા ખેડૂતને યોગ્ય સલાહ-સૂચન આપતા, તેમજ જો પોતાની પાસે તે અંગે જાણકારી ન હોય તો અગાઉ જણાવ્યા મુજબ વિવિધ માધ્યમો દ્વારા દવા, ખાતર, બિયારણમાં આવતી નવી નવી ટેકનોલોજી અંગે સતત જાણકારી મેળવી, ખેડૂતો સાથે તે માહિતીની વહેંચણી કરનાર વેપારી ગ્રાહકોમાં પ્રિય થઈ પડે છે. હાલ જ્યારે ખેતી મોંઘી થતી જાય છે ત્યારે ખેતી ખર્ચ ઘટાડવા માટે વિવિધ ઉપાયો જેવાકે, યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરાવી, તેને સ્થાને જમીનમાં ખૂટતા જરૂરી સુક્ષ્મ તત્વોયુક્ત ખાતરોની ભલામણ અને મલ્ટીનેશનલ કંપનીઓના મોંઘાદાટ જંતુનાશકોનાં સ્થાને એવાજ તત્વો અને પરિણામ ધરાવતી સ્થાનિક કંપનીઓની સસ્તા દરની દવાઓની ભલામણ કરતા વેપારીઓ ખેડૂતોમાં આદર્શ ગણાતા હોય છે.
ઉપરાંત, પોતે જે કોઇપણ ચીજ-વસ્તુ ખેડૂતને વેંચે છે, તે વસ્તુમાં સામેલ તત્વો, તેના કાર્યો, તેના ઉપયોગની રીત, યોગ્ય પ્રમાણ-માત્રા, તેનાથી મળતા પરિણામો કે વિપરીત સંજોગોમાં થતી આડઅસરો તેમજ તે ઉત્પાદન બનાવનાર કંપની અંગે જે-તે કંપની કે તેના અધિકારી પાસેથી પૂરેપૂરી માહિતી મેળવનાર વેપારી ખેડૂતોના સાચા અર્થમાં હિતરક્ષક છે.
ઘણી વખત અમુક સ્વાર્થપરાયણ વેપારીઓ માત્ર પોતાને મળનારા નફાને જ ધ્યાને રાખીને, ખેડૂતને સદંતર બિનજરૂરી ખર્ચા કરાવે છે. અરે ! કેટલાક વેપારીઓને તો પોતાની દુકાનમાં રહેલ દવા-ખાતરમાં સામેલ તત્વોના પુરા નામ પણ આવડતા હોતા નથી. મેં જાતે જોયું છે કે ઘણી વખત અમુક કંપનીના કેટલાક અધિકારીઓ પોતાની બીઝનેસ ટુર દરમ્યાન વેપારીની દુકાને જઈને કંપનીના ઉત્પાદનોની સાથોસાથ નવીન કૃષિ ટેકનોલોજી, સાંપ્રત પરિસ્થિતિ વગેરે જેવી બાબતોની જાણકારી આપવાનો તેમજ સ્થાનિક ખેતી અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરતું, તેમની મહત્વપૂર્ણ વાતો ધ્યાન આપી માંથી સારગ્રહણ કરવાને બદલે ‘મને બધી જ ખબર પડે છે અને હું જાણું છું તે તેજ સાચું,’ તેવું માનતા આવા ‘સર્વજ્ઞાની’ (!) વેપારીથી વધારે ખેડૂતનો ‘હિતશત્રુ’ ક્યા શોધવો ? 

૦૫ - શુદ્ધ વેપારનીતિ
માણસ કોઈપણ વ્યવસાય એટલા માટે કરતો હોય છે કે જેનાથી આવક થાય અને તેની આર્થિક સદ્ધરતા વધે. અને એમ વિચારવું કે કરવું દરેક વ્યક્તિનો હક્ક પણ છે. કૃષિ એ દેશનું સૌથી મોટું વ્યાવસાયિક ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્ર દ્વારા દેશનાં અર્થતંત્રનું ચક્ર ગતિશીલ રહે છે. જો આ ચક્રમાં કોઈપણ કડી અટકે તો સમગ્ર અર્થવ્યવસ્થા બીમાર પડી જાય છે. કૃષિ અર્થતંત્રમાં ખેડૂત અને એગ્રો સેન્ટર્સના વેપારીનો સંબંધ પરસ્પરાવલંબી હોય છે. માટે જો વેપારી દ્વારા યોગ્ય નફો ચડાવીને સારી ચીજ-વસ્તુ ખેડૂતને વેચશે, તો ખેડૂત પણ પોષણક્ષમ ઉત્પાદન અને ઉપજ મેળવી શકશે. વેપારી જો સાચી માહિતી કે સારી વસ્તુના વેચાણ થકી ખેડૂતને કૃષિકાર્યોમાં ભૂલ કરતા કે બિનજરૂરી ખર્ચ કરતો અટકાવે છે તો તે પણ સારા વેપારીની નિશાની છે. આવા વેપારી પોતે વેચેલ વસ્તુઓ માટે આદર્શ પરિસ્થિતિમાં પરિણામો અંગે બેધડક રીતે જવાબદાર હોય છે. કેમકે ખેડૂતોનો વિશ્વાસ જીતનાર જ ખરો વેપારી છે.
ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ‘બકરો’ શોધતા અમુક વેપારી ગ્રાહકનાં આવવાની સાથે જ પોતાની દુકાનનો માલ પધરાવવા માટે ઉતાવળો થાય છે. આવનાર ગ્રાહકની પૂરી વાત કે પાકની પરિસ્થિતિ સાંભળ્યા વગર, ગ્રાહક ફરી હાથમાં આવે ન આવે, એમ વિચારીને બને તેટલો વધુ સામાન તેને વળગાડી દે છે. ‘વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો..’ મુજબ આવા વેપારીને ખેડૂતના મૂળભૂત પ્રશ્ન નિકાલ થશે કે નહિ તેમ વિચારવાને બદલે માત્ર પોતાને મળનારી ‘ટકાવારી’ કેમ વધે ? તેમાં જ રસ હોય છે. પરંતુ, વસ્તુ વેંચીને, નફો કટકટાવીને છૂટી જવાનું વિચારનારા આવા વેપારીઓની ‘ભક્તિ’ વધુ દિવસો સુધી ચાલતી નથી.

છેલ્લે છેલ્લે
અંતે ‘એગ્રો સેન્ટર્સ’ સાથે જોડાયેલ તમામ લોકોને આ લેખની શરૂઆતમાં કહેલ વાત ફરીથી કહીશ કે, ‘વેપારનો એ વ્યવસાય પણ ઉત્તમ જ છે કે જે ખેતી સાથે સંકળાયેલ છે.’ જો આપને ખેતી કરવાનું સૌભાગ્ય નથી મળ્યું ? તો કોઈ વાંધો નહિ. કૃષિ વેપારીઓને તો એથી પણ વિશેષ તક મળી છે. આ કોઈ સામાન્ય વાત નથી. પરિસ્થિતિ મુજબ પોતાની વેપાર નીતિમાં પરિવર્તન લાવી, અતિ નફાની લાલચમાં નૈતિક અધ:પતન તરફ જવાનો રસ્તો છોડી, ખેડૂતોના વિશ્વાસુ બનવું જ રહ્યું.