Tuesday, 29 January 2019

ગુજરાતી જીરૂનો જાપાનમાં વઘાર : રાજેશ્વર ખેડૂત કંપની કરશે સપનું સાકાર


એક સમયે ભારતીય મરી-મસાલા અને તેજાનાઓ મેળવવા અને તેનો વેપાર કરવા માટે વિશ્વના કઈ-કેટલાય દેશોમાંથી સાહસિકો આપણી ભૂમિને શોધવા માટે દરિયો ખેડીને આવતા હતા. યુરોપ અને આરબ વિસ્તારના કેટલાય દેશો વચ્ચે તો ભારતીય મસાલા માટે રીતસરના યુદ્ધો ખેલાયા હોવાની ઘટનાઓ ઈતિહાસના પાનાં પર મોજૂદ છે.
મધ્યયુગીન રાજાશાહી તેમજ અંગ્રેજ હકુમતના સમયગાળામાં ભારત ભૂમિમાં ઉપજેલ વિવિધ ખેતપેદાશોનો સ્વાદ અને સોડમ જગતભરમાં ફેલાઈ હતી. પરંતુ આઝાદી બાદ પૂરતા પ્રમાણમાં ધ્યાન ન આપી શકવાને કારણે આપણી નિકાસનો આંકડો ઘણો નીચો આવ્યો. જો કે એ વાત અલગ છે કે તત્કાલીન સમયે ખેડૂતોના ભાગે તો માત્ર મહેનત કરવાનું જ આવતું હતું. કેમકે ફળ કોઈ બીજા લોકો જ ખાઈ જતા હતા.
જોકે સ્વાસ્થ્ય રસિકો અને સ્વાદ રસિકોના દિલમાં ભારતીય મસાલા માટેની દીવાનગી આજે પણ ઓછી થઈ નથી. અને માટે જ આજે વાત કરવી છે બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકા વિસ્તારના ગામડાઓના ખેડૂતોના એક સંગઠન વિષે કે જેના સભ્ય ખેડૂતો દ્વારા પકાવેલ જીરુંની નિકાસ થઇ રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગુણવત્તા માટે વિશ્વભરમાં જાણીતો દેશ જાપાન આપણા ખેડૂતો પાસેથી જીરુંની સીધી આયાત કરી રહ્યો છે.
ખેડૂતોની ઉન્નતિમાં યોગદાન આપવા માટે જાણીતી સંસ્થા ‘ઇફકો કિસાન સંચાર લિ.ના સક્રિય સહયોગ દ્વારા ઉપરોક્ત વિસ્તારના ખેડૂતોએ રાજેશ્વર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીડ નામથી એક ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.)ની સ્થાપના કરી. ઇફકો અને નાબાર્ડના અધિકારીઓ તેમજ કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શનમાં કામ થતું ગયું અને ખેડૂતોએ રચાયો સફળતાનો ઈતિહાસ.
ફક્ત ખેડૂતો દ્વારા જ સંચાલિત આ એફ.પી.ઓ.માં વાવ વિસ્તારના ૩૨૦ ખેડૂત ખાતેદાર સભ્યો જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં વાવેલ વસ્તુઓનું જાતે ગ્રેડિંગ, પ્રોસેસિંગ, પેકિંગ કરીને સામુહિક માર્કેટિંગ કરે છે. ચાલુ વર્ષે આ એફ.પી.ઓ.ના સભ્ય ખેડૂતોએ નિકાસના વૈશ્વિક ધારાધોરણ અને ગ્લોબલ ગેપ સર્ટીફીકેશન પ્રોગ્રામના આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમો મુજબ પોતાના ખેતરોમાં જીરું વાવ્યું છે. જે આગામી માર્ચ માસ સુધીમાં નિકાસ માટે તૈયાર થશે.  
એક લીમીટેડ કંપની તરીકે કામ કરતા આ રાજેશ્વર એફ.પી.ઓ. પાસે પોતાનું સંપૂર્ણ પ્રોસેસિંગ યુનિટ પણ છે કે જ્યાં ગ્રેડિંગ અને પેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેના ચેરમેન માવજીભાઈ પટેલ જણાવે છે કે ‘ત્રણ મહિના બાદ અમારી જમીનમાં તૈયાર થનાર જીરુંમાંથી ૨૫૦ ટન જેટલું જીરું જાપાનમાં નિકાસ કરવામાં આવશે. જાપાનીઝ રસોડાના વઘારમાં સોડમ ઉમેરવાની આ ઘટનાનું એક ગુજરાતી તરીકે અમારા સૌ ખેડૂત સભ્યોને ગૌરવ છે.’
