Friday, 12 January 2018

છતી આંખે આંધળા

એક વખત રાજા અકબર પોતાનો દરભાર ભરીને બેઠો હતો. અચાનક અકબરને એક વિચાર આવ્યો. તેણે બીરબલને કહ્યું કે, ‘બીરબલ, મારું સુંદર રાજ્ય દેશ-વિદેશમાં વખણાય છે. પણ મને લાગે છે કે અહીયા રહેતા આંધળા લોકોને કારણે બીજા રાજ્યમાં મારું ખરાબ દેખાય છે. આ આંધળા લોકોને મારે દેશનિકાલ કરવા છે. એટલે તું આપણા રાજ્યમાં કેટલા લોકો આંધળા છે, તેની નોંધ કરી આવ.’ બીરબલે વિચાર્યું કે, ‘મારે અકબરને આમ કરતા અટકાવવો જોઈએ. પરંતુ સીધી રીતે તો આ માનશે નહિ...! માટે આને કઈક યુક્તિ કરીને પાઠ ભણાવવો પડશે.’ તેણે આંધળા લોકોની ગણતરી કરવા માટે બે દિવસનો સમય માંગ્યો અને ઘેર આવીને વિચારવા લાગ્યો.
બીજા દિવસે વહેલી સવારથી જ શહેરના મુખ્યમાર્ગના ચોકમાં બેસીને બીરબલ બુટ-ચંપલ બનાવવા લાગ્યો. ત્યાંથી પસાર થતા લોકોમાંથી જો કોઈ ‘આ શું કરો છો ?’ એમ પૂછે તો બીરબલ તેનું નામ પૂછી અને એક કાગળમાં નોંધી લેતો હતો. જેમ-જેમ દિવસ આગળ વધ્યો તેમ-તેમ રાજદરબારના સેવકો, મંત્રીઓ ત્યાંથી પસાર થયા. તેમાંથી મોટાભાગના લોકોએ ‘બીરબલ, આ શું કરો છો ?’ એવું પૂછ્યું. જવાબમાં બીરબલ માત્ર મનમાં મલકાય, પ્રશ્નકર્તાનું નામ લખે અને ફરીથી ચંપલ સીવવા લાગી જાય. એટલામાં અકબરની સવારી પણ ત્‍યાંથી પસાર થઇ. બીરબલને મોચીકામ કરતા જોઇ અકબરે પણ પૂછી લીધું કે, ‘બીરબલ, આ શું કરે છે ? બીરબલ મર્માળુ હસ્યો, કશું બોલ્યા વગર કાગળમાં અકબરનું નામ લખી લીધું. થોડીવાર ઉભો રહીને અકબર પણ રાજદરબારમાં જતો રહ્યો.
બીજા દિવસે જ્યારે ફરી દરબાર ભરાયો ત્યારે બીરબલે અકબરને સલામ કરી અને ‘જહાંપનાહ, આપે સોંપેલ કામ થઇ ગયું છે. મેં શહેરમાં રહેતા આંધળા લોકોની ગણતરી કરી લીધી છે.’ એમ કહી પેલો કાગળ અકબરને દેખાડ્યો. અકબરે બાજુમાં ઉભેલા કારભારીને તે કાગળ વાંચવા આદેશ કર્યો. કારભારી મોટા અવાજે નામ વાંચવા લાગ્યો. શહેરના ઘણા જાણીતા અને આંખે દેખતા લોકોના નામની સાથે જ્યારે અમુક રાજદરબારીઓના નામો આવ્યા, ત્યાં સુધી વાંધો નહોતો. પરંતુ જ્યારે યાદીમાં છેલ્લે પોતાનું પણ નામ આવ્યું એટલે અકબર ગુસ્‍સે થઇ ગયો. અને બીરબલ સામે ડોળા કાઢીને જોતા કહ્યું કે, ‘મારી બંને આંખો સલામત છે, છતાં પણ તે મને આંધળો કહ્યો ? હું ધારું તો અત્યારે જ તારી આંખો ફોડાવી શકું છું.’
બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, ગુસ્સે ન થાઓ. ગઇકાલે ચોકમાં બેસીને હું બુટ-ચંપલ બનાવતો હતો. ત્‍યારે તમે મને પુછ્યું હતું કે... બિરબલ, આ શું કરે છે ? જો તમને દેખાતું હોત તો શું આ પ્રશ્ન મને પૂછ્યો હોત ?’ પોતાની વાત સાંભળીને વિચારતા થઇ ગયેલા અકબરને જોઈ અટ્ટહાસ્ય કરતો બીરબલ બોલ્યો, ‘જહાંપનાહ, તો પછી હવે તમે ક્યાં દેશમાં રહેવા જવાનું નક્કી કર્યું ? કારણ કે આપના રાજમાંથી તો આંધળાઓને દેશનિકાલ થવાનો છે.’ પોતાની ભૂલ અને બીરબલની ચતુરાઇ સમજાઈ જતા અકબર પણ ખડખડાટ હસી પડ્યો. તેણે બીરબલને ઇનામ આપતા કહ્યું કે, ‘હવે મને સમજાઈ ગયું છે કે રાજ્યની બદનામી અંધલોકોને કારણે નહિ પરંતુ છતી આંખે આંધળાઓને લીધે થાય છે.’

No comments:

Post a Comment