Friday, 15 December 2017

સાચી સુંદરતા

પ્રસિદ્ધ ગ્રીક તત્વજ્ઞાની સોક્રેટીસ એકવાર પોતાના ઓરડામાં અરીસાની સામે ઊભા રહી, પોતાના ગોળમટોળ ચહેરાને એકીટશે જોઈ રહ્યા હતા. એવામાં અચાનક એક શિષ્ય તેમના ઓરડામાં દાખલ થયો. અરીસાની સામે સોક્રેટીસને ઊભેલા જોઈ એ હાસ્ય રોકી ના શક્યો.
ખડખડાટ હસવાના અવાજથી સોક્રેટીસનું ધ્યાન એ તરફ ગયું. શિષ્યને હસતા જોયો એટલે સોક્રેટીસે તેને કહ્યું, ‘તું શા માટે હસે છે એ મને ખબર છે ! સફેદ દાઢી, ટાલીયું માથું અને કરચલીવાળો ઘરડો ચહેરો હોવા છતાં હું અરીસામાં જોઉ છું એટલે તું હસે છે... કેમ બરાબર ને ? પણ કદાચ તું જાણતો નહિ હોય કે, આ કઈ આજની વાત નથી. હું તો દરરોજ ખાસ્સો એવો સમય આ જ રીતે અરીસા સામે ગાળું છું.’
થોડો વિચાર કરીને તે શિષ્યે સોક્રેટીસને પૂછ્યું, ‘ચહેરો જો સુંદર, રૂપાળો, મનમોહક હોય અને અરીસો જોઈએ તો કંઇક મજા આવે. માફ કરજો પણ.... આવો કુરૂપ ચહેરો જોઈને દુઃખી શા માટે થવું ?’
અર્થસભર સ્મિત કરીને સોક્રેટીસે કહ્યું કે, ‘બેટા, હું મારા આ કુબડા ચહેરાને દરરોજ અરીસામાં જોઉં છું. તેનાથી મને એ વાત સતત યાદ રહે છે કે મારું શરીર ગમે તેટલું કદરૂપું હોય પણ લોકો મને મારા કાર્યો અને વિચારોથી યાદ રાખે છે. તું ધારે તો તપાસ કરી શકે છે કે આ જેટલા પણ લોકો મને ચાહે છે, તેઓને ફક્ત મારા કાર્યોની સુંદરતાને કારણે, મારા ચહેરાને કારણે નહીં.’
થોડી અસમંજસમાં હોય તે રીતે પ્રતિભાવ આપતા શિષ્યએ પૂછ્યું, ‘તો પછી જે લોકો સુંદર હોય એણે શું સમજવું ?’
જીવનને જાણી ચૂકેલા સોક્રેટીસે પ્રેમથી શિષ્યને પ્રત્યુત્તર આપ્યો, ‘સુંદર દેખાવવાળા લોકોએ પણ દરરોજ અરીસામાં જોઇને એમ વિચારવું જોઈએ કે, ઈશ્વરે મારા પર દયા કરીને કેવી અદભુત સુંદરતા આપી છે. હું પ્રયત્નપૂર્વક એ વાતનું ધ્યાન રાખીશ કે એવું કોઈ ખરાબ કાર્ય મારાથી ન થઇ જાય કે જેને લીધે લોકો મારા આ સુંદર ચહેરાને ભૂલી જાય.’
મિત્રો, આપણો ચહેરો રૂપાળો હોય કે કુરૂપ હોય પરંતુ દરરોજ તેને અરીસામાં જોઇને મહાન સોક્રેટીસની આ વાતને ચોક્કસ યાદ કરજો.

No comments:

Post a Comment