વધુમાં માવજીભાઈ જણાવે છે કે ‘અમારા એફ.પી.ઓ. દ્વારા નિકાસનો આ સફળ પ્રયોગ રાજ્ય અને દેશના ખેડૂતો માટે નમુનારૂપ બનશે તેમાં કોઈ શંકા નથી. સાથે જ અન્ય ખેડૂતભાઈઓને કહેવાનું કે જો અમારી રાજેશ્વર એફ.પી.ઓ. આવી સફળતા મેળવી શકતા હોય તો આપણા અન્ય ખેડૂતભાઈઓ પણ ચોક્કસ સફળ થઇ શકે છે. જરૂર છે માત્ર થોડા આયોજન સાથે ભેગા મળીને અને નિયમોના ચુસ્ત પાલન સહીત, દ્રઢ ઈચ્છાશક્તિ વડે કામ કરવાની.’
રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની જેવી કંપનીની સ્થાપના માટે જરૂરી પ્રક્રિયા કે તેની કાર્ય પદ્ધતિ વિશે વધુ જાણવા કે માટે માવજીભાઈનો (મો.૮૦૦૦૮ ૩૫૮૮૫) સંપર્ક કરવો. અથવા તો તમારી નજીકમાં આવેલ નાબાર્ડ, ઇફકો કિસાન, રિલાયન્સ ફાઉન્ડેશન, આગાખાન રૂરલ સપોર્ટ, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જેવી સંસ્થાઓની મુલાકાત લઈને માહિતી મેળવવી. આ સંસ્થાઓનો એફ.પી.ઓ. બનાવવા માટે માર્ગદર્શનની સાથે નાણાંકીય સહાય પણ કરે છે.

Tuesday, 15 January 2019

મકર સંક્રાંતિ : નિઃશુલ્ક સૌરઊર્જાના મહત્તમ ઉપયોગ માટે સંકલ્પ લેવાનો શુભ અવસર


‘સુ’ એટલે ઉત્તમ અને ઈરએટલે પ્રેરણા આપનારો.. આમ સૂર્ય એટલે ઉત્તમ પ્રેરણા આપનાર. સૂર્ય ઉપાસનાને આપણા પૂર્વજોએ માનવજીવન સાથે વણી લીધી છે. જેથી પ્રકૃતિના સતત વહેતા લય સાથે આપણો તાલ પણ મળતો રહે. આપણા ઋષિઓ બહુ લાંબી દષ્ટિ અને સમજપૂર્વક આવી પરંપરાઓ ઊભી કરી ગયા છે.
આજે મકરસંક્રાંતિનો દિવસ છે. આજથી સૂર્ય હવે ઉત્તરની દિશા તરફ વળી રહ્યો છે એટલે તેને ઉત્તરાયણ પણ કહે છે. સંક્રાંતિ એટલે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિની રીતભાત કે વહેવારમાં બદલાવનો સમય. આજે સમગ્ર સૃષ્ટિમાં પરિવર્તન થઈ રહ્યું છે, ત્યારે આપણે પણ ખાસ કરીને કૃષિ કાર્યપદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.
આખી દુનિયા જાણે છે કે સાવ મફતમાં મળતી સૌરઊર્જા એ વિશ્વની સૌથી સ્વચ્છ અને સુરક્ષિત ‘ઇંધણ શક્તિ’ છે. સૂર્યની ઊર્જાના અનેક ઉપયોગો છે. ફળિયામાં બટાકા બાફી આપતું સોલારકૂકર હોય કે છાપરા પરની પેનલ મારફત વીજળી આપતું સોલાર રૂફટોપ હોય કે પછી પૃથ્વીની ફરતે સેંકડો કીલોમીટરની સતત પરિક્રમા કરતા સેટેલાઇટ સંચાલકશક્તિની વાત હોય... નિઃશુલ્ક સૌરઊર્જા સતત આપણી સેવામાં હાજર હોય છે.
