૩૧ ડીસેમ્બર ૨૦૧૮, આજે ઈસુના વર્ષનો આખરી દિવસ. વર્ષાન્તે
દરેક વ્યક્તિએ વીતેલ વર્ષનું વિહંગાવલોકન કરવું જોઈએ એવું અનેક મહાનુભાવો કહી
ચુક્યા છે. આપણે પણ આ તકે વર્ષ-૨૦૧૮ની અગત્યની ઘટનાઓ ખાસ કરીને ખેડૂત અને કૃષિક્ષેત્રને
સ્પર્શતા બનાવો પર ઉડતી નજર નાંખીએ.

આંકડાની વાત ચાલ છે તો એ પણ જાણી લો કે ગત વર્ષમાં દેશમાંથી
થતી ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં ૧૯ ટકા જેટલો વધારો થયો છે. સિક્કિમ જેવા
રાજ્યને ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરાયાની સાથે અત્રે આપે એ જાણવું પણ જરૂરી છે કે ગયા
વર્ષે દેશમાં રાસાયણિક જંતુનાશકોના વેચાણના દરમાં અધધ ૨૭ ટકા જેટલો બમ્પર ઉછાળો
આવ્યો છે. એક તરફ અન્ન-ધાન અને શાકભાજી કે ફળોમાં છંટાયેલ રસાયણોને કારણે દેશમાં
કેન્સરના દર્દીઓ વધી રહ્યાના સમાચાર છે તો બીજી તરફ એક ખાનગી ટીવી ચેનલે કરાવેલ
સર્વે મુજબ દેશમાંથી દરરોજ લગભગ સવા બે હજાર ખેડૂતો ખેતી છોડી રહ્યા છે.
વર્ષ ૨૦૧૮માં રજુ થયેલ બજેટ પરથી એવું લાગ્યું કે ગુજરાત
રાજ્ય અને કેન્દ્રની સરકારોના મનમાં ખેડૂતો પ્રત્યે દયાની લાગણી ઉભરાઈ ગઈ હોય. સરકારી
બજેટમાં ખેડૂતો માટે હિતકારી ગણાતી અનેકવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાતો થઇ. પરંતુ
કુદરતના બજેટમાં દયા વરસાવવામાં કંજુસી અને કરકસર કરવામાં આવી હતી. ૨૦૧૮ના વરસાદી
મહિનામાં મોટેભાગે ખેતરના શેઢા કોરા અને ખેડૂતોની આંખો ભીની રહી.
વર્ષ ૨૦૧૮માં મગફળીના સરકારી ગોડાઉનોમાં આગ લાગવાનો (કે
લગાડવાનો ?) સીલસીલો માંડ-માંડ બંધ થયો. કોથળામાંથી બિલાડાને બદલે બાઘડા કાઢતા કોથળાકાંડની
વાત હોય, સરકારી ગોદામોમાં ભરેલ મગફળી મિશ્રિત માટી (!) ઉઘાડા પાડતા યુવાન ખેડૂતોની
જનતા રેડ હોય, કહેવાતા કૃષિનેતાઓના પરસ્પર અસભ્ય ઉચ્ચારણોના વાયરલ થયેલ
ઓડિયો-વિડીયોની વાત હોય કે સૌની યોજનાના ભવ્ય લોકાર્પણ સમારંભો હોય આ દરેક પ્રકરણો
સતત મીડિયામાં અને ચર્ચામાં રહ્યાં.
પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે જાતે બની બેઠેલા કેટલાક કુખ્યાત
કૃષિ આગેવાનોએ કરેલા ખેડૂતો માટેના વિરોધ પ્રદર્શનો, મૂકદર્શક બની બેસી રહેલા અધિકારીઓ,
વારંવાર રંગ બદલાતા રાજકારણીઓ, નમાલી નેતાગીરી અને તપાસના તોતિંગ નાટકો વચ્ચે પીસાતી
પ્રજા પણ હવે જાણી જ ગઈ છે કે સમય વિતવાની સાથે દરેક નવા કાંડ અને જુના કૌભાંડમાં
આગુ સે ચાલી આતી રીત મુજબ છેવટે તો કુલડીમાં ગોળ ભંગાઈ જવાનો જ છે.
દેશમાં અનેક દેવાદાર ખેડૂતો દ્વારા થઇ રહેલા આપઘાતના સમાચારો
વચ્ચે ગત વર્ષ દરમ્યાન યોજાયેલ વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ તેમજ લોકસભાના
પેટા ચૂંટણીઓના પ્રચારમાં પણ નેતાઓના મોઢે કૃષિકરજ માફીની વાતો શિરમોર રહી. ઘણી
જગ્યાએ થૂંકેલું ચટાયું તો કેટલેક ઠેકાણે ફેરવી તોળવામાં આવ્યું. જોકે આવા રાજકીય
વાયદાઓ કરનારાઓ મોટેભાગે કોણીએ ગોળ ચોટાડવામાં માહેર હોય છે તે વાત પ્રજાએ બરોબર
જાણી લેવી ઘટે.
ગયું વર્ષ ખેડૂતોની માફક જ જંગલના રાજા સિંહ માટે પણ ઘાતક
પૂરવાર થયું. અમરેલીની ગીર રેન્જના બે ડઝનથી વધારે સાવજો અજાણ્યા રોગ કે વનતંત્ર એ
બેમાંથી કોનો ભોગ બન્યા એ રહસ્ય ઘૂંટાતું રહ્યું. વર્ષના મધ્યભાગમાં કેન્દ્ર અને
રાજ્ય સરકારે કૃષિ ઉપજના ટેકાના ભાવમાં વધારો જાહેર કરી વાહવાહી મેળવી તો વર્ષના
અંત ભાગમાં ડુંગળીના નીચા બજારભાવે વાવેતર કરનારને રડાવ્યા. ગયા વર્ષે છેવાડાના
ગામોના ખેડૂતો સાથે કરેલ વાતચીત પરથી તેઓ માટે પાક વિમો કે સરકારી સહાય મેળવવી એ
કરતા નેવાના પાણી મોભે ચડાવવાનું કાર્ય વધુ સરળ જણાયું હતું.
રાજ્યના ખેડૂતોને ઘેરબેઠાં કૃષિ માહિતી પહોંચાડતા જૂજ ગુજરાતી
કૃષિ સામયિકોમાંથી પણ ગત વર્ષે ત્રણ અગ્રણી કૃષિ માસિકો વાચકોને અભાવે બંધ થયા. તો
સામે ખેડૂતોના હાથમાં આવેલ જાદુઈ ચિરાગના જીન જેવા સોશ્યલ મીડિયામાં અનધિકૃત કૃષિ
માહિતીનો પ્રસાર આડેધડ વધ્યો છે. બે-પાંચ ખાસ એગ્રી-એપ્લીકેશનો કે પાંચ-પંદર
વ્હોટસેપ ગૃપ સિવાય અન્ય જગ્યાએ કામ વગરના ગુડ મોર્નિંગ, સુવિચારો કે રાજકીય
જુમલાબાજીથી વિશેષ કશું થતું હોય તેવું ધ્યાનમાં નથી. આવા ગૃપમાં વાયરલ થતી મોટાભાગની
માહિતી વ્યક્તિગત હોવાની સાથે વૈમનસ્ય વધારે તેવી હોય છે.
છેલ્લે ખેડૂતો માટે વીતેલ વર્ષની અંધારી રાતમાં ટમટમતા
દીવડા જેવા એક સમાચાર પણ જાણવા મળ્યા. એક ન્યુઝ રીપોર્ટ મુજબ આ વર્ષે સરકાર દ્વારા
થયેલ મગફળી સહિતની કૃષિ જણસીઓના ખરીદીમાં રખાયેલ ચોકસાઈ તેમજ બહુસ્તરીય વ્યવસ્થા કાબિલેદાદ
રહી છે. આપણે આશા રાખીએ કે આવતીકાલથી શરુ થતું ૨૦૧૯નું વર્ષ ખેડૂત જગતની સાથે તમામ
લોકો માટે સુખદાયી અને સફળતા પ્રદાન કરનાર બની રહે.
No comments:
Post a Comment