Monday, 22 March 2021

જળસંગ્રામ જીતવા જંગે ચડનારી જળયોદ્ધા : હરિયાણવી સન્નારીઓ

 વાત છે, હરિયાણાના રેવાડી જીલ્લાનાં ગામ નારાયણપુરની જળયોદ્ધા મહિલાઓની. અહી જોહાદ તરીકે ઓળખાતો એક ખૂબ મોટો કુવો જોવા દેશભરમાંથી લોકો આવે છે. આવતા એપ્રિલ-મે માસ દરમ્યાન પડનાર તડકાઓને લીધે આ વિસ્તારમાં પાણીના અન્ય નાના-મોટા સ્થાનો સુકાઈને ખાલી થઇ જશે. પરંતુ આ કુવો આખું વર્ષ છેક કાંઠા સુધી છલોછલ પાણીથી ભરાયેલ રહીને સમગ્ર નારાયણપુર વિસ્તારને પીવાના મીઠા પાણીનો પૂરવઠો પૂરો પાડતો રહે છે.

અંદાજે માત્ર અઢીસો પરિવારની વસ્તીવાળા આ નારાયણપુરમાં છેલ્લા દોઢ દાયકાથી વરસાદનાં પ્રમાણ અને ભૂગર્ભજળ સ્તરમાં ઝડપી ઘટાડો જોવા મળતો હતો. વૈજ્ઞાનિકોના મત મુજબ નારાયણપુરા વિસ્તારનાં ભૂતળનું પાણી ક્ષારવાળું અને પીવાલાયક ન હતું. દશેક વર્ષ પહેલા કેન્દ્ર સરકાર અંતર્ગતની સંસ્થા ‘એગ્રીકલ્ચર મેનેજમેન્ટ ટેકનોલોજી એજન્સી’ દ્વારા પાણીની ગુણવત્તા ચકાસવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રેવાડી વિસ્તારના કુલ પાતાળ કુવામાંથી ફક્ત ૨૪% કુવામાં જ પીવાલાયક સારી ગુણવત્તા ધરાવતું પાણી હતું. જ્યારે અન્યમાં ક્ષાર અને સોડિસિટી (સોડિયમ)ની ભરપૂર માત્રા જોવા મળી હતી.

ગામમાં પૂરતા પ્રમાણમાં મીઠું પાણી ન હોવાને લીધે ગામલોકો પાણી માટે બહારના સ્ત્રોત પર નિર્ભર હતા. ગામની મહિલાઓએ પાણી માટે દૂર દૂર ધક્કા ખાવા પડતા હતા. તત્કાલીન હરિયાણા સરકારના પાણી પૂરવઠા વિભાગ દ્વારા બાજુના પુંસીકા ગામમાંથી આસપાસના ગામડાંઓને પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવતો હતો. પરંતુ પોતાને પાણી ઓછું પડતું હોવાની ફરિયાદ કરીને પુંસીકાના લોકોએ વિરોધ કર્યો. જેથી નારાયણપુર વિસ્તાર માટે આ સુવિધા પણ બંધ કરવામાં આવી.

એ જુના દિવસોને યાદ કરતા આ ગામના મહિલા જળયોદ્ધા લલિતા કોર જણાવે છે કે, સામાન્ય રીતે પાણીનું એક ટીપું મેળવવા માટે અમારે કલાકો રાહ જોવી પડતી, અને ઉનાળાના દિવસોમાં તો મીઠા પાણીના એક ઘડા માટે અમારે દિવસો સુધી રાહ જોવી પડતી હતી. અંતે જ્યારે રાહ જોવાની હદ આવી જાય ત્યારે ફરજીયાતપણે અમારે ડંકીના ઉપયોગ કરીને ક્ષારવાળા પાણીનો ઉપયોગ કરવો પડતો હતો.

આવું વારંવાર થવાથી ગામની કેટલીક મહિલાઓએ આ સમસ્યા અંગે સાથે મળીને વિચાર્યું, તો સાર નીકળ્યો કે જ્યાં સુધી ગામના કુવા દ્વારા પાણી પુરું પાડવામાં આવતું હતું ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી. પણ જ્યારથી કુવો બંધ થયો છે ત્યારથી જ બધી સમસ્યાઓ જન્મી છે. આના ઉપાય તરીકે આ શરૂઆતમાં ફક્ત કુલ સાત મહિલાઓએ ગામના કુવાને ફરીથી જીવંત કરવાનું અને કુવાની બાજુમાં અડધા પૂરાઈ ગયેલ તળાવને ફરી ગાળવાનું નક્કી કર્યું.