જોકે આ સૌરઊર્જાનો ઉપયોગ કરવામાં આપણે હજુ ઘણા પાછળ છીએ. શું તમે જાણો છો કે આખા જગતમાં આ સૌરઊર્જાનો સૌથી વધુ અને સૌથી કાર્યક્ષમ ઉપયોગ કોણ કરે છે ? મને ખાતરી છે કે એ મહત્તમ ઉપયોગકર્તાને તમે બહુ જ સારી રીતે ઓળખો પણ છો. જો તમે જવાબમાં કોઈ દેશ કે પ્રજાનું નામ આપવાના હો તો થોડા થોભો. કેમ કે એ જવાબ ખોટો પડશે !!
સાચો જવાબ એ છે કે આખી દુનિયામાં સૌરઊર્જાનો સચોટ અને સૌથી મહત્તમ ઉપયોગ આપણા વૃક્ષો અને વનસ્પતિઓ કરે છે. આ સજીવ વનસ્પતિઓ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પોષક તત્વો ખેંચે છે તથા તેના પાનમાં આવેલ છીદ્રો વડે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ મેળવે છે. પરંતુ આ બંને સામગ્રી તેના માટે કાચા સીધા જેવી હોય છે. જેનો એ પ્રત્યક્ષ ઉપયોગ કરી શકતી નથી.
માણસની જેમ વનસ્પતિને પણ કાચી સામગ્રીને રાંધવા માટે ઊર્જાની જરૂર પડે છે. અને તે પોતાની આ જરૂરીયાત પૂરી કરવા માટે પોતાના પાનમાં રહેલ હરિત દ્રવ્યની સૂક્ષ્મ જાળમાં સૂર્યના કિરણોને અને તેની ગરમીને જકડી રાખે છે. તેમજ જ્યાં સુધી પોતાને જરૂરી ખોરાક રંધાઈ ન જાય ત્યાં સુધી તેને મુક્ત કરતી નથી.
ખેતીમાં સૂર્યઊર્જાના ઉપયોગની વાત આવે એટલે મોટાભાગના લોકોનું જ્ઞાન ફક્ત સોલાર આધારિત  ફેન્સીંગ, વોટરપંપ કે લાઈટબલ્બ સુધી જ સીમિત રહી જાય છે. પરંતુ રાજ્યના જાણીતા પ્રગતિશીલ ખેડૂત અને વિદ્વાન કૃષિ લેખક હીરજીભાઈ ભીંગરાડિયા સૌરઊર્જાને ખેતીમાં વધુમાં વધુ કઈ રીતે વાપરી શકાય તેના ઉપાયો વિષે પોતાના એક પુસ્તકમાં વિસ્તૃત માહિતી આપી છે.
જેમાં તેઓ જણાવે છે કે ખેતરમાં વાવેતરના ચાસની દિશા, બે છોડ વચ્ચેનું વાવેતર અંતર, સૂર્યપ્રકાશની જરૂરીયાત અને મોસમ મુજબ પાકની પસંદગી, મિશ્રપાક અને આંતરપાક પદ્ધતિ, પાકની ઉંચી-નીચી માળ મુજબ વાવેતર પદ્ધતિ, મંડપ અને ટેલીફોન પદ્ધતિ સહીત અનેકવિધ ઉપાયો કરીને આપણે ખેતીમાં સૌરઊર્જાનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ છીએ.
સૌરઊર્જાની બાબતે વિશ્વના અનેક દેશોની સરખામણીમાં આપણે બહુ નસીબદાર છીએ. કેમ કે અહિયાં વર્ષભરમાં ૨૫૦ થી ૩૦૦ દિવસ ભરપૂર માત્રામાં તડકો મળી રહે છે. જે દૈનિક સરેરાશ ૪-૭ કિલોવોટ પ્રતિ ચોરસ મીટરના હિસાબે મફતમાં સૌરઊર્જા બાંટે છે. પરંતુ મફતમાં મળતી વસ્તુની કોઈને પણ કદર ક્યાં હોય છે ?
કૃષિની સાથે જો આપણા ગામડાઓમાં વ્યક્તિગત અને પારિવારિક સ્તરે સૌરઊર્જાના ઉપયોગ વધારવામાં આવે તો આર્થિક બચતનો આંક ઉંચો અને સ્થાનિક પ્રદુષણના સ્તરનો આંક નીચો આવી શકે તેમ છે. આજના દિવસે આપણે પતંગ ચગાવવા કે ચીકી-જીંજરા અને શેરડી ખાવાની સાથોસાથ સૌરઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનો સૂર્યનારાયણની સાક્ષીએ શુભ સંકલ્પ લઈએ અને આજના પર્વને સાર્થક કરીએ.

