ખેતી
અને ખેડૂતો માટે એગ્રો સેન્ટર્સની ભૂમિકા :
તકવાદી
વેપારવૃતિ કે મદદગાર મિત્ર ?
માણસે પોતાની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ પુરી કરવા માટે ધન રળવું
પડે છે. એ નિર્વિવાદ સત્ય છે. એટલે ઊંમર થતા શારીરિક અને વૈચારિક રીતે કાબેલ થયેલો
માણસ અનુભવ સિદ્ધ વડીલોની વાત, પોતાની બુદ્ધિ અને અન્ય ક્ષમતાઓ પરથી કારકિર્દીનું
ક્ષેત્ર પસંદ કરી પોતાના આર્થિક ઉપાર્જનનો માર્ગ નક્કી કરે છે. એક ગુજરાતી કહેવત
છે કે ‘ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી.’ જોકે દરેક વ્યક્તિ ખેતી કરી શકવા સમર્થ નથી હોતી કેમકે
ખેતી એ ખૂબ જ મહેનત અને સમર્પણ માંગી લેતું કાર્ય છે. ખેતી ન કરી શકવાના બીજા અનેક
કારણો હોય શકે, પરંતુ અત્યારે તે બાબત બાજુ પર મુકીને વાત કરીએ કૃષિ સાથે સંકળાયેલ
આ બહુ જ મોટા ક્ષેત્રની કે જેના વિશે વિસ્તારથી ગંભીરતાપૂર્વક ક્યાંય લખાયું
નથી.અને તે મહત્વપૂર્ણ મુદ્દો એટલે ‘એગ્રો સેન્ટર્સ’.
મિત્રો, જ્યારે ઉત્તમ વ્યવસાયની વાત આવે ત્યારે હું વેપારનાં એ વ્યવસાયને
પણ ઉત્તમ જ ગણું છું કે જે ખેતી સાથે સંકળાયેલ છે. ખેતીમાં વપરાતી દરેક વસ્તુઓ
ખેડૂત પોતે બનાવી શકતો નથી માટે ખેડૂતોને તેમના ગામના પાદર સુધી (એમ કહો કે ઘેરબેઠાં)
વિવિધ પ્રકારના ખાતર, બિયારણ, દવાઓ તેમજ સમયે સમયે યોગ્ય જાણકારી અને જરૂરી
સલાહ-સૂચન પુરા પાડનાર એગ્રો સેન્ટર્સના વેપારીઓની કાર્ય કુશળતાથી અનેકો ખેડૂતો
પોતાનું કૃષિ કર્મ સરળતાથી કર્યે જાય છે. વિશાળ ફલક પર ફેલાયેલ ખેતી અને ખેડૂતોની
સેવામાં (ભલે ‘શ્રીસવા’ જેવો યોગ્ય નફો ચડાવીને) કાર્યરત એગ્રો સેન્ટર્સ પણ
અભિનંદન અને વંદનને લાયક છે. ‘ધોમધખતા રણમાં મીઠી વીરડી’ સમાન આવા વેપારીઓ આ
વ્યવસાયનું ગૌરવ છે તેમાં કોઈ બે મત નથી.
પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો અન્ય વ્યવસાયોની જેમ એગ્રો
સેન્ટર્સનાં ક્ષેત્રમાં પણ આજે લોભ, લાલચ, સ્વાર્થ, છેતરપીંડી, તકવાદીપણું,
ઈર્ષ્યા, અસત્ય, અજ્ઞાનતા વગેરે જેવા અનેક દૂષણો ઘર કરી ગયા છે. આજે અનેક વેપારીઓ
આવા દૂષણોથી ગ્રસ્ત છે. જે ખેડૂતના કારણે થતા વેપાર થકી પોતાનો પરિવાર પોષણ પામે
છે, પોતે વેપારી તરીકે સમાજમાં ઊંચું માથું રાખીને ફરી શકે છે, તેવા ખેડૂતો સાથે
છળકપટ કરવામાં જેઓ જરાપણ છોછ નથી રાખતા, આવા અનેક વેપારીઓને સૌ ઓળખે છે અને તમે પણ
જાણતા જ હશો. (છે ને અનુભવ ?) અહી નીચે જણાવેલ મુદ્દાઓ પરથી વાચક
મિત્રો પોતાના સંપર્કમાં રહેલા એગ્રો-વેપારીનું આંકલન કરી શકશે.