જોકે જૂના ખંડેર જેવા તળાવમાંથી મીઠું પાણી ભરેલા કુવા તરફની મુસાફરી સરળ તો ન હતી. તેની વાત કરતા બીજા મહિલા જળયોદ્ધા કિરણ ચૌધરીએ કહ્યું કે, શરૂઆતના દિવસોમાં, અમે ફક્ત છ-સાત સ્ત્રીઓ દરરોજ ઘરનું કામ પૂરું કરીને વહેલી સવારે અહી આવી જતી અને આખો દિવસ ઉત્સાહપૂર્વક, ખૂબ જ મહેનતથી તળાવને ઊંડું ઉતારવાની કામગીરી કરતી. આ ખોદકામ માટે જરૂરી ચીજવસ્તુઓ અમે પોતાની બચત અને ગામની અન્ય સ્ત્રીઓ પાસેથી ઉઘરાવેલ ફંડમાંથી કરતા. અમે જાતે જ હાર્ડવેરની દુકાને જઇને રકઝક કરી વ્યાજબી ભાવ કરાવી માલ લઇ આવતા.

બધું જ કામ આ મહિલાઓ કરતી હોવા છતાં પણ કરૂણતા તો એ હતી કે ગામના તો ઠીક પરંતુ તેમના ઘરના પુરૂષો પણ આ સન્નારીઓની મજાક કરતા અને હાંસી ઉડાવતા. આ પરિસ્થિતિમાં પણ સતત એક વર્ષ સુધી મથામણ કર્યા બાદ આ સાત મહિલાઓનો દ્દઢ નિશ્ચય જોઇને ધીમે ધીમે ગામની અન્ય સ્ત્રીઓ પણ તેમની સાથે જોડાવા લાગી. જોકે ત્યારબાદ તેમના આ કાર્યની નોંધ લઈને એક સામાજિક સંસ્થાએ તેમને નાણાંકીય સહાય આપી અને ગામલોકોનો પણ સહકાર મળવા લાગ્યો.

ગામના પૂર્વ સરપંચ અનીતાદેવી જણાવે છે કે, મીઠા પાણીના સ્રોતની જાળવણી માટે નક્કી કરવામાં આવ્યું કે ફક્ત પીવા માટે ઘરદીઠ રોજનું ચાર બેડાં પાણી જ ભરવું. અને અન્ય ઉપયોગ માટે તળાવના પાણીનો ઉપયોગ કરવો. નક્કી કરેલા કલાકો દરમિયાન ગામની સ્ત્રીઓ સાથે મળીને પાણી ભરવા આવે જેથી કોઇ નિયમથી વધુ પાણી ન લઇ શકે. દરરોજ કુવાની સાફસફાઈ અને માવજત કરવામાં આવે છે. વૃદ્ધ જળયોદ્ધા દાદી ગુરશરનજી તો કહે છે કે, આ ગામમાં મીઠું પાણી એ ઇશ્વરના આશીર્વાદ છે. આ કુવાનો અમે એક મંદિર જેટલો જ આદર કરીએ છીએ.

હવે આ કુવો સમગ્ર વર્ષ દરમિયાન પાણીથી છલોછલ રહે છે અને ગામની જરૂરિયાત અનુસાર પાણી પૂરું પણ પાડે છે. ચોમાસામાં કુવાની નજીક આવેલ શાળાની છત પરથી નીતરેલુ અને ખૂલ્લા વિસ્તારોનું પાણી એકત્ર કરીને ગામના તળાવ તથા અન્ય જળસ્રોતને ફરીથી રિચાર્જ કરવામાં આવે છે. આજે આ નારાયણપુર ગામ એક મોડેલ ગામ અને મહિલાઓના કુવાવાળું ગામ તરીકે જાણીતું બન્યું છે.

Wednesday, 10 March 2021

સજીવખેતી સાથે ૧૦૫ વર્ષની અડીખમ યાત્રા : પદ્મશ્રી પપમ્મલા રંગમ્મા

છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પ્રસાર માધ્યમોમાં એક ફોટો ખૂબ જોવા મળી રહ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલા પોતાના બંને હાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માથા પર રાખીને આશીર્વાદ આપી રહ્યા છે. તેમના વિષે માહિતી શોધવા જતા જ્ઞાનચરુ હાથ લાગ્યો. 
આ મહિલા એટલે પપમ્મલા. તેમના ઓળખીતા લોકો તેઓને રંગમ્મા પણ કહે છે. તેઓ હાલ ૧૦૫ વર્ષની ઉંમરે પણ જાતે ખેતી કરે છે. સજીવ ખેતી ક્ષેત્રે તેમના યોગદાન બદલ ગત ૨૬મી જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 
વર્ષ ૧૯૧૪માં તમિલનાડુ રાજ્યના દેવલાપુરમ ગામમાં જન્મેલ પપમ્મલાના માતાપિતાનું અવસાન થતા કોઈમ્બતુર જિલ્લાના થેકમપટ્ટીમાં રહેતા દાદીમાએ તેમને ઉછેર્યા હતા. રંગમ્માએ પોતાના જીવન દરમ્યાન બે વિશ્વ યુદ્ધ, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ જેવા ઐતિહાસિક ઘટનાઓ સહીત અનેક કુદરતી આફતો અને હવે કોરોના મહામારીના પણ સાક્ષી બન્યા છે.  
અભ્યાસ કરવાની ઉંમરે ક્યારેય પણ શાળાએ ન જઈ શકનાર રંગમ્મા છેલ્લા છ દાયકાથી તેઓ તમીલનાડુ કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગ સાથે પણ જોડાયેલ છે. તેઓના જીવન અનુભવોને તમિલ કૃષિ કોલેજોમાં શીખવવામાં આવે છે. તેઓ કહે છે કે મેં જે કઈ પણ શીખ્યું છે ઘરકામ કરતા કરતા અને પલ્લંગુઝી (પરંપરાગત દક્ષિણ ભારતીય નાટક) દ્વારા શીખ્યું છે. 
દાદી ગુજરી ગયા બાદ ઘર ચલાવવા માટે થેકમપટ્ટીમાં એક નાનો પ્રોવિઝન સ્ટોર વારસામાં મળ્યો. જ્યાં તેણીએ ખાણીપીણી એક નાની લારી શરૂ કરી. જે માટે જરૂરી મકાઈ, કઠોળ, ફળો અને શાકભાજી બહારથી ખરીદવા ન પડે તે માટે રંગમ્મા એ દુકાનની કમાણીમાંથી પૈસા બચાવીને ખેતી કરવા માટે ૧૦ એકર જમીન ખરીદી.
સરકારી રેકર્ડ મુજબ પપમ્મલા રંગમ્માને હાલ વિશ્વમાં ખેતીક્ષેત્રે સક્રિય હોય તેવા સૌથી વૃદ્ધ ખેડૂત માનવામાં આવે છે. તેઓ આજે પણ દરરોજ સવારે ૬ વાગ્યાથી ૪-૫ કલાક સુધીનો સમય ભવની નદીના કાંઠે આવેલા પોતાના ખેતરમાં કામ કરીને વિતાવે છે. જોકે વધતી ઉંમરને કારણે દસ એકર જમીનનું સંચાલન બરાબર થઇ શકતું ન હોવાથી તેમણે સાતેક વીઘા જમીન રાખી, બાકીની બીજી જમીન વેચી દીધી. હાલ બાકીની જમીનમાં તેઓ કેળા અને ભીંડાની ખેતી કરે છે.
નાનપણથી જ કૃષિ પ્રત્યે લગાવને કારણે છેલ્લા પચાસ વર્ષથી કૃષિ યુનિવર્સિટીમાં ચાર્જ સંભાળનારા કોઈપણ કુલપતિ તેમને ‘પહેલવાન ખેડૂત’ તરીકે ઓળખે છે. અને તેઓને યુનિવર્સિટી દ્વારા આયોજિત ચર્ચાઓમાં વિશેષ આમંત્રણ આપવામાં આવે છે. ૧૯૫૯માં થેકમપટ્ટી પંચાયતના કાઉન્સિલર તરીકે સેવાઓ આપનાર રંગમ્માએ એક સ્ત્રી હોવા છતાં પણ જે ઇચ્છ્યું તે મેળવવા માટે મહેનત કરવામાં ક્યારેય પાછીપાની કરી નથી.
જાણીતા ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ કહે છે કે, ૧૦૫ વર્ષીય પપમ્મલા ઓર્ગેનિક કૃષિક્ષેત્રે જીવંત એક મહાન દંતકથા છે. તો તમીલનાડુના મુખ્ય રાજકીય પક્ષ ડીએમકેના પ્રમુખ સ્ટાલિન કહે છે કે તેમને કામ કરતા જોઇને હૃદય ઉષ્માથી ભરાઈ જાય છે. તેઓ તમિલ સંસ્કૃતિનું ગૌરવ છે. 
તેમની ૫૩ વર્ષીય ભત્રીજી આર.કમલા કહે છે કે હજુ સુધી એવું ક્યારેય બન્યું નથી કે જ્યારે રંગમ્માએ બીમારીને કારણે ખેતીકામમાં રજા રાખી હોય. વધુ જણાવતા કમલા કહે છે કે ખેતીકામથી પરવારીને ઘેર આવેલ રંગમ્મા સાથે સેલ્ફી લેવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આસપાસના વિસ્તારોમાં જન્મ, લગ્ન વગેરે શુભપ્રસંગ પર આશીર્વાદ આપવા માટે તેમને ખાસ બોલાવવામાં આવે છે. 
આજે જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે પદ્મશ્રી પપમ્મલા રંગમ્માના બતાવેલ રસ્તે ચાલીને સજીવ ખેતી તરફ જવું આવશ્યક થતું જાય છે. 
ખેતીકામમાં આળસ કરનારા, સજીવ ખેતીથી દૂર ભાગનારા, ૫૦-૫૫ વર્ષે નિવૃત્તિ લેવાનું વિચારનારા અને પાનના ગલ્લે સમય પસાર કરતી આજની યુવાન પેઢી માટે ૧૦૫ વર્ષે પણ ખેતરમાં સતત કાર્યરત પપમ્મલાનું જીવન પ્રેરણારૂપ છે.