Saturday, 7 April 2018

કોણ છે જગતાત ?


મિત્રો, આપણે ત્યાં પુરાણકાળથી કૃષિકાર - ખેડૂતને ‘જગતાત’નો દરજ્જો આપવામાં આવ્યો છે. ગમે તેવા વિપરીત વાતાવરણ અને કુદરતની મહેરબાનીમાં આવતી ભરતીઓટની વચ્ચે ઝઝૂમીને પણ જગતની માનવ વસ્તીને જીવાડવા માટે અન્ન અને ખાદ્ય સામગ્રી ઉપજાવતા ખેડૂતને જગતાત ન કહીએ તો બીજા કોને કહેવાય ? દિવસ ઉગતાની સાથે દરરોજ નવી નવી અગણિત તકલીફો અને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરીને પણ હસતા મોઢે વિશ્વ પરિવારના પોષણ માટે મહેનત કરતા ખેડૂત માટે મારા મતે આ ‘જગતાત’ શબ્દ પણ કદાચ નાનો કે સીમીત કહેવાય.
જેમ એક માતા પોતાના બાળકને સંસ્કારી જીવન જીવવાના ગુણ પોતાના દૂધની સાથે પાય છે, તેવી જ વિશ્વને ખાવા માટે અનાજ ઉગાડીને આપનાર ખેડૂત ‘જગતનો પિતા’ જ છે. કેમકે, જો ખેડૂત અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી ન ઉગાડતો હોત તો વિશ્વની વસ્તી પોતાનું જીવન ટકાવી રાખવા માટે આજે પણ જંગલી જાનવરની જેમ નર્યો માંસાહાર જ કરતી હોત. માણસજાતને પાશવી જીવન જીવવાથી બચાવનાર, સુસંસ્કૃત અને સભ્ય સમાજની રચના કરનાર ખેડૂત પણ બ્રહ્માંડ રચયિતા બ્રહ્માજી જેટલો જ પૂજન - આદરનો અધિકારી છે.
મિત્રો, જે લોકોએ શ્રીમદભાગવતજીનું અધ્યયન કે શ્રવણ કર્યું હશે તેઓને ચોક્કસ ખ્યાલ હશે કે સમસ્ત સંસારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર જગતપિતા બ્રહ્માજી પણ એક સમયે મોહિત થઈને અજ્ઞાની જેવું આચરણ કરવા લાગ્યા હતા. જોનારને તો એમ જ લાગે કે આને કઈ જગતના રચયિતા કે વિશ્વપિતા થોડા કહેવાય ? બસ એજ રીતે આજે પૃથ્વી પર હાલતો ચાલતો ‘જગતાત’ ક્યાંક ભાન ભૂલ્યો હોય તેવું લાગે છે. આપને થશે કે આ વળી શું ? ખેડૂત પ્રત્યે તંત્રીના વિચારો સાવ અચાનક જ કેમ બદલાઈ ગયા !! ...પરંતુ ખરી વાત એ પણ છે કે આજે ખેડૂત પોતાની ‘જગતાત’ની ગરિમાથી દૂર ધકેલાય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આપણો આ જગતાત જે પોતાને ‘ધરતીપુત્ર’ તરીકે ઓળખાવે છે તેણે પોતાની ‘માં’ એટલે કે ધરતીના શરીરની ચામડીને બિનજરૂરી, આડેધડ અને સતત ઝેરી રસાયણો નાખે રાખી સાવ કરમાવી દીધી છે. એમાં પણ ઓછુ હોય તેમ તેના શરીર પર ચારણીની જેમ ઊંડે સુધી કાણાં પાડી દઈ છેક કાળજામાંથી રસકસ ચૂસી લેવામાં કઈ બાકી રાખ્યું હોય તેમ લાગતું નથી. પરંતુ એક માં ની જેમ ધરતી આ બધું સહન કર્યે જાય છે. પરંતુ હદ તો ત્યારે થાય છે જયારે એ ‘જગતાત’ (!) પોતાની માતાને ગરજ પતે કે તરત જીવતી સળગાવી દે છે. હાં, હાં, ખરું જ કહું છું. ઉપજ લણી લીધા બાદ પાકના વધેલા અવશેષોને ખેતરમાં જ ઉભા સળગાવી દેતા કેટલાય ખેડૂતોને આપે પણ પોતાની આસપાસ ચોક્કસ જોયા હશે.
મિત્રો, આપ મહેરબાની કરીને આવો ગજબ ન કરશો. અને જે આમ કરતા હોય તેમને વારવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. મહિનાઓની તનતોડ મહેનત બાદ તૈયાર થયેલ પાકમાંથી ઉત્પાદન લઇ લીધા બાદ જે અવશેષો વધ્યા હોય છે, તેના નિર્માણ માટે પણ સમાન પોષક તત્વોનો જ ઉપયોગ થયો હોય છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે એક કૃષિમેળાના ઉદઘાટન સમારોહ વડાપ્રધાન મોદીજીએ પણ આ મુદ્દે હૃદયસ્પર્શી સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ પાકના વધેલા અવશેષોને બાળવાને બદલે તેમાંથી મૂલ્યવાન ખાતર બનાવવાની વાત સમજાવી હતી.
છેલ્લે એક જાણીતી કહેવત ‘જાગ્યા ત્યારથી સવાર...’ એ મુજબ ફરીથી બ્રહ્માજીની જેમ અજ્ઞાનનું આવરણ હટાવીને પોતાના અસલી ‘જગતાત’ સ્વરૂપને ધારણ કરી, આવો... આપણ આપણા વ્હાલા રાષ્ટ્રને સમૃદ્ધ ખેતી દ્વારા હરિયાળા વિકાસના માર્ગે લઇ જઈએ. લોકપર્વ અખાત્રીજ (૧૮ એપ્રિલ)ની શુભકામનાઓ સાથે...
આપનો,
નરેન્દ્ર વાઘેલા

No comments:

Post a Comment