"એ સાય્બ, અમે તો રહ્યા
ખેડૂ માણા, ઈ હંધુય અમને નો ફાવે...! ઈ અમારું કામ નહિ, અમને ક્યાં જાવું ઈ ખબર નો
પડે... રોજરોજ ધક્કા ખાવા કોણ નવરું છે.. બીજું તો અમે તો શું કરી શકીએ હેં ?
અમારે તો અમે ભલા ને અમારાં ખેતર-વાડી ભલાં..!" જ્યારે કોઈ ખેડૂત
મીટીંગમાં કે ગામના ચોતરે બેઠેલા ખેડૂતો પાસે ઉભા રહીને કોઈ નવી વાત કરીએ એટલે આવા
કૈક કેટલાય સંવાદો અચૂક સાંભળવા મળે.
આજે મારે અહી ખેડૂતોની આવી નબળાઈ ગણાવવી નથી. પરંતુ પોતાની
લડાઈ જાતે જ લડવી પડે એ નિયમ સમજી ચૂકેલ એક ખેડૂત શું કરી શકે તેમજ તેનાથી તે પોતાની આસપાસના
વિસ્તારના અન્ય ખેડૂતોને કેવો ફાયદો કરાવે છે... તેની વાત કરવી છે.
![]() |
farmer Rajaq Ghanchi |
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાં આવેલ કુંતલપુર
ગામના ખેડૂત રજાકભાઈ ઘાંચી ખેતી વિષે નવું-નવું જાણવાના શોખીન એટલે વિવિધ કૃષિલેખો
નિયમિત વાંચે. લેખમાં કઇક ન સમજાય કે વધુ માહિતીની જરૂર પડે તો લેખકને ફોન કરીને પૂછી
પણ લે. વર્ષ ૨૦૧૭માં મારા કોઈ લેખ અંગે થઇ રહેલી આવી જ એક ટેલીફોનીક
ચર્ચામાં રજાકભાઈએ જણાવ્યું કે હું થોડાક દિવસમાં તુવેર વેંચવા રાજકોટ યાર્ડમાં આવું ત્યારે તમને
મળવું છે.
બસ તેમના આ
વાક્યથી સમગ્ર ઘટનાનો પાયો નંખાયો. મે પુછ્યું કે 'શું
ભાવ મળશે ?' તો કહે કે, 'રાજકોટના વેપારીઓ પાસેથી ૬૫૦-૭૦૦ જેટલા ભાવ તો મળી જ જશે.' જોકે તત્કાલિન સરકારે તુવેર માટે રૂ.૧૦૫૦ ટેકાના ભાવ જાહેર કર્યા તે સમાચાર
મારા ધ્યાનમાં હોવાથી એ વાતની એમને જાણ કરી. સાથે જ તેમની નજીકમાં હળવદ ખાતે ટેકાના
ભાવે તુવેર ખરીદીનું એક સેન્ટર શરૂ થયુ હોવાની અને એક વખત ત્યાં જઈને તપાસ કરવાની
વાત કરી. (એ સમયે સુરેન્દ્રનગરના હળવદ વિસ્તારનો નવનિર્મિત મોરબી જીલ્લામાં સમાવેશ
થઈ ચૂક્યો હતો.)
૫૦ વીઘા જમીનમાં
રજાકભાઈએ કરેલી મહેનત ૨૫૦ મણ તુવેર થઈને ઊપજી હતી. આ તરફ સરકારી ચોપડે
સુરેન્દ્રનગર જીલ્લામાં તુવેરનો વાવેતર વિસ્તાર નહિવત હોવાથી ત્યાં ટેકાના ભાવે
તુવેર ખરીદીનું કેન્દ્ર આપવા આવ્યું ન હતું. ખુલ્લા બજાર ભાવની સામે ટેકાના ભાવે મણ
દીઠ ૨૫૦-૩૦૦ રૂપિયાનો વધારો મળશે અને તેનાથી પોતાના પરિવારના અનેક પ્રશ્નો ઉકેલી
શકવાની આશામાં રજાકભાઈ હળવદ પહોંચ્યા.
ખરીદ એજન્સીના
કોઈ માણસે 'આજે સાહેબ હાજર નથી થોડા દિવસ પછી આવજો...' એમ કહીને ફોગટ ફેરો કરાવ્યો. બીજી વખત 'તુવેર
ભરવાના ખાલી કોથળા (બારદાન) આવે પછી ખરીદી ચાલુ થશે...' આમને
આમ દર વખતે નવો જવાબ મેળવતા, છ-સાત ધક્કા ખાઈ ચૂકેલ ખેડૂત
આશાનો તંતુ બંધાવાના ઇરાદે ફરી એકવાર હળવદ પહોંચ્યા. આ વખતે રજાકભાઈને એમ કહીને
તગેડી મૂક્યા કે 'તમે બીજા જીલ્લાના ખેડૂત છો, અમારે જીલ્લા બહારના વિસ્તારોની ખરીદી કરવાની છૂટ નથી.'
