Thursday, 9 March 2017

મહિલા મહિમા


મિત્રો, આપણી પરંપરામાં સ્ત્રીને શક્તિ, શ્રદ્ધા, સભ્યતા અને સંસ્કૃતિનું સ્વરૂપ ગણીને વંદન કરવામાં આવે છે. વેદકાલીન અને પૌરાણિક સમયમાં નારીપ્રધાન ગૃહ વહીવટ કે રાજ્ય સંચાલન વ્યવસ્થા હોવાના અનેકો ઉદાહરણો જોવા મળે છે. જેમ વિધાત્રી, સરસ્વતી, લક્ષ્મી, શક્તિ, અન્નપૂર્ણા, ગંગા, કાલિકા, મોહિની વગેરે નારી પાત્રો વગર શાસ્ત્રો અધૂરા છે, જેમ માતા, બહેન, પત્ની, પુત્રી વગર ઘર અધૂરું છે, તેવી જ રીતે આપણે સૌએ સાંભળ્યું કે કહ્યું પણ હશે કે મહિલાઓ વિના ખેતી પણ અધૂરી છે. પુરુષો તો સવારે વાડી-ખેતરે જાય અને સાંજે પાછા આવે એટલે એમનું કામ પૂરું મનાય. પણ બહેનો માટે તો શું સવાર કે શું સાંજ... તેમનું ખેતીકાર્ય તો ચાલુ જ રહે. અને આ કારણે જ તેને ‘માતા’ની પદવી અપાય છે. એક સેમ્પલ સર્વે અનુસાર ૩૦૦૦ માંથી ૨૬૮૫ (૮૯.૫%) કિસ્સામાં જમીન માલિકી પુરુષો પાસે અને માત્ર ૧૦.૫% જમીન માલિકી મહિલાઓ પાસે હોવા છતાં પણ ખેતીમાં મહિલાઓની કૃષિકાર્યોમાં ૬૮% ભાગીદારી નોંધાયેલ છે. 
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સ્ત્રીઓ માત્ર હૃદયથી વિચારે છે અને લાગણીમાં જ જીવે છે. પરંતુ આજની સ્ત્રી શક્તિ કોઈની લલચામણી વાતોમાં આવી ફસાય જાય તેવી શક્યતાઓ ઘણી ઘટી ગઈ છે. આજે નારી શિક્ષિત છે, વિચારશીલ છે, સજાગ છે. તેથી જ તો દરેક ક્ષેત્રમાં આગળને આગળ વધી રહી છે. વિશ્વમાં સંશોધન, શિક્ષણ, સત્તા, સૈન્ય સહીત દરેક જગ્યાએ મહિલાઓ પોતાના બુદ્ધિ કૌશલ્યથી માત્ર પુરુષની સમોવડી નહિ પરંતુ એક કદમ આગળ જોવા મળે છે. કોમ્પ્યુટર કે મશીનગન ચલાવતી નારી બાળ ઉછેર કે ગૃહ સંચાલનમાં પણ પાછળ નથી રહી. મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ‘અમૂલ’ તો આપણી આંખ સામે જ છે.
આજે યુવતીઓના વેવિશાળ કે લગ્ન સંબંધોની વાત આવે ત્યારે ખેતીકામ કરતા યુવાનોને અછૂત ગણવાનો ધારો ચાલી રહ્યો છે. માત્ર નોકરી કે અન્ય કોઈ ‘વ્હાઈટ કોલર’ વ્યવસાય કરતા યુવાનોને અગ્રતા આપવાના આ રિવાજને અટકાવવા માટે આજની મહિલાઓએ જ આગળ આવવું પડશે. ભલે આકાશી રોજી ગણાતી હોય પણ ખેતી એ કુદરત સાથે જોડી રાખતી કાયમી રોજગારી છે. આ મુખ્ય મુદ્દાને ધ્યાને લઈને ખેતીમાં નવા પ્રયોગો કરવા ઈચ્છતી યુવાન બહેનો ખેડૂત જીવનસાથી પસંદ કરવામાં પોતાના વાલી પાસે થોડી જીદ પણ કરે તો સર્વથા આવકાર્ય છે. પોતાના સંતાનોને કૃષિ અને પર્યાવરણ સાથે જોડાવાનું કામ સો શિક્ષક કરતા પણ વધુ મહાન ગણાતી સ્ત્રીઓ જ કરી શકે છે,
રાષ્ટ્રને ખરા અર્થમાં હરિયાળા વિકાસના માર્ગ પર લઇ જવા માટે જ્યારે મહિલાઓ આગળ આવશે ત્યારે જ ખરા અર્થમાં ખેતી સમૃદ્ધ થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ) અને રંગપર્વ ધૂળેટી (૧૩ માર્ચ) ની શુભકામનાઓ સાથે....

