Wednesday, 22 August 2018

ફળપાકોની ખેતી : પર્યાવરણ રક્ષા સાથે આર્થિક સમૃદ્ધિનો ઉમદા ઉપાય


ફળપાકોની ખેતી : પર્યાવરણ રક્ષા સાથે આર્થિક સમૃદ્ધિનો ઉમદા ઉપાય

  • ·      સૌને પોષણ પુરૂ પાડતી ધરતીને આપણે માતા કહીએ છીએ. પુરાણોમાં કહેવાયું છે કે વૃક્ષો એ ધરાનું વસ્ત્ર છે. અને ધરાનાં ધાવણ સમાન ફળ આપતા ઝાડ કાપી, તેનું વસ્ત્રાહરણ પણ આપણે જ કરીએ છીએ.
  • ·         રોકડિયા પાકોનાં ભાવમાં થતો ઘટાડો, ખેતમજૂરોની અછત અને વિવિધ સમસ્યાઓને કારણે અનેક ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખેતીની જગ્યાએ પુનઃ ઓર્ગેનિક ફળઝાડ વાવવા તરફ અગ્રેસર થયા છે.

---------

દ્રશ્ય ૧ : સૃષ્ટિમાં ચોમેર છવાયેલ અનંત હરિયાળી વચ્ચે કોઈપણ સીમા-સરહદ વગર મન પડે ત્યાં જીવવા માટે સ્વતંત્ર વિચરણ કરતા વેદકાલીન કે તેથી પણ પુરાતન સંસ્કૃતિના લોકો. તરસ લાગે ત્યારે નદી, ઝરણાં, કુંડ સહીત હાથવગા પાણીના વિવિધ કુદરતી સ્રોત અને ભૂખ લાગે ત્યારે વિવિધ પ્રકારના કંદમૂળ અને ફળફળાદીથી લચી પડતી વનરાજી. કોઈ જ કલેશ કે અભાવ વગરનું બસ માત્ર નિરોગી અને દીર્ઘકાલીન શ્રેષ્ઠ જીવન.

દ્રશ્ય ૨ : સમગ્ર સંસારમાં ધીરે ધીરે સભ્યતાઓ વિકસી રહી છે. નૂતન પ્રકારના સભ્ય સમાજનો માણસ પોતાના પાલતું પશુઓના નિભાવ માટે બહુ દૂર જવું ન પડે તે કારણે પોતાની આસપાસના વિસ્તારોનાં જ જંગલો કાપીને ખેતી કરી રહ્યો છે. નવા નવા શોધાઈ રહેલા કે સંશોધિત થઈ રહેલા ખેતી પાકોનો સ્વાદ પોતાને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો હોવાથી તેના માટે માનવજાત આ પોષક તત્વોથી ભરપૂર ફળોનાં વૃક્ષ કાપવામાં કોઈએ દુખ થતું નથી.

દ્રશ્ય ૩ : ઔદ્યોગિક ક્રાંતિનાં પડઘમ વચ્ચે વસ્તી વધારાના પરિણામ સ્વરૂપ ગરીબ લોકોને કામે લગાડવાના કહેવાતા સદ્કાર્ય માટે ઠેર ઠેર જંગલોની જમીનો પર મોટા કારખાનાઓની શરૂઆત થઈ રહી છે. ફેકટરીઓના પ્રદુષણ અને કુપોષણથી બીમાર મજૂરોની સારવાર કરતા ડોકટરો તેમને પોષણયુક્ત ફળ ખાવાની સલાહ આપે છે, ગરીબી અને ભૂખમરાથી ત્રસ્ત માણસ નિરાશ થતો કેટલાયે લોકો પાસે મદદની અપેક્ષા રાખે છે પણ મોંઘા ફળ ભીખમાં કોણ આપે ?

