૮
માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ પ્રસંગે દેશ સહીત વિશ્વભરના તમામ
પ્રસાર માધ્યમોમાં વિવિધ ક્ષેત્રે કઈંક કરી બતાવનાર મહિલાઓના સમાચારો છવાય જાય છે.
નાની-મોટી શૈક્ષણિક, સામાજિક, ઔદ્યોગિક, ખાનગી, સહકારી, સરકારી વગેરે સંસ્થાઓ
દ્વારા મહિલાઓના મહિમાનું ગાન કરવામાં આવે છે. આ મહિલાદિવસ નિમિત્તે સ્ત્રીઓને
કૃષિ સાથે સાંકળીને શું લખવું એમ વિચાર કરી રહ્યો હતો. કેમકે અગાઉ હું ખેતીમાં
મહિલાઓનું યોગદાન, ગુજરાતના કૃષિક્ષેત્રે ચમકતા નારી-રત્નો, મહિલા અને ખેતી,
પારંપરિક ખેતીમાં મહિલાઓનું સ્થાન, આધુનિક ખેતી અપનાવવામાં અગ્રેસર મહિલા ખેડૂતો
વગેરે મુદ્દે સમયાંતરે અનેક લેખો લખી ચુક્યો છું. આપણે ત્યાં મોટેભાગે પુરુષ લેખકો
અને પત્રકારો જ ખેતી અંગે નિયમત લખે છે.
બસ
આ ઉપરથી એક વિચાર આવ્યો કે આ વખતે મહિલા દિવસ ઉપર કૃષિ લેખન ક્ષેત્રે કાર્યરત
મહિલાઓ વિશે લખવું. થોડું સંશોધન કરતા જાણવા મળ્યું કે આપણા ગુજરાતમાં બહુ જ ઓછી
મહિલા લેખિકાઓ કૃષિલેખન ક્ષેત્રે કામ કરી રહી છે. અને અમુક હાથવગાં નામો અંગે વિગતવાર
માહિતી મેળવવા જતા એક કડવું સત્ય પણ ધ્યાનમાં આવ્યું. અમુક નામોને બાદ કરીએ તો કેટલીક
મહિલાઓના નામે તેઓના ભાઈ, પતિ કે પિતા લખતા હોય છે. અમુક બહેનો તો વળી ઈન્ટરનેટ
પરથી ઉઠાંતરી કરતા પુરુષ લેખકોની સમોવડી બની રહી ગઈ હોય તેવું જણાયું.
પરંતુ
જ્યારે ખરા અર્થમાં કૃષિલેખનની વાત આવે ત્યારે તેમાં આદરપૂર્વક પૂ. ગોદાવરીબેન
ભીંગરાડિયાનું નામ લેવું પડે. માલપરા મુકામે પતિ હીરજી ભીંગરાડિયાની સાથે ખભેખભો
મિલાવી કૃષિ સાહિત્યનું ખેડાણ કરનાર ગોદાવરીબેન ખરા અર્થમાં કૃષિજગતનું રત્ન છે. આ
શ્રુંખલામાં હાલ સેવાનિવૃત જીવન ગાળતા ડો.ચેતના માંડવીયાનું નામ પણ અગ્રક્રમે ગણાય
છે. તેઓ રાજ્યની કૃષિ યુનિ.ના ઇતિહાસમાં પ્રથમ મહિલા હેડ ઓફ ડીપાર્ટમેન્ટ (જેનેટિક
સાયન્સ) તરીકે પણ જાણીતા છે. ૧૯૮૪થી કૃષિ યુનીવર્સીટીમાં જોડાઈને વિવિધ સેવાઓ બજાવી
ચૂકેલ અત્યંત મૃદુભાષી ડો.ચેતનાબેને કૃષિલેખનમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.
હાલ
સંજોગ ન્યુઝમાં કૃષિલેખ લખતા ડો.હેમાંગીબેન મહેતા પણ છેલ્લા ૧૦ વર્ષથી કૃષિ અને
ગ્રામ્યજીવન સંબંધિત લેખન કરી રહ્યાં છે. અગાઉ ગાંધીનગરમાં સચિવાલયના આરોગ્ય
વિભાગમાં અને ત્યારબાદ હોમસાયન્સ પોલીટેકનીક, અમરેલી તથા અત્યારે મોરબી કૃષિ
વિજ્ઞાન કેન્દ્રમાં તરીકે સેવાઓ આપતા ડો.હેમાંગીબેનને મહિલા સશક્તિકરણ વિષય પર
પી.એચ.ડી.ની ઉપાધી મળેલ છે. આ યાદીમાં દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી સાથે સંકળાયેલ
કે.વી.કે. ખેડબ્રહ્મા ખાતે સેવાઓ બજાવતા ડો.પ્રિતીબેન દવેનું નામ પણ નોંધવું રહ્યું.
તેઓ છેલ્લા દોઢ દાયકાથી ખાસ કરીને ખેડૂત ભાઈ-બહેનો માટે આહારમાં પોષણ અંગે માહિતી
આપતું લખાણ આપી રહ્યા છે.
આ
ઉપરાંત સુરેન્દ્રનગરના ડો.દક્ષાબેન મહેતા, જુનાગઢ કૃષિ યુનિ.ના સુજાતા પરમાર તથા
ડો.લતાબેન રાવલ, કે.વી.કે. રાજકોટના હેતલબેન મણવર સહિતની કેટલીક મૂર્ધન્ય મહિલા
લેખિકાઓ સમયાંતરે પોતાની કલમથી કૃષિલેખનના ચાસ ખેડતી રહી છે. આપણે આશા રાખીએ કે
આગામી સમયમાં કૃષિ સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે મહિલા કલમની પરિપક્વ હાજરી વધે
અને વાચક જગતને એક વિશિષ્ટ પ્રકારનું કૃષિવાંચન પ્રાપ્ત થાય. આપ સૌને
આંતરરાષ્ટ્રીય મહિલાદિવસની શુભકામનાઓ...
No comments:
Post a Comment