હકારાત્મકતા ને હા...

ઉદબોધન

મિત્રો, આજે વાતની શરૂઆત એક નાનકડી વાર્તાથી કરીએ. સાંજના સમયે વગડામાંથી ગામમાં આવવાનો રસ્તો ધણમાંથી પાછી વળતી ગાયોની ડોકે બાંધેલી ઘૂઘરીઓથી રણઝણી રહ્યો હતો. જીવનના સંગીતનો અનુભવી એક વ્યક્તિ આ રસ્તે પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું તો એક મેલોઘેલો યુવાન કશા જ દેખીતા કારણ વગર રસ્તાને કાંઠે બેસીને રડી રહ્યો હતો. તેણે યુવાનની પાસે જઈ, ખભે હાથ મુકીને સ્નેહથી પૂછ્યું કે, ‘ભાઈ, કેમ રડે છે ? શું થયું ?’ પેલા યુવાને ઊંચું જોયું, આંખોમાં આંસુ સાથે કહ્યું, ‘ગઈકાલે એક આંખે કાણો અને પગથી થોડો લંગડાતો મારો એક મિત્ર આ રસ્તેથી પસાર થયો હતો. તેને આ જ રસ્તા પરથી એક હજાર રૂપિયા મળ્યા હતા. આજે મેં બંને આંખો બરાબર ખુલ્લી રાખીને તેમજ લગભગ દસ-બાર વખત રસ્તાના આ છેડાથી પેલા છેડા સુધી રઝળપાટ કરી, છતાં એક પણ રૂપિયો મને મળ્યો નહિ. હવે હું શું કરીશ ? હું કેટલો અભાગીયો છું ? બસ આ વિચાર કરું છું ને રડવું આવે છે.’ આટલું કહી તે ફરીથી રડવા લાગ્યો.
આ વાત પરથી આપણને પેલા યુવાન પર હસવું આવે કે તેની પાસે તેના દિવ્યાંગ મિત્ર કરતા ખરેખર વધારે શારીરિક સંપત્તિ હોવા છતાં તે નકારાત્મક વિચારને વળગી રડી રહ્યો હતો. વાર્તાની વાત તો અહી પૂરી થઇ. પરંતુ વિચારીયે કે શું આપણે પણ તે રડતા યુવાન જેવા નથી બની રહ્યાં ? આટઆટલી શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, સામાજીક, રાજનૈતિક, નૈસર્ગિક ઉપલબ્ધી હોવા છતાં પણ આપણે અન્યોની સરખામણીએ વામણા હોવાનું દુઃખ ગાયે રાખીએ છીએ.
મને ગમતા મહાનુભાવોમાં પણ પ્રિય એવા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબના આપણા રાષ્ટ્ર વિશે કહેલા શબ્દો યાદ આવે કે, ‘આપણે આટલા નકારાત્મક શા માટે ? આપણી શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ અને શક્તિઓને ઓળખવામાં આપણે શા માટે ઊણા ઉતરીએ છીએ ? આપણી પાસે અસંખ્ય આશ્ચર્યચકિત કરી દેનારી સફળતાઓની હારમાળા છે. પરંતુ આપણે તેનો સ્વીકાર કરતા નથી. શા માટે ?’ તેમણે કેટલાક ઉદાહરણ પણ આપ્યા હતા... આપણે દૂધ ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં મોખરે છીએ... આપણે રીમોટ સંચાલિત ઉપગ્રહો તૈયાર કરવામાં મોખરે છીએ... આપણે વૈશ્વિક કક્ષાએ ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં બીજા સ્થાને છીએ... આવી તો અગણિત ઉપલબ્ધિઓ આપણી પાસે છે. પરંતુ તે છતાં આપણાં પ્રસાર માધ્યમો માત્ર દુર્ઘટના, માઠાં સમાચારો, નિષ્ફળતા અને કૌભાંડોના પ્રસારણમાં જ રચ્યા પચ્યા રહે છે. અને તેના લીધે દેશના કોઈ ખૂણે વસતા માણસમાં નકારાત્મકતા વધી રહી છે.
પ્રિય કલામ સાહેબ આગળ લખે છે કે, ‘હું એક વખત તેલ-અવીવમાં ઈઝરાયલી ન્યુઝપેપર વાંચતો હતો. આગલા દિવસે ત્રાસવાદીઓ દ્વારા ભયંકર બોંબમારો કરાયો હતો અને ભારે જાનહાની થઈ હતી. પરંતુ એ ન્યુઝ પેપરના પહેલા પાના પર શું હતું એ ખબર છે...? ત્યાં એક યહૂદી સજ્જનનો ફોટોગ્રાફ હતો કે જેમણે પોતાના મરુભૂમિ સમા ખેતરને પાંચ વર્ષમાં નંદનવન બનાવી દીધું હતું. સૌને જાગૃત કરે તેવી આ પ્રેરણાદાયી તસવીર અને અહેવાલ પ્રથમ પાને હતા. જ્યારે આગલા દિવસની દુર્ઘટના અને જાનહાનીના સમાચાર છેક અંદરના પાને સામાન્ય ઘટનારૂપે હતા.’
મિત્રો, ઓગણીસમી સદીના પ્રારંભે દેશમાં ધર્મ-સંપ્રદાયોના નામે પાખંડની નકારાત્મકતા વધી ગયેલી જણાઈ ત્યારે આપણા ગુજરાતના જ એક નાનકડા ગામ ટંકારાથી ‘સત્યાર્થ પ્રકાશ’ રૂપે ફરી હકારાત્મકતાનો ઉજાસ ફેલાયો હતો. આર્યસમાજના સ્થાપક અને વેદોનું પુન:સ્થાપન કરનાર યુગપુરૂષ સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ જયંતી પ્રસંગે આપણે પણ ફક્ત ‘હકારાત્મકતાને જ હા’ કહેવાની ટેવ શા માટે ન પાડવી ?
રાષ્ટ્રને હકારાત્મક વિકાસના રાજમાર્ગ પર લઇ જવા સમૃદ્ધ વિચારોની ખેતી કરવાની શુભકામનાઓ સાથે...

આ સાત કારણોથી સફળ છે દક્ષિણ ગુજરાતનો ખેડૂત

છેલ્લા કેટલાક સમયથી મનમાં એક વિચાર ચાલતો હતો કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કૃષિકારોની સરખામણીએ ઐતિહાસિક ‘લાટ પ્રદેશ’ તરીકે જાણીતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ સમૃદ્ધ, સફળ છે તો તેનું કારણ શું છે ? જવાબ શોધવા માટે એક ઝડપી અને ઉપરછલ્લી દ્રષ્ટીએ જોઈએ તો જાની શકાય કે આ વિસ્તારમાં ફળદ્રુપ જમીન, અનુકૂળ હવામાન અને સતત વહેતી તાપી, નર્મદા, પૂર્ણા, અંબિકા નદી જેવા કૃષિ વિકાસના સહાયક પ્રાકૃતિક સંશાધનો કુદરતે છુટ્ટે હાથે આપ્યા છે. પણ વિગતે વિચાર કરીએ તો આપણે ચોક્કસ સમજી શકીએ કે માત્ર આટલું જ પુરતું ના હોય આવો અધ..ધ..ધ.. વિકાસ કરવા માટે ?
તો શું કારણ હોય શકે આ કૃષિ સફળતાનું... બસ આ જ પ્રશ્નનો જવાબ શોધવાના વિચારે મેં આયોજન કર્યું પૂરા એક અઠવાડીયાના દક્ષિણ ગુજરાતના પ્રવાસનું. દરરોજ નવા વિસ્તારોની મુલાકાત લેવી અને સ્થાનિકો સાથે વાતો કરવાનો ક્રમ બનાવ્યો. એક સમય હતો કે જ્યારે આ વિસ્તાર ઘણો જ પછાત હતો. તો એવું શું બન્યું કે સફળતા અહીની રહેવાસી બની ગઈ ? મનમાં ઘુમરાતા પ્રશ્નનું હવે આવી બનવાનું હતું ! કેમકે, પ્રથમ દિવસથી જ કબાલે (હપ્તે-હપ્તે) જવાબ મળવાનું શરૂ થઇ ગયું. સાઉથ ગુજરાતના ખેડૂતોની સફળતાના સૂત્રો પૈકી એક પછી એક સૂત્ર સામે આવવા લાગ્યું.
