Saturday, 7 April 2018

ભણતરનો ભાર

છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં ખાનગી શાળાઓની ફી બાબતે ચર્ચા ચગડોળે ચડી છે. ત્યારે શિક્ષણ અંગે એક રમૂજી પરંતુ હૃદયને ચોટ પહોંચાડે તેવી એક જૂની વાત યાદ આવી. ગામનું નામ કઇપણ રાખી લો. એક અંતરિયાળ નાનકડાં ગામડાં ગામની ધર્મશાળાના બે મોટા ઓરડામાં ચાલતી આખી સરકારી નિશાળમાં મોટેભાગે ખેડૂત અને ખેતમજૂર પરિવારના બાળકો ભણે. સ્વાભાવિક રીતે જ આ બાળકો ભણવા કરતા ખેતીકામ અને ઘરકામમાં વધુ રોકાયેલા રહેતા. શાળામાં તેમની ‘ગેરહાજરી’ અને ‘ઘેરહાજરી’ વધારે રહેતી. તેથી શિક્ષકોનું વધુ પડતું ધ્યાન પણ તેઓને ભણાવવાને બદલે વધારેમાં વધારે બાળકો નિયમિત શાળાએ આવતા થાય તેમાં રહેતું. બાળકો અને વર્ગખંડોની સંખ્યા ઓછી હોવાના કારણે બધાજ ધોરણના જેટલા બાળકો હાજર હોય તેઓને એક સાથે બેસાડીને ભણાવવામાં આવતા.
ખરી વાત હવે શરૂ થાય છે. એક વખત બન્યું એવું કે નિયમ મુજબ શાળાકિય તપાસ માટે જીલ્લા મથકેથી ઓચિંતા એક સરકારી નિરિક્ષક આપણી આ શાળામાં આવ્યા. જ્યારે તેઓ વર્ગખંડ પાસે પહોંચ્યા ત્યારે માસ્તર ઈતિહાસનો તાસ લઇ રહ્યા હતા. પરંતુ દ્રશ્ય જોતા શિક્ષક કે વિદ્યાર્થીઓને તેમાં રસ હોય તેવું લાગતું નહોતું. કેમકે કોઈપણ વિદ્યાર્થીનું ધ્યાન શિક્ષક તરફ કે પોતાની ચોપડીમાં નહોતું. અમુક બાળકો ઝોકે ચડ્યા હતા, ચાર-પાંચ તોફાની બાળકો અંદરોઅંદર લડી રહ્યા હતા, તો વળી અમુક બાળકોનું ધ્યાન બારી બહારની દુનિયાને જોવામાં હતું. માસ્તર પણ છોકરાઓની ધમાલને નજરઅંદાજ કરી સાવ રસ વગર ચોપડીમાં લખેલ પાઠ પોપટની જેમ બોલ્યે જતા હતા.
થોડીવાર સુધી બહાર ઉભા રહીને આ અદભુત નઝારો જોયા બાદ, નિરિક્ષક સાહેબ વર્ગખંડમાં પ્રગટ થયા. માસ્તરના હાથમાંથી પુસ્તક લઈને થોડીવાર પહેલા શિક્ષકે ભણાવેલ પાઠમાંથી એક પ્રશ્ન પૂછ્યો : ‘ચાલો, કહો જોઈએ કે શિવનું ધનુષ્ય કોણે તોડ્યું ?’
સૌથી આગળ બેઠેલ એક ગોળમટોળ વિદ્યાર્થીએ ઉભા થઈને કહ્યું, ‘સાહેબ, શાળામાં ગમે ઈ તૂટે-ફૂટે તો મારું જ નામ આવે છે. પણ સાચું કહું છું કે તમે જે કહો છો ઈ ધનુષ્ય મેં નથી તોડ્યું.’ ત્યાં તો સહુથી છેલ્લે ઊંઘરેટી અવસ્થામાં બેઠેલ એક દુબળો પાતળો વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો, ‘સાહેબ, હું તો માંદો હતો અને એક મહિનાથી નિશાળે આવ્યો નહોતો. મારાથી આ દફતર પણ નથી ઊંચકાતું તો ધનુષ તો કેમ તોડું...?’
ગુસ્સો દબાવતા નિરીક્ષકે માસ્તરની સામે જોયું. માસ્તરે તો તરત જ મેજ પર પડેલ સોટી પકડી, હવામાં વીંઝતા કહ્યું, ‘જેણે પણ ધનુષ તોડ્યું હોય ઈ જલ્દી કબૂલ કરી લ્યે. નહીતર આ સોટીથી બધાયને ઝૂડી નાખીશ.’ આ સાંભળી બાળકોમાં દેકારો મચી ગયો. દરમિયાન આચાર્યને જાણ થતા તેઓ પણ વર્ગખંડમાં દોડી આવ્યા. નિરિક્ષકે ગુસ્સે થઈને બધી વાત કરી. આચાર્ય સાહેબે વાતને ઠંડી પાડતા કહ્યું કે, ‘અરે સાહેબ, તમે ક્યાં આવી નાની નાની વાતમાં માથું મારો છો. હું હમણાં જ ગામના સરપંચને કહીને નુકસાનની ભરપાઈ કરાવું છું.’
થોડીવારમાં ગામના સરપંચ પણ આવ્યા. નિરિક્ષક સાહેબ સામે હાથ જોડી કહ્યું કે, ‘સાહેબ, જવા દ્યોને... ગામના છોકરાઓમાંથી કોઈએ તોડ્યું હોય કે નો તોડ્યું હોય. પણ તમે આમ નારાજ થાવ તો ગામની આબરૂ જાય. લ્યો, આ ગામ લોકો તરફથી ફાળો રાખો. તેમાંથી તમારી જાતે જ સારું જોઇને નવું ધનુષ લઇ લેજો.’ પણ પછી હળવેથી ઉમેર્યું કે, ‘ધનુષ ખરીદતા જે કઈ બચી જાય તેમાંથી તમારા ઘર માટે મીઠાઈ લેતા જજો. હાલો હવે પંચાયતમાં બેસો. ચા-પાણી-નાસ્તો આવતા જ હશે.’
મિત્રો, વાત જૂની છે, પરંતુ શિક્ષણતંત્ર અને વહીવટતંત્ર આજે પણ લગભગ આમ જ ચાલે છે. અમુક અપવાદરૂપ શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓને બાદ કરતા બાકી મોટે ભાગે વધતી ‘ફી’ ની સાથોસાથ ભણતરનો ભાર પણ વધી રહ્યો છે.
---------------------------------
:: અનમોલ વચન ::
આપણા અડધા દુઃખ ખોટા લોકો પાસે આશા રાખવાથી અને
બાકીના અડધા સાચા લોકો પર શંકા રાખવાથી ઉપજતા હોય છે !

2 comments: