તાજેતરમાં સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો આવવાથી ચોતરફ ઉહાપોહ મચી ગયો. પરંતુ એક સમય એવો હતો કે આપણી ખેતી માત્ર પશુઓના મળમૂત્રમાંથી બનતા દેશી ખાતર આધારિત હતી. જે આજે વિવિધ પ્રકારના ખાતરોની મોહતાજ બની ગઈ છે. ‘ખેતીમાં ખાતરોની ઉપયોગીતા ક્યા પ્રકારે, કેટલી અને શા માટે છે ?’... તે અંગે થોડાઘણા અંશે જાગૃત બનેલા અમુક લોકો સિવાય મોટાભાગના ખેડૂતો અન્યાનુકરણે બીનજરૂરી મોંઘા ખાતરોથી જમીનને રૂંધી નાખે છે.
કૃષિ નિષ્ણાંતોના મતે ખેડૂતો માટે આજની સૌથી તાતી જરૂરીયાત એટલે પોતપોતાની જમીનનું પૃથ્થકરણ કરાવી, અને તેમાં માત્ર ઘટતા તત્વોનું ઉમેરણ કરવું તે છે. આજની ખેતીને ખેડૂત પરિવાર માટે પોષણક્ષમ બનાવવા અને ઉપજમાં વધારો કરવા માટે આવશ્યક ગણાતા આ ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ એ જરૂરી પણ છે.
કારણ કે વિશ્વમાં ૧૭.૪૪૫ લાખ ચોરસ કિલોમીટર કૃષિભૂમિ ધરાવતા અમેરિકા બાદ ૧૫.૯૬૫ લાખ ચોરસ કિલોમીટર કૃષિ ભૂમિ સાથે ભારત બીજા ક્રમે આવે છે. ભલે ચીન ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટીએ ભારત કરતા મોટો હોય પરંતુ કૃષિભૂમિ ક્ષેત્રે તેનાથી આગળ છે. આજે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરની સૌથી વધુ કૃષિ જમીન ધરાવતા ભારત અને ચીનમાં ખાતરોનો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.
આ રાસા. ખાતરોના ઉદભવ અંગે ખાંખાખોળા કરતી વખતે ઈન્ટરનેટ પરથી જાણવા મળતી બાબતો ખરેખર પશ્ચિમી માનસિકતાનો પરિચય કરાવે છે. વાત જાણે એમ છે કે અઢારમી સદીમાં ફ્રાંસના અમુક વૈજ્ઞાનિકોએ પ્રયોગોને અંતે જાણ્યું કે છોડના વિકાસ માટે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણ તત્વો વધુ જરૂરી છે. અને છોડ આ તત્વોને વાતાવરણ અને ખેતીમાં પરાપૂર્વથી અપાતા રહેલા છાણીયા ખાતર તેમજ ખેતીના વધેલા કચરામાંથી મેળવી લે છે.
વર્ષ ૧૮૪૦માં જર્મન વૈજ્ઞાનિક લિબિકે પહેલીવાર સ્થાનિક ખેડૂતોને આ ત્રણેય તત્વોના રાસાયણિક મિશ્રણને એન.પી.કે. ખાતર સ્વરૂપે છોડને આપવા પ્રોત્સાહિત કર્યા. પરંતુ આ માત્ર પ્રોત્સાહને (!) બીજા વિશ્વયુદ્ધ બાદ ફરજીયાત ખેતસામગ્રીનું સ્થાન લીધું. કારણકે વિશ્વયુદ્ધનો મહાવિનાશ અટક્યા પછી અતિશય વધારે માત્રામાં વધેલા પોટાશ વગેરે જેવા રસાયણોથી બનેલા દારૂગોળાનું શું કરવું ? એ મુદ્દો સૌના માટે એક યક્ષપ્રશ્ન થઈને સામે આવ્યો હતો.
પહેલેથી જ ભૌતિકવાદમાં માનતી વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓની નજર હવે આ બીનજરૂરી દારૂગોળા પર હતી. સાવ મફતના ભાવે મેળવેલા આ મોતના સામાનમાંથી પોટાશ અને બીજા ઝેરી રસાયણો તારવીને તેનો ખાતર અને જંતુનાશકો તરીકે જોરદાર પ્રચાર આરંભ્યો. મફતનો માલ હવે સોનાના ભાવે વેચાવા લાગતા અનેક મહાકાય કંપનીઓના મોઢામાંથી લાલચની લાળ ટપકવા લાગી.
યુરોપમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિના પગલે ત્યાંની કોઈપણ ભોગે માત્ર નફો રળવો એ લક્ષ્ય રાખનારી કંપનીઓએ ભારત અને અન્ય એશિયાઈ દેશોમાં હરિયાળી ક્રાંતિના નામે ઝેરમાંથી બનેલા આ ખાતરો અને જંતુનાશકો વેંચીને તગડી કમાણી શરૂ કરી દીધી. એક રીતે કહીએ તો તેમણે કૃષિક્ષેત્રમાં પોતાના અકાટ્ય મૂળીયા વાવી દીધા. આવી કંપનીઓની નફ્ફટાઈનો એક નમૂનો જોઈએ.
વર્ષ ૧૯૬૫માં અમેરિકા-વિયેતનામ યુદ્ધમાં વિયેતનામી સૈનિકો જંગલમાં છુપાયેલા હતા. અમેરીકન વાયુસેનાએ આ શત્રુસૈનિકોને જંગલમાંથી શોધી-શોધીને મારવા માટે ત્યાંની એક કુખ્યાત જંતુનાશક કંપની કે જે હાલ બીટી બીયારણોમાં વિશ્વસ્તરે પેટેન્ટ ધરાવે છે તેના ‘એજન્ટ ઓરેન્જ’ નામના નિંદામણનાશક રસાયણનો સહારો લીધો. ‘ઓપરેશન રાંચ હેન્ડ’ હેઠળ અમેરિકન વિમાનોએ રાત-દિવસ આકાશમાંથી આ રસાયણ વરસાવીને, તત્કાલીન વિયેતનામી સૈનિકો તથા તે જંગલમાં રહેનારા લાખો લોકોના મોત નીપજાવ્યા. સાથોસાથ ત્યાંની જૈવિક સંપત્તિનો નાશ કરી દીધો.
યુદ્ધ દરમીયાન લગભગ સાડા ચાર કરોડ લીટરની માત્રામાં છંટાયેલુ આ રસાયણ હજુ પણ ત્યાંની નવી જન્મતી પેઢીને અતિશય નુકશાન કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ આ જનસંહારના ફોટો-વિડીયો જોઇને થથરી જવાય છે. તાજેતરમાં બનેલી એક કમનસીબ ઘટનામાં રાજકોટની ભાગોળે આવેલ કોટડા નાયાણી ગામનો એક તદ્દન નિર્વ્યસની યુવાન હિતેશ લીંબાસીયા રાસાયણિક ખેતી થકી ખોરાકમાં ભળેલા ધીમા ઝેરના કારણે કેન્સરના ખપ્પરમાં હોમાય ગયો. પોતાના જુવાનજોધ દીકરાને શ્રદ્ધાંજલિ આપવા માટે ખેડૂત પિતા છગનભાઈએ સજીવ ખેતીના પ્રચારનું કામ ઉપાડ્યું હોવાના સમાચાર અખબારી પાનાઓ પર પણ ચમક્યાં હતા.
ખેર, ધરતી વિદેશી હોય કે દેશની, પરંતુ તેને ઝેરના અતિરેકથી બચાવીશું તો જ જીવી શકીશું. હવે એ સમય પાકી ગયો છે કે આપણે પોતાના ખેતરની માટીનું પરિક્ષણ કરાવીને માત્ર પાકની જરૂરીયાત પૂરતા જ, અને ખાસ કરીને જમીનમાં ખૂટતા તત્વ ખાતરરૂપે આપીએ. નવા સમયના માઈક્રોન્યુટ્રીયન્ટ આધારિત ખાતરોનો જ ઉપયોગ કરવાનું શરૂ કરી દઈએ. સાથે જ ખેતરનો થોડો વિસ્તાર અલગ કાઢીને તેમાં ગાય આધારિત ખેતી, ઝીરો બજેટ ખેતી, કેમિકલ રહિત સજીવ ખેતી કે ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કરીએ.
ખેડૂતમિત્રો, ખાતરના વિવેકપૂર્ણ ઉપયોગની માત્ર વાતો કરીને કે સાંભળીને બેસી રહેવાનો સમય હવે નથી રહ્યો. આજે ઉભા થઈશું, ચાલવાનું શરૂ કરીશું, તો લક્ષ્ય સુધી પહોંચવું અશક્ય નથી જ. હવે આપને મળેલ ‘જગતાત’ ઉપનામને ઉજાડવું કે ઉજાળવું એ આપના હાથ જ હાથમાં છે... કેમ બરાબરને ?
No comments:
Post a Comment