v  સૌથી પહેલું આવ્યું શિક્ષણ : અહી લોકોમાં શિક્ષણ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા. નવસારી કૃષિ યુનીવર્સીટીમાં સેવા બજાવતા પ્રાધ્યાપક અને જાતે ખેડૂત એવા ડો. મૃગેશ ખુંટ જણાવે છે કે, ‘બાળકો અને ખાસ કરીને યુવાન-યુવતીઓ ભલે તે પછી ખેતી કરતા હોય પણ શિક્ષણ લેવામાં મોખરે. અહી નવસારી કૃષિ યુનીવર્સીટી સહીતના વિદ્યા સંકુલો બુનિયાદી શિક્ષા પર પણ એટલો જ ભાર આપે છે.’
v  બીજું કારણ મળ્યું શિસ્ત કે સમય પાલન. કોઈ ખેડૂતલક્ષી મીટીંગ કે સેમીનાર હોય અથવા તો કોઈને આપેલ સમય હોય... અહીના લોકો સમયે હાજર થઇ જ જાય. કારણ વિનાની ખોટી વાતો કે ચર્ચા કરવામાં સમય બગાડવાને બદલે સીધા મુદ્દાની વાત પર જવાનું અહીના લોકોના લોહીમાં વણાઈ ગયું છે. સામાજીક અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ (સેવણી) કહે છે કે, ‘જો કોઈ અમારા સમયનો બગાડ કરે તો તેને તુરંત સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દેતા અમને જરા પણ વાર ન લાગે’ મિત્રો, એટલે જ કદાચ કહેવત પડી હશે કે ‘તમે સમયને સાચવો તો સમય તમને સાચવે.’
v  ત્રીજું કારણ મળ્યું સહકાર : આમ તો સહકારી ક્ષેત્ર આખા ગુજરાતમાં ખૂબ જ વિસ્તર્યું છે. પરંતુ આ વિસ્તારમાં સહકારી ક્ષેત્રને હજુ રાજકારણ નો એરૂ આભાડ્યો નથી. અથવા એમ પણ કહી શકાય કે અહીના લોકોએ સહકાર અને રાજકારણને ખરેખર અલગ જ રાખ્યા છે. અહીની સહકારી સંસ્થાઓ પર સ્થાનિક લોકોનો વિશ્વાસ તો નજરે નિહાળીએ તો જ ખબર પડે. ઓલપાડ ખાતે પુરુષોત્તમ ફાર્મસ ખાતે મળેલા સહકારી અગ્રણી જયંતીભાઈ નારણભાઈ પટેલ કહે છે કે, ‘અહીના લોકોને સહકારી પ્રવૃત્તિ પર એટલો વિશ્વાસ છે કે જ્યાં સુધી કોઈ ચીજ-વસ્તુ સહકારી મંડળીમાં મળતી હોય ત્યાં સુધી ખુલ્લા બજારમાં ક્યારેય લેવા જતા નથી.’ અને મેં પણ જોયું છે કે અહીના ગામડાઓમાં કરિયાણાની દુકાનો તો સાવ નહીવત છે. સારી ગુણવત્તાવાળો દરેક માલ-સામાન જ્યારે મંડળીમાંથી સસ્તા દરે મળી રહે તો બજાર ફરવા કોણ જાય.
v  ચોથું કારણ મળ્યું સ્વીકાર : આ વિસ્તારના ખેડૂતોની પ્રગતિનું એક કારણ છે કોઈ પણ નવી વસ્તુનો સ્વીકાર કરવો. અગાઉ કપાસનો વાવેતર વિસ્તાર ગણાતા આ પ્રદેશે સમયાંતરે શેરડી, ડાંગર, શાકભાજી અને ફૂલોની ખેતી સ્વીકારવામાં જરાપણ વાર લગાડી નહોતી. કૃષિ સામગ્રીના વેપારી અગ્રણી સન્મુખભાઈ કહે છે કે, ‘અહીનો ખેડૂત દરેક નવી વાત નો સ્વીકાર કરવા તૈયાર રહે છે. ચાહે તે નવીન ખેતી પાક કે ખેતી પદ્ધતિ હોય, ચાહે નવીન ખેતી સંલગ્ન ખાતર, બિયારણ જેવી સામગ્રી હોય કે નવા ખેત ઓજાર કે મશીનરી હોય.’ પણ હા, જો આ ખેડૂતોને એમ લાગે કે કોઈ વસ્તુ નકામી થઇ ગઈ છે તો તેને હટાવી તેની જગ્યાએ અન્ય નવીન વસ્તુ પણ એટલી જ સરળતાથી અપનાવી લે છે.
