Wednesday, 22 August 2018

ખેતીનું પ્રથમ અને આવશ્યક કૃષિકાર્ય : જમીનની તૈયારી - ખેડ


ખેતીનું પ્રથમ અને આવશ્યક કૃષિકાર્ય : જમીનની તૈયારી - ખેડ

‘ખેડ, ખાતરને પાણી... ઉપજ લાવે તાણી’ જુના જમાનામાં આ કહેવત કઈ અમસ્તી જ નહિ પડી હોય. આપણા પૂર્વજોએ કોઠાસૂઝના બળે અને આપણી કૃષિ યુનીવર્સીટીઓના વૈજ્ઞાનિકોએ દાયકાઓના વિશદ સંશોધનો ઉપરથી તારણ કાઢ્યું છે કે આ ત્રણેય બાબતનું ખેતીકાર્યમાં સમાન મહત્વ છે. અમુક લોકો તો એમ પણ કહે છે કે ‘સારી અને યોગ્ય રીતે કરેલ ખેડથી ખેતીનું અડધું કામ તો એમ જ પૂરૂ થઇ જાય છે.’ ખેતીની જમીન વ્યવસ્થાપનના કાર્યમાં ઉનાળુ ખેડને સફળતાની ચાવી કહી શકાય છે. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ જમીન, હવા, પાણી અને પાક વચ્ચે જો સુવ્યવસ્થિત સંબંધ હોય તો ખેડૂતોને તેની મહેનતનું અદકેરું પરિણામ મળે છે.
કૃષિ ઉત્પાદનમાં પાકના મુખ્ય અંગ એવા મૂળને વિકસવાનો આધાર અને મોટાભાગનું પોષણની જરૂરીયાતો પૂરી પાડવા માટે જમીન એ મહત્વનું માધ્યમ છે. જમીનના છિદ્રોમાં રહેલ ઓક્સીજન છોડના મૂળ દ્વારા તેની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. વર્ષો સુધી જો આ જમીનને પડતર રાખી મુકવામાં આવે તો તે પથ્થર જેવી નક્કર બની જાય છે. ખેતીકાર્યોમાં ઉપયોગ કરવા માટે આ જમીનને યોગ્ય ખેડ કરીને તપાવવી અત્યંત જરૂરી છે.
ખેડના વિવિધ પ્રકારો હોય છે. જેમકે જમીનના પોત પ્રમાણે કરાતી ઊંડી કે છીછરી ખેડ. વાવેતરના સમય મુજબ કરાતી પ્રાથમિક ખેડ, આંતર ખેડ અને છેલ્લી ખેડ. સંખ્યા મુજબ જોઈએ તો ઓછી ખેડ, અનુકૂળ ખેડ, રીડ્યુસ ખેડ તેમજ વધુ પડતી ખેડ વગેરે કહી શકાય. ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ પડતી ખેડથી થતા નુકશાનને અટકાવવા ખેડૂત પોતાની જમીનના બંધારણ મુજબ જરૂર પુરતી ઊંડાઈ અને આવશ્યક સંખ્યામાં ખેડ કરે તે જરૂરી છે. ખેડ કેટલી કરવી તેનો આધાર જે તે ખેતરમાં અગાઉ કયો પાક વાવેલો હતો અને હવે પાછી કયો પાક વાવવાનો છે તેના પર આધારિત હોય છે.
આપણા મોટાભાગના વિસ્તારોની ખેતી ચોમાસા આધારિત હોવાથી વરસાદ પહેલા ઉનાળામાં જમીનને ખેડીને તૈયાર કરવી ખૂબ જ અગત્યનું કૃષિ કાર્ય છે. બળદથી ચાલતા હળ કે ટ્રેક્ટર સંચાલિત રોટાવેટર જેવા ખેત ઓજારો વડે જમીનને વ્યવસ્થિત રીતે ચાસમાં યોગ્ય ઊંડાઈ સુધી ખોદી, માટીને ઉલટસુલટ પલટાવી, તેને પોચી અને ભરભરી બનાવી રાખવાના કાર્ય એટલે ખેડ. જમીન સંરચના અને તેના બંધારણમાં ખેડ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ખેતરમાં રહેલા આગલા પાકના થડિયા-જડિયા, ડાળી, પાન, અન્ય અવશેષો વગેરે ખેડ કરવાથી જમીનની અંદર દટાઈ જાય છે અને સમયાંતરે તેમાંથી જમીનમાં જરૂરી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ થતું રહે છે.
બળદથી ચાલતા ચવડાવાળા હળ અથવા ટ્રેક્ટરથી ચાલતા દાંતાવાળા યાંત્રિક હળ વડે ખેડ કરવાથી જમીનમાં અંગ્રેજી ‘વી’ આકારના ઊંડા લીટા થાય છે. જો ફક્ત એક જ દિશામાં સીધી ખેડ કરવામાં આવે તો ચાસમાં બે દાંતા વચ્ચેનો ભાગ ખેડાયા વગરનો રહી જાય છે અને નીકપાળા જેવો આકાર બની જતા જમીનને સમતલ કરવાનો ખર્ચ પણ વધી જાય છે. માટે ખેડ કરતી વખતે ફક્ત એક જ તરફ ખેડવાને બદલે આડી-ઊભી ખેડ કરવી જરૂરી છે. જેથી ખેતરમાં દરેક જગ્યાની માટી ઉપર નીચે થઇ શકે.
