Thursday, 9 March 2017

આ સાત કારણોથી સફળ છે દક્ષિણ ગુજરાતનો ખેડૂત

છેલ્લા કેટલાક સમયથી મનમાં એક વિચાર ચાલતો હતો કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કૃષિકારોની સરખામણીએ ઐતિહાસિક ‘લાટ પ્રદેશ’ તરીકે જાણીતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ સમૃદ્ધ, સફળ છે તો તેનું કારણ શું છે ? જવાબ શોધવા માટે એક ઝડપી અને ઉપરછલ્લી દ્રષ્ટીએ જોઈએ તો જાની શકાય કે આ વિસ્તારમાં ફળદ્રુપ જમીન, અનુકૂળ હવામાન અને સતત વહેતી તાપી, નર્મદા, પૂર્ણા, અંબિકા નદી જેવા કૃષિ વિકાસના સહાયક પ્રાકૃતિક સંશાધનો કુદરતે છુટ્ટે હાથે આપ્યા છે. પણ વિગતે વિચાર કરીએ તો આપણે ચોક્કસ સમજી શકીએ કે માત્ર આટલું જ પુરતું ના હોય આવો અધ..ધ..ધ.. વિકાસ કરવા માટે ?
તો શું કારણ હોય શકે આ કૃષિ સફળતાનું... બસ આ જ પ્રશ્નનો જવાબ શોધવાના વિચારે મેં આયોજન કર્યું પૂરા એક અઠવાડીયાના દક્ષિણ ગુજરાતના પ્રવાસનું. દરરોજ નવા વિસ્તારોની મુલાકાત લેવી અને સ્થાનિકો સાથે વાતો કરવાનો ક્રમ બનાવ્યો. એક સમય હતો કે જ્યારે આ વિસ્તાર ઘણો જ પછાત હતો. તો એવું શું બન્યું કે સફળતા અહીની રહેવાસી બની ગઈ ? મનમાં ઘુમરાતા પ્રશ્નનું હવે આવી બનવાનું હતું ! કેમકે, પ્રથમ દિવસથી જ કબાલે (હપ્તે-હપ્તે) જવાબ મળવાનું શરૂ થઇ ગયું. સાઉથ ગુજરાતના ખેડૂતોની સફળતાના સૂત્રો પૈકી એક પછી એક સૂત્ર સામે આવવા લાગ્યું.
v  સૌથી પહેલું આવ્યું શિક્ષણ : અહી લોકોમાં શિક્ષણ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા. નવસારી કૃષિ યુનીવર્સીટીમાં સેવા બજાવતા પ્રાધ્યાપક અને જાતે ખેડૂત એવા ડો. મૃગેશ ખુંટ જણાવે છે કે, ‘બાળકો અને ખાસ કરીને યુવાન-યુવતીઓ ભલે તે પછી ખેતી કરતા હોય પણ શિક્ષણ લેવામાં મોખરે. અહી નવસારી કૃષિ યુનીવર્સીટી સહીતના વિદ્યા સંકુલો બુનિયાદી શિક્ષા પર પણ એટલો જ ભાર આપે છે.’
v  બીજું કારણ મળ્યું શિસ્ત કે સમય પાલન. કોઈ ખેડૂતલક્ષી મીટીંગ કે સેમીનાર હોય અથવા તો કોઈને આપેલ સમય હોય... અહીના લોકો સમયે હાજર થઇ જ જાય. કારણ વિનાની ખોટી વાતો કે ચર્ચા કરવામાં સમય બગાડવાને બદલે સીધા મુદ્દાની વાત પર જવાનું અહીના લોકોના લોહીમાં વણાઈ ગયું છે. સામાજીક અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ (સેવણી) કહે છે કે, ‘જો કોઈ અમારા સમયનો બગાડ કરે તો તેને તુરંત સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દેતા અમને જરા પણ વાર ન લાગે’ મિત્રો, એટલે જ કદાચ કહેવત પડી હશે કે ‘તમે સમયને સાચવો તો સમય તમને સાચવે.’
v  ત્રીજું કારણ મળ્યું સહકાર : આમ તો સહકારી ક્ષેત્ર આખા ગુજરાતમાં ખૂબ જ વિસ્તર્યું છે. પરંતુ આ વિસ્તારમાં સહકારી ક્ષેત્રને હજુ રાજકારણ નો એરૂ આભાડ્યો નથી. અથવા એમ પણ કહી શકાય કે અહીના લોકોએ સહકાર અને રાજકારણને ખરેખર અલગ જ રાખ્યા છે. અહીની સહકારી સંસ્થાઓ પર સ્થાનિક લોકોનો વિશ્વાસ તો નજરે નિહાળીએ તો જ ખબર પડે. ઓલપાડ ખાતે પુરુષોત્તમ ફાર્મસ ખાતે મળેલા સહકારી અગ્રણી જયંતીભાઈ નારણભાઈ પટેલ કહે છે કે, ‘અહીના લોકોને સહકારી પ્રવૃત્તિ પર એટલો વિશ્વાસ છે કે જ્યાં સુધી કોઈ ચીજ-વસ્તુ સહકારી મંડળીમાં મળતી હોય ત્યાં સુધી ખુલ્લા બજારમાં ક્યારેય લેવા જતા નથી.’ અને મેં પણ જોયું છે કે અહીના ગામડાઓમાં કરિયાણાની દુકાનો તો સાવ નહીવત છે. સારી ગુણવત્તાવાળો દરેક માલ-સામાન જ્યારે મંડળીમાંથી સસ્તા દરે મળી રહે તો બજાર ફરવા કોણ જાય.