૦૧ - લાયકાત
જેમ ડોક્ટર કે વકીલ પોતાનો વ્યવસાય શરૂ કર્યા પહેલા તેનું વિધિવત
શિક્ષણ મેળવે છે તેમ એગ્રો સેન્ટર પર બેઠેલ વ્યક્તિ માત્ર ખેતીવાડીનું ભણેલો જ નહિ
પરંતુ કૃષિ ક્ષેત્રનો ખરા અર્થમાં જાણકાર હોવો જરૂરી છે. તે પોતાના ગ્રાહકો ખેડૂતો
સહીત લાગુ પડતા સમગ્ર વિસ્તારમાં અગાઉના વર્ષોમાં ખેતીમાં થયેલ દરેક ફેરફારોથી
પરિચિત હોવો જોઈએ. હવામાન અનુસાર ખેતી પર થનાર અસરોનો અભ્યાસુ હોવા ઉપરાંત
જુના-નવા પ્રકારના બિયારણો કે ખેતીપદ્ધતિઓને કારણે ખેડૂતોને મળનાર ઉત્પાદનોની
સમિક્ષા કરી શકવાની યોગ્ય બૌદ્ધિક ક્ષમતાઓ તેનામાં હોય તે અત્યંત આવશ્યક છે.
ઘણી જગ્યાએ માત્ર સગાઇ-લગ્ન કરવામાં દેખાડવા માટે જરૂરી હોય કે પછી
બીજો કોઈ ધંધો મળતો ન હોવાનાં કારણોસર દાતણ વેંચવામાં પણ ન ચાલે તેવા કોઈપણ
આલિયા-માલિયા વ્યક્તિઓ દવા-ખાતરની દુકાન ખોલીને બેસી જાય છે. આવા કોઈપણ જાતની યોગ્યતા
ન ધરાવતા વેપારીઓનાં હાથમાં ખેતી અને ખેડૂતનું ભાવિ પહોંચી જાય તેનાથી વધુ દુ:ખદ તો
બીજું શું હોય શકે ?
૦૨ - વિવેકશીલતા
ખેતી એટલે જીવંત પ્રકૃત્તિ. ખેતરની માટી, બીજ, છોડ, ખેતરમાં જતા-આવતા
પશુપંખી વગેરે સજીવ છે. અને માટે જ તેની સાથે કામ કરવામાં ખેડૂત અને વેપારી બંનેએ
માનવતા, સૌજન્યશીલતા અને પોતાની વિવેકબુદ્ધિનો પરિચય આપવો પડતો હોય છે. ગ્રાહક
સ્વરૂપે પોતાની દુકાને આવતા ખેડૂતના ખેતરમાં ઉભેલા છોડની સ્થિતિ, હવામાન,
આજુ-બાજુના ખેતરોની પરિસ્થિતિ વગેરે જાણીને પછી ખેડૂતને શેની જરૂર છે? તેમજ જે-તે
ખેડૂતની આર્થિક સ્થિતિનો વિવેકપૂર્ણ વિચાર કર્યા પછી માત્ર આવશ્યક હોય તેવા જ ઉપાય
બતાવવાની આવડત જે-તે વેપારીમાં હોવી જોઈએ.
ઘણી જગ્યાએ ખેડૂતની જરૂરીયાત સમજ્યા વિના માત્ર પોતાની અજ્ઞાનતાને
ઢાંકવા માટે આવેલ ગ્રાહકને ‘હાજર સો હથિયાર’ ગણીને પોતાની દુકાનમાંથી આડેધડ વસ્તુ
આપી દેનાર વેપારી ‘આંખનું કાજળ ગાલે’ ઘસાવતા હોય છે. ખેડૂત કે ખેતી પર શું
પ્રતિક્રિયા થશે તેનો ખ્યાલ કર્યા વગર આવા લોકો માત્ર પોતાનો સ્ટોક ખાલી કરવા માટે
બિનજરૂરી કે ‘એક્સપાયર’ થઇ ગયેલ અત્યંત હાનીકારક વસ્તુઓ પણ પધરાવી દેતા હોય છે. મિત્રો,
ખેતીની સજીવતા માટે આવા વેપારીઓને હું સૌથી મોટું જોખમ ગણું છું.
૦૩ - સમયસજ્જ અને પરિક્ષક
આપણે જાણીએ છીએ કે ખેતીમાં દરેક કાર્યો જો યોગ્ય સમયે થાય તો જ યોગ્ય
પરિણામ મળે છે. અને આ માટે જરૂરી વિવિધ ચીજ-વસ્તુઓ, જાણકારી તેમજ સાચી અને સમયસર
સલાહ માટે ખેડૂત જેના પર સૌથી વધારે મદાર રાખે છે તેવી વ્યક્તિ, એટલે કે એગ્રો
સેન્ટરનાં વેપારીમાં સમય સજ્જતાનો ગુણ હોવો આવશ્યક છે. નિયમિત રીતે ખેડૂતોના ખેતર,
નજીકના કૃષિ શિક્ષણ કેન્દ્રોની મુલાકાતો, ખેડૂતો માટે સમયાંતરે યોજાતા સરકારી - સહકારી
કે ખાનગી કૃષિમેળા અને કૃષિવર્ગો કે સેમીનાર વગેરેમાં જઈને પોતાના કૃષિ જ્ઞાનને વહેતા
સમયની સાથે ‘અપ ટુ ડેટ’ રાખે છે. આવા વેપારીઓ પોતાની દુકાનમાં વેંચવા માટે રાખતા
પહેલા જે-તે ઉત્પાદનોનું વિવિધ જગ્યાએ જાત નિદર્શન કરાવી, પરિક્ષણ કરે છે અને
ત્યારબાદ જો યોગ્ય પરિણામ મળે તો જ ગ્રાહકોને આપવાનાં આગ્રહી હોય છે. પોતાના
ગ્રાહક ખેડૂતોનાં ઉત્કર્ષ માટે પૂરતો સમય આપતા અને સમયનું મૂલ્ય સમજતા ઝવેરી જેવા આ
પારખું વેપારીઓ સમગ્ર વ્યવસાય માટે ગૌરવ સમાન હોય છે.
