કનુભાઈ : મારી
પૌત્રી મહેકને તો તમે જોઈ જ છે. તેનું ભણવાનું હવે પૂરું થઇ ગયું છે. તમારા
ધ્યાનમાં તેના લાયક કોઈ છોકરો હોય તો મને કહેજો.
મનુભાઈ : ભલે
ભલે, પણ તમારી અને
મહેકની પસંદ કેવી છે ? તમારે કેવા વેવાઈ
જોઈએ છે ?
કનુભાઈ : આમ તો
કઈ ખાસ નહીં. બસ છોકરો એન્જીનીયર કે ડોક્ટર હોય એટલે ચાલે. બાકી તો સ્વતંત્ર મકાન, કાર અને મહીને એકાદ
લાખની આવક હોય એટલે બહુ થયું.
મનુભાઈ : બસ
આટલું જ ! ...કે બીજું કઈ ?
કનુભાઈ : અને
હાં... સૌથી જરૂરી વાત કે લગ્ન પછી તેણે અલગ રહેવું ફરજીયાત છે. કારણ કે, મા-બાપ
અથવા ભાઈ-બહેન સાથે રહેવાનું થાય તો લડાઈ-ઝઘડાની પળોજણ ઊભી જ રહે અને અમારી ફૂલની
જેમ ઉછેરેલ દીકરીએ કાયમને માટે સહન કરવું પડે અને એ બધાના ઢસરડા જ કરવા પડે.
મનુભાઈની આંખો
ભરાઈ આવી. આંખ અને ચશ્માં લૂછતાં લૂછતાં, કશુંક યાદ કરતા હોય તેમ થોડીવાર મૌન બની ઉંચે જોઈ રહ્યાં.
મનુભાઈ : એક
ઠેકાણું છે કનુભાઈ. મારા એક સ્વર્ગવાસી મિત્રનો પૌત્ર છે રણવીર. એકદમ ફિલ્મી હીરો
જેવો. એના માં-બાપ વર્ષો પહેલા એક માર્ગ અકસ્માતમાં ગુજરી ગયેલા. ઘરમાં ભાઈ-બહેન
કે બીજું કોઈ નથી. એકાદ મહિના પહેલા તેના દાદા એટલે કે મારા મિત્રનું પણ અવસાન
થયું. તે વખતે હું તેના ઘેર ચારેક દિવસ રોકાયેલો. ત્યારે ખબર પડી કે તે કોઈ
મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી નોકરી કરે છે. હાલ દોઢ લાખ પગાર છે પણ ત્રણેક
મહિનામાં બે-સવા બે લાખ થઇ જશે. પોશ એરિયામાં નોકર-ચાકરથી ભરેલો મોટો બંગલો અને
ત્રણેક ગાડી છે. મારા પર બહુ ભાવ અને વિશ્વાસ હોવાથી રણવીરે મને કહ્યું હતું કે
હવે દાદા તો રહ્યા નહિ એટલે મારા લાયક કોઈ પાત્ર હોય તો તમે જ ધ્યાને રાખજો.
કનુભાઈ તો
એકદમ હરખમાં આવી પોતાની પૌત્રી પેલા યુવાનના બંગલામાં રાજ કરતી હોવાના દીવાસ્વપ્ન
જોવા લાગ્યા.
કનુભાઈ : અરે
મનુભાઈ, આતો ઈશ્વરે
અનુકૂળ બનાવેલ સંબંધ કહેવાય. હવે અમારી મહેકનો સબંધ રણવીર સાથે પાક્કો કરાવવાની
જવાબદારી તમારી હો...!!
મનુભાઈ : અરે એમ
ઉતાવળા ન થાવ કનુભાઈ. રણવીરે પણ એક શરત મૂકી છે. એ ઈચ્છે છે કે લગ્ન બાદ છોકરીએ
પોતાના સગા-સબંધીઓ સાથે તમામ વ્યવહાર તોડી નાંખવા પડશે ! એમના જીવનમાં કોઈની દાખલ
ના જોઈએ.
કનુભાઇ : અરે
પણ એવું ક્યાંથી બને ? કોઈ પોતાની દીકરી સાથેનો વ્યવહાર કેમ તોડી શકે ? કઈંક રસ્તો
શોધો ને...!
મનુભાઈ : હા, એક કામ કરો થાય. જો તમારો
આખો પરિવાર આત્મહત્યા કરી લો, તો મહેકનું રણવીર સાથે ગોઠવાય એમ છે.
કનુભાઈ : મનુભાઈ, આ શું બકવાસ કરો છો ? એમાં મારો પરિવાર શું કામે આત્મહત્યા
કરે ? ન કરે નારાયણ
અને જો કાલે ઉઠીને અમારી દીકરીને કઈ તકલીફ પડી તો એની સાથે કોણ ઊભું રહેશે ?
મનુભાઈ : વાહ કનુભાઈ
વાહ ! ખુદનો પરિવાર એ પરિવાર અને બીજાનો પરિવાર કઈ નહીં ? લગ્ન પછી દૂર થઇ જતા
સંતાનોની વેદના કન્યાના પરિવારની જેમ વરના પરિવાર માટે પણ અસહ્ય જ હોય હો...!
મિત્રો, પરિવાર કે સ્વજનો થકી જ જીવનમાં ખુશી
છે. માટે પહેલા પોતાના સંતાનોને પરિવારનું મહત્વ સમજાવો. એને પરિવારથી દૂર ન કરો. જો
કોઈ સાથ દેવા વાળું નહીં હોય તો એ લોકો સુખ-દુ:ખનું મહત્વ જ ભૂલી જશે અને તેમની જિંદગી
સાવ નીરસ બની જશે. માટે ભવિષ્યમાં આપણા દ્વારા કોઈનો પરિવાર તૂટે કે દૂર થાય તેવું
ક્યારેય ન બને તે ખાસ જોવું રહ્યું.
---------------------------------
:: અનમોલ વચન ::
જે પરિવારમાં મઘુર સંવાદ, સંતોષકારક ભોજન,
અતિથિ સત્કાર તેમજ વડીલોની સેવા થાય છે...
ત્યાં સદાકાળ લક્ષ્મીનો નિવાસ થાય છે !!!
वर्तमान युग में पर आपका लेख बहुत ही खरा उतरता है।इस पर विचार करना चाहिए।
ReplyDeleteधन्यवाद भाई |
ReplyDelete