શિયાળાની ઋતુ દરમ્યાન જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા આપણા દેશના ઉત્તરે આવેલ હિમાલયન
વિસ્તારોમાં બરફવર્ષા થાય તે સ્વાભાવિક છે. પરંતુ હવે તો દેશના અન્ય ઉત્તરીય
વિસ્તારોમાં પણ બરફવર્ષા થવા લાગી છે. તાજેતરમાં આપને દિલ્હી, નોઇડા, હરિયાણા,
પંજાબ તેમજ ઉત્તર પ્રદેશ સહીત રાજ્યોના અનેક સ્થળે ‘સ્નોફોલ’ થયાના સમાચાર જાણવા
મળ્યા હશે.
દિલ્હીની સડકો પર થયેલ ‘સ્નોફોલ’નો આનંદ લેતા નગરજનોને ટીવીના પડદે જોયા
ત્યારે આગામી ઉનાળામાં ત્યાં પડી શકનાર ગરમીની તિક્ષ્ણતાનો વિચાર ઉકળાવી ગયો. આ
વર્ષે ગુજરાતમાં પણ ઠંડીએ ‘બોકાસો’ બોલાવી દીધો છે. છેલ્લા બે-ત્રણ વર્ષોમાં
ગુજરાતમાં બનાસકાંઠા અને અમરેલીમાં તેમજ દક્ષિણ ભારતના કેરલ અને ચેન્નઈમાં આવેલ
ભીષણ પુર આપણે જોયા છે, તો બારેમાસ વહેતી અનેક નદીઓના પટમાં કાંકરા ઉડતા પણ જોયા
છે.
આપ જાણો છો તેમ છેલ્લા એક-દોઢ દાયકાથી સમગ્ર વિશ્વના વાતાવરણમાં અકલ્પનીય
ફેરફારો થયા છે. જ્યાં બારમાંથી આઠ મહિના દરમ્યાન વરસાદી વાતાવરણ રહેતું હતું,
તેવી જગ્યાઓએ હવે ચોમાસામાં પણ વરસાદની રાહ જોવી પડે છે. વિશ્વભરમાં દર વર્ષે શિયાળામાં
ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તો સામે તાપમાનના વધતા પારા સાથે ઉનાળો પણ એટલો જ
આકરો બનતો જાય છે.
અગાઉના સમયમાં દરેક ઋતુનું ચોક્કસ સમયચક્ર હતું પરંતુ હવે શિયાળો, ઉનાળો કે ચોમાસાએ
‘કેલેન્ડર’ને અનુસરવાનું છોડી દીધું હોય તેવું લાગે છે. ઋતુઓના શરૂ થવા કે પૂરી
થવાના સમયપત્રકમાં ગજબના ફેરફારો અનુભવી શકાય છે. એક જ દિવસ દરમિયાન થતી ટાઢ-તાપની
ઉગ્ર ફેરબદલના કારણે હાલમાં કઈ મોસમ ચાલે છે તે નક્કી કરવું ઘણી વખત મુશ્કેલ બની
જાય છે.

વર્ષ ૧૯૯૯-૨૦૦૦ની એક વાત કરું તો રાજકોટની ભાગોળે એક સ્થળે મોટાપાયે વૃક્ષારોપણનો
કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં વાવવામાં આવનાર વૃક્ષોનો આંકડો પચીસ-પચાસ કે
સો-બસ્સો નહિ પણ લગભગ લાખ જેટલો જાહેર કરાયો હતો. તત્કાલીન પ્રચાર માધ્યમો,
મહેમાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર રાજ્યસરકારના એક મંત્રી સાહેબને લીલોતરી
દેખાડવા માટે તે દિવસે એકદમ ગીચ વાવેતર કરવામાં આવ્યું હતું.
લીમડા, પીપળા, વડ, કરંજ, આમલી જેવા વિસ્તારવાદી વૃક્ષોના છોડવાઓને ચાર-પાંચ
ફૂટના અંતરે વાવી દેવામાં આવ્યા હતા. હવે તેમાંથી કેટલા વૃક્ષો ઉછર્યા (!) હશે એનો
જવાબ અહી આપવાની મને જરૂર નથી લગતી. આવા વૃક્ષરોપણને બાળહત્યા સમાન ગણાવવા જોઈએ
તેમ મારું માનવું છે. જોકે જેઓ પર્યાવરણ રક્ષા ક્ષેત્રે કાંઈ કરતા નથી, તેમના કરતા તત્કાલીન આયોજકોએ ખૂબ સારૂ કામ કર્યું ગણાય. પરંતુ
સાથે જો થોડી કાળજી પણ લીધી હોત તો તેના ઉમદા પરિણામો ચોક્કસ મળ્યા હોત.

પ્રદુષણને કારણે સતત બગડતા પૃથ્વીના વાતાવરણની રક્ષા
માટે આગામી સમયમાં સરકારીને બદલે ખાનગી સ્તરે વૃક્ષારોપણને વધુ મહત્વ આપવું
રહ્યું. આ કામ આપણા ખેડૂતો વ્યાપક રીતે કરી શકે તેમ છે. જો દરેક ખેડૂત પોતાના
ખેતરના શેઢાપાળા સહીત અમુક ભાગમાં કાયમી ધોરણે વૃક્ષોનું વાવેતર કરે તો પર્યાવરણની
સમસ્યા ઘણી હળવી બને તેમ છે. સાથે જ ફળાઉ વૃક્ષોની ખેતીથી ખેડૂતની કુલ આવકમાં પણ
વધારો થશે.
વૃક્ષોની ખેતીથી મોંઘા ખાતર - બીયારણ, પાણી, વીજળી અને ખેતમજૂરોની અછત, ઘટતી જતી ખેતીની જમીન
વગેરે જેવા ખેડૂતોને સતાવતા કેટલાય પ્રશ્નોનો હલ નીકળી શકે તેમ છે. માટે સમયની
માંગ છે કે ‘જગતાત’ ખેડૂતો આર્થિક લાભની સાથે પર્યાવરણ રક્ષાનું પુણ્ય પ્રાપ્ત કરવા
માટે પોતાના ખેતર-વાડીમાં વૃક્ષોને સ્થાન આપે.
No comments:
Post a Comment