મિત્રો, આપણી સંસ્કૃતિમાં એવા અનેક ઉદાહરણો મોજૂદ છે કે જેમાં પોતાના
સંતાનો માટે થઈને માતા-પિતાઓએ કોઈપણ કપરી કસોટી પાર કરી હોય અથવા તો અનેક પ્રકારના
સંકટનો સામનો કર્યો હોય. ‘બાળકો માટે માતા-પિતાના પ્રેમ અને ત્યાગની તુલના કરી
શકાય જ નહિ...!’ તેવું આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ આજે મારે વાત કરવી છે એવા
માવતરોની કે જેમણે અંગત સ્વાર્થ માટે પોતાના સંતાનોને વ્યસની અને નપુંસક બનાવી
દીધા છે. તેમજ ઝડપથી મોટું થઇને વધુ કમાણી કે અઢળક આવક લઇ આવે તે માટે પોતાના
લાડકોડથી ઉછરાતા સંતાનને અનેક કુટેવો પાડી દીધી છે ? શું તમે આવા કોઈ માવતરોને
ઓળખો છો ? આપને થશે કે તંત્રી આજે ‘ઉદબોધન’ લખવા કોઈ વ્યસન કરીને તો નથી બેઠા
ને...? કેમકે કોઇપણ માતા-પિતા, ચાહે તે ગરીબ હોય, અમીર હોય, ભણેલ હોય કે અભણ હોય
પરંતુ તેઓ સદાય પોતાના સંતાનોનું હિત જ ઈચ્છતા હોય છે. તમે આ નવી વાત ક્યાંથી
લાવ્યા ?
આ વ્યસનના વારસાની વાત માંડું એ પહેલા એક સવાલ કરું કે; આપણે આખી
દુનિયાનો બાપ એટલે કે ‘જગતાત’ કોને કહીએ છીએ ? તો એક જ અવાજે જવાબ મળે કે વિશ્વનો
અન્નદાતા ‘ખેડૂત’ જ જગતપિતા છે. અને આ જવાબ નિ:શંક તેમજ સર્વમાન્ય છે. હવે વાત રહી
તેના વ્યસની સંતાનની. તો આપણો ખેડૂત જેને રાત-દિવસ પાળી-પોષી, જેમાંથી લહેરાતા
ખેતરો છલકાવે છે તેવું ‘બીજ’ તેનું સંતાન થયું ગણાય કે નહિ !! બીજ એટલે જીવનને
પુનર્જીવિત કરતુ માધ્યમ... બીજ એટલે માનવીય આશાઓના વિશ્વાસનું વાવેતર... બીજ એટલે ભાવિના ગર્ભમાં છુપાયેલા વિકાસનું પ્રત્યક્ષ
ઉદાહરણ... પરંતુ દુખ સાથે કહેવું પડે કે, આજે આપણું આ બીજ વ્યસની થઇ ગયું છે અને
નપુંસક થતું જાય છે. તેને વ્યસન થયું છે... ઝેરી દવાઓ અને રાસાયણિક ખાતરોનું. અને
એને વ્યસની બનાવ્યું છે આપણે, આપણા સ્વાર્થ માટે. મૂડી કરતા વ્યાજ વ્હાલું એ
ન્યાયે સંતાનના ઘરે પારણું બંધાય તે દરેક માવતરની અદમ્ય ઈચ્છા હોય છે. પણ હાય રે
કિસ્મત... આપણે આપણા સંતાનસમા બીજને નિર્વંશ-વાંઝીયા અને નપુંસક (એટલે ખેતીમાંથી
ઉપજેલા એવા બીજ કે જેને વાવવાથી ઉગે નહી તેવા) થવા દીધા.