દ્રશ્ય ૪ : ફળાઉ સહીત દરેક જાતના વૃક્ષોની ઉપેક્ષાના પરિણામોની અસરથી પૃથ્વીનું સંતુલન ખોરવાઈ/બગડી રહ્યું છે. અતિ/અલ્પ વૃષ્ટિ, પુર, વધતું તાપમાન જેવા અનિષ્ટો સામે સમતોલન જાળવી રાખવા માટે વિવિધ સંગઠનો અને સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણ યોજનાઓ (કાગળ પર) અમલમાં લવાતી નજરે પડે છે. ક્યાંક વળી સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે અગર તો ટોકન દરે ફળઝાડનાં રોપાઓ વિતરિત કરે છે.

દ્રશ્ય ૫ : ફરજના ભાગ રૂપે કરવામાં આવેલ વૃક્ષોના સરકારી વાવેતરોનાં ઉછેર અને જાળવણીnની સરેરાશનાં આંકડા નિરાશ કરે છે તો વળી પેઢી દર પેઢી ટૂંકી થતી જતી જમીનમાં જગ્યા રોકતા વૃક્ષોને કાપીને વાવવામાં આવેલ રોકડિયા પાકોનાં ભાવમાં દર વખતે ઘટાડો થતા, ખેતમજૂરોની અછત અને ખેતીમાં કરેલ રોકાણ કરતા પણ ઓછુ વળતર મળતા અનેક ખેડૂતો કપાસ મગફળીની રાસાયણિક ખેતીની જગ્યાએ પુનઃ ઓર્ગેનિક ફળઝાડ વાવવા તરફ અગ્રેસર થયા છે.

દ્રશ્ય ૬ : (ભવિષ્યમાં) મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં શેઢેપાળે અથવા થોડી અલગ જમીન કાઢીને વિવિધ પ્રકારના ફળઝાડનું ઉત્પાદન લે છે. વિનિમય પદ્ધતિથી અડોશપડોશના ખેડૂતો પોતપોતાના ફળોની આપલે કરે છે. પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોને મોસમ પ્રમાણે ઉપજતા પોષણયુક્ત ફળ મળે તે માટે સુંદર વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી દરેક બાળક કે વ્યક્તિના રોજિંદા આહારમાં ફળોનો સમાવેશ થવા લાગ્યો છે.
***
મિત્રો, આ દ્રશ્યો કોઈ કપોળકલ્પિત નાટકની વાતો નથી. પણ સાબિત કરે છે કે દુનિયા ગોળ છે અને ચકડોળનાં ફાલકાની જેમ સૌનું જીવનચક્ર ચાલે છે તેનો પુરાવો છે. કુદરતી ખેતી અને ખોરાકથી દૂર રહેલો માણસ આજે ફરી પ્રકૃતિ તરફ વળી રહ્યો છે. જે આનંદની વાત પણ છે. આ લાંબી પૂર્વભૂમિકા બાદ વાત કરીએ મુખ્ય વિષય ફળઝાડની ખેતી વિશે...
પુરાણોમાં કહેવાયું છે કે વૃક્ષોએ ધરાનું વસ્ત્ર છે. આપણે ધરતીને માતા કહીએ છીએ કારણ કે તે આપણને પોષણ પુરૂ પાડે છે અને ધરાનાં ધાવણ સમાન ફળ આપતા ઝાડવા કાપીને તેનું વસ્ત્રાહરણ પણ આપણે જ કરીએ છીએ. હવે વૃક્ષો આપણા માટે પ્રકૃતિનો ઉપહાર કે ધરતી પરના અચલ સંત નથી રહ્યાં. આપણે તેને માત્ર આપણી જરૂરીયાત માટે જ વાવીએ અને કાપીએ છીએ.

