Monday, 12 August 2019

ભૂગર્ભજળના સતત ઘટી રહેલ સ્તરને તાત્કાલિક અટકાવવું સખત જરૂરી


ગયું અઠવાડિયું ગુજરાતના ખેડૂતો અને ગ્રામજનો માટે સારા સમાચાર લઈને આવ્યું. મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પ્રથમ વખત ‘ઓવરફલો’ થયો. ડેમ પર દરવાજા લગાવ્યા બાદ પ્રથમ વખત છલકતા આ સરદાર સરોવરની તસ્વીર દરેક ગુજરાતીને હરખાવા માટે પુરતી છે. આ ઉપરાંત રાજ્ય સહીત દેશના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયાના સમાચાર છે.
ચોતરફ વહેતી ખુશીના આ સમાચારોની નદીઓની વચ્ચે ગયા અઠવાડિયે જાણવા મળેલ એક અહેવાલ દરેક નાગરિકને વ્યથિત કરી દે તેવો છે. આજે આપણે બે-કાંઠે વહેતી નર્મદા કે રાજ્યની અન્ય નદીઓના સમાચારથી હરખાઈ રહ્યા છીએ ત્યારે જળપુરુષ તરીકે જાણીતા રાજેન્દ્રસિંહની એક વાત યાદ રાખવા જેવી છે. એક મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે આપણા દેશમાં હજુ દોઢ દાયકા પહેલા સુધી પંદર હજારથી વધારે નદીઓ હતી. જેમાંથી આજે અંદાજે પાંચ હજાર જેટલી નદીઓ સુકાઈ ચુકી છે. આ નદીઓ હવે ફક્ત ચોમાસામાં વરસાદના દિવસો દરમ્યાન જ વહે છે.
હાલની કેન્દ્ર સરકાર દ્વારા જલરક્ષાની સાથોસાથ દેશના દરેક નાગરિકને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે ‘હર ઘર જલ, હર ઘર નલ...’ સુત્ર સાથે અલગ જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે. પરંતુ ‘ખાટલે મોટી ખોડ...’કહેવતની જેમ આજે આપણા દેશનો કુલ ભૂગર્ભજળ ભંડાર હવે ૭૦ ટકાથી વધુ ખાલી થઈ ચુક્યો છે. હરસાલ સતત સુકાતી જતી નદીઓ, કુવાઓ અને તળાવની સાથે જ ભૂજળનું સ્તરની સ્થિતિ પણ અત્યંત આઘાતજનક કક્ષાએ પહોંચી છે.
old well in north India region
આજે દેશના ૧૭ રાજ્યોના કુલ ૩૭૦ કરતા વધારે જીલ્લાઓ પાણીના સંકટની સામે ઝઝૂમી રહ્યા છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ના સમયગાળામાં દેશના વિવિધ વિસ્તારોમાં આવેલ કુવાઓનું જળસ્તર જે રીતે ઘટી રહ્યું છે તે ખરેખર ચિંતાજનક છે. જેમાં પંજાબના ૮૪.૫%, ઉત્તર પ્રદેશના ૮૨.૮%, જમ્મુ-કશ્મીરના ૮૧.૨%, હિમાચલપ્રદેશના ૭૬.૫%, દિલ્હીના ૭૬%, હરિયાણાના ૭૫%, મધ્યપ્રદેશના ૬૦%, તમીલનાડુના ૫૯% અને ગુજરાતના ૪૨% કુવાઓના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ દેશભરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ ૧૬ થી ૧૯% કુવાઓ તો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે.
હાલ સમગ્ર દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા દાયકાની સરખામણીમાં ભૂગર્ભજળનું સ્તર સરેરાશ ૪૫ મીટર કરતા પણ વધુ ઊંડું ઉતારી ગયું છે. જેમાં મધ્યપ્રદેશના ૩૯%, હરિયાણાના ૨૩%, રાજસ્થાનના ૨૦%, ગુજરાતના ૧૩.૫%, દિલ્હીના ૧૧% થી વધારે વિસ્તારોમાં ભૂગર્ભજળનું સ્તર ૧૮ મીટરથી લઈને ૫૧ મીટર જેટલુ નીચે પહોંચી ગયું છે. તેવી જ રીતે રાજસ્થાન અને પંજાબમાં પણ સરેરાશ ૨૦ થી ૪૦ મીટર સુધી જમીનની નીચે પાણીનું લેવલ ઘટયું છે.
ભારતના કુલ ભૂગર્ભજળના ત્રીજા ભાગનો ઉપયોગ ફક્ત ઉત્તરપ્રદેશ અને પંજાબ દ્વારા કરી લેવામાં આવે છે. જેનો મોટોભાગ ખેતીમાં વપરાય છે. ફક્ત જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં જ ખેતીની સરખામણીએ ભૂગર્ભજળનો વધુ ઉપયોગ ઘર-વપરાશમાં થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશની પાણીની કુલ માંગમાં ૧૯ થી ૨૨% નો વધારો થશે. જે અંતર્ગત ઉદ્યોગોમાં ૮૩%, ઊર્જાક્ષેત્રમાં ૭૨%, પીવા માટે ૪૫% અને ખેતીમાં ૧૫% વધારાની માંગનું પૂર્વાનુમાન છે. આ બધા આંકડા સરકારના નવીન જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા છે.
હાલ દેશમાં તમામ ક્ષેત્રોની જરૂરીયાતો માટે વાર્ષિક ૧૧૩૮ બિલિયન ક્યુબીક મીટર પાણી હાજર છે. પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં તેની ઉપલબ્ધતામાં ૨૯૩ બિલિયન ક્યુબીક મીટરનો આકરો ઘટાડો આવશે. કેન્દ્રીય નીતિપંચના એક તાજા રીપોર્ટ મુજબ હાલની સ્થિતિ સામે જો કોઈ સુધારાત્મક અને અસરકારક પગલાં લેવામાં નહિ આવે તો વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની ૫૦% વસ્તીને પીવાનું પાણી સુદ્ધાં મળી શકશે નહીં. જોકે આ સર્વેમાં એક ખુશીના સમાચાર પણ છે કે ઉત્તર-પૂર્વી રાજ્ય ત્રિપુરાનાં ૮૫%, ગોવાના ૭૬%, ઉડીસાના ૬૦.૮% પશ્ચિમ બંગાળના ૪૫.૫% કુવાઓના જળસ્તરમાં વધારો થયો છે.
કોઈપણ સ્થળે બે હજાર ફૂટ સુધી બોર કરવા છતાંય જો પાણી ન આવે તો તે તેવી સ્થિતિમાં જે-તે સ્થળને ભૂગર્ભજળવિહીન ગણવામાં આવે છે. એ નિયમ મુજબ તમિલનાડુનું ચેન્નઈ શહેર હાલ ભૂગર્ભ જળવિહોણું બન્યું છે. અને આ રેડલીસ્ટમાં સામેલ દેશના અન્ય ૯૦ થી પણ વધારે શહેરોમાંથી પણ ટૂંક સમયમાં જ ભૂગર્ભજળ ગાયબ થવાની અણી પર છે. આમ એક રીતે કહી શકાય કે આજે દેશમાં માત્ર ભૂસપાટી પર જ જળસંકટ જ નથી. પરંતુ સતત ઘટતા ભૂગર્ભજળની સમસ્યા પણ આગામી સમયની સૌથી મોટી મુસીબત બની રહેવાની છે. માટે સમય વર્તે સાવધાન...!!!

No comments:

Post a Comment