Friday, 14 October 2016

અમારી ઊર્જા

અમારી ઊર્જા
મિત્રો, કુદરતનો એક સાવ જ અચરજ પમાડે તેવો એક સિદ્ધાંત છે. કે જે કાર્યમાં આપણને આંતરિક આનંદ મળતો હોય તે જ કાર્ય કરવાથી આપણને અંદરનું બળ અને જીવંત ઊર્જા પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છીએ કે સતત દોડાદોડી કરતું બાળક ક્યારેય થાકતું નથી. એનું કારણ એ છે કે આવી દોડાદોડીમાંથી તેને મળતો આનંદ જ શક્તિમાં રૂપાંતરીત થાય છે. મનને જીવનરસથી તરબતર કરી દે તેવો આનંદ મેળવવા માટે જો લોકો પોતાની રોજિંદી જિંદગીનો થોડો હિસ્સો પણ જે લોકો ગમતી પ્રવૃત્તિ પાછળ ગાળે છે તે લોકો માટે બાકીનો હિસ્સો અણગમતો હોય તો પણ તેના માટે જરૂરી ઊર્જાની ખોટ ક્યારેય સાલતી નથી.
જોકે ઘણીવાર એવું પણ બને કે આનંદ મળે તેવી પ્રવૃત્તિ કરવાને બદલે સંજોગો જ એવા ઊભા થાય કે આપણી પસંદગીના વિષય કરતાં અલગ કે વિપરીત પ્રવૃત્તિ કરવાની ફરજ પડે. આ સમયે મનગમતી પ્રવૃત્તિ કરવાને બદલે જે છે તેને મનગમતું કરવાથી જીવન ઉર્જાથી તરવરતું ચેતનમય જીવન શક્ય બને.
હવે ઉપરોક્ત અનુસંધાને કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો અમુક છુટાછવાયાં વિસ્તારોને બાદ કરતા છેલ્લા બે વર્ષની માફક આ વરસે પણ હજુ સુધી જોઈએ તેવી મેઘા મહેર આપણા રાજ્ય પર થઇ નથી. ગમતી અને અણગમતી પરિસ્થિતિમાં પણ ‘થાકે હારે ઈ બીજા... ખેડૂત નહિ.’ એ મુજબ રાજ્યના વરસાદની કમીથી અસરગ્રસ્ત વિસ્તારોના ખડતલ ખેડૂતોએ પોતાના આયોજનોમાં પરિવર્તન કરીને કપાસ-મગફળી સહિતના મુખ્ય પાકોની જગ્યાએ ઓછા પાણીથી પાકતા કઠોળ પાકો તેમજ પશુધનને નીભાવવા માટે ઘાસચારાના પાકો વાવવાનું ગોઠવી લીધું છે.
આવા હકારાત્મક ઉર્જાસભર ખેડૂતોના વિકાસ માટે પ્રજ્જવલિત કૃષિ જ્ઞાનયજ્ઞમાં યથાશક્તિ આહુતિ આપવા માટે જી-વીન ગૃપ દ્વારા શરૂ થયેલ ‘સમૃદ્ધ ખેતી’ને આ માસથી ચોથું વરસ બેસી રહ્યું છે. શરૂઆતથી લઈને આજ સુધી અમારી ઊર્જા બનીને સમૃદ્ધ ખેતીને કૃષિ પ્રકાશનક્ષેત્રે ઉન્નત સ્થાન અપાવનાર દરેક ખેડૂત વાચકો, લેખકો, એજન્ટ મિત્રો તથા વિવિધ સ્વરૂપે સહાયક તમામ નામી-અનામી વ્યક્તિઓનો હૃદયથી આભાર.
મિત્રો, ત્રણ વર્ષની કૃષિ યાત્રા બાદ ચોથા વર્ષમાં હરિયાળો પ્રવેશ કરી રહેલ સમૃદ્ધ ખેતી અંગે કૃષિ ક્ષેત્રે કાર્યરત ખેડૂત હિમાયતી મહાનુભાવોના વિચારો, મંતવ્યો, સૂચનો એકત્ર કરવાનો અમે પ્રયાસ કર્યો. અને પરિણામ સ્વરૂપે અમને અમૂલ્ય રત્નકણિકાઓનો દુર્લભ પટારો પ્રાપ્ત થયો. 

ચાલો, આ મંતવ્ય અને સૂચનરૂપી રત્નોના ઉજાસમાં રાષ્ટ્રના હરિયાળા વિકાસ માટે સમૃદ્ધ ખેતી તરફ અગ્ર પ્રવાસ કરીએ.

