ઉદબોધન
મિત્રો, આજે વાતની શરૂઆત
એક નાનકડી વાર્તાથી કરીએ. સાંજના સમયે વગડામાંથી ગામમાં આવવાનો રસ્તો ધણમાંથી પાછી
વળતી ગાયોની ડોકે બાંધેલી ઘૂઘરીઓથી રણઝણી રહ્યો હતો. જીવનના સંગીતનો અનુભવી એક વ્યક્તિ
આ રસ્તે પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું તો એક મેલોઘેલો યુવાન કશા જ દેખીતા કારણ
વગર રસ્તાને કાંઠે બેસીને રડી રહ્યો હતો. તેણે યુવાનની પાસે જઈ, ખભે હાથ મુકીને
સ્નેહથી પૂછ્યું કે, ‘ભાઈ, કેમ રડે છે ? શું થયું ?’ પેલા યુવાને ઊંચું જોયું,
આંખોમાં આંસુ સાથે કહ્યું, ‘ગઈકાલે એક આંખે કાણો અને પગથી થોડો લંગડાતો મારો એક
મિત્ર આ રસ્તેથી પસાર થયો હતો. તેને આ જ રસ્તા પરથી એક હજાર રૂપિયા મળ્યા હતા. આજે
મેં બંને આંખો બરાબર ખુલ્લી રાખીને તેમજ લગભગ દસ-બાર વખત રસ્તાના આ છેડાથી પેલા
છેડા સુધી રઝળપાટ કરી, છતાં એક પણ રૂપિયો મને મળ્યો નહિ. હવે હું શું કરીશ ? હું કેટલો
અભાગીયો છું ? બસ આ વિચાર કરું છું ને રડવું આવે છે.’ આટલું કહી તે ફરીથી રડવા
લાગ્યો.
આ વાત પરથી આપણને પેલા
યુવાન પર હસવું આવે કે તેની પાસે તેના દિવ્યાંગ મિત્ર કરતા ખરેખર વધારે શારીરિક સંપત્તિ
હોવા છતાં તે નકારાત્મક વિચારને વળગી રડી રહ્યો હતો. વાર્તાની વાત તો અહી પૂરી થઇ.
પરંતુ વિચારીયે કે શું આપણે પણ તે રડતા યુવાન જેવા નથી બની રહ્યાં ? આટઆટલી
શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, સામાજીક, રાજનૈતિક, નૈસર્ગિક ઉપલબ્ધી હોવા છતાં
પણ આપણે અન્યોની સરખામણીએ વામણા હોવાનું દુઃખ ગાયે રાખીએ છીએ.

પ્રિય કલામ સાહેબ આગળ
લખે છે કે, ‘હું એક વખત તેલ-અવીવમાં ઈઝરાયલી ન્યુઝપેપર વાંચતો હતો. આગલા દિવસે
ત્રાસવાદીઓ દ્વારા ભયંકર બોંબમારો કરાયો હતો અને ભારે જાનહાની થઈ હતી. પરંતુ એ
ન્યુઝ પેપરના પહેલા પાના પર શું હતું એ ખબર છે...? ત્યાં એક યહૂદી સજ્જનનો
ફોટોગ્રાફ હતો કે જેમણે પોતાના મરુભૂમિ સમા ખેતરને પાંચ વર્ષમાં નંદનવન બનાવી
દીધું હતું. સૌને જાગૃત કરે તેવી આ પ્રેરણાદાયી તસવીર અને અહેવાલ પ્રથમ પાને હતા.
જ્યારે આગલા દિવસની દુર્ઘટના અને જાનહાનીના સમાચાર છેક અંદરના પાને સામાન્ય
ઘટનારૂપે હતા.’
મિત્રો, ઓગણીસમી સદીના
પ્રારંભે દેશમાં ધર્મ-સંપ્રદાયોના નામે પાખંડની નકારાત્મકતા વધી ગયેલી જણાઈ ત્યારે
આપણા ગુજરાતના જ એક નાનકડા ગામ ટંકારાથી ‘સત્યાર્થ પ્રકાશ’ રૂપે ફરી હકારાત્મકતાનો
ઉજાસ ફેલાયો હતો. આર્યસમાજના સ્થાપક અને વેદોનું પુન:સ્થાપન કરનાર યુગપુરૂષ સ્વામી
દયાનંદ સરસ્વતીના જન્મ જયંતી પ્રસંગે આપણે પણ ફક્ત
‘હકારાત્મકતાને જ હા’ કહેવાની ટેવ શા માટે ન પાડવી ?
રાષ્ટ્રને હકારાત્મક
વિકાસના રાજમાર્ગ પર લઇ જવા સમૃદ્ધ વિચારોની ખેતી કરવાની શુભકામનાઓ સાથે...
No comments:
Post a Comment