ખેડ કરવાથી માટીના મોટા ઢેફાંનું નાના રજકણોમાં રૂપાંતર થાય છે. આ કણો નાના થવાથી છોડના મૂળના વધુ સંપર્કમાં આવે છે. જેથી છોડ તેમાં રહેલા સુક્ષ્મ પોષકતત્વોને વધુ આસાનીથી લઇ શકે છે. એમ પણ કહી શકાય કે ખેડના માધ્યમથી જમીનમાં અપાયેલ ખાતર કે અન્ય તત્વોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
ખેડને કારણે જમીન પોચી અને ભરભરી બનતા વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે. પાણીનો સંગ્રહ થવાની સાથે જમીનનું ધોવાણ પણ અટકે છે. સારી ખેડથી જમીનની ભેજશોષણ અને ભેજસંગ્રહણ શક્તિ વધવાથી છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી ભેજ અને પોષકતત્વોનો ઉપાડ સારી રીતે કરી શકે છે.
યોગ્ય સમયે આદર્શ ખેડ કરવાથી જમીનની છિદ્રાળુતા વધે છે. જમીનમાં હવાની અવરજવર સારી થવાથી છોડના મૂળને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળે છે અને તેના મૂળની સારી વૃદ્ધિ થાય છે. આમ થતા છોડની ઉત્પાદકતા વધે છે અને છેવટે ઉપજમાં પણ વધારો થાય છે. ખેડના કારણે પોચી થયેલ જમીનમાં સૂરજનો તડકો અને તાપ ઊંડે સુધી પહોંચતા જમીનમાં રહેલા ફૂગ સહિતના ખેતીને નુકશાન કરતા જમીનજન્ય રોગાણુંઓ અને વિષાણુંઓ નષ્ટ થાય છે.
ખેડ કરતી વખતે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેલા મુંડા, કોશેટા, ઉધઈ, ઈયળ વગેરે જમીનની સપાટી ઉપર આવી જાય છે. ખેડકાર્ય કરતા હળ કે ટ્રેક્ટરની પાછળ પાછળ ફરતા બગલા જેવા પરભક્ષી પંખીઓ જમીનમાંથી નીકળતા આ નુકશાનકારક કીટકોને વીણી-વીણીને ખાઈ જતા હોવાથી ખેડૂતો માટે મફતમાં આગોતરું પાક સંરક્ષણ પણ થઇ જાય છે.
સમયાંતરે ખેડ કરવાથી પાક સાથે જમીન પર અનાવશ્યક ઉગી નીકળતા નિંદામણના અવશેષો અને બીજનો નાશ થાય છે. ઘણી વખત આવા નિંદામણના ખેડની સાથે જમીનમાં ઊંડા જતા રહેવાથી તેણે વિકસવા માટે પુરતા હવા-પાણી ન મળતા સહજ રીતે તેનો નાશ થાય છે.
આપણે વર્ષોથી આપણી જમીનોમાં વિવિધ પ્રકારમાં ખાતરો ઉમેરતા આવ્યા છીએ. આ ખાતરોનો મોટો ભાગ છોડના મૂળના સંપર્કમાં આવ્યા વગર જમીન પર નિષ્ક્રિય અને અલભ્ય અવસ્થામાં પડ્યો રહે છે. મોંઘા ભાવના ખાતરો કે પોષક તત્વોને છોડના મૂળ વિસ્તારમાં મોકલી, છોડને લભ્ય સ્વરૂપમાં લાવવા માટે ખેડ એ અતિ મહત્વનું ખેતી કાર્ય છે.
જેમ દરેક કાર્ય તેના યોગ્ય પ્રમાણમાપ કરતા અતિ વધારે કે અતિ ઓછુ કરવામાં આવે તો પરિણામ યોગ્ય મળતું નથી તે જ રીતે ખેડ પણ જો વધુ પડતી કરવામાં આવે તો નુકશાનથાય છે. જમીનમાં હવાનું પ્રમાણ વધતા જમીનમાં રહેલા સેન્દ્રીય પદાર્થ હવા સાથે ઉડીને વાતાવરણમાં ભળી જાય છે. જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ ઘટતા જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ ધીમી પડે છે. જે છેવટે જમીનની ઉત્પાદકતાને પણ ઘટાડે છે.
વધુ પડતી ખેડ કરવાથી જમીનમાં નાના કણોની સંખ્યા વધે છે. જેથી નાના કણ જમીનમાં નીચે બેસતા જઈને સખત પડ બનાવે છે, જે જમીનની નીતાર શક્તિ અને ઉત્પાદકતા ઘટાડે છે. જમીનની માટીનું વધુ નાના કણોમાં રૂપાંતર થતા જમીનની ઘનતા વધે છે. જેથી છોડના મૂળનો યોગ્ય વિકાસ થતો નથી અને પરિણામે છોડની ઉત્પાદન શક્તિ ઓછી થાય છે. જમીન વિજ્ઞાનીઓના મત મુજબ જમીનની ઘનતા પ્રતિ ઘન સેન્ટીમીટરે ૧.૫૫ ગ્રામથી વધારે હોય તો પાક ઉત્પાદન પર વિપરીત અસર કરે છે.
=====


No comments:

Post a Comment