Saturday, 7 April 2018

મહિલા દિન કે દીન...?

મિત્રો, "માં ભગવતીના સાક્ષાત સ્વરૂપ સમાન નારીશક્તિનો ઉદ્ધાર થયા વિના તમારો ઉદ્ધાર થશે એમ જો તમે માનતા હોવ તો તમે ભુલો છો". આ શબ્દો છે મારા ઓલટાઈમ ફેવરીટ સ્વામી વિવેકાનંદના... તેમનું આ સૂત્ર એટલે સ્મરણમાં આવ્યું કે આ માર્ચ મહિનાના આઠમાં દિવસે આખું વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઊજવણી કરશે. એક દિવસ તમામ જગ્યાએ નારીશક્તિના વખાણ અને ગુણગાન કરવામાં આવશે. પરંતુ બીજા દિવસથી જૈસે થે. સ્ત્રીઓ સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે જે રીતે સંઘર્ષ કરે છે તે અનન્ય હોય છે.
ચીનના તત્કાલીન પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ મેડમ સુન-યાત-સેનની ભારત મુલાકાત વખતે તેણીને આવકારતા આપણા રાષ્ટ્રપતિ અને હિંદુ ધર્મના પ્રકાંડ પંડિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, ‘નારીશક્તિને પૂજતા ભારતમાં આપનું સ્વાગત છે. જગતભરમાં માત્ર ભારતીય વિચારધારા જ એવી છે કે જ્યાં પરાપૂર્વથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ તથા તેની સાધના માટે સ્ત્રી અને પુરુષ સમાન ભાગીદાર ગણાયા છે. પરંતુ જયારે ગૃહ સંચાલનની વાત આવે ત્યારે અહિયાં સ્ત્રીને ગૃહિણી એટલે કે ઘરની ઉપરી અથવા હેડ કહેવામાં આવે છે. સમાજ વહેવાર કરતી સ્ત્રીને સચિવએટલે ડાહી સલાહકાર અને પુરૂષની સાથેના પરસ્પર સંબંધ માટે સ્ત્રીને સખીએટલે સારી મિત્ર કહી છે.’
મિત્રો, આ થઇ વૈચારિક ઉન્નત મનુષ્યોની વાત. પરંતુ આપ એવા અનેક નિમ્ન માનસિક કક્ષાના પુરૂષપાત્રોને જાણતા-ઓળખાતા હશો કે જે આજે ૨૧મી સદીમાં પણ સ્ત્રીઓને ગમાર સમજી, દબાવી રાખવામાં પોતાના પૌરૂષત્વ ગૌરવ સમજે છે. પરંતુ જેમ સુરજ ઉગે ત્યારે તેને આગિયાના પ્રમાણપત્રની જરૂર રહેતી નથી તેમ સ્ત્રી શક્તિને પણ કોઈ પ્રસંશાપત્રોની જરૂર નથી. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન હોય કે રમતગમત... તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી ચુકી છે અથવા તો એમ કહો કે આજે એવું કોઈ ક્ષેત્ર જ નથી કે જ્યાં મહીલાઓએ પોતાની સબળ ઉપસ્થિતિ રજૂ ના કરી હોય !
આપે એક શાસ્ત્રકથન ઘણી વખત સાંભળ્યું હશે કે, ‘સોળ વર્ષ પછી પુત્રને મિત્રવત ગણી તેની સાથે વ્યવહાર કરવો.’ પરંતુ જેમાંથી આ લેવામાં આવ્યું છે તે શુક્રનીતિના ત્રીજા અધ્યાયના આ જ શ્ર્લોકમાં આગળનું પદ શું આપણે ક્યારેય વાંચ્યું-સંભાળ્યું છે ? તેમાં સ્પષ્ટ લખ્યું છે: ‘‘ષોડશાબ્દાત્પરંપુત્રમ દ્વાદશાબ્દાત્પરં સ્ત્રિયં...’ અર્થાત ‘પુત્રને સોળ વર્ષ પછી મિત્રવત ગણી વ્યવહાર કરવો પરંતુ બાર વર્ષની વય પછી કોઈપણ સ્ત્રીને દુષ્ટ વાક્ય કહીને ટોકવી નહીં કે પીડવી નહીં...!’

મિત્રો, આ માસમાં ભારતીય સંસ્કૃતિ જેનાથી પ્રભાવિત છે તેવા અનેક પર્વો-તહેવારો આવી રહ્યા છે. જેમ કે લોકપર્વ ગુડી પડવો (૧૮ માર્ચ), શ્રીરામનવમી અને શ્રીસ્વામીનારાયણ જયંતી (૨૫ માર્ચ), શ્રીમહાવીર જયંતી (૨૯ માર્ચ) અને શ્રીહનુમાન જયંતી (૩૧ માર્ચ) વગેરે. આપ સહુને આ તહેવારોની શુભકામનાઓ સાથે ચાલો, નારીશક્તિના આશીર્વાદથી રાષ્ટ્રને સમૃદ્ધ ખેતીના માર્ગે હરિયાળા વિકાસ તરફ લઇ જઈએ...
આપનો,
નરેન્દ્ર વાઘેલા

No comments:

Post a Comment