છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યના સમાચાર માધ્યમોમાં પાણી માટે દૂર દૂર
સુધી રઝળપાટ કરતી મહિલાઓ અને બાળકોના ફોટોગ્રાફ્સ છપાય છે. ક્યાંક કુવાની ભેખડોમાં
ઉતરીને જીવના જોખમે પાણી ભરતી બહેનોની હાલત, તો ક્યાંક નદીના પટમાં ઊંડા વીરડા
ગાળીને અશુદ્ધ પાણી પીવા માટે મજબૂર થતા લોકોની કફોળી સ્થિતિ જોવા મળે છે.
આપણે બધા જાણીએ જ છીએ કે પંચમહાભૂત માંહેના બીજા તત્વ એવા પાણીને
ક્યાંય ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. પાણી મેળવવા માટે તમામ સજીવો નદી-તળાવ,
ભૂગર્ભજળ અને વરસાદ ઉપર જ આશ્રિત છે. આ ત્રણ પરિબળો સિવાય પાણી મેળવવાનો ચોથો કોઈ સ્ત્રોત
દેખાતો નથી. હાં, ઉપરોક્ત ત્રણેય જલાપૂર્તી સ્થળો ખાલી થઇ જાય તો આ જ પાણી માનવી
અને મૂંગા પશુઓની આંખોમાં જરૂર દેખાય છે.
માનવીય ભૂલોના કારણે જાગેલા ‘ગ્લોબલ વોર્મિંગ’ નામના રાક્ષસે વરસાદને
અનિયમિત કરી દીધો છે. નદી-તળાવના પાણીને કાંતો આપણે જાતે જ બગાડી મુક્યા છે અથવા
તો માટી કે અન્ય કચરા વડે તેને પૂરી દીધા છે. અને રહી વાત ભૂગર્ભજળની... એને તો આપણે
ક્યારનુંય ચૂસી-ચૂસીને ઊંડા પાતાળમાં મોકલી દીધું છે.
મને યાદ છે આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલા પીવા માટે જરૂરીયાત કરતા
વધારે ભરેલો પાણીનો પ્યાલો પણ વડીલો દ્વારા ઠપકો અપાવી જતો. કારણકે દસ-બાર
કિલોમીટર દૂર આવેલ ‘ડંકી’ પરથી રેશનીંગ પદ્ધતિએ આણેલ પાણીનું એક ટીંપુ પણ બગડે તે
પોસાય તેમ નહોતું.
તમને પણ યાદ જ હશે કે આજથી બાર-પંદર વરસ પહેલા રાજ્યમાં ગામેગામ
ચેકડેમો છલકાતા હતા. પરંતુ ‘આરંભે શૂરા’ તરીકે ઓળખાતા આપણે ગુજરાતીઓએ ચેકડેમનું તો
નામ પણ કદાચ વિસારી દીધું છે. પછી તેની સારસંભાળ કે નવા આયોજનની તો વાત જ ક્યાં
કરવી. પરંતુ હજુ પણ સમય છે, જાગ્યા ત્યારથી સવાર એમ ગણીને જો ફરીથી ચેકડેમ તરફ
નિહાળવામાં આવે તો ચોક્કસ સારા પરિણામો મળશે.
વરસાદી પાણી
રોકવા માટે સહિયારા પ્રયત્નો થવા ખૂબ જરૂરી છે. હયાત ચેકડેમ, તળાવ કે
ખેત-તલાવડીઓને ઊંડા કરી, તેની મરામત કરી અથવા તો નવા બનાવીને ચોમાસા પહેલા વરસાદના
પ્રસાદ એવા જળને સંઘરવાનો ઉપાય કરી લઈએ. કમસે કમ આપણા કુવા કે બોર રીચાર્જ કરવાની
વ્યવસ્થા તો ચોક્કસ કરીએ. નહી તો આગામી સમયમાં બધાંએ રાતેપાણીએ રોવાનો વારો આવશે.
અને આ કોઈ કવિની કલ્પના નહી પણ હકીકત છે.
No comments:
Post a Comment