Tuesday, 15 January 2019

મકર સંક્રાંતિ : નિઃશુલ્ક સૌરઊર્જાના મહત્તમ ઉપયોગ માટે સંકલ્પ લેવાનો શુભ અવસર


‘સુ’ એટલે ઉત્તમ અને ઈરએટલે પ્રેરણા આપનારો.. આમ સૂર્ય એટલે ઉત્તમ પ્રેરણા આપનાર. સૂર્ય ઉપાસનાને આપણા પૂર્વજોએ માનવજીવન સાથે વણી લીધી છે. જેથી પ્રકૃતિના સતત વહેતા લય સાથે આપણો તાલ પણ મળતો રહે. આપણા ઋષિઓ બહુ લાંબી દષ્ટિ અને સમજપૂર્વક આવી પરંપરાઓ ઊભી કરી ગયા છે.
આજે મકરસંક્રાંતિનો દિવસ છે. આજથી સૂર્ય હવે ઉત્તરની દિશા તરફ વળી રહ્યો છે એટલે તેને ઉત્તરાયણ પણ કહે છે. સંક્રાંતિ એટલે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિની રીતભાત કે વહેવારમાં બદલાવનો સમય. આજે સમગ્ર સૃષ્ટિમાં પરિવર્તન થઈ રહ્યું છે, ત્યારે આપણે પણ ખાસ કરીને કૃષિ કાર્યપદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.
આખી દુનિયા જાણે છે કે સાવ મફતમાં મળતી સૌરઊર્જા એ વિશ્વની સૌથી સ્વચ્છ અને સુરક્ષિત ‘ઇંધણ શક્તિ’ છે. સૂર્યની ઊર્જાના અનેક ઉપયોગો છે. ફળિયામાં બટાકા બાફી આપતું સોલારકૂકર હોય કે છાપરા પરની પેનલ મારફત વીજળી આપતું સોલાર રૂફટોપ હોય કે પછી પૃથ્વીની ફરતે સેંકડો કીલોમીટરની સતત પરિક્રમા કરતા સેટેલાઇટ સંચાલકશક્તિની વાત હોય... નિઃશુલ્ક સૌરઊર્જા સતત આપણી સેવામાં હાજર હોય છે.
જોકે આ સૌરઊર્જાનો ઉપયોગ કરવામાં આપણે હજુ ઘણા પાછળ છીએ. શું તમે જાણો છો કે આખા જગતમાં આ સૌરઊર્જાનો સૌથી વધુ અને સૌથી કાર્યક્ષમ ઉપયોગ કોણ કરે છે ? મને ખાતરી છે કે એ મહત્તમ ઉપયોગકર્તાને તમે બહુ જ સારી રીતે ઓળખો પણ છો. જો તમે જવાબમાં કોઈ દેશ કે પ્રજાનું નામ આપવાના હો તો થોડા થોભો. કેમ કે એ જવાબ ખોટો પડશે !!
સાચો જવાબ એ છે કે આખી દુનિયામાં સૌરઊર્જાનો સચોટ અને સૌથી મહત્તમ ઉપયોગ આપણા વૃક્ષો અને વનસ્પતિઓ કરે છે. આ સજીવ વનસ્પતિઓ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પોષક તત્વો ખેંચે છે તથા તેના પાનમાં આવેલ છીદ્રો વડે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ મેળવે છે. પરંતુ આ બંને સામગ્રી તેના માટે કાચા સીધા જેવી હોય છે. જેનો એ પ્રત્યક્ષ ઉપયોગ કરી શકતી નથી.
માણસની જેમ વનસ્પતિને પણ કાચી સામગ્રીને રાંધવા માટે ઊર્જાની જરૂર પડે છે. અને તે પોતાની આ જરૂરીયાત પૂરી કરવા માટે પોતાના પાનમાં રહેલ હરિત દ્રવ્યની સૂક્ષ્મ જાળમાં સૂર્યના કિરણોને અને તેની ગરમીને જકડી રાખે છે. તેમજ જ્યાં સુધી પોતાને જરૂરી ખોરાક રંધાઈ ન જાય ત્યાં સુધી તેને મુક્ત કરતી નથી.
ખેતીમાં સૂર્યઊર્જાના ઉપયોગની વાત આવે એટલે મોટાભાગના લોકોનું જ્ઞાન ફક્ત સોલાર આધારિત  ફેન્સીંગ, વોટરપંપ કે લાઈટબલ્બ સુધી જ સીમિત રહી જાય છે. પરંતુ રાજ્યના જાણીતા પ્રગતિશીલ ખેડૂત અને વિદ્વાન કૃષિ લેખક હીરજીભાઈ ભીંગરાડિયા સૌરઊર્જાને ખેતીમાં વધુમાં વધુ કઈ રીતે વાપરી શકાય તેના ઉપાયો વિષે પોતાના એક પુસ્તકમાં વિસ્તૃત માહિતી આપી છે.
જેમાં તેઓ જણાવે છે કે ખેતરમાં વાવેતરના ચાસની દિશા, બે છોડ વચ્ચેનું વાવેતર અંતર, સૂર્યપ્રકાશની જરૂરીયાત અને મોસમ મુજબ પાકની પસંદગી, મિશ્રપાક અને આંતરપાક પદ્ધતિ, પાકની ઉંચી-નીચી માળ મુજબ વાવેતર પદ્ધતિ, મંડપ અને ટેલીફોન પદ્ધતિ સહીત અનેકવિધ ઉપાયો કરીને આપણે ખેતીમાં સૌરઊર્જાનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ છીએ.
સૌરઊર્જાની બાબતે વિશ્વના અનેક દેશોની સરખામણીમાં આપણે બહુ નસીબદાર છીએ. કેમ કે અહિયાં વર્ષભરમાં ૨૫૦ થી ૩૦૦ દિવસ ભરપૂર માત્રામાં તડકો મળી રહે છે. જે દૈનિક સરેરાશ ૪-૭ કિલોવોટ પ્રતિ ચોરસ મીટરના હિસાબે મફતમાં સૌરઊર્જા બાંટે છે. પરંતુ મફતમાં મળતી વસ્તુની કોઈને પણ કદર ક્યાં હોય છે ?
કૃષિની સાથે જો આપણા ગામડાઓમાં વ્યક્તિગત અને પારિવારિક સ્તરે સૌરઊર્જાના ઉપયોગ વધારવામાં આવે તો આર્થિક બચતનો આંક ઉંચો અને સ્થાનિક પ્રદુષણના સ્તરનો આંક નીચો આવી શકે તેમ છે. આજના દિવસે આપણે પતંગ ચગાવવા કે ચીકી-જીંજરા અને શેરડી ખાવાની સાથોસાથ સૌરઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનો સૂર્યનારાયણની સાક્ષીએ શુભ સંકલ્પ લઈએ અને આજના પર્વને સાર્થક કરીએ.

No comments:

Post a Comment