સહુના ભેરૂડાં

મિત્રો, માનવ એ લાગણીઓનું મૂર્ત સ્વરૂપ છે. જયારે તેના જીવનમાં દુઃખની એવી કોઈ ક્ષણો કે મુસીબતોનો માર પડે છે, ત્યારે તેને સધિયારો આપવા માટે માતા-પિતા, સ્વજનો કે પરિવારનો સહારો મળે છે. ઘણી વખત પરિવારના સાથ-સહકારથી પણ કોઈ પ્રશ્ન ન ઉકેલાતો ન હોય અથવા તો વ્યક્તિ પોતાની મુશ્કેલીઓ અંગે કોઈને કશું જણાવે નહિ અને બસ અંદર અંદર ઘૂંટાયા કરતો હોય છે. ત્યારે એક એવું પાત્ર તેને દુખ, તકલીફ, મુસીબતો સામે લડવાની પ્રેરણા અને મદદ કરે છે, જેને જગત મિત્ર તરીકે ઓળખે છે. દુનિયા સામે લડતા લડતા બસ હારી જવાની કે તૂટી જવાની અણી પર માણસ હોય ત્યારે તેને મળેલો એક સાચા મિત્રનો સધિયારો ફરી જીવી જવાનું અને ફરી ઝઝૂમવાનું પ્રેરક બળ આપી જાય છે. મિત્રનો ખભો જગતનું સૌથી સુરક્ષિત સ્થાન હોય છે કે જ્યાં આપણી લાગણીઓ સલામત રીતે સચવાય રહે છે.

માણસને મળતો પારિવારિક સંબંધોનો વારસો તેના હાથની કે પસંદગીની બાબત નથી. પરંતુ મિત્રતા એ સંપૂર્ણ રીતે પોતાની જ પસંદગી હોય છે. મારા-તમારા, આપણા સહુનો એ જાતઅનુભવ છે કે બે મિત્રો જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ કાચ જેવો પારદર્શક હોય છે. માણસમાત્રનું અભેદ હૃદય તેના દોસ્ત સામે સહજ રીતે જ ખુલ્લું થઇ જતું હોય છે. ઘણી વખત આપણ આ તારું કામ નહીં, તું આ ન કરી શકે….’ એમ કહીને આપણને આપણા કરતા વધારે ઓળખાતો આપણો ભેરું આપણી પાસે આપણી પોતે ધારી લીધેલી ક્ષમતાની ઉપરવટના કાર્યો કરાવી લે છે. અને એ વખતે આપણે પણ બમણા વેગથી કામ કરી અણધારી સફળતા કે વિજય પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પ્રસિદ્ધ ગુજરાતી શાયર ‘મરીઝ’તો ત્યાં સુધી કહે છે કે જો ભગવાન શક્તિ આપે તો હું બધાનું ઋણ ચૂકવી દઉં, પરંતુ મિત્રતાનું કરજ કેમે કરી ન ચૂકવાય !

મિત્રો, આપને લાગશે કે આજે સાવ કોઈ વાર-તહેવાર વગર મિત્રતાનો વિષય ક્યાંથી આવ્યો ? પરંતુ જવાબ પણ એ પ્રશ્નમાં જ છુપાયેલ છે કે મૈત્રી માટે કોઈ સમય-પ્રસંગની રાહ જોવાની થોડી હોય ! પરંતુ આજે આ વાત કરવાની ખાસ તો એટલે ઈચ્છા થઇ આવી કે આજનો માણસ એટલું બધું ઝડપી અને ઉપરછલ્લું જીવન જીવે છે કે તે પોતે જ જાણે પોતાનાથી અજાણ્યો હોય... આવી પરિસ્થિતિ સમગ્ર સમાજના હિતમાં કદાપી ન હોઈ શકે. વેપાર-ધંધા કે સગવડિયા સંબંધોના યુગમાં ફરી જરૂર છે નિ:સ્વાર્થ, નિખાલસ મૈત્રીપૂર્ણ સંબધોના વાતાવરણની.

મૈત્રીના ઉદાહરણ તરીકે મોટેભાગે શ્રીકૃષ્ણ-સુદામાનું નામ લેવાતું હોય છે, પરતું કર્ણ અને દુર્યોધનની મિત્રતા તલભાર પણ ઓછી નથી. આવો, આપણે પણ સહુ સાથે આડંબર રહિત મિત્રો જેવું સહજ અને સરળ જીવન જીવવાની શરૂઆત કરીએ. અને સંબંધોની સમૃદ્ધ ખેતી વડે રાષ્ટ્રને હરિયાળા વિકાસપથ પર લઇ જઈએ.