v  પાંચમું કારણ મળ્યું સંબંધ : આ વિસ્તારમાં આડોશ-પાડોશથી માંડીને આખા વિસ્તારમાં એકબીજા સાથે સારા સંબંધો વિકસાવવાનો જાણે કે એક શોખ છે. ઓળખીતા લોકોના ઘેર લગ્ન કે તેના જેવા અન્ય પ્રસંગોએ હાજરી આપવા માટે કોઈ જ બાંધછોડ નહિ કરવાની. સાથે મળીને પ્રસંગ ઉજવવો અહીની ખાસિયત છે. ત્રણ દાયકાથી એગ્રો ઈનપુટનો બીઝનેસ કરતા ધનસુખભાઈ કહે છે કે, ‘અહી ખેડૂત અને વેપારીઓ વચ્ચે સાવ અંગત સંબંધો હોય છે. ક્યારેય કોઈ વેપારી ખેડૂતને બીનજરૂરી ચીજ-વસ્તુ વેંચતો નથી. તો સામે ખેડૂત પણ વેપારીની રકમ ક્યારેય ઓળવી જવાનું વિચારતો નથી.’ મિત્રો, જ્યાં ખેડૂતો અને વેપારીઓ એકબીજાના હિતોની કાળજી લેતા હોય ત્યાં સફળતા ન મળે તો જ નવાઈ ગણાવી રહી.
v  છઠું કારણ એ અહીની સ્ત્રી શક્તિ : ખેતીના દરેક કાર્યમાં સ્ત્રીઓનું યોગદાન પુરુષો કરતા જરાપણ ઓછું નહિ. ખેતમજૂરોના હિસાબ-કિતાબ કે ખેતી ખર્ચનું વાર્ષિક બજેટ બનાવવાની વાત હોય અહીની મહિલાઓ સદા તત્પર હોય છે. આ બહેનો એગ્રો સેન્ટર પર જઈને કૃષિ સામગ્રી લેવાની વાત આવે ત્યારે જે-તે ચીજ વસ્તુ અને તેના ઉપયોગ તેમજ પરિણામો વિષે પૂરેપૂરું સમજ્યા કે જાણ્યા વિના કોઈ વસ્તુની ખરીદી કરતી નથી. કોઈપણ ખરીદીમાં કાળજી લેવાનું આમેય સ્ત્રીઓ જેટલું બીજું પાવરધું કોણ હોય.
v  સાતમું કારણ સુપ્રચાર : મેં અન્ય ઘણી જગ્યાએ જોયું છે કે કોઈ સારૂ ખાતર-દવા-બિયારણ કે ઉત્તમ ચીજવસ્તુ જો કોઈ ખેડૂતના હાથમાં આવે તો તે પોતાનો પાડોશી ખેડૂત જાણી ન જાય તેવા કારસા કરે છે. મારી યાત્રાના છેલ્લા દિવસે સાતમું કારણ પણ મળી ગયું કે અહીનો ખેડૂત ગમતાનો ગુલાલ કરવામાં આનંદ અનુભવે છે. પોતાને લાભ અપાવનાર ચીજ-વસ્તુની આગ્રહપૂર્વક પોતાના પાડોશી કે અન્ય ખેડૂત પણ અપનાવીને લાભ મેળવે તેવો સુપ્રચાર પણ કરે છે.

સાત દિવસના આ દક્ષિણ ગુજરાત પ્રવાસમાંથી શિક્ષણ, સમયપાલન, સહકાર, સ્વીકાર, સંબંધ, સ્ત્રી શક્તિ અને સુપ્રચાર જેવા આ સાત સકારાત્મક રત્નો મળ્યા કે જે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સફળ ગાથા લખે છે. આ સાતેય કારણો દેશના દરેક ખેડૂતોએ અપનાવવા જેવા છે હો.