ઘણી જગ્યાએ એવા વેપારીઓ પણ હોય છે કે જેઓને પોતાની દુકાનનાં ઉંબરાની
બહાર પગ મૂકવો ગમતો નથી. નવરાશના સમયનો સદુપયોગ કરવાને બદલે ટેબલ પર પગ ચડાવીને
કાંતો ટીવી પર ફિલ્મો જોતા હોય અથવા તો મોબાઈલ મચડતા હોય છે. મેં જાતે જોયેલા અમુક
ઉદાહરણ તો એવા છે કે જ્યાં દુકાને આવેલ ગ્રાહકને યોગ્ય જવાબ આપવાને બદલે જે-તે
વેપારી માટે મોબાઈલ પર ‘તીનપત્તી’ રમત વધારે મહત્વ હતી. આવા લોકો પોતાનો સમય તો
ખરાબ કરે જ છે પણ સાથોસાથ જનમાનસમાં વેપારીવર્ગ પ્રત્યે સૂગ પણ પેદા કરે છે.
૦૪ - કૃષિ હિતચિંતક
‘ખેતી અને ખેડૂત છે તો હું છું...’ એમ માનીને પોતાની દુકાને આવેલા ખેડૂતને
યોગ્ય સલાહ-સૂચન આપતા, તેમજ જો પોતાની પાસે તે અંગે જાણકારી ન હોય તો અગાઉ જણાવ્યા
મુજબ વિવિધ માધ્યમો દ્વારા દવા, ખાતર, બિયારણમાં આવતી નવી નવી ટેકનોલોજી અંગે સતત
જાણકારી મેળવી, ખેડૂતો સાથે તે માહિતીની વહેંચણી કરનાર વેપારી ગ્રાહકોમાં પ્રિય થઈ
પડે છે. હાલ જ્યારે ખેતી મોંઘી થતી જાય છે ત્યારે ખેતી ખર્ચ ઘટાડવા માટે વિવિધ
ઉપાયો જેવાકે, યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરાવી, તેને
સ્થાને જમીનમાં ખૂટતા જરૂરી સુક્ષ્મ તત્વોયુક્ત ખાતરોની ભલામણ અને મલ્ટીનેશનલ
કંપનીઓના મોંઘાદાટ જંતુનાશકોનાં સ્થાને એવાજ તત્વો અને પરિણામ ધરાવતી સ્થાનિક
કંપનીઓની સસ્તા દરની દવાઓની ભલામણ કરતા વેપારીઓ ખેડૂતોમાં આદર્શ ગણાતા હોય છે.
ઉપરાંત, પોતે જે કોઇપણ ચીજ-વસ્તુ ખેડૂતને વેંચે છે, તે વસ્તુમાં
સામેલ તત્વો, તેના કાર્યો, તેના ઉપયોગની રીત, યોગ્ય પ્રમાણ-માત્રા, તેનાથી મળતા પરિણામો
કે વિપરીત સંજોગોમાં થતી આડઅસરો તેમજ તે ઉત્પાદન બનાવનાર કંપની અંગે જે-તે કંપની
કે તેના અધિકારી પાસેથી પૂરેપૂરી માહિતી મેળવનાર વેપારી ખેડૂતોના સાચા અર્થમાં હિતરક્ષક
છે.