આપ જાણતા જ હશે કે એક સમયે આપણે ખાતા વધેલા અને રમત-રમતમાં ફેંકેલા
બીજ ઉગી નીકળતા. જ્યારે આજે પપૈયા, દ્રાક્ષ, લીંબુ, મોસંબી, તરબૂચ, ટામેટા વગેરે
જેવા અનેક પાકોના સીડલેસ (બીજરહિત) ઉત્પાદનો બજારમાં મળવા લાગ્યા છે. ખેડૂતના
ઘરમાં સેંકડો મણ કપાસિયા પડ્યા હોવા છતાં બી.ટી કપાસનું બીયારણ દર વર્ષે
પેટેન્ટધારક કંપની પાસેથી નવું જ લેવું પડે છે. આ જ રાહે આવતા સમયમાં મકાઈ,
સોયાબીન, રાયડો વગેરે પાકોના જીનેટીકલી મોડીફાઇડ બીયારણો પણ આવી રહ્યા છે. જો આ
પરંપરા ચાલુ રહી તો ભવિષ્યમાં કોઈપણ પાક વાવવા માટે પેટેન્ટના એકાધિકાર ધરાવતી કંપનીઓના
ઓશિયાળા બની જવું પડશે એમાં શંકા નથી.
જેવી રીતે ખેતીપાકોમાં નિતનવીન રોગજીવાતો આવી રહ્યા છે અને તેને
નિયંત્રિત કરવા માટે ઝેરી જંતુનાશકો કે રસાયણોનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે તે જ
રીતે મનુષ્યોમાં પણ નવા નવા રોગો સામે આવી રહ્યા છે. ‘જેવું ખાઓ અન્ન, તેવું બને
મન(તન)...’ આ કહેવત અનુસાર આવા બીજમાંથી ઉત્પાદિત આહાર ખાનાર માનવી કે અન્ય
જીવોમાં ધીમે-ધીમે નપુંસકતા કે વાંઝીયાપણું વધી રહ્યું છે. અને માટે જ આજે ચોતરફ
‘ટેસ્ટટ્યુબ બેબી’ બનાવી આપતા સેન્ટરોનો રાફડો ફાટ્યો છે અથવા એમ કહો કે જરૂર ઉભી
થઇ છે. એક વાસ્તવિકતાથી કોઈ ઇનકાર કરી શકે તેમ નથી કે આપણા સરેરાશ યુવાનોમાં આજે ખડતલપણું
ઘટ્યું છે. જેના મુખ્ય કારણોમાં દારુ અને તમાકુ જેવા વ્યસનની સાથે જી.એમ.ફૂડનો કસ
વગરનો આહાર પણ ગણવામાં આવે છે.
મિત્રો, આજે આપણા દેશમાં ૬૫% થી વધારે વસ્તીની ઉંમર ૩૫ વર્ષથી ઓછી છે.
ચીનની ૩૭ વર્ષ અને જાપાનની ૪૮ વર્ષની સરેરાશ વય સામે ૨૯ વર્ષની સરેરાશ વય સાથે
ભારત વિશ્વ આખામાં સૌથી યુવાન દેશ ગણાય છે. આગામી ૧૨મી જાન્યુઆરીના રોજ તમામ યુવાનો
માટે આદર્શ ગણી શકાય તેવા ભારતીય યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદની ૧૫૬ મી
જન્મજયંતી આવી રહી છે. સાથે જ ૧૪મી જાન્યુઆરી દિવસે યુવાનો માટે તરવરાટ અને
ઉત્સાહનું પતંગપર્વ ઉત્તરાયણ અને ૨૨મી જાન્યુઆરીએ વેદકાળથી યૌવનનો ઉત્સવ મનાતું
લોકપર્વ વસંત પંચમી આવી રહ્યું છે ત્યારે આપણે સહુ આપણું ‘બીજ’ સાચવી રાખવાનો
ભરપૂર પ્રયત્ન કરીને યુવાન રાષ્ટ્રને હરિયાળા વિકાસના માર્ગે ખરા અર્થમાં સમૃદ્ધ
ખેતી તરફ લઇ જઈએ.
આગામી ૬૮માં પ્રજાસતાક દિવસ અને ઉપરોક્ત તમામ પર્વોની શુભકામનાઓ
સાથે..
No comments:
Post a Comment