Monday, 7 January 2019

જય જવાન જય કિસાન : શાસ્ત્રીનું સૂત્ર આજે પણ એટલું જ યથાર્થ છે !

૧૧મી જાન્યુઆરીએ દેશના દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ આવી રહી છે. આજે રાજકારણના ચોપડે લગભગ હાંસિયામાં ધકેલાય ગયેલા મહાપુરુષોની યાદીમાં ખાસ પારિવારિક ‘બેકગ્રાઉન્ડ’ ન ધરાવતા ખેડૂતપુત્ર લાલબહાદુર શાસ્ત્રીનું નામ અગ્રક્રમે છે. ફક્ત વીસેક મહિના જેવા ટૂંકા સમયગાળા સુધી દેશના વડાપ્રધાનપદે રહેલા શાસ્ત્રીએ કરેલા કાર્યોને લીધે આજે પણ દેશના નાગરિકોના દિલમાં તેમના પ્રત્યે સન્માન અકબંધ છે.
          પુરોગામી વડાપ્રધાનની નીતિઓને કારણે વારસામાં મળેલ કાશ્મીર સમસ્યાને કારણે ૧૯૬૫માં દેશ ફરી એક વખત યુદ્ધનો શિકાર બન્યો ત્યારે દેશવાસીઓમાં એકતા અને જુસ્સો ટકાવી રાખવા માટે શાસ્ત્રીએ ‘જય જવાન જય કિસાન’ ઐતિહાસિક નારો આપ્યો. તેઓ ભારપૂર્વક કહેતા અને માનતા હતા કે ભારતીય સૈનિકો અને ખેડૂતો દેશને ઉન્નત રાખનારા બે સ્તંભ છે. માટે સમગ્ર રાષ્ટ્રએ તેમનો આદર કરવાની અને દરેક મુદ્દે તેમની કાળજી લેવાની જરૂર છે. 
સેનાની હિંમત વધારતા વડાપ્રધાન
 ૧૯૬૨માં ચીન સામેના યુદ્ધના પરિણામથી ભારતીય સેના ઘોર નિરાશામાં ડૂબી ગઈ હતી. પરંતુ જ્યારે શાસ્ત્રીએ ૧૯૬૫ના પાકિસ્તાન યુદ્ધમાં હથિયારોનો જવાબ હથિયારોથી આપવાની છૂટ આપી ત્યારે સૈનિકોમાં પ્રાણસંચાર થયો. રાજકીય પ્રોત્સાહન મળવાથી આપણી સેનાએ પોતાની શક્તિ દેખાડતા પાકિસ્તાનમાં છેક લાહોર અને રાવલપીંડી સુધી તિરંગાની આણ વર્તાવી દીધી હતી.
શાસ્ત્રીજીએ શાસનની ધૂરા સંભાળી તે સમયગાળામાં યુદ્ધને બાદ કરતા સૌથી મોટો પડકાર હોય તો એ દેશમાં ખાદ્યાન્નની કટોકટીનો હતો. ફેકટરીઓનો દેશ બનાવવા માંગતા નહેરુએ ખેડૂતોની અવગણના કરી હોવાના કારણે આખો દેશ લગભગ ભૂખમરા પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. દેશની જનતા અમેરિકા જેવા દેશો પાસેથી ભીખમાં મળેલ અનાજ ઉપર નિર્ભર થઇ રહી હતી. પશુઓને પણ ન આપી શકાય તેવી હલકી ગુણવત્તાવાળા સડેલા લાલ ઘઉંની સ્ટીમરો ભારતના બંદરો પર ઠલવાતી હતી.
આવા સમયે અમેરિકા સામે ઘૂંટણીએ પડીને અનાજની ભીખ માંગવાને બદલે શાસ્ત્રીએ પડકાર ઝીલ્યો અને દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે જો આપણે બધા ફક્ત એક-એક ટંકનું ભોજન છોડીશું તો બચેલું અનાજ અન્ય જરૂરીયાતમંદ દેશબાંધવના કામ આવશે. તેઓએ જાતે પણ દરરોજ એક ટંકના ઉપવાસ ચાલુ કર્યા હતા. યુદ્ધ અને દુષ્કાળના ડામાડોળ વાતાવરણમાં દેશને સાચવી લેવા માટે તેઓએ ‘જય જવાન જય કિસાન’નો નારો બુલંદ કર્યો.
