Wednesday, 30 August 2017

शतम् जीव शरदः


વર્ષાની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. એને 'યમની દાઢ' પણ કહી છે .

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો 
  • ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે જમ્યા પછી સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને પાણી સાથે (ત્રણ કલાકથી વહેલી નહી, પછી જ).
  • જો ભાવે તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ-ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.
  • જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે-ત્રણ એલચી વાટીને ઉમેરી દેવી. પાચન સહેલુ થાશે. એવુ કોઇક જ હોય જેને સાકર-કેળા-ઘીનુ મિશ્રણ રોટલી સાથે ન ફાવે. 
  • ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ).
  • ભુલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.
  • ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. (ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - પરસેવો પડે)

 આપણામા એક આશિર્વાદ પ્રચલીત હતો - शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ. આપને પણ આ અને આવતી સો શરદ ઋતુમાં સ્વાસ્થ્ય લાભની શુભેચ્છા...

No comments:

Post a Comment