'સાય્બ, અમારે કોઈનું નથી
ખાવું પણ મહેનતનું પૂરું મળે તોય ઘણું છે. કાઇ વાંધો નહીં, જેવા અમારા નસીબ બીજું શું. પણ આ દોડા કરવામાં મને ઘણુંય નવું
જાણવા મળ્યું હો...' ખેડૂત રજાકભાઈએ ફોન પર નિરાશા મિશ્રિત સૂરમાં
સમગ્ર આપવીતી જણાવી. નિરાશ તો હું પણ થયો પરંતુ 'હિંમતે મર્દા
તો મદદે ખુદા...' અને 'હજુ કઈક વધુ
સારું થવાનું હશે માટે હારી-થાકી ન જાતા...' એમ કહી તેઓને
હિંમત બંધાવી અને આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરે રજૂઆત કરવાનું નક્કી કર્યું.
તત્કાલિન સરકારના
કૃષિરાજ્યમંત્રીશ્રી વી.વી.વઘાસિયા સાહેબની ઓફિસમાં ફરજ બજાવતા મારા
મિત્ર અને જાણીતા લેખક શ્રી આર.એન.ગાબાણી સાહેબને આ વાત કરી. ટેકાના ભાવે થતી
ખરીદીમાં આવતી અડચણરૂપ આવી ટેકનિકલ બાબત પ્રત્યે ગંભીરતા દાખવી તેઓએ તુરંત મંત્રીશ્રીનું
ધ્યાન દોર્યું. વઘાસિયા સાહેબે પણ પોતાના સ્વભાવ મુજબ ખેડૂતોના હિત કાજે ઝડપી નિર્ણય
લીધો. અને જે-તે ખરીદ કેન્દ્રની આસપાસના જીલ્લાના ખેડૂતોની ઉપજ પણ ખરીદી શકાય તેવો
તાત્કાલિક સુધારો લાવ્યા.
હવે નસીબના ખેલ જુઓ
કે જે ખેડૂત નિયમમાં સુધારા માટે નિમિત્ત બન્યો,
તેની ઉપજ એમ કહીને ન ખરીદવામાં આવી કે હવે અમારો ખરીદીનો 'ક્વોટા' પૂરો થઇ ગયો માટે તમારી તુવેર ખરીદી શકીશું નહીં.' જોકે
અન્ય વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર જે-તે એજન્સીએ નવા નિયમનો ફાયદો
ઉઠાવી પોતાના લાગતાં વળગતા (વેપારીઓ ?) પાસેથી તુવેરની ખરીદી
કરી લીધી હતી.
ખેર વાતનું હાર્દ
એ છે ખેડૂત રજાકભાઈ જે-તે સમયે નિરાશ થયા પરંતુ સાવ બેસી રહેવા કરતાં કઈક પ્રયાસ
કરવાનો આનંદ ચોકકસ મેળવ્યો. જેવી રીતે મહેનતથી વાવેલું સમય આવ્યે ઊગી નીકળે છે તેમ
અગાઉના વર્ષોમાં આવેલ પ્રશ્નો અને અનુભવ પરથી આ વર્ષે રાજ્ય સરકારે તેમના પોતાના જ
તાલુકા મથક મુળીમાં ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર ફાળવી આપ્યું. તેમણે કરેલ
ધક્કાફેરીનો લાભ આ વિસ્તારના અનેક ખેડૂતોને મળ્યો. રજાકભાઈએ પણ પોતાની ૯૪ મણ મગફળી
તેમાં વેંચી.
ગયા સપ્તાહે
તેમનો ખુશખુશાલ સ્વરમાં ફોન આવ્યો કે 'સાહેબ, તમે અમને રસ્તો દેખાડ્યો. હું અને મારા આસપાડોસના બધાય ખેડૂતો તમારો ખૂબ-ખૂબ
આભાર માનીએ છીએ. મૂળીમાં ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર મળ્યું એટલે અમારે ૭૫૦માં વેચવી
પડતી મગફળીના સરકારે ૧૦૦૦ રૂપિયા આપ્યા. ભલે દોઢ-બે મહિને ખાતામાં પૈસા આવ્યા, તો પણ મણે ૨૫૦ રૂપિયા વધુ મળ્યા અને આઘે વેચવા જાવાના વાહનભાડા બચ્યા ઈ નફામાં
લ્યો...'
જોકે આ અભિનંદનના
ખરા હક્કદાર તો ખેડૂત રજાકભાઈ પોતે જ છે. કેમ કે જો તેમણે પહેલા જ ધક્કે 'મૂકોને સાય્બ, આ મારું કામ નહીં...' એમ કહીને હાર માની લીધી હોત તો મારી કે અન્ય કોઇપણની સલાહનો કશો જ અર્થ
રહેવાનો ન હતો. આવો જ બદલાવ જ્યારે સમગ્ર ભારતીય કૃષિ માનસમાં આવશે, ત્યારે થનાર ખેડૂતોના સર્વાંગી વિકાસને કોઈ રોકી શકશે નહીં.
હાલમાં જ
ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકૂલની મુલાકાતે જવાનું થયું. કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ
રાદડીયાની સૂચના મુજબ તેમના ખાતા દ્વારા ટેકાના ભાવે થતી મગફળી ખરીદી અને ખેડૂતોના
ખાતામાં તેના ચૂકવણાનું કામ જે ઝડપે થઈ રહ્યું હતું,
તે જોઈને અભિભૂત થઈ જવાયું. ખરેખર ખેડૂતોના ચહેરા પર ખુશી જોઈને રાજી થનાર અને તે
માટે સતત મથતા રહેતા મંત્રીશ્રી અને ગાબાણી સાહેબ જેવા અધિકારીઓ પણ એટલા જ
અભિનંદનીય છે.
No comments:
Post a Comment