પર્યાવરણ રક્ષક
આજે સમસ્ત વિશ્વ સમક્ષ બગડતું હવામાન મોટી સમસ્યા છે. જેનો ઈલાજ વધુમાં વધુ વૃક્ષો વાવવા તે છે. માલપરાના અગ્રણી ખેડૂત વડીલ હીરજીભાઈ ભીંગરાડીયા તો કહે છે કે, ‘અનેક જીવોનાં આશ્રયદાતા એવા આ વૃક્ષોને જો કાન દઈને સાંભળીએ તો આપણી સાથે વાતો પણ કરે છે.’ માનવીય સભ્યતાના સૌથી શ્રેષ્ઠ મિત્ર ગણાતા વૃક્ષો આપણને જીવનમૃત્યુપર્યંત સતત કામ આપતા રહ્યાં છે. પેલું ગીત તો યાદ જ હશે, ‘દેખ તમાશા લકડી કા...’ હવે સમય આવ્યો છે આપણે તેનો સાથ આપવાનો. પણ યક્ષપ્રશ્ન એ છે કે આ વૃક્ષો વાવવાનું વિરાટ કાર્ય કરે કોણ ??? તો સરકાર કે સંસ્થાઓને બાજુ પર મૂકીને આ કાર્ય કરવા માટે જો કોઈએ સોથી સક્ષમ હોય તો તે છે ખેડૂત. ખેડૂતને જગતાત તરીકે આપણે સૌ જાણીએ છીએ. જગતને જીવાડવા માટે અન્ન ઉત્પન્ન કરતો ખેડૂત હવે જગતને જાળવવાની જવાબદારી પણ અદા કરે અને પોતાના ખેતરોમાં લાંબા ગાળા સુધી ટકી રહી પર્યાવરણની જાળવણી કરી શકે તેવા વૃક્ષોનું વાવેતર કરે તો ખરું કામ થાય. પણ કહેવત છે કે, ‘ભૂખ્યા પેટે ભજન ન થાય...’ એ ન્યાયે માત્ર મોટા મોટા વૃક્ષો વાવીને ખેતરની જમીન જો રોકી લેવામાં આવે તો સૌના ભોજનનું શું ? તો તેનો ઈલાજ છે કે ફળઝાડની ખેતી. અહી આપણે વૃક્ષ પર ઉપકાર કરવાની વાત નથી પણ આપણા પોતાના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યના લોભે ફળઝાડનાં વાવેતર કરવાની વાત છે.

ફળઝાડ જ શા માટે ?
૧ – પોષણશાસ્ત્રની દ્રષ્ટીએ દરેક વ્યક્તિએ દરરોજ પોતાના આહારમાં ૮૦ થી ૯૦ ગ્રામ તાજા અને મોસમી ફળ ખાવા જોઈએ.
૨ – ફળમાં ખનીજ, ચરબી, ક્ષાર, કાર્બોહાઈડ્રેટસ, વિટામિન્સ સહિત ભરપૂર તત્વો રૂપી સમતોલ આહાર છે.
૩ – સારી ગુણવત્તા ધરાવતા ફળોની નિકાસ કરવાની ખૂબ જ શક્યતાઓ.
૪ – પુષ્કળ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી હોવાથી બેરોજગારીની સમસ્યા નિવારવામાં સહાયક.
૫ – વિવિધ પ્રકારની મૂલ્યવર્ધિત બનાવટને કારણે લાંબો સમય સંગ્રહ કરી શકાય.
૬ – પડતર કે બિન ઉપજાવ જમીનમાં પણ વાવી શકાય. જેનાથી સમયાંતરે જમીન નવસાધ્ય થાય છે.
૭ – અન્ય કોઈપણ પ્રકારની ખેતી ન થઈ શકે તેવા વિસ્તારોનાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ.
૮ – ફળના વૃક્ષો ફળ આપવાની સાથે સાથે જમીનનું ધોવાણ અટકાવે છે.
૯ – એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન અને વધુ આવક આપવાની ક્ષમતા.

