Wednesday, 8 May 2019

સ્મરણનો સંગ્રામ



રામચરિત માનસ મંદિર, રતનપર. રાજકોટથી મોરબી તરફ ફક્ત ચૌદ કિલોમીટર દૂર હોવા છતાં તેની બીજી વખત મુલાકાત લેવામાં મને છવ્વીસ વર્ષ જેટલો સમય વીતી ગયો. આટલાં વર્ષ સુધી આ જગ્યાએ જવાની હિંમત ન ચાલી તેની પાછળ કેટલીક મધૂરી તો કેટલીક કરૂણ સ્મરણો જોડાયેલા છે. (આ સાથે ૧૯૯૩ની રતનપર મુલાકાત બાદ રાજકોટ બસ સ્ટેશને પરત આવીને પડાવેલ ગૃપ ફોટો તેમજ હમણા લીધેલ મુલાકાતનો ફોટોગ્રાફ મુક્યો છે.) 
વાત છે વર્ષ ૧૯૯૩ની. તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન આ સ્થળે એક સાત દિવસીય "યુવા નેતૃત્વ તાલીમ શિબિર" નામનો સરકારી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના કેટલાક વિદ્યાર્થી ભાઈ-બહેનો આવ્યા હતા. પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલમાં અગિયારમું ધોરણ ભણતા દીપક, જયેશ, સંજય, હિતેશ અને હું, એમ કુલ પાંચ મિત્રો અમારા હિન્દી શિક્ષક રાજાણી સરના કહેવાથી આ શિબિરમાં જોડાયા.
તે વખતે અહીંયા વિશ્વના સૌપ્રથમ રામચરિતમાનસ મંદિરનું ચણતર કામ થઇ રહ્યું હતું. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર તરીકે મોટો સત્સંગ હોલ અને ફરતી બાજુના ઓરડાઓ તૈયાર થઇ ચુક્યા હતા. જેમાંથી ત્રણેક રૂમમાં અમને સહુને ઉતારા અપાયા હતા. વચ્ચેનો સત્સંગ હોલ અમારો મીટીંગ રૂમ બન્યો. રમતો રમવા માટેના ખુલ્લા મેદાનને તો જાણે કોઈ સીમા જ નહોતી. અને જમવા માટે તો રામ-દરબારમાં રસોડું ચાલુ જ હતું.
આવી કોઈ શિબિરમાં જવાનો મારો આ પ્રથમ અનુભવ. દરરોજ બે સત્રમાં અલગ-અલગ વિષય પર ચર્ચા-વિચારણા થાય. જેમાં ડો.ભદ્રાયુ વચ્છરાજાની, ડો.નલીની ઉપાધ્યાય સહિતના મહાનુભાવોના વ્યાખ્યાન પણ ગોઠવાયા હતા. એક દિવસ આજી-૨ ડેમની પદયાત્રા કરેલી, તો એક દિવસ રતનપર ખાતે કોઈ જિજ્ઞાસુએ એકત્ર કરેલ જુના-નવા સિક્કાઓનું કલેક્શન જોવા ગયેલા. જોકે રોજની સાંજ ‘કેમ્પ ફાયર’ સાથે ગીત-ગઝલ, અંતાક્ષરી, સાહિત્ય ચર્ચા, કે એકપાત્રી અભિનયના નામે રહેતી. મારી કલમના બીજને સિંચવાનું કામ કદાચ અહી જ થયું હતું એમ કહું તો ખોટું નથી.
અહી મળેલ નવા મિત્રો નીરવ, હિરેન, જીતાબેન, પંકજ, દર્શના, વત્સલ, મનીષા, નિર્મલા વગેરે સાથે અનેક નવા વિષયો પર ચર્ચા-સંવાદ, વિવિધ રમતો અને હસીખુશીમાં છ દિવસો ક્યારે પસાર થઈ ગયા તે ખ્યાલ પણ ન રહ્યો. નીરવની રમૂજ, પંકજનો કેમેરો, દીપકની દોસ્તી, જયેશનું જનરલ નોલેજ, સંજયની વાતો, હિતેશનું હાસ્ય, જીતાબેનના ગીત, મનીષાના ચટણી અને મમરા, વહેલી સવારે હિંચકા ખાતા એક (નામ નહિ લખું) મિત્ર સાથે બનેલ ઘટના, સુરભી મેડમનું વાત્સલ્ય અને સવાણી સાહેબની શિસ્તબદ્ધતા વગેરે સહિત અનેક મધુર સ્મરણો આજે આટલા વર્ષે પણ એટલા જ તરોતાજા છે.
પરંતુ ૩૧મી ડીસેમ્બર-૧૯૯૩નો સૂરજ કંઈક અલગ જ નિશ્ચય કરીને આવ્યો હશે. શિબિરનો સાતમો એટલે કે છેલ્લો દિવસ હોવાથી ઘેર જવાનો આનંદ તો હતો, સાથે જ નવા મિત્રોનો સહવાસ છૂટવાનું દુઃખ પણ હતું. સાથે જ આ દિવસે મંદિરમાં બીજા માળની છત (સ્લેબ) ભરવાનું કામ શરુ થયું હોવાથી અમારો વિદાય સમારંભ મંદિરથી અંદાજે પચાસેક મીટર સામેની બાજુ આવેલ બગીચામાં ગોઠવ્યો હતો.