ઘણી વખત અમુક સ્વાર્થપરાયણ વેપારીઓ માત્ર પોતાને મળનારા નફાને જ
ધ્યાને રાખીને, ખેડૂતને સદંતર બિનજરૂરી ખર્ચા કરાવે છે. અરે ! કેટલાક વેપારીઓને તો
પોતાની દુકાનમાં રહેલ દવા-ખાતરમાં સામેલ તત્વોના પુરા નામ પણ આવડતા હોતા નથી. મેં જાતે
જોયું છે કે ઘણી વખત અમુક કંપનીના કેટલાક અધિકારીઓ પોતાની બીઝનેસ ટુર દરમ્યાન વેપારીની
દુકાને જઈને કંપનીના ઉત્પાદનોની સાથોસાથ નવીન કૃષિ ટેકનોલોજી, સાંપ્રત પરિસ્થિતિ
વગેરે જેવી બાબતોની જાણકારી આપવાનો તેમજ સ્થાનિક ખેતી અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન
કરતા હોય છે. પરતું, તેમની મહત્વપૂર્ણ વાતો ધ્યાન આપી માંથી સારગ્રહણ કરવાને બદલે
‘મને બધી જ ખબર પડે છે અને હું જાણું છું તે તેજ સાચું,’ તેવું માનતા આવા
‘સર્વજ્ઞાની’ (!) વેપારીથી વધારે ખેડૂતનો ‘હિતશત્રુ’ ક્યા શોધવો ?
૦૫ - શુદ્ધ વેપારનીતિ
માણસ કોઈપણ વ્યવસાય એટલા માટે કરતો હોય છે કે જેનાથી આવક થાય અને
તેની આર્થિક સદ્ધરતા વધે. અને એમ વિચારવું કે કરવું દરેક વ્યક્તિનો હક્ક પણ છે. કૃષિ
એ દેશનું સૌથી મોટું વ્યાવસાયિક ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્ર દ્વારા દેશનાં
અર્થતંત્રનું ચક્ર ગતિશીલ રહે છે. જો આ ચક્રમાં કોઈપણ કડી અટકે તો સમગ્ર
અર્થવ્યવસ્થા બીમાર પડી જાય છે. કૃષિ અર્થતંત્રમાં ખેડૂત અને એગ્રો સેન્ટર્સના
વેપારીનો સંબંધ પરસ્પરાવલંબી હોય છે. માટે જો વેપારી દ્વારા યોગ્ય નફો ચડાવીને
સારી ચીજ-વસ્તુ ખેડૂતને વેચશે, તો ખેડૂત પણ પોષણક્ષમ ઉત્પાદન અને ઉપજ મેળવી શકશે.
વેપારી જો સાચી માહિતી કે સારી વસ્તુના વેચાણ થકી ખેડૂતને કૃષિકાર્યોમાં ભૂલ કરતા
કે બિનજરૂરી ખર્ચ કરતો અટકાવે છે તો તે પણ સારા વેપારીની નિશાની છે. આવા વેપારી
પોતે વેચેલ વસ્તુઓ માટે આદર્શ પરિસ્થિતિમાં પરિણામો અંગે બેધડક રીતે જવાબદાર હોય
છે. કેમકે ખેડૂતોનો વિશ્વાસ જીતનાર જ ખરો વેપારી છે.
ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ‘બકરો’ શોધતા અમુક વેપારી ગ્રાહકનાં
આવવાની સાથે જ પોતાની દુકાનનો માલ પધરાવવા માટે ઉતાવળો થાય છે. આવનાર ગ્રાહકની પૂરી
વાત કે પાકની પરિસ્થિતિ સાંભળ્યા વગર, ગ્રાહક ફરી હાથમાં આવે ન આવે, એમ વિચારીને બને
તેટલો વધુ સામાન તેને વળગાડી દે છે. ‘વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો..’
મુજબ આવા વેપારીને ખેડૂતના મૂળભૂત પ્રશ્ન નિકાલ થશે કે નહિ તેમ વિચારવાને બદલે
માત્ર પોતાને મળનારી ‘ટકાવારી’ કેમ વધે ? તેમાં જ રસ હોય છે. પરંતુ, વસ્તુ
વેંચીને, નફો કટકટાવીને છૂટી જવાનું વિચારનારા આવા વેપારીઓની ‘ભક્તિ’ વધુ દિવસો
સુધી ચાલતી નથી.
છેલ્લે છેલ્લે
અંતે ‘એગ્રો સેન્ટર્સ’ સાથે જોડાયેલ તમામ લોકોને આ લેખની શરૂઆતમાં
કહેલ વાત ફરીથી કહીશ કે, ‘વેપારનો એ વ્યવસાય પણ ઉત્તમ જ છે કે જે ખેતી સાથે
સંકળાયેલ છે.’ જો આપને ખેતી કરવાનું સૌભાગ્ય નથી મળ્યું ? તો કોઈ વાંધો નહિ. કૃષિ
વેપારીઓને તો એથી પણ વિશેષ તક મળી છે. આ કોઈ સામાન્ય વાત નથી. પરિસ્થિતિ મુજબ
પોતાની વેપાર નીતિમાં પરિવર્તન લાવી, અતિ નફાની લાલચમાં નૈતિક અધ:પતન તરફ જવાનો
રસ્તો છોડી, ખેડૂતોના વિશ્વાસુ બનવું જ રહ્યું.
No comments:
Post a Comment