દેશના નાગરિકોને ત્યારે એ જાણીને સુખદ આશ્ચર્ય થયું કે તેમના વડાપ્રધાન શાસ્ત્રી પોતાના સરકારી નિવાસસ્થાનમાં પાછળના ભાગમાં નાનું ખેતર બનાવીને જાતે ખેતી કરે છે, તેમજ પોતાની જરૂરિયાતનું અનાજ જાતે ઉગાડે છે. દેશના એકમાત્ર ખેડૂત વડાપ્રધાનના આ અનુકરણીય કાર્યથી ભારતભરના ખેડૂતોને એક નવું જ જોમ અને સન્માન મળ્યું.
વી.કુરિયન પાસેથી દૂધ મંડળી વિષે માહિતી મેળવતા 
અત્રે એ ખાસ યાદ રાખવું ઘટે કે એ શાસ્ત્રી જ હતા કે જેમણે પોતાના શાસનકાળ દરમ્યાન દેશમાં બે મહત્વની ક્રાંતિ એટલે કે શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિને સતત ઉત્તેજન આપ્યું હતું. પોતાની ગુજરાત મુલાકાત વખતે દૂધ સહકારી મંડળી અને અમૂલની પ્રવૃત્તિથી પ્રભાવિત થયેલ શાસ્ત્રીએ અમૂલના સંવર્ધક વી.કુરિયનને દિલ્હી આવવા અંગત આમંત્રણ આપ્યું હતું.
શાસ્ત્રીએ કુરીયનને ખાસ વિનંતી પણ કરી હતી કે તેઓ આખા દેશમાં આ અમૂલ મોડેલનો ફેલાવો કરે. આ કામમાં તેમને સરકારનો સંપૂર્ણ ટેકો રહેશે. શાસ્ત્રીની આ પ્રેરણાથી ગ્રામવાસીઓ દ્વારા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને તેના વડે થઇ રહેલ શ્વેત કાંતિ (ઑપરેશન ફ્લડ)ને બળ મળ્યું. પરિણામે દેશમાં દૂધનું ઉત્પાદન વધ્યું તેમજ મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થઈ.
હરિત ક્રાંતિના જનક ડો.એમ.એસ.સ્વામીનાથન અને શાસ્ત્રી
ખોરાકની સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ માટે તેઓએ દેશભરના અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો બનાવી સમસ્યાનો ઉકેલ લાવવા આદેશો આપ્યા. શાસ્ત્રીએ વ્યક્તિગત રીતે દેશના રત્ન સમાન કૃષિવિજ્ઞાની ડો.એમ.એસ. સ્વામિનાથનને આ ટીમનું નેતૃત્વ કરવા માટે વિનંતી કરી હતી. ત્યારબાદ આખું વિશ્વ જાણે છે કે ભારતમાં હરિત ક્રાંતિની શરૂઆત થઇ અને એક જ દાયકામાં દેશ અનાજની બાબતમાં સ્વનિર્ભર બન્યો.
દેશના અને ખાસ કરીને ખેડૂત તેમજ ગ્રામ્ય વર્ગના કમનસીબે વર્ષ ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીની એ કાળરાત્રીએ રશિયાના તાશ્કંદ ખાતે પાકિસ્તાન સામે યુદ્ધવિરામનો કરાર કર્યા બાદ ખૂબ જ રહસ્યમય પરિસ્થિતિમાં લાલ બહાદૂર શાસ્ત્રીનું અવસાન થયું. ૧૯૬૬ પછી દેશમાં અનેક સરકારો આવી અને ગઈ પરંતુ વિદેશી ધરતી પર થયેલ વડાપ્રધાનના શંકાસ્પદ મૃત્યુનું રહસ્ય ખોલી શકી નથી.
ખેડૂત નાગરિક સાથે ખેડૂત વડાપ્રધાન
કદમાં વામન હોવા છતાં પણ આભને આંબતા વિરાટ વ્યક્તિત્વના માલિક અને ખરા અર્થમાં ખેડૂતનેતા રાજપુરુષ લાલબહાદૂર શાસ્ત્રીની ખોટ આજે પણ એટલી જ સાલે છે. એ દીર્ઘદ્રષ્ટા નેતાએ આપેલું સૂત્ર આજે પણ એટલું જ યથાર્થ છે અને હંમેશા રહેશે.
         ચાલો, તેઓની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે સહુ સાથે નારો લગાવીએ : ‘જય જવાન... જય કિસાન...’