સૌ મિત્રોને અંત:સ્તલ થી શુભકામનાઓ સાથે...

તહેવારોનું તત્વ

તહેવારોનું તત્વ

દિવાળીનું પર્વ આવી રહ્યું છે. દિવાળી એટલે ઉજાસનો, આનંદનો તહેવાર. બાહ્ય રીતે તો દિવાળી ફટાકડા, નવા કપડા, ફૂલો, રંગોળી,  મિઠાઈઓ તથા શુભેચ્છાઓ દ્વારા ઉજવવામાં આવે છે. પરંતુ ખરી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે. જેની ઉજવણી ત્યારે જ થઇ ગણાય જ્યારે હૃદયમાં સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને સત્ય માટેની જાગૃતિ આવે. આપણે ત્યાં પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે પરંતુ આ તમામનો અંતિમ સાર એકસરીખો છે. ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે અદ્રશ્ય ઈશ્વરનો આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા ભવિષ્યની પ્રાર્થના કરે છે.
तमसोमा ज्योतिर्गमय 

ભારતીય સંસ્કૃતિ મુજબ આ તહેવારની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી છે. લક્ષ્મી એટલે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક. આ દિવસોમાં લક્ષ્મી સાથે વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. આ વિવિધ દેવતાઓને ધાર્મિક દ્રષ્ટીએ જોવાનું રહેવા દઈ માત્ર પાંચ તત્વ તરીકે જોઈએ તો પણ તેનું મહત્વ જાણવા જેવું છે. કુબેર એ મહેનતપૂર્વક ઉત્પન્ન કરાયેલ સંપત્તિનું પ્રતીક છે. ઇન્દ્ર એ સાત્વિક સંપત્તિ થકી મળતા કીર્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ગણેશ એ જરૂર પુરતું રાખી લઇ બાકીની સંપત્તિ, સમૃદ્ધિના લોક કલ્યાણ અર્થે કરાતા વહનનું પ્રતીક છે અને વિષ્ણુ એ સેવા, પરોપકારથી મળતા આંતરિક આનંદ અને સંતોષનું પ્રતીક છે. જ્યારે દેવી લક્ષ્મી એટલે એવી દૈવી શક્તિ કે જે ઉપરોક્ત તમામને પોતપોતાના કાર્યો માટે આવશ્યક ઊર્જા પૂરી પાડે છે.

સનાતન હિંદુ હોય કે પછી અન્ય કોઈ પણ ધર્મનો માણસ હોય. તે પોતાના તહેવારોને મન ભારીને માણવા હંમેશા તત્પર હોય છે. આજે જ્યારે ચિંતાના બોજ તળે દબાયેલી, ઢસડાતી જીંદગી માણસની પરિસ્થિતિ અનુસાર જીવનરીતિ બદલતી રહે છે. ત્યારે આવા તહેવારોને મનમાં ઉમંગ અને હૈયે હરખ ભરીને માણવા જરૂરી હોય છે. આ તહેવારો અને તેના માધ્યમથી ચાલતા પરસ્પરના વહેવારો જ માણસને માણસ તરીકે જીવંત રાખવાનું અને કુટુંબ, સગા-સબંધી, મિત્રો અને સ્નેહીઓ સાથે એકસૂત્રે બાંધી રાખવાનું અદભૂત કામ કરે છે.

દિવાળીના આ શુભ પ્રસંગે હું દરેક વાંચકો અને ખેડૂત ભાઈઓ-બહેનોને તેમના ઘરમાં ખુશહાલીના દીવડાઓ પ્રગટે અને દરેકના જીવનમાં ખુશીઓ અને સમૃધ્ધિનો ભંડાર છલકાય તેવી સમગ્ર સમૃદ્ધ ખેતી પરિવાર વતી હાર્દિક શુભકામના પાઠવું છું.

ચાલો, આજે નાનો પણ દિવાળીની દીપમાળા જેવો ઝગમગતો સંક્લપ કરીએ કે. રાષ્ટ્રને સમૃદ્ધ ખેતી દ્વારા હરિયાળા ઉજાશથી પ્રકાશિત વિકાસમાર્ગ પર અગ્રેસર કરીશું.