શું ધ્યાન રાખવું ?
જાણીતા બાગાયતકાર ગફારભાઈ કુરેશી જણાવે છે કે, ‘જો ફળપાક વાવતા પહેલા ખેડૂતો થોડા મુદ્દાઓ પ્રત્યે કાળજી રાખે તો સારી આવક રળી શકે છે. જેમકે, વિશ્વાસુ અને જવાબદાર નર્સરીમાંથી જ રોપા કે કલમો ખરીદવી. બાગાયત ખાતાના નિવૃત અધિકારીઓના જ્ઞાનનો ઉપયોગ કરવો તેમજ આ ક્ષેત્રનાં પીઢ વ્યક્તિઓની સલાહ લેવી. ખોટી ઉતાવળ કરીને કે દેખાદેખીથી કોઈ નવા પ્રકારનાં ફળની જાતના વાવેતર પાછળ આંખો મીંચીને પડવાને બદલે લીંબુ અને કેરી જેવા મૂલ્યવર્ધિત થઈ શકે તેમજ લાંબો સમય સુધી સંગ્રહી શકાય તેવા પાકો વાવવાનું વિવેકબુદ્ધિપૂર્વક ભાવિ આયોજન કરવું. કારણ કે થોડા સમય પહેલા એપલ બોરનાં વાવેતરનો વાયરો ચાલ્યો હતો. હવે વિચારો કે જ્યારે આ બધા બોર એકસાથે પાકીને બજારમાં આવે ત્યારે બજારભાવ શું મળે ? હાં, એક વાત ચોક્કસ છે કે, જેમનું ઉત્પાદન ગુણવત્તાસભર હશે એની હરીફાઈમાં કોઈ નહિ હોય.’
 
શું વાવવું ?
જમીન, રોપા, પિયત વ્યવસ્થા, મજૂર, ઉત્પાદનના વેંચાણ કે પરિવહનની વ્યવસ્થા વગેરે મુદ્દાની અનુકૂળતા મુજબ ફળઝાડ વાવી શકાય. જેમકે, આંબો, ચીકુ, કેળ, પપૈયા, લીંબુ, નાળીયેરી, જામફળ, સીતાફળ, બોર, દાડમ, ખારેક, જાંબુ, આમળાં, કાજુ, દ્રાક્ષ, મોસંબી, રાયણ, ફણસ વગેરે. ઉપરાંત જે-તે વિસ્તારમાં પ્રચલિત ફળપાકનું વાવેતર કરવાથી નજીકમાં જ તેનું બજાર ઉપલબ્ધ રહે છે. જેમકે એક સમય હતો જ્યારે દાડમ કે પપૈયા માત્ર બીમારીમાં જ ખવાય તેવો ખ્યાલ પ્રવર્તતો હતો. પરંતુ આજે દાડમ અને પપૈયાનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાથી બજારમાં દાડમ-પપૈયાની હાજરી સારી એવી વધેલી જણાય છે.

છેલ્લે છેલ્લે
ખેડૂત મિત્રો, તમે રોકડિયા પાકોને બદલે માત્ર ફળપાકો જ વાવો તેવો કોઈ જ દુરાગ્રહ નથી, પરંતુ એક નમ્ર અપીલ તો ચોક્કસ કરીશ કે તમારા વાડી-ખેતરનાં એકાદ ભાગમાં અથવા તો કમસે કમ શેઢાપાળા પર પોતાના પરિવાર અને સગાવ્હાલાઓ માટે તેમજ ખેતરમાં કાયમી વસવાટ કરનારા પંખીઓ માટે થોડાક ફળઝાડનું વાવેતર કરો. અને પછી જો જો કે, આ વૃક્ષો તમારા ખેતરને કેવું જીવંત બનાવી દે છે. કારણકે જો વૃક્ષો રહેશે તો આ પૃથ્વી રહેશે, આપણે રહીશું અને તો જ આ બધી સમૃદ્ધીઓને માની શકીશું.

No comments:

Post a Comment