સવારના સાડાનવ સુધીમાં સૌ બગીચામાં આવી ગયા. ફક્ત વિદાય ભાષણ કરનારા મહેમાનોની રાહ જોવાઈ રહી હતી. એક તરફ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આપવામાં આવનાર પ્રમાણપત્રોમાં મરોડદાર અક્ષરના માલિક એવા એક-બે તાલીમાર્થી અમારા નામ લખી રહ્યા હતા તો બીજી બાજુ કેટલાક મિત્રો ડાયસની વ્યવસ્થા ગોઠવી રહ્યા હતા. તો પેલી તરફ મજુરોએ કોન્ક્રીટથી મંદિરની અતિ વિશાળ છત ભરવાનું ચાલુ કર્યું હતું.
આ સમયે મારા ભાગે અમારા ઉતારામાંથી બાકી રહી ગયેલ સામાન ભેગો કરીને બગીચામાં લઇ આવવાનું કામ આવ્યું હતું. એક ફેરામાં આવ્યો એટલો સામાન ઉઠાવી બગીચામાં મુક્યો. પંકજનો કેમેરો રૂમમાં ચાર્જ થતો હોવાથી તેને છેલ્લા ફેરામાં લેવાનું નક્કી કર્યું. અને ત્યાર પછી જે થયું તે અકલ્પનીય અને આજ સુધી હૃદયને કંપાવતું રહ્યું છે.
મને પાક્કું યાદ છે કે બરાબર દસ વાગીને દસ મીનીટે જ્યારે છેલ્લા ફેરામાં હું કેમેરો લઇને મંદિર પરિસરથી માત્ર દસેક ડગલાં બહાર નીકળ્યો ત્યાં જ મોટો ધડાકો સંભળાયો. અને એ સાથે જ ચારે તરફ ધૂળની ડમરી છવાઈ ગઈ. કોઈ કારણોસર બીજા માળની ભરાઈ રહેલ નવી છત અચાનક જ પહેલા માળની છત પર પડી. બંને મજલા એક સાથે જમીનદોસ્ત થઇ ગયા. થોડી ક્ષણો તો સાવ શૂન્યમનસ્ક થઇ જવાયું.
હજુ તો જાતને સંભાળું ત્યાં જ ચિચિયારી અને આક્રંદથી કાનના પડદા ફાટવા લાગ્યા. ધૂળની ડમરી દૂર થતા નજર સામે મંદિરના કાટમાળમાં ફસાયેલ-દટાયેલ મજુરોના ક્ષતવિક્ષત દેહ ભળાયા. ધડાકો, દટાયેલાઓનો કણસાટ અને ઘવાયેલાઓની ચીસાચીસ સાંભળીને થોડી જ વારમાં શિબિરાર્થીઓ સહીત આસપાસના લોકો દોડી આવ્યા. પરંતુ આ ભયંકર બનાવને સાવ આટલા નજીકથી જોનાર કદાચ એકમાત્ર કમભાગી સાક્ષી હું જ હતો.
આ અકસ્માતે નવ મજૂરો તો તત્કાળ ભોગ લઇ લીધો હતો. દટાયેલા મજૂરોને બચાવવા માટે સ્થળ પર હાજર હતા તે લોકોએ પોતપોતાની સમજ મુજબ રાહતકાર્ય શરૂ કરી દીધું. ઘાયલ મજૂરોના લોહી-માંસ નીંગળતા શરીર ઊંચકીને જયારે કાટમાળમાંથી બહાર લાવતા હતા તે વખતે સાંભળેલ પીડાયુક્ત ચીસો અને એ કરપીણ દ્રશ્યની ક્રૂરતા મહિનાઓ સુધી રાત્રે ઊંઘમાંથી ઝબકાવી દેતી રહી.
પંદર વર્ષની ભાવપ્રધાન ઉંમરે પહેલીવાર આવી ભયંકર ત્રાસદીનો સામનો કરવો પડેલ. સદભાગ્યે મને શારીરિક ઈજા તો નહોતી થઇ, પરંતુ તે ગોઝારી દુર્ઘટનાનો ડર આજે પણ મનના એક ખૂણામાં ડરાવતો પેઠેલો છે. કદાચ આ કારણે જ આટલા વર્ષો સુધી આ સુંદર સ્થળથી દૂર રહ્યો હોઈશ. આજે છવ્વીસ વર્ષ બાદ જ્યારે માનસ મંદિરના પટાંગણમાં ફરીથી આવ્યો છું ત્યારે અહી ગાળેલ મધુર પળોના સંસ્મરણોની સાથે પેલી દુ:ખદ યાદો હૃદયને ભીંજવી રહી છે. 
- નરેન્દ્ર વાઘેલા

4 comments:

  1. વાહ ઘણી જૂની ઘટનાનું તાજું વર્ણન..🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. પ્રતિભાવ બદલ આભાર... શું હું આપનું નામ જાણી શકું ?

      Delete