v  ચોથું કારણ મળ્યું સ્વીકાર : આ વિસ્તારના ખેડૂતોની પ્રગતિનું એક કારણ છે કોઈ પણ નવી વસ્તુનો સ્વીકાર કરવો. અગાઉ કપાસનો વાવેતર વિસ્તાર ગણાતા આ પ્રદેશે સમયાંતરે શેરડી, ડાંગર, શાકભાજી અને ફૂલોની ખેતી સ્વીકારવામાં જરાપણ વાર લગાડી નહોતી. કૃષિ સામગ્રીના વેપારી અગ્રણી સન્મુખભાઈ કહે છે કે, ‘અહીનો ખેડૂત દરેક નવી વાત નો સ્વીકાર કરવા તૈયાર રહે છે. ચાહે તે નવીન ખેતી પાક કે ખેતી પદ્ધતિ હોય, ચાહે નવીન ખેતી સંલગ્ન ખાતર, બિયારણ જેવી સામગ્રી હોય કે નવા ખેત ઓજાર કે મશીનરી હોય.’ પણ હા, જો આ ખેડૂતોને એમ લાગે કે કોઈ વસ્તુ નકામી થઇ ગઈ છે તો તેને હટાવી તેની જગ્યાએ અન્ય નવીન વસ્તુ પણ એટલી જ સરળતાથી અપનાવી લે છે.
v  પાંચમું કારણ મળ્યું સંબંધ : આ વિસ્તારમાં આડોશ-પાડોશથી માંડીને આખા વિસ્તારમાં એકબીજા સાથે સારા સંબંધો વિકસાવવાનો જાણે કે એક શોખ છે. ઓળખીતા લોકોના ઘેર લગ્ન કે તેના જેવા અન્ય પ્રસંગોએ હાજરી આપવા માટે કોઈ જ બાંધછોડ નહિ કરવાની. સાથે મળીને પ્રસંગ ઉજવવો અહીની ખાસિયત છે. ત્રણ દાયકાથી એગ્રો ઈનપુટનો બીઝનેસ કરતા ધનસુખભાઈ કહે છે કે, ‘અહી ખેડૂત અને વેપારીઓ વચ્ચે સાવ અંગત સંબંધો હોય છે. ક્યારેય કોઈ વેપારી ખેડૂતને બીનજરૂરી ચીજ-વસ્તુ વેંચતો નથી. તો સામે ખેડૂત પણ વેપારીની રકમ ક્યારેય ઓળવી જવાનું વિચારતો નથી.’ મિત્રો, જ્યાં ખેડૂતો અને વેપારીઓ એકબીજાના હિતોની કાળજી લેતા હોય ત્યાં સફળતા ન મળે તો જ નવાઈ ગણાવી રહી.
v  છઠું કારણ એ અહીની સ્ત્રી શક્તિ : ખેતીના દરેક કાર્યમાં સ્ત્રીઓનું યોગદાન પુરુષો કરતા જરાપણ ઓછું નહિ. ખેતમજૂરોના હિસાબ-કિતાબ કે ખેતી ખર્ચનું વાર્ષિક બજેટ બનાવવાની વાત હોય અહીની મહિલાઓ સદા તત્પર હોય છે. આ બહેનો એગ્રો સેન્ટર પર જઈને કૃષિ સામગ્રી લેવાની વાત આવે ત્યારે જે-તે ચીજ વસ્તુ અને તેના ઉપયોગ તેમજ પરિણામો વિષે પૂરેપૂરું સમજ્યા કે જાણ્યા વિના કોઈ વસ્તુની ખરીદી કરતી નથી. કોઈપણ ખરીદીમાં કાળજી લેવાનું આમેય સ્ત્રીઓ જેટલું બીજું પાવરધું કોણ હોય.
v  સાતમું કારણ સુપ્રચાર : મેં અન્ય ઘણી જગ્યાએ જોયું છે કે કોઈ સારૂ ખાતર-દવા-બિયારણ કે ઉત્તમ ચીજવસ્તુ જો કોઈ ખેડૂતના હાથમાં આવે તો તે પોતાનો પાડોશી ખેડૂત જાણી ન જાય તેવા કારસા કરે છે. મારી યાત્રાના છેલ્લા દિવસે સાતમું કારણ પણ મળી ગયું કે અહીનો ખેડૂત ગમતાનો ગુલાલ કરવામાં આનંદ અનુભવે છે. પોતાને લાભ અપાવનાર ચીજ-વસ્તુની આગ્રહપૂર્વક પોતાના પાડોશી કે અન્ય ખેડૂત પણ અપનાવીને લાભ મેળવે તેવો સુપ્રચાર પણ કરે છે.

સાત દિવસના આ દક્ષિણ ગુજરાત પ્રવાસમાંથી શિક્ષણ, સમયપાલન, સહકાર, સ્વીકાર, સંબંધ, સ્ત્રી શક્તિ અને સુપ્રચાર જેવા આ સાત સકારાત્મક રત્નો મળ્યા કે જે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સફળ ગાથા લખે છે. આ સાતેય કારણો દેશના દરેક ખેડૂતોએ અપનાવવા જેવા છે હો.

No comments:

Post a Comment