Saturday, 7 April 2018

શ્રદ્ધા રાખ !!


પોતાના ગામથી દૂર એક મોટા શહેરમાં રહી નોકરી કરતા દીપકનો આજનો દિવસ બહુ ખરાબ ગયો. રાત્રે ઘેર આવી તેણે ભગવાન સામે ફરિયાદ કરતા કહ્યું, 
‘હે કૃષ્ણ, આજે હું ખૂબ ગુસ્સામાં છું. મારે તને એક સવાલ પૂછવો છે.’ 
દરેકના અંતરાત્મામાં બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણે પ્રત્યુત્તર આપતા કહ્યું, ‘ચોક્કસ પૂછ, વત્સ.’
દીપક  : ‘તને ખબર છે ? તારે લીધે આજે મારો આખો દિવસ ખરાબ ગયો. તે મારી સાથે આવું કેમ કર્યું ?’
શ્રીકૃષ્ણ :  ‘અરે પણ થયું છે શું ? એ તો કહે !’
દીપક   : ‘સવારે સમયસર એલાર્મ વાગ્યો નહી, જેથી ઊઠવામાં મને મોડું થયું...’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘એક તો મોડું થતું હતું એમાં પાછી બાઈક બગડી ગઈ, માંડ-માંડ બસ મળી.’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘ઉતાવળમાં ટીફીન લેતા ભુલાઈ ગયું અને ઓફિસની કૅન્ટીન પણ બંધ... ખાલી એક વખત ચા મળી અને એ પણ બેકાર !!’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘મને એક મોટું કામ મળવાનું હતું પણ ચાલુ વાતમાં હાથમાંથી ફોન પડ્યો... ડિસ્પ્લે તૂટી... અને ફોન કપાઈ ગયો.’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘આ બધાથી કંટાળીને વિચાર્યું કે જલદીથી રૂમ પર પહોંચી, એ.સી. ચાલુ કરી, સૂઈ જાઉં. પણ અહી પહોંચ્યો તો લાઇટ જતી રહી. હે કાળિયા ઠાકર, આવી બધી તકલીફ મને જ શા માટે? તે મારી સાથે આવું કેમ કર્યું ?’
શ્રીકૃષ્ણ :  ‘જો મારી વાત શાંતિથી સંભાળ બેટા, આજે તારા પર બહુ મોટી ઘાત હતી. પરંતુ તારા માતા - પિતાના સુકૃત્યોને લીધે મેં વિવિધ પ્રકારે તેને ટાળી દીધી.’
દીપક   : ‘શું વાત કરો છો, પ્રભુ...!!! ખરેખર ???’
શ્રીકૃષ્ણ : ‘હાં...પુત્ર, જો તું વહેલો ઉઠેત તો પાડોશમાં થયેલ ઝઘડાને ઉડતો લેવાનો હતો તેથી મેં જ તારો એલાર્મ સાઈલંટ કર્યો. ઍક્સિડન્ટ થવાનો યોગ હતો એટલે મેં જ તારી બાઈક બગાડી. કૅન્ટીનનું ખાવાથી તને ફૂડ-પૉઇઝન થવાનું હતું. મોટાં કામની લાલચ આપનારે તને ગોટાળામાં ફસાવવાની પૂરી તૈયારી કરી હતી એટલે મેં જ તારા ફોન પછાડીને બંધ કરી દીધો. અને હાં... સાંજે તારા રૂમ પર શૉર્ટસર્કિટથી આગ લાગવાની હતી. જો તું એ.સી. ચાલુ કરી સુઈ ગયો હોત તો તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી હતી. બેટા, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’
દીપક   : ‘હે પ્રભુ, મારી ભૂલ થઈ, પ્લીઝ, મને માફ કરો. હવે હું આજ પછી ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરું.’
શ્રીકૃષ્ણ :  ‘એમાં માફી માગવાની કોઈ જરૂર નથી. પરંતુ હંમેશા વિશ્વાસ રાખજે કે હું જે કઈ કરીશ તે તારા ભલા માટે જ હશે. વર્તમાન જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય તેનાથી તાત્કાલિક પ્રભાવિત ન થવું. તેની સાચી અસર તને લાંબાગાળે સમજાશે. મારા કાર્ય પર શંકા ન કર. જીવનનો ભાર પોતાના માથે લઈને ફરવાને બદલે શ્રદ્ધાપૂર્વક મારા ખભે મૂકી દે.’
આટલું કહી ભગવાન શ્રીકૃષ્ણે વાંસળીના સૂર છેડ્યા અને દીપક જાણે કે તેમના ખોળામાં માથું મૂકીને આરામથી સુઈ ગયો.
---------------------------------
:: અનમોલ વચન ::
ભગવાનનો પાડ માનો કે
આપણે જે અનુમાનો બાંધીએ છીએ...
તે બધાં સાચાં નથી પડતાં !

2 comments: