એક સમયે
ભારતીય મરી-મસાલા અને તેજાનાઓ મેળવવા અને તેનો વેપાર કરવા માટે વિશ્વના કઈ-કેટલાય દેશોમાંથી
સાહસિકો આપણી ભૂમિને શોધવા માટે દરિયો ખેડીને આવતા હતા. યુરોપ અને આરબ વિસ્તારના
કેટલાય દેશો વચ્ચે તો ભારતીય મસાલા માટે રીતસરના યુદ્ધો ખેલાયા હોવાની ઘટનાઓ
ઈતિહાસના પાનાં પર મોજૂદ છે.

જોકે
સ્વાસ્થ્ય રસિકો અને સ્વાદ રસિકોના દિલમાં ભારતીય મસાલા માટેની દીવાનગી આજે પણ ઓછી
થઈ નથી. અને માટે જ આજે વાત કરવી છે બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકા વિસ્તારના
ગામડાઓના ખેડૂતોના એક સંગઠન વિષે કે જેના સભ્ય ખેડૂતો દ્વારા પકાવેલ જીરુંની નિકાસ
થઇ રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગુણવત્તા માટે વિશ્વભરમાં જાણીતો દેશ જાપાન આપણા
ખેડૂતો પાસેથી જીરુંની સીધી આયાત કરી રહ્યો છે.
ખેડૂતોની
ઉન્નતિમાં યોગદાન આપવા માટે જાણીતી સંસ્થા ‘ઇફકો કિસાન સંચાર લિ.ના સક્રિય સહયોગ
દ્વારા ઉપરોક્ત વિસ્તારના ખેડૂતોએ રાજેશ્વર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીડ નામથી
એક ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.)ની સ્થાપના કરી. ઇફકો અને નાબાર્ડના અધિકારીઓ તેમજ
કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શનમાં કામ થતું ગયું અને ખેડૂતોએ રચાયો સફળતાનો ઈતિહાસ.

એક
લીમીટેડ કંપની તરીકે કામ કરતા આ રાજેશ્વર એફ.પી.ઓ. પાસે પોતાનું સંપૂર્ણ પ્રોસેસિંગ
યુનિટ પણ છે કે જ્યાં ગ્રેડિંગ અને પેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેના
ચેરમેન માવજીભાઈ પટેલ જણાવે છે કે ‘ત્રણ મહિના બાદ અમારી જમીનમાં તૈયાર થનાર જીરુંમાંથી
૨૫૦ ટન જેટલું જીરું જાપાનમાં નિકાસ કરવામાં આવશે. જાપાનીઝ રસોડાના વઘારમાં સોડમ ઉમેરવાની
આ ઘટનાનું એક ગુજરાતી તરીકે અમારા સૌ ખેડૂત સભ્યોને ગૌરવ છે.’
વધુમાં
માવજીભાઈ જણાવે છે કે ‘અમારા એફ.પી.ઓ. દ્વારા નિકાસનો આ સફળ પ્રયોગ રાજ્ય અને
દેશના ખેડૂતો માટે નમુનારૂપ બનશે તેમાં કોઈ શંકા નથી. સાથે જ અન્ય ખેડૂતભાઈઓને
કહેવાનું કે જો અમારી રાજેશ્વર એફ.પી.ઓ. આવી સફળતા મેળવી શકતા હોય તો આપણા અન્ય ખેડૂતભાઈઓ
પણ ચોક્કસ સફળ થઇ શકે છે. જરૂર છે માત્ર થોડા આયોજન સાથે ભેગા મળીને અને નિયમોના
ચુસ્ત પાલન સહીત, દ્રઢ ઈચ્છાશક્તિ વડે કામ કરવાની